|

“અમારા ભગવાનને તરતાં નથી આવડતું…!” ~ કાશ્મિરી વાર્તા ~ મૂ. લે. મહારાજ કૃષ્ણ સંતોષી ~ અનુવાદઃ ડૉ. પન્ના ત્રિવેદી

(શબ્દો: ૩૩૧૫) 

હું માનું છું કે જિંદગીમાં બધાંએ કમસેકમ તરવાનું અને સાઈકલ ચલાવવાનું તો શીખી જ લેવું જોઈએ. મારી આ માન્યતા કયા આધારે છે તેની મને પોતાને ખબર નથી. કદાચ તેનાથી માણસમાં આત્મવિશ્વાસ જન્મે !

મારા બંને બાળકોને તરવાનું અને સાઈકલ ચલાવવાનું આવડે છે. તરવાનું તો તેમણે કાશ્મીરમાં જ શીખી લીધેલું, પણ સાઈકલ ચલાવવાનું વિસ્થાપિત થયા પછી જમ્મુમાં. કાશ્મીરની ભીની ભીની લીલીછમ લીલોતરીમાં સાઈકલ ચલાવવાની મજા જ કંઈક જુદી છે.

રસ્તા ઉબડખાબડ હતા છતાં એટલા નિર્દયી નહોતા. બસ, પેંડલ મારતા જાવ અને મનોહર કલ્પનામાં ખોવાતા જાવ અથવા તો સામેથી આવતી ખેડૂતોની છોકરીઓને જોઈને ગીત ગણગણવાનું શરૂ કરી દો. તે ક્ષણે સૃષ્ટિનું સઘળું સૌંદર્ય તમારી અંદર તરંગિત થઈ ઊઠશે. એ છોકરીઓ તમને શહેરી કામુકતાની દૃષ્ટિએ નહીં જુએ. તેમનું ચંચળ હાસ્ય તમને પ્રસન્નતાથી ભરી દેશે અને આસપાસનું આખુંય વાતાવરણ તેમના હોવામાત્રથી જ મહેકી ઊઠશે.

પણ કાશ્મીરના આ રમ્ય વાતાવરણમાં કંઈક એવું ઘટી જતું કે આખુંય વાતાવરણ તણાવગ્રસ્ત થઈ જતું. એકબીજા માટેનો સદ્ભાવ દૂર થઈ જતો. પોતાના નજીકના પરિચિતો અને મિત્રો સુધ્ધાંમાં ઝનૂનની લહેરો ઊઠવા માંડતી. એક વાર માજિદને મેં કહેલું પણ ખરું : ‘એકલામાં તમે કાશ્મીરી મુસલમાન ઘણા જ સારા હોવ છો પણ…’

‘…પણ શું?’

‘ભીડમાં તમે લોકો ક્રૂર બની જાવ છો.’ મેં કહ્યું હતું.

આ સાંભળીને માજિદ ઊકળી ઊઠ્યો હતો. એ પછી જ્યાં સુધી તે ત્યાં હતો તે કશું જ બોલ્યો નહોતો. તેની આંખોમાં મારા માટે તિરસ્કારનો એક ભાવ હતો.

હું ને માજિદ હંમેશા કાશ્મીરના ઇતિહાસ, સાહિત્ય-સંસ્કૃતિ વિશે ચર્ચાઓ કરતા. ક્યારેક ક્યારેક અમારી આ ચર્ચાઓ જાતિ સુધી લંબાઈ જતી, આ બધું જ છતાં અમારી દોસ્તીમાં ક્યારેય કોઈ ફેર પડ્યો નહોતો. એ દિવસે વાતવાતમાં મેં માજિદને કહ્યું :

‘ક્યારેક તું પણ હિંદુ હતો. ‘તું’થી મારો અર્થ એના પૂર્વજો સાથે હતો. તેણે મૂક સંમતિથી માથું ધુણાવ્યું હતું.

‘તો પછી આજે તું અને હું અલગ અલગ કેમ થઈ ગયા?’ મેં ફરી છંછેડ્યો.

‘અલગ અલગ જ થયા ને!’ તેના અવાજમાં દૃઢતા હતી.

‘કેવી રીતે?’ મેં પૂછ્યું.

‘અમે બીજો ધર્મ અપનાવી લીધો છે તો !’

‘ધર્મથી શું આપણો ઇતિહાસ પણ અલગ થઈ ગયો છે?’

‘અલગ તો નથી થયો પણ એથી આપણા કાશ્મીરનો એક નવો ઇતિહાસ શરૂ થયો છે.’

‘લૂંટવાનો, મંદિરો તોડવાનો કે પછી બળજબરીથી ધર્મપરિવર્તનનો ઇતિહાસ.’ મારા અવાજમાં આક્રમકતા હતી.

‘તમારા પંડિતોની આ જ બીમારી છે. તમે લોકો હંમેશા ઇતિહાસની કાળી બાજુ જ છતી કર્યા કરો છો… ક્યારેક ઇસ્લામને સમજવાનો પ્રયત્ન પણ કરો.’ હું સાવધ થઈ ગયો. મેં સભાન થઈને કહ્યું :

‘એવું નથી મારા દોસ્ત, ઇસ્લામ વિશે મારા મનમાં ઘણું સન્માન છે પણ એવું છે ને કે અમે પેલી કહેવત પણ કદી ભૂલ્યા નથી…’

‘કઈ કહેવત?’ તેના અવાજમાં અધીરાઈ હતી.

