પુરુષોત્તમ ઉપાધ્યાયઃ હિસ માસ્ટર્સ વોઈસ 90 વર્ષે આથમી ગયો ~ હિતેન આનંદપરા ~ સાભાર: ગુજરાતી મિડ-ડે
પથ્થરની એક કાંકરી ફેંકો
તો જઈને બેસે તળિયે
લખી તમારું નામ અમે તો
પાણી ઉપર તરીએ
~ પુરુષોત્તમ ઉપાધ્યાય
15 ઑગસ્ટ 1934ને દિને જન્મનાર મુઠ્ઠીઊંચેરા સ્વરકાર-ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયે 11 ડિસેમ્બરે આપણી વચ્ચેથી વિદાય લીધી. 90 વર્ષ અને 3 મહિનાના આયુષ્યમાં ગુજરાતી સુગમ સંગીતનો ચહેરો ઘડવામાં સૂરોત્તમ પુરુષોત્તમે સર્વોત્તમ ફાળો આપ્યો.
સૌ લાડમાં એમને પિયુ કહેતા અને કહેતા રહેશે. આ લાખેણો કલાકાર હવે આપણી વચ્ચે નથી એ હકીકત સ્વીકારતાં લાખો ચાહકોને સમય તો લાગશે.
`જત લખવાનું જગદીશ્વરને’ ગાનાર આ કલાકારને હવે `પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ ગણગણીને સ્મૃતિબદ્ધ કરવાના છે.
કાગળને કન્સલ્ટ કર્યા વિના એક પછી એક ગીતો ગાઈ શકનાર પિયુને છેલ્લા થોડા વર્ષોથી સ્મૃતિ દગો દઈ રહી હતી. અનેક નામવંત કલાકારો એમને મળીને પોતાનો પ્રેમ પ્રગટ કરતા. અહોભાવ વગર આવું નિર્હેતુક મિલન સંભવ નથી. અહોભાવ પગારની જેમ પહેલી તારીખે જમા થતો નથી. એ તો નિષ્ઠા અને પ્રદાનના સાતત્યથી સર્જાય છે.
પિયુએ માત્ર પોતાના સ્વરાંકનો દ્વારા જ સુગમ સંગીતને માતબર જ નથી બનાવ્યું પણ નવા નવા કલાકારોને તાલીમ આપી શિક્ષકધર્મ પણ બજાવ્યો છે. આખરી સમયમાં ઉંમરે ભલે રંગ દેખાડયો પણ પિયુ પેતાની ઉંમરથી આગળ નીકળી ગયેલા માણસ હતા.
કોઈ મળવા આવે ત્યારે આંખો ચહેરો ઓળખવામાં થાપ ખાતી પણ હામોર્નિયમ પર ફરી વળતી આંગળીઓ લય અને તાલ ચૂકતી નહોતી. સંગીત એમની રગરગમાં વહેતું હતું.

2012 પહેલા ઇમેજની પ્રિન્સેસ સ્ટ્રીટ ઑફિસે કવિ સુરેશ દલાલને તેઓ દર શનિવારે અચૂક મળવા આવતા. આ બંને મહાનુભવોના મિલનનો હું સાક્ષી રહ્યો છે.
સ્વરકાર-ગીતકારની આ જોડીએ સોનામહોર જેવા સુંદર ગીતો આપ્યા છે.
સુરેશ દલાલે જાહેરમાં કહ્યું હતું કે, `અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું અને પુરુષોત્તમે ગુજરાતને કવિતા ચાહતું કર્યું.
પિયુની ખાસ વાત એ હતી કે એ જેટલા ઉત્તમ કલાકાર હતા એટલા જ ઉત્તમ શ્રોતા પણ હતા. સારી કવિતા સાંભળીને એમના હોઠેથી `ક્યા બાત’ નીકળતું ત્યારે મંચ પરનો કવિ અભિભૂત થઈ જતો. `કવિતા’ મેગેઝિન વાંચીને કોઈ રચના ગમી જાય તો તેઓ કમ્પોઝ કરતા. કૃતિની પસંદગીનો એમનો ટેસ્ટ પણ ઊંચા માહ્યલો હતો.
જેટલો પ્રેમ સંગીત સાથે હતો એટલી જ તન્મયતા આરોગ્ય બાબતે રાખતા. યોગ અને ચાલવા જવાનું એમની દિનચર્યામાં સામેલ હતું. કદાચ એટલે જ એંસી પછીના પુરુષોત્તમભાઈને સાંભળેલા ત્યારે પણ એમના અવાજનું ઐશ્વર્ય એટલું જ સૂરીલું લાગતું.
