‘સપન મળશે..!’ ગઝલ ~ તાજા કલામને સલામ (૨૬) ~ શિલ્પા શેઠ ‘શિલ્પ’ ~ આસ્વાદઃ સપના વિજાપુરા
“સપન મળશે…..!”
વિચારોને જો મળશે પાંખ ઈચ્છાને ગગન મળશે.
કરો પુરુષાર્થ જીવનમાં ફળીભૂત તો સપન મળશે.
અસર શબ્દોની કેવી મન ઉપર તો થાય છે મિત્રો,
જરા સરખી મળે જો હૂંફ તો ત્યાં નવજીવન મળશે
પછી ફેલાઈ જાશે એની ખુશ્બુ આખી દુનિયામાં,
અગર ફૂલને સતત વાતો ને લહેરાતો પવન મળશે.
ઘણી વેળા વિચારેલું નથી થાતું સબંધોમાં,
તમે શાતા ભલે દો કિંતુ દિલને તો અગન મળશે.
અમીરો તો ચડાવે છે ઘણી ચાદર એ દરગાહ પર,
પરંતુ ક્યાં ગરીબની લાશ ઢાંકે એ કફન મળશે.
તમે મિસરો બનાવો ને ગઝલ આખી જ સર્જાશે,
ફકત શબ્દોને ગુંથો તો પછી સુંદર કવન મળશે.
ભરેલું હોય તો લાગે, ભર્યું ને ભાદર્યું રહેશે,
પરંતુ હોય ખાલીપો તો ખાલીખમ ભવન મળશે.
એ શબ્દોમાં રમે છે કેમ કે દુનિયા નથી ગમતી,
ગઝલકારો ને કવિઓનું સદા એમાં જ મન મળશે.
ભલેને “શિલ્પ” સામે આપ આંખો બંધ રાખો પણ,
પૂજન તન મન ને ધનથી થાય તો સાચું યજન મળશે.
~ શિલ્પા શેઠ : શિલ્પ
~ આસ્વાદઃ સપના વિજાપુરા
મુંબઈ નિવાસી કવયિત્રી શિલ્પા શેઠ ‘શિલ્પ’ ગદ્ય અને પદ્યમાં લખે છે. લઘુ વાર્તાઓ તથા માઈક્રોફિક્શન વાર્તા તેમજ નવલકથામાં એમણે સહિયારું સર્જન કરેલું છે. પદ્યમાં એમણે બાળસાહિત્ય રચના તથા કવિતાઓ અને ગઝલ પર હાથ અજમાવેલો છે. ઘણી કવિતાઓ માટે એમને સર્ટિફિકેટ પણ મળેલા છે.
વિચારોને જો મળશે પાંખ ઈચ્છાને ગગન મળશે.
કરો પુરુષાર્થ જીવનમાં ફળીભૂત તો સપન મળશે.
કોઈ પણ ઈચ્છાને ફળીભૂત કરવા પહેલા મગજમાં વિચાર આવવો જરૂરી છે જો વિચાર જ નહીં હોય તો ઈચ્છાને ગગન સુધી શી રીતે પહોંચાડવી? અને વિચાર આવ્યા પછી એ ઈચ્છાને ફળીભૂત કરવા માટે પુરુષાર્થની જરૂર પડે છે. આપણી પાસે મેજીક લેમ્પ નથી કે કે કહીએ કે ‘હો જા’ અને થઇ જાય. કોઈપણ સપનું પૂરું કરવા માટે મહેનત કરવી પડે છે. કોશિશ કરવી પડે છે. ‘લહેરોં સે ડરકર નૌકા કભી પાર નહીં હોતી, કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી.’
અસર શબ્દોની કેવી મન ઉપર તો થાય છે મિત્રો,
જરા સરખી મળે જો હૂંફ તો ત્યાં નવજીવન મળશે
કોઈના બોલેલા બે મીઠાં બોલ હૃદય પર કેવી અસર છોડી જાય છે. જરા જો પ્રોત્સાહન મળે કે જરા જો હૂંફ મળે તો માણસને નવજીવન મળી જાય છે. જ્યારે કોઈ આત્મહત્યા કરવા જાય અને કોઈ હોટલાઇન પર કોલ કરે તો સામેવાળી વ્યક્તિ એને વાતોમાં ઉલજાવેલી રાખે છે.