‘મુસ્લિમ શાસનમાં હિંદુઓના અગિયાર ઘર બચી રહેવાવાળી કહેવત…’

‘સાલા તમે કાશ્મીરી પંડિતો શરૂઆતથી જ ભાગેડુ હતા. કાયર હતા.’

હું તેના ‘કાયર’ શબ્દ પર હસ્યો, હસતાં હસતાં કહેવાનું ના ચૂક્યો કે પંડિત સાથે દોસ્તી એટલે અજગર સાથે દોસ્તી. તેના રસોડામાંથી માછલી રંધાવાની તીખી ગંધ અમારા સુધી આવી રહી હતી. તે ગંધને લીધે મારી અંદર હું કંઈક વિચિત્ર સ્વાદ અનુભવી રહ્યો હતો.

ઓરડામાં વાગી રહેલા સૂફી સંગીત સાંભળતા સાંભળતા મેં વચ્ચે જ પૂછ્યું : ‘લિદરની માછલી છે ને?’

‘હા, કાદિરે પકડી છે.’

‘ક્યારેક અમારા માટે કંઈક…’

તેણે મને એ વાક્ય જ ન પૂરું કરવા દીધું.

‘લિદર કંઈ એકલા અમારા મુસલમાનની જ નથી.’ તેના અવાજમાં મસ્તી હતી.

‘શો અર્થ?’ મારા અવાજમાં નાટકીયતા હતી.

‘તું જાતે પણ ક્યારેક નદીના ઠંડા પાણીમાં ઊતરી જો.’

‘તું મુસલમાન કેમ છે?’ મેં છંછેડવાને ઇરાદે કહ્યું.

‘એ દિવસો ગયા જ્યારે અમે તમારા ઘોડાની લગામ પકડી રાખતા અને તમે અમારા ખભે પગ મૂકીને ઘોડા પરથી નીચે ઊતરતા.’

‘હા ખરેખર. એ દિવસો નથી રહ્યા હવે.’ મેં બનાવટી અફસોસ પ્રગટ કરતાં કહ્યું.

અપ્પા બીજા ઓરડામાંથી નમાજ પઢીને આવી હતી. આવતાવેંત જ માજિદને કહ્યું : ‘પંડિતજીને જવા ન દઈશ. હું તેમના માટે ભાત રાંધી ચૂકી છું.’ આટલું બોલીને તે ગૌશાળા તરફ ગઈ.

આશાભરી નજરથી માજિદે મારી સામે જોયું અને કહ્યું : ‘શું વિચાર છે?’

હું સમજી ગયો. ‘ના.’

‘અડધો અડધો પેગ.’

‘અત્યારે  ક્યાંથી મળશે?’

‘મારી પાસે સ્ટોક છે.’

અમે બંનેએ વ્હિસ્કીના બે-બે પેગ પીધા. ખાવાનું ખાધું. મૂળા અને માછલીનો મેળ લાજવાબ હતો. આંખમાંથી પાણી નીકળવા માંડે ત્યાં સુધી અમે મરચાંનો સ્વાદ લીધા કર્યો. રાત ઘણી વીતી ગઈ હતી. બહાર સડક લગી માજિદ મને મૂકવા આવ્યો. આંગણામાંથી બહાર નીકળતા જ તેણે ગણગણવું શરૂ કર્યું : ‘હંગામા હૈ ક્યોં બરપા…થોડી સી જો પી લી હૈ.. ડાકા તો નહીં ડાલા, ચોરી તો નહીં કી હૈ…’ માજિદ ગુલામ અલીનો ફેન હતો. મેં હંમેશા તેને ગુલામ અલીની જ ગઝલો ગણગણતો સાંભળ્યો છે.

અમારા ગામમાં હિંદુઓ અને મુસલમાનોની વસ્તી લગભગ સરખી હતી. કાશ્મીરમાં વસ્તીની આટલી ટકાવારી બીજે ક્યાંય નહોતી એટલે જ બીજી જગ્યાઓની સરખામણીમાં અહીં હિંદુઓમાં અસુરક્ષાની ભાવના ઓછી હતી. અમારા ગામમાં જે કોઈ થોડા દિવસ માટે મહેમાન બનીને આવતો તે ઉદાસ મને જ પાછો ફરતો. એકાદ બે દિવસમાં જ તે અહીંના લોકો સાથે હળીભળી જતો. મહેમાનોને એવો કોઈ અનુભવ જ નહોતો થતો કે તે અજાણ્યા છે.

મને અત્યારે મારા ગામની રામલીલા યાદ આવે છે. આ એ દિવસોની વાત છે જ્યારે ગામમાં દૂરદર્શનનું આગમન નહોતું થયું અને રામાનંદ સાગરની સિરિયલ નહોતી આવી. કાશ્મીરમાં રામલીલાવાળા દિવસો ખેડૂતો માટે આનંદના દિવસો હોય છે. ભંડારોમાં અનાજ ભરાઈ ગયું હોય છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી હોય છે અને રજાઈવાળી રાતોનું આગમન થઈ ચૂક્યું હોય છે.

