પથ્થરની કાયામાં (ગીત) ~ અનિલ જોશી (જન્મદિન: ૨૮ જુલાઈ) ~ ૮૨માં વર્ષમાં પ્રવેશ

કવિ: અનિલ જોશી
સ્વરાંકન: રાજેન્દ્ર ઝવેરી
સ્વર: તૃપ્તિ છાયા
આલબમ: અલબેલો અડકે મને

મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે 

પાલવમાં આળખેલા ફૂલને સુગંધ ફૂટી 
પગલીથી ચિતરાયાં ફળિયાં 
રમકડાંના મોરલા ગહેક્યા કરે 
ને ઊડ્યાં વાદળાં બનીને મારાં નળિયાં 
મારા કમખામાં ચોમાસું એવું બેઠું 
કે હવે સહરાના કાંઠાયે છલકે

મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે   

પંખા ઉપર કોઈ માળો ન બાંધશો 
પંખો ફરશે ને વિખરાશે 
રમકડાંના મોરલા ગહેકશે નહીં 
અને ફળિયામાં પગલી ખોવાશે 
મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ 
એનાં  પાંદડાંઓ ડાળમાંથી સરકે  

મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે   

~ અનિલ જોશી 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. કવિશ્રી અનિલ જોશી ને ૮૨માં વર્ષમાં પ્રવેશ- જન્મદિન ના અભિનંદન
    પથ્થરની કાયામાં સ રસ ગીતનુ શ્રી રાજેન્દ્ર ઝવેરી દ્વારા સુંદર સ્વરાંકન:
    : સુ શ્રી તૃપ્તિ છાયાના મધુરા સ્વરે ગાન