વાતવાતમાં જીવન કેવું અમૂલ્ય છે અને લોકોને તમારી કેટલી જરૂરત છે એ સમજાવે છે. બસ આવી વાતોથી એ વ્યક્તિને જીવનદાન મળી જાય છે.
ઐસી બાની બોલીએ મનકા આપા ખોલ, ઔરન કો શીતલ કરે આપ હો શીતલ હોય કબીરા આપ હો શીતલ હોય ! કોઈના ઝેરથી ભરેલાં શબ્દો તીરની માફક વાગી જાય છે. અને બોલેલું પાછું ખેંચાતું નથી તેથી કબીરની જેમ મીઠી વાણી બોલવી જેથી લોકોને હૂંફ તો મળે!
પછી ફેલાઈ જાશે એની ખુશ્બુ આખી દુનિયામાં,
અગર ફૂલને સતત વાતો ને લહેરાતો પવન મળશે.
ફૂલનું કામ છે સુગંધ ફેલાવાનું. ફૂલને જો પવન મળી જાય તો એ પવન ખુશ્બુને દૂર સુધી લઇ જશે! એજ રીતે માનવની કીર્તિ દૂર સુધી ફેલાઈ જાય જો એને પવન જેવું માધ્યમ મળી જાય. કોઈ જીવન એવું જીવવું કે ફૂલની માફક મહેંકી જાય અને પછી પવનનું કામ છે એ ખુશ્બુને દૂર સુધી આખી દુનિયામાં ફેલાવાનું! કિસ્મતવાળાને એ માધ્યમ મળી જાય તો ફૂટપાથ પર સૂનારાને શ્રેષ્ઠ કલાકારના બિરુદ મળી જાય છે.
ઘણી વેળા વિચારેલું નથી થાતું સબંધોમાં,
તમે શાતા ભલે દો કિંતુ દિલને તો અગન મળશે.
ઘણાં સંબંધો તમને પીડા આપવાં માટે જ હોય છે. તમે ગમે તેટલાં મીઠાં બનો શાંત રહો છતાં તે તમને અગનરૂપી પીડા આપી જવાનાં! તમે ગમે તેટલું વિચારો કે આ સંબંધ સરખા થાય પણ ગાંઠ એવી પડી હોય છે કે એ ગાંઠ ઉકેલતાં બીજી દસ ગાંઠ પડી જાય છે. ખાસ કરીને પતિપત્નીના સંબંધમાં જ્યારે ચોવીસ કલાક સાથે રહેતાં હોઈએ એટલે કૈક સરખું કરવા જાઓ તો બીજી ગાંઠ પડી જતી હોય છે.
તમે શાતા આપવા જાઓ તો પણ દિલને અગન મળી જાય છે. એકબીજાને સમજવાની જરૂર હોય છે. પતિપત્નીના સંબંધ પારદર્શક હોવા જોઈએ, દિલની વાત સહેલાઈથી કરી શકતાં હોવા જોઈએ. તો ત્યાં અગનને બદલે ફૂલ મહેકી ઉઠશે.
અમીરો તો ચડાવે છે ઘણી ચાદર એ દરગાહ પર,
પરંતુ ક્યાં ગરીબની લાશ ઢાંકે એ કફન મળશે.