રામલીલાના પહેલા જ દિવસથી મુસ્લિમ ઘરની સ્ત્રીઓ, બાળકો, યુવક-યુવતીઓનું આવવું શરૂ થઈ જાય છે. એમની સંખ્યા રોજ વધતી જતી. અપેક્ષા મુજબ આ સંખ્યા રામ-રાવણ યુદ્ધ સુધી વધતી જ જતી. વાનર અને રાક્ષસના મોહરા પહેરેલા કલાકારો પોતાના અભિનયથી લોકોનું ભરપૂર મનોરંજન કરતા.

એ દિવસોમાં ગામનું મનોરંજન આવી જ લીલાઓ દ્વારા થતું હતું. મને એમ હતું કે આ મુસ્લિમ કુટુંબો માત્ર  મનોરંજનના હેતુથી જ રામલીલા જોવા આવતા હશે, એમ વિચારવું સ્વાભાવિક પણ હતું. પણ પછીથી મને એ જોઈને સુખદ આશ્ચર્ય થવા લાગ્યું કે તે લોકો રામલીલાના મંચ પરથી પોતાની બાધા માનવાની જાહેરાત કરાવતા હતા અને બાધા પૂરી થયેથી તેમનું વચન પણ પાળતા.

પૃથ્વીનાથ શેર માઈક પકડી એક ધંધાદારી સંચાલકની જેમ આવા મુસ્લિમ ભાઈઓનું નામ લેતા અને લોકો તાળીઓ પાડતા. દૂરદર્શનના આગમને ગામની રામલીલા જ ગાયબ કરી દીધી! રામલીલા સમિતિના સદસ્યોએ પોતાનાં નાનાં-નાનાં ગ્રુપ બનાવી શ્રીનગર દૂરદર્શન પર પોતાના સ્વતંત્ર કાર્યક્રમો આપવાનું શરૂ કરી દીધું. જ્યારે હવે રામલીલાના દિવસો આવતા, ત્યારે ગામમાં પહેલા જેવી ભીડ નહોતી થતી. એક દિવસ તો માજિદે કહ્યું પણ ખરું:

‘કેટલા સારા દિવસો હતા તે…’

‘ખરેખર… કેટલા સારા… ચિનારોના છાંયડામાં રામલીલા જોવાનો આનંદ જ કંઈક અલગ હતો.’ આટલું બોલીને તે ઉદાસ થઈ ગયેલો.

એ દિવસે મેં માજિદને કેટલો ચોંકાવી દીધો હતો! ‘એકબીજા પર આપણને કેટલો પ્રેમ છે!’ મેં કહેલું.

‘હા છે.’ માજિદે હામી ભણેલી.

‘પણ તું તારો ગુસ્સો અમારા ભગવાન પર કેમ ઉતારે છે?’

‘હું સમજ્યો નહીં.’

‘હું સમજાવું છું. જ્યારે પણ કાશ્મીરમાં રાજનીતિ વિષયક તણાવવાળી વાત હોય છે, તમે પોતાનો ગુસ્સો અમારા મંદિરો પર ઠાલવો છો. એને સળગાવો છો. એટલે સુધી કે અમારાં દેવી-દેવતાઓને ઢસડીને એમને દરિયામાં નાંખો છો.’

માજિદ વિચારમાં પડી ગયેલો. તેની પાસે કોઈ જવાબ નહોતો. કાશ્મીરમાં હિંદુઓની વસ્તી નગણ્ય રહી છે. તેમની પ્રતિક્રિયાનો તો ક્યારેય સવાલ જ નહોતો ઊઠતો. સદીઓના ઉત્પીડને અમને નિરર્થકતાની હદે કાયર બનાવી દીધા છે. ત્યાં સુધી કે અમારી કાયરતા પર કાશ્મીરમાં કેટલાય ટુચકાઓ પ્રચલિત છે.

કહેવાય છે, એક વાર પઠાણ શાસન વખતે એક પઠાણે કોઈ હિંદુ સ્ત્રી પર તેના પતિની હાજરીમાં જ બળાત્કાર કર્યો. બળાત્કાર કરતા પહેલા તેણે તલવારથી તેના પતિની ચારેબાજુ એક રેખા ખેંચી હતી અને પંડિતજીને બહાર આવવાની મનાઈ ફરમાવેલી. નહીં તો…

પઠાણના ચાલ્યા ગયા પછી પતિએ પત્નીને કહ્યું હતું:  ‘પાપી પઠાણ! કહેતો હતો રેખાની બહાર ના નીકળતો. હું ત્રણ વાર રેખાની બહાર નીકળેલો…’

આ ટુચકા પર મેં કેવળ મુસલમાનોને જ નહીં પણ પંડિતોને પણ ખડખડાટ હસતાં જોયા છે. માજિદે અમારો ઇતિહાસ વાંચ્યો હતો. અમારા જાતિસંહારની કેટલીય કથાઓ જાણતો હતો. ધર્મપરિવર્તનના નામે થયેલા અત્યાચારને એ કઈ રીતે નકારી શકે? તેને ચિડવવા હું સિકંદર બુતશિકનનું નામ લેતો, તો એ પણ કહેતો: ‘જૈનુલાબ્દીન પણ મુસલમાન હતો ને!’

‘હા, હતો.’ હું સહમતી દર્શાવતો.