સૌ પ્રથમ `રામરાજ્ય’ ફિલ્મ જોનાર પુરુષોત્તમ ઉપાધ્યાયે પોતાનું આગવું સૂરસામ્રાજ્ય સ્થાપ્યું હતું. છ વર્ષની ઉંમરે આ જ ફિલ્મનું ગીત તેમણે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટને સંભળાવેલું. રસકવિએ એ જ ટ્યુન પર `સાધુ ચરણકમલ ચિત્ત જોડ’ ગીત લખ્યું. આ ગીત ગાનાર બાળ પુરુષોત્તમને સત્તર વન્સ મોર મળ્યા અને સત્તરમાં વન્સ મોરે તેઓ ઊભા ઊભા જ સૂઈ ગયા.
અહીંથી શરૂ થયેલી યાત્રા મુંબઈમાં પાંગરી અને વિશ્વવ્યાપી બની. લતા મંગેશકર, બેગમ અખ્તર, મહમદ રફી, આશા ભોંસલે, મન્ના ડે, મુકેશ, મહેન્દ્ર કપૂર જેવા અનેક કલાકારો પાસે તેમણે ગુજરાતીમાં ગવડાવ્યું.
લાઈવ કાર્યક્રમમાં પિયુને સાંભળવા એક લ્હાવો હતો. આવા જ એક કાર્યક્રમમાં ગળગળા થઈને અવિનાશ વ્યાસે કહેલું: `આજે ઓગળતા અવિનાશને પુરુષોત્તમ થવાનું મન થયું છે.’
પ્રમુખ સ્વામી મહારાજે અમૃત મહોત્સવ નિમિત્તે મોકલેલા પત્રમાં લખ્યું હતું,
`શબ્દને સ્વર સાથે સંયોજીને એના અર્થને માત્ર નિષ્પન્ન જ નથી કરતાં પરંતુ તેઓ અર્થને મૂર્તિમાન કરીને સૌના અંતરમાં નર્તન કરતા મૂકે દે છે.’
પ્રારંભિક વર્ષોમાં પુરુષોત્તમભાઈનો રંગભૂમિ સાથે ઘનિષ્ટ નાતો રહ્યો. એક નાટકમાં માસ્ટર અશરફ ખાન નાયક હતા અને પુરુષોત્તમભાઈએ એમના પુત્રની ભૂમિકા ભજવી હતી.
દેશ-વિદેશમાં સુગમ સંગીતને લોકપ્રિય કરનાર પુરુષોત્તમભાઇએ મહેફિલો ગજાવી છે.

તેઓ ઉર્દૂ ગઝલો પણ ગાતા હતા, પણ માતૃભાષા પ્રત્યેનો પ્રેમ એવો અપાર હતો કે તેમણે ગુજરાતીને વળગી રહેવાનું નક્કી કર્ય઼ું. ગુજરાતી ફિલ્મોમાં અને નાટકોમાં પણ તેમણે લોકપ્રિય સંગીત પીરસ્યું.
સંગીત સફરના શરૂઆતના વર્ષો સંઘર્ષનો સમય હતો. એક વાર એક સ્ટુડિયોમાં એચએમવીના ગુજરાતી વિભાગના વડા આર. ડી. વ્યાસે અવિનાશ વ્યાસ સાથે પરિચય કરાવ્યો. તરત જ અવિનાશભાઈએ એક ગીતમાં એક પંક્તિ ગાવા કહ્યું. એ પંક્તિ હતી, `મોરલા બોલ્યા નહીં.’
અનંતની યાત્રાએ નીકળેલા પિયુ ભલે આપણી સાથે બોલશે નહીં પણ એમના ચાહકો એમને ક્યારેય ભૂલશે નહીં. પુરુષોત્તમ નામનો એક દીવો અંતરમાં ઝળહળતો રહેશે અને ક્યારેક આપણું હૈયું એમને યાદ કરીને ગાઈ લેશેઃ ભૂલેચૂકે મળે તો મુલાકાત માગશું.
`મારે રૂદિયે બે મંજીરા' ઝંકૃત કરીને `મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી'ની ઉદાસી ઘૂંટીને, `મન મળે ત્યાં મેળો' સર્જીને, `કહું છું જવાનીને પાછી વળી જા' એવો ઠપકો આપીને, `ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે' પ્રશ્ન પૂછીને, `આંસુને પી ગયો છું મને ખ્યાલ પણ નથી' એવો અફસોસ વ્યક્ત કરીને, `સાવ સીધી નદીના વ્હેણ વાંકા થયા'ના કારણ પૂછીને તથા `જીવનભરના તોફાળ ખાળી રહ્યો છું' ગાનાર પિયુ શરીસ્થ ભલે નથી, પણ આપણા હૃદયસ્થ તો રહેશે જ.
હિતેન આનંદપરા
12/12/2024,
ગુજરાતી મિડ-ડે
ATI YOGYA SHRADDHANJALI 🙏
Nice article Great composer ,lost legendary artist of Sugamsangeet 🙏🙏
Khub sunder lekh 🙏🙏
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