શિલ્પાબેન સરસ ચોટદાર શેર આપે છે. પૈસાદાર લોકો પર વ્યંગ કરે છે. ફૂલોની ચાદર દરગાહ પર ચડાવે છે. ધન લોકોને બતાવવા માટે વપરાય છે. શિવલિંગ પર દૂધ ચડે છે, પણ કોઈ બાળક દૂધ વગર ટળવળે છે. લોકોને દેખાડવા કરોડો રૂપિયા વપરાય છે. પણ કોઈ ગરીબની લાશ રસ્તા પર રઝળી રહી છે એના કફન માટે કોણ પૈસા આપશે. એ સમાજે શરમથી ડૂબી મરવું જોઈએ જે સમાજ ધર્મને નામે ચડાવા કરે છે, ધર્મને નામે ચાદર ચડાવે છે. ફૂટપાથ પર ગરીબો મરી રહ્યાં છે. ઈશ્વરને દરગાહ, મંદિર અને ચર્ચમાં શોધવાંવાળાને ક્યાં ખબર છે કે ઈશ્વર તો એ અર્ધનગ્ન સુતેલા બાળકમાં છે.
તમે મિસરો બનાવો ને ગઝલ આખી જ સર્જાશે,
ફકત શબ્દોને ગુંથો તો પછી સુંદર કવન મળશે.
મત્લાનો શેર ઈશ્વર પાસેથી આવે છે. એક મિસરો મળી જાય તો ગઝલ બનતા વાર લાગતી નથી આ રદીફ, કાફિયા અને શબ્દોને ગોઠવો એટલે સુંદર ગઝલનો ગુલદસ્તો બની જાય છે. મને ક્યારેક લાગે છે શબ્દો મ્હેકતાં ફૂલ જેવા છે. એને સરસ રીતે ગૂંથો તો મહેકતી ગઝલ મળશે!
ભરેલું હોય તો લાગે, ભર્યું ને ભાદર્યું રહેશે,
પરંતુ હોય ખાલીપો તો ખાલીખમ ભવન મળશે.
ઘરમાં બધાં દાદા દાદી, બા પપ્પા બધાં ભાઈબહેન સાથે રહેતાં હોય તો ઘર ભર્યુંભાદર્યું લાગે. પણ જ્યારે એક પછી એક જુદા થઇ જાય તો ઘર વેરાન થઇ જાય છે. ‘બિછડે સભી બારી બારી’ એ ઘરનો ખાલીપો તમને ખાવા દોડશે! વળી જો હૃદયમાં જ ખાલીપો હોય તો ભર્યું ભાદર્યું ઘર પણ ખાલી લાગશે. ક્યારેક કોઈ એકના જવાથી પણ ખાલીપો લાગે છે. મન ઉદાસ તો દુનિયા ઉદાસ!
એ શબ્દોમાં રમે છે કેમ કે દુનિયા નથી ગમતી,
ગઝલકારો ને કવિઓનું સદા એમાં જ મન મળશે.
કવિ બનવા માટે હૃદય પર ચૉટ લાગી હોવી જોઈએ. કોઈ શાયર અમસ્તો નથી બનતો. કેટલી વેદના સહી જાય ત્યારે એક પંક્તિ હૃદયમાંથી નીકળે છે. શબ્દો થકી એ પોતાની વેદના દર્શાવે છે. શબ્દો એનું હથિયાર છે. એ લોકોને દુનિયા નથી ગમતી. એ લોકો સામાન્ય માણસ જેવા નથી . વેદનાથી ભરેલા હૃદયને ઠાલવવા માટે એમને શબ્દોનો સહારો લેવો પડે છે. તેથી એમનું મન શબ્દોમાં જ મળશે.
ભલેને “શિલ્પ” સામે આપ આંખો બંધ રાખો પણ,
પૂજન તન મન ને ધનથી થાય તો સાચું યજન મળશે.
ઈશ્વર સામે આંખો બંધ રાખીને પ્રાર્થના કરતા હોઈએ છીએ. પણ ધ્યાન આપણું બીજે ક્યાંક ભમતું હોય તો સાચું યજન ના મળે. ‘
મન જ ભટકતું હોય જ્યાં ત્યાં મારું
તો બોલ સજદામાં પડીને શું કરું?
ધ્યાનથી ધ્યાન ધરો ઈશ્વર તમારી આસપાસ જ છે. કવયિત્રી શિલ્પાબેન શેઠ ‘શિલ્પ’ની સુંદર અર્થસભર ગઝલ!
***