‘તેણે હિંદુઓને કાશ્મીરમાં ફરીથી ના વસાવ્યા!’

‘હા વસાવ્યા.’

‘તો પછી?’ તેના અવાજમાં ગર્વ હતો.

‘ચોક્કસ, તેણે અમને વસાવ્યા… પણ તમારા હિત માટે.’

‘અમારા હિત માટે?’ તે આશ્ચર્યથી પૂછવા લાગ્યો.

‘જો કાશ્મીરમાં હિંદુઓ ફરીથી ન વસત તો ખબર છે શું થાત કાશ્મીરમાં?’

‘શું થાત?’

‘અહીં સદીઓ લગી શિયા-સુન્નીનાં રમખાણો થતાં હોત… હજારો લાખો લોકો મરી ગયા હોત.’

તેને મારા આ ઇતિહાસબોધથી દુઃખ થતું. તે આક્રોશભરી નજરોથી મારી તરફ જોતો. તેના ગુસ્સાની પરવા કર્યા વિના જ હું તેને કહેતો : ‘જ્યાં સુધી કાશ્મીરમાં હિંદુઓ રહેશે, કાશ્મીરમાં શિયા-સુન્ની ઝઘડા ક્યારેય નહીં થાય… ગુસ્સો કાઢવા માટે અમે હિંદુઓ છીએ ને!’ આગળ કંઈ પણ સાંભળવાની તે ના પાડી દેતો.

એ પછી કેટલાય દિવસો લગી અમે એકબીજાનું મોં પણ નહોતા જોતા. પછી એક દિવસ એકાએક તે મારે ત્યાં આવી ચડતો. તે આંગણામાંથી જ બૂમો પાડતો: ‘ક્યાં છે પેલો જનસંઘી?’ તેનો અવાજ સાંભળીને હું હસતો. મારી માના ખબર અંતર પૂછી તે મારા ઓરડામાં આવતો. ઓરડામાં દાખલ થતાં જ હું તેના પર કૃત્રિમ ગુસ્સો ઠાલવતો:

‘મને જનસંઘી કહેતા તને શરમ નથી આવતી? મને કમ્યુનિસ્ટ કહેતા તને જોર પડે છે?’

તે મારા ગાલ પર હળવી થપાટ મારતો, કહેતો: ‘પંડિત માત્ર તકસાધુ હોય છે.’

‘અને તમે મુસલમાન?’ હું વળતો ઘા કરતો.

‘માત્ર રમૂજી. અમે રાજનીતિમાંય રમૂજીઓ જ પેદા કર્યા છે.’ તે મજાકમાં કહેતો.

‘એમ ના બોલ. કુફ્ર(પાપ) લાગશે.’ તે બીવાનો અભિનય કરતો અને અમે બંને હસી પડતા.

દરિયામાં દેવી-દેવતાઓની મૂર્તિઓ ફેંકાવવા પર તે હંમેશા ચૂપ રહેતો. હું તેની ચાલાકી સમજી જતો. સન્ ૧૯૮૬નાં અનંગનાગનાં રમખાણો પછી મેં તેને એક દિવસ કહેલું:

‘હવે ખરેખર મને તારાથી બીક લાગવા માંડી છે.’

‘કેમ?’ તેના અવાજમાં ઉત્સુકતા હતી.

‘તું મુસલમાન છે ને?’

‘કેમ? પહેલા નહોતો શું?’

‘હા હતો.’

‘તો?’

‘આ વખતે મેં મારી આંખે તારી અંદરનું ઝનૂન જોયું છે.’

તે હસ્યો અને જવાબમાં ફક્ત એટલું જ બોલ્યો : ‘ડરતાં રહેવું તમારા પંડિતોનો જન્મસિદ્ધ અધિકાર છે.’

‘અને લૂંટફાટ કરવી તમારો…’ મારી આ વાતથી તે બહુ દુઃખી થયેલો અને પછી  કેટલાય દિવસો સુધી તે મને મળ્યો નહોતો.

એ જ દિવસોમાં અમારા ગામમાં પુરાતત્ત્વ વિભાગ દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. એક દિવસ ખોદકામ દરમિયાન એક ભવ્ય મૂર્તિ મળ્યાની ખબર ફેલાઈ. કાળજીપૂર્વક મુસલમાન મજૂરોએ તેને માટીમાંથી બહાર કાઢી. એ ભગવાન શંકરની ખંડિત મૂર્તિ હતી.

ખબર ફેલાતા જ ગામના કેટલાંક લોકો મૂર્તિ જોવા આવ્યા. સદીઓની ધૂળ અને માટી ઓઢ્યા પછીય તે મૂર્તિ એની ભવ્યતા અને દિવ્યતામાં અનુપમ હતી. ગામના વૃદ્ધ લોકો તેને પોતાના અધિકારમાં લેવા મથ્યા પણ પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓ તેને શ્રીનગરના સંગ્રહાલયમાં મોકલવાનો નિર્ણય કરી ચૂક્યા હતા.

આ નિર્ણયથી હિંદુઓમાં ઘણી નિરાશા થયેલી. આ મૂર્તિના કારણે ગામના મુસલમાન સમુદાયમાં તણાવ પેદા થયેલો.  કેટલાંક લોકો તેને ઇસ્લામ માટે અશુભ ગણવા માંડ્યા. કેટલાંક લોકોને ઇતિહાસનો અવાંછિત બોધ થયેલો અને કેટલાંકમાં આ મૂર્તિના કારણે એક વિચિત્ર પ્રકારની મન:સ્થિતિ અનુભવાતી હતી.

તે સાંજે હું માજિદને ત્યાં ગયો. હું તેની સાથે મૂર્તિ વિશે ચર્ચા કરવા માંગતો હતો. ચાની ચૂસકી લેતાં લેતાં મેં વાત કાઢી :

‘મૂર્તિ જોઈ?’

‘હા, જોઈ.’

‘કેવી લાગી?’

‘સુંદર.’

‘જ્યારે તે બની હશે ત્યારે તેના કારીગરે પણ વિચાર્યું નહીં હોય કે તેના આવા હાલ થશે.’

‘કોઈ પણ કારીગર તેની મૂર્તિનું ભવિષ્ય નથી જાણતો.’

‘એ ખરું પણ જેણે આ મૂર્તિ તોડી હશે તે કેટલો ક્રૂર હશે!’

માજિદ ચૂપ રહ્યો હતો. તે હંમેશા તેનો બચાવ ચૂપ રહીને જ કરતો.

મને પોતાને જ ખબર ન રહી કે હું માજિદની કાકાની છોકરીના પ્રેમમાં કઈ રીતે પડી ગયો. અમારો એ પ્રેમ આંખોથી અંકુરિત થઈને એકમેકના હૃદયમાં ખીલી ઊઠ્યો હતો, પણ હજી અમારો પ્રેમ બીજા આગળ જાહેર નહોતો થયો. બીક હતી કે ભેદ ખૂલી જશે તો રમખાણ ફાટી નીકળશે. કાશ્મીરમાં જ્યારે કોઈ મુસલમાન હિંદુ છોકરી સાથે પ્રેમ કરે તો એ જગજાહેર હોય છે, પણ હિંદુ છોકરાએ તો સંતાઈ સંતાઈને જ મુસલમાન છોકરી સાથે પ્રેમ કરવો પડતો.

એક દિવસ મેં મજાકમાં જ માજિદ પાસે એવી ઇચ્છા પ્રગટ કરી નાંખી કે હું કોઈ મુસલમાન છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છું છું.‘

તે બોલ્યો: ‘કેમ નહીં, પણ એક શરતે.’

‘કઈ?’ મેં અધીરાઈ દેખાડી.

‘તારે મુસલમાન બનવું પડશે.’ તેણે ગંભીર થઈને કહેલું.

‘લગ્નને ધર્મ સાથે શું સંબંધ છે?’ મેં વિરોધના સ્વરે કહેલું.

‘સંબંધ હોય કે ના હોય, પણ કોઈપણ સાચો મુસલમાન આ જ શરતે તેની છોકરી તને પરણાવશે.’

‘પણ તેની છોકરી પહેલેથી જ કોઈ કાફિરને તેનું દિલ દઈ બેઠી હોય તો?’

‘તો એની તેને સજા મળશે.’

‘શું તું પણ એવી સજાનો પક્ષ લઈશ?’ મેં પૂછેલું.

‘હા. કેમ હું મુસલમાન નથી?’ એમ કહીને તે હસી પડેલો, પણ તેના હાસ્યથી હું મૂક ચીસ પાડી ઊઠેલો કે જા, જઈને તારા કાકાની છોકરીને જ સજા આપી દે.

માજિદના આખાય વ્યક્તિત્વમાં એક અનોખો જ વિરોધાભાસ હતો. તે કાશ્મીરી પંડિતોને ખૂબ માન આપતો હતો. તેમની બૌદ્ધિકતાથી તે ઘણો પ્રભાવિત હતો. તેમની રહેણીકરણી, ઘરસંસાર અને સૌન્દર્યજ્ઞાનને તે ઈર્ષ્યાની હદે ચાહતો, પણ તેનો વિરોધ પણ તે કંઈ ઓછો નહોતો કરતો.

તે તેમને ચાપલૂસ, તકવાદી અને સ્વાર્થી માનતો હતો. તેમની આત્યંતિક ભારતીયતાને કારણે તેમને નફરત કરતો હતો. જોકે પોતે પાકિસ્તાન પ્રેમી પણ નહોતો. હું પણ તેના આ પારદર્શક વ્યવહારનો પ્રશંસક હતો એટલે જ તેણે કહેલી વાતોથી સહેજ પણ દુઃખી નહોતો થતો. અમારી વચ્ચે કેવળ દુઃખી દેખાવવાનો બનાવટી અભિનય થતો.

જોતજોતામાં અમારા ગામની મસ્જિદોમાં લાઉડ સ્પીકરો ગર્જના કરવા લાગ્યાં. પંડિતોએ પહેલેથી લાઉડ સ્પીકર પર ભજનની કેસેટો વગાડવી શરૂ કરી દીધી હતી. રજાના દિવસે તો મંદિરોમાં આખો દિવસ કેસેટ વાગતી. આવી સ્પર્ધા ગામના શાંત વાતાવરણમાં ધ્વનિ પ્રદૂષણની એક સમસ્યા બની ગઈ. આ વાત કોઈ પણ રીતે કોઈ જ સમજાવી શક્યું નહોતું કે પ્રાર્થના જેટલી મૂક રહીને કરવામાં આવે તેટલી વધુ અસરકારક હોય છે.

મારા પિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે મને એક લાઉડ સ્પીકર વિરોધી અભિયાન માટે ધમકાવ્યો અને ધમકી આપી કે જો હું મારી નાસ્તિકતાને ન છોડી શકું તો ઘર છોડીને ક્યાંક ચાલ્યો જાઉં. રશિયા કે ચીન, ક્યાંય પણ. (એ દિવસોમાં કાશ્મીરી કમ્યુનિસ્ટોને આ આવા જ ટોણાં સાંભળવા પડતા.)

મેં માજિદ પાસે પણ સાંભળ્યું કે તેના અબ્બા પાસે મોં ખોલવાની તેની પણ હિંમત ન થઈ. એના જમાતી ઇસ્લામીમાં સામેલ થયા પહેલાના તેના અબ્બા નારાજ હતા. પીર મુલ્લા વિરોધી તેની વાતોએ તેમને પહેલથી જ મારા પ્રત્યે વધારે કટુ બનાવી દીધો હતો. ખબર નહીં, આ વખતે લાઉડ સ્પીકર વિશે કશું કહે તો તે ગુસ્સામાં આવી જઈને શુંનું શું ય કરી નાંખશે.

માજિદના કાકાની છોકરી સાથે મારો પ્રેમ શુક્લ પક્ષના ચંદ્રની જેમ વધી રહ્યો હતો. એ જ દિવસે એક એવી ઘટના ઘટી જેણે પંડિતની આખી નાતના મોં પરની ચમક જ અદૃશ્ય કરી નાંખી.

બન્યું એવું કે પંડિત નિરંજનનાથ કૌલની છોકરી સુશીલા ગામના એક વગે મુસલમાન ઘરના છોકરા સાથે ભાગી ગઈ. વગે પરિવાર ખૂબ જ સંપન્ન હતો. છોકરીના બાપનો એવો આરોપ હતો કે વગે પરિવારે રૂપિયાની લાલચ આપી છોકરીને ફોસલાવી લીધી હતી. એ એવું માનવા તૈયાર જ નહોતો કે મુસલમાન છોકરા સાથે તેમની છોકરીનું કોઈ ચક્કર ચાલતું હોય.

આ ઘટનાથી પંડિતોમાં ઘણો ક્ષોભ ઉત્પન્ન થયો. સહુએ ભેગા મળીને ચર્ચા વિચારણા કરી. પંડિત વડીલોએ એવો નિર્ણય લીધો કે ગામના મુસલમાન વડીલો પાસે જઈને અંદરોઅંદર સમાધાન કરી લઈને છોકરીને ફરીથી તેના બાપને સોંપી દેવામાં આવે, પણ મુસલમાન વડીલોએ આ બાબતે હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી.

છેવટે ડેપ્યુટી કમિશનર પાસે લઈ જવાનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો. મારા પિતા પણ ડેપ્યુટેશન સાથે જવા તૈયાર થઈ ગયા. મેં પિતાજીને એ ડેપ્યુટેશન સાથે જતાં રોકવાની કોશિશ કરી. ‘કેમ?’ એમના અવાજમાં ગુસ્સો હતો.

‘પિતાજી, એ બંને વચ્ચે અત્યંત પ્રેમ હતો.’

‘તો શું છોકરીને એ નીચના ઘેર પરણાવી દઈએ?’ મારી વાતને વચ્ચેથી જ કાપતાં પિતાજીએ કહ્યું.

‘પિતાજી, હજીય એવી વાતો વિચારો છો તમે?’

‘હા, નીકળ અહીંથી.’ તેમણે મારી વાત સાંભળવાની જ ના પાડી દીધી.

વાત આગળ વધારવી નિરર્થક હતી. મનોમન હું સુશીલાની હિંમતને બિરદાવતો રહ્યો.

પાનખર કાશ્મીરની સોનેરી ઋતુ હોય છે. આ ઋતુમાં ચિનાર તેનાં પર્ણો પર અંગારા જેવી લાલાશ ધારણ કરે છે. દૂરથી જોતાં એવું લાગે કે જાણે પર્ણો પર આગ ઠરી ગઈ હોય. આ ઋતુનું મને ખૂબ આકર્ષણ રહે છે.

પાનખરની એક સાંજે સારા (માજિદની કાકાની છોકરીનું નામ સારા હતું.) મને તેના ખેતર નજીકના ચિનાર પાસે મળી. મેં સારાની કાળી ભમ્મર આંખોમાં જોયું તો તેમાં ઉદાસીની ઉપસેલી એક રેખા દેખાઈ. મને લાગ્યું કે તે કોઈ મૂંઝવણમાં ફસાયેલી છે.

‘શું વાત છે?’ મેં પૂછ્યું.

તે થોડી વાર ચૂપ રહી, પછી ધીમે ધીમે કહેવા લાગી :

‘અબ્બા મારી શાદીની વાત ચલાવી રહ્યા છે. કદાચ થોડા જ દિવસોમાં મારી સગાઈ પણ થઈ જાય.’

‘તો તો તારે ખુશ થવું જોઈએ.’ મેં મજાકિયા અંદાજમાં કહ્યું.

‘તને તો દરેક વાતમાં મજાક સૂઝે છે. અહીં મારો જીવ જાય છે.’

હું ગંભીર થઈ ગયેલો.

‘આપણા પ્રેમનું શું થશે હવે?’ તેણે ચિંતાથી પૂછેલું.

હું ચૂપ રહ્યો હતો. મને ચૂપ જોઈને તે પણ થોડીવાર ચૂપ રહી, પણ થોડીક ચુપ્પી પછી તેણે એમ કહીને મને ચોંકાવી દીધેલો : ‘ચાલ ભાગી જઈએ…’ સાંભળીને મારા તો હોશ જ ઊડી ગયેલા. મારા મોંમાંથી તો ફક્ત એટલું જ નીકળેલું : ‘શું? ભાગી જઈએ?’

‘હા, વગે પણ સુશીલને ભગાડીને જ તો લઈ ગયો !’

‘તેની વાત જરા જુદી છે.’ મેં ધીમા અવાજે કહેલું.

‘જુદી છે?’ જાણે કે તે ઊંઘમાંથી જાગી ગયેલી.

‘આપણે ભાગી જઈએ તો તારા મુસલમાન ભાઈ મારા ઘરનાંને છોડે?’

‘ભ્રમ છે તારો. કશું નહીં થાય.’

‘ના.’ મારા અવાજમાં દૃઢતા હતી.

‘તું કાયર છે. ડરપોક છે.’ તિરસ્કારથી ચીસો પડતી તે તેના ઘેર પાછી જતી રહેલી.

તે અમારા પ્રેમનો અંત હતો. એ પછી જ્યારે જયારે હું માજિદને ઘેર ગયો, મને જોતાં જ તેનાં ભવાં ચડી જતાં. એક દિવસ તેણે મારી સાથે એવો બદલો લીધો કે મને મારી જ મર્દાનગી પર શરમ અનુભવાઈ. આ પહેલાં મેં તેને ક્યારેય માજિદના ઘરમાં નહોતી જોઈ. તેનું એક કારણ એ હતું કે તેના અને માજિદના કુટુંબ વચ્ચે કોઈ વર્ષો જૂનો ઝઘડો હતો. પછી હું જ્યારે ત્યાં ગયો, એવું લાગ્યું કે જૂનો ઝઘડો પતી ગયો છે. સંબંધ ફરીથી જીવિત થઈ ગયો છે.

તે અમારી પાસે ચા લઈને આવેલી. ઓરડામાં દાખલ થતાં જ તેણે મારી તરફ ફરીને કહ્યું : ‘આદાબ ભાઈજાન .’

આવું અભિવાદન સાંભળીને હું અંદર ને અંદર ઊકળી ઊઠ્યો. આ નવા અભિવાદનથી સારાએ એક ઝાટકે જ બદલો લઈ લીધો હતો. આ અમારા વિસ્થાપન પહેલાના દિવસો હતા.

નિરંજનનાથ કૌલની છોકરી સુશીલાના વિધિવત્ નિકાહ થયા. તેણે ઇસ્લામ કબૂલ કર્યો. સુશીલામાંથી તેનું નામ હલિમા રાખવામાં આવ્યું. આ ઘટનાથી નિરંજનનાથ કૌલ એટલા તૂટી ગયા કે તેમણે સાવ સસ્તામાં પોતાની બધી જ મિલકત વેચી નાંખીને કાયમ માટે કાશ્મીર છોડી દીધું.

એકાએક પરિસ્થિતિમાં પરિવર્તન થવા લાગ્યું. મસ્જિદોમાં મોડે સુધી વાજખાની થતી રહેતી હતી. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સુધી, જે ધાર્મિક ઓછી અને રાજકીય વધારે હતી, છતાં વાતાવરણમાં સહઅસ્તિત્વની ભાવનામાં કોઈ જ અંતર નહોતું આવ્યું. જોકે પ્રેમનાથ ભટ્ટ અને ટિક્કાલાલ ટપલૂને પોતાના જ ઘરની પાસે જ એકદમ નજીકથી ગોળીથી વીંધી મોતને ઘાટ ઉતારવામાં આવેલા તો પણ એવું લાગતું હતું કે વાત આગળ નહીં વધે.

ભારતીય સૈનિકોની હાજરીનોય ભરોસો હતો, પણ જાન્યુઆરીની રાત્રે બધો જ વિશ્વાસ તૂટી ગયો. એ રાત્રે આઝાદી અને નિઝામે મુસ્તુફાના ગગનભેદી સૂત્રોએ પંડિત ઘરોની સાંકળો પણ તોડી નાંખી. ઘરોની અંદર ગોંધાયેલા લોકો જાણે કે મૃત્યુની પ્રતીક્ષા કરતા હતા.

મસ્જિદોમાંથી લાઉડ સ્પીકરોની ગર્જનાનો સામૂહિક ઘોંઘાટ હતો: ‘કાફિરો! આ કાશ્મીર છોડી દો’નાં સૂત્રોથી સ્પષ્ટ હતું કે હવે અમારા સારા દિવસો નથી રહ્યા. એ જ રાત્રે અમારા નિર્વાસનનું મુરત નીકળ્યું. એ જ રાત પછી લોકો જીવ બચાવવા જમ્મુ ભાગી ગયા. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સુધી પોણા ભાગના કુટુંબો જમ્મુમાં શરણાર્થી બની ગયાં.

અમારું જવાનું હજી સ્થગિત હતું. ગામમાં હજી કેટલાંક પંડિત કુટુંબ હતાં. હું ડરતો હતો કે ક્યાંક કમ્યુનિસ્ટ હોવાના કારણે જેહાદની બલિ ના ચડી જાઉં. મારા જ કારણે મારા કુટુંબે પણ વિસ્થાપિત થવું પડ્યું.

જતાં પહેલા હું માજિદને મળ્યો. તેણે ગામ ન છોડવાનો આગ્રહ કર્યો, પણ અમે નિર્ણય લઈ ચૂક્યા હતા. અમારા નિશ્ચયને માપી લઈને તેણે મારા ગાલ પર હળવી ટપલી મારતાં કહ્યું હતું : ‘સાલા તમે કાશ્મીરી પંડિત કાયર અને ડરપોક છો.’

‘હા અમે બધા કાયર છીએ… અમારો ભગવાન પણ ડરપોક છે…’ મારા અવાજમાં એક વિચિત્ર આક્રોશ હતો… ના… અવસાદ હતો….

‘એકદમ ખરું. તમારા ભગવાનને તરવાનું પણ નથી આવડતું.’

હું ચૂપ હતો. દલીલનો સમય નહોતો. હું માજિદને ભેટી પડ્યો. તેની આંખમાં આંસુ હતાં.

ઘેર પહોંચ્યો ત્યારે ટ્રકમાં સામાન ભરાતો હતો. મેં મારાં અગત્યનાં પુસ્તકો પેક કર્યાં અને તેણે ટ્રકમાં મૂકી દીધાં. પછી હું ઘરના ઠાકોરજીના ઓરડામાંથી ભગવાનની મૂર્તિ ઊઠાવી લાવ્યો. તેને કપડામાં વીંટાળી અને સહુની નજરમાંથી બચીને અંધારામાં લિદર દરિયા ભણી ગયો. ત્યાં પહોંચતાં જ મેં ભગવાનની મૂર્તિ દરિયામાં ફેંકી દીધી.

એ વખતે મને લાગ્યું કે જાણે કે હું કોઈ વજનદાર ભારથી મુક્ત થઈ ગયો. રાતના સન્નાટામાં દરિયાનું વહેવું કેટલું શાંતિ આપનારું લાગે છે…! તે હું પહેલી વાર અનુભવી રહ્યો હતો.

એકાએક હું આ સન્નાટામાં ચીસો પાડવા માંડ્યો – ‘અમારા ભગવાનને તરવાનું નથી આવડતું.’ અને નિરંતર એમ જ બોલતો રહ્યો.

એ વખતે કોઈ મને ચીસો પાડતો જોઈ લેત તો પાગલ જ સમજી લેત. ઠંડી વધી રહી હતી. હું ધીમા પગલે ઘેર પાછો ફરી રહ્યો હતો. સવારે ત્રણ વાગ્યે અમારી ટ્રકે જમ્મુ રવાના થવાનું હતું.

* * *

મૂળ લેખક પરિચયઃ મહારાજ કૃષ્ણ સંતોષી :

કાશ્મીરના જાણીતા કવિ અને વાર્તાકાર. ૧૯૫૪માં કાશ્મીરમાં જન્મ. અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત.

‘ઇસ બાર શાયદ’ (૧૯૮૦), ‘બરફ પર નંગે પાંવ’ (૧૯૯૩), ‘યહ સમય કવિતા કા નહીં’ (૧૯૯૬), ‘વિતસ્તા કા તીસરા કિનારા’ (૨૦૦૫), ‘આત્મા કી નિગરાની મેં’ જેવા કાવ્યસંગ્રહો પ્રકાશિત થયેલ છે.

‘હમારે ઈશ્વર કો તૈરના નહીં આતા’ (૨૦૦૯) એ તેમનો પ્રસિદ્ધ વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહને કેન્દ્રીય હિન્દી નિર્દેશાલયનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. ઉપરાંત જમ્મૂ કાશ્મીર કલ્ચર અકાદમીનો વર્ષ ૨૦૦૭ના સર્વ શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે.

તેઓને ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન દ્વારા વર્ષ ૨૦૨૦માં ‘સૌહાર્દ પુરસ્કાર’ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની રચનાઓ અંગ્રેજી, પંજાબી, ડોંગરી, બંગાળી અને કાશ્મીરી ભાષાઓમાં અનુવાદિત થઇ છે. તેમણે સ્વયં અનેક કાશ્મીરી કવિઓની રચનાઓના હિન્દી અનુવાદ આપીને ભારતીય સાહિત્યમાં કાશ્મીરી કવિઓના યોગદાનથી સૌને પરિચિત કરાવ્યા છે.

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. કાશ્મીરની પ્રજા વચ્ચેની અસમાનતા અને અસમંજસને બે પાત્રો દ્વારા પ્રસ્તુત કરતી સુંદર કથા. મૂળ લેખક મહારાજ કૃષ્ણ સંતોષીની કથા વાંચવાનું મન થાય તેવું, ગુજરાતીમાં પન્નાબેનનું ભાષાંતર પણ એટલું જ સશક્ત. અભિનંદન