સુખની શોધમાં, મનની મોજમાં (ચિંતનાત્મક લેખ) ~ પિનાકીન ઠાકર (મુંબઈ)
(શબ્દો: ૧૨૮૫)
‘સુખ’! શબ્દમાત્ર સાંભળતાં જ કંઈક થવા લાગે છે, પરંતુ સુખ એટલે શું? સુખની પરિભાષા કઈ?
સુખી થવું કોને ના ગમે? આ દુનિયામાં દરેકને સુખી થવું છે પરંતુ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી અથવા તો દરેક વ્યક્તિ માટે સુખની અલગ અલગ વ્યાખ્યા, અલગ અલગ પરિભાષા છે.
કંઈક પામવામાં સુખ છે? કોઈ કાર્ય સફળ થવાથી સુખ અનુભવાય? અથવા તો અમુકતમુક ઘટિત થવાથી સુખની અનુભૂતિ થાય?
માણસને સુખ વિના ચેન નથી પડતું એ હકીકત છે. દુઃખમાં કોઈ પણ વ્યક્તિ બેચેની અનુભવે એ સ્વાભાવિક છે. તો સવાલ એ થાય કે સુખનો મૂળ સ્રોત કયો?
એવું નથી કે કોઈને દુઃખી નથી થવું પરંતુ શરત એ છે કે એ દુઃખમાં પણ સુખ હોવું જોઈએ!
મારા એક મિત્રનો સ્વભાવ શરૂઆતમાં તો મને વિચિત્ર લાગ્યો. એ ભાઈ ગમે એવું દુઃખ કે ગમે એવી તકલીફ વેઠવા માટે તૈયાર જ હોય પણ પછીથી ખબર પડી તે એની એકમાત્ર શરત હતી કે તમે જ્યારે મળો ત્યારે તમારે એનાં રોદણાં પૂરેપૂરાં સાંભળવાનાં; કારણ કે એને પોતે દુખી છે એવી અન્ય આગળ રજૂઆત કરવામાં જ સુખ આવતું હતું.
બેફામ સાહેબ યાદ આવી ગયા….
કોઈએ અમસ્તા પૂછ્યું કેમ છો?
એને આખી કહાણી સુણાવી દીધી!
તમને કોઈ પારો ચડાવનારી વ્યક્તિ જોઈએ, જે કહે આ તો તું જ છે કે આટલાં દુઃખ સહન કરી શકે છે. આમ ‘અબળા’ ટાઈટલ લઈને ફરવામાં પણ ઘણાને સુખ લાગતું હોય છે.
ઘણાને માત્ર સપનાં જોવામાં જ સુખ આવે છે તો ઘણાને કરો યા મરો કરીને પણ સપનાંને હકીકતમાં ફેરવ્યા પછી જ સુખ મનાય છે.
ઘણાને અધ્યાત્મ માર્ગમાં સુખ તો મનાય છે પરંતુ વિષયભોગ એ સુખ સુધી પહોંચવા દેતા નથી. લૌકિક જીવનમાં પણ ઘણાને સુખ સુધી પહોંચવામાં એની નિષ્ક્રિયતા બાધા બનતી હોય છે.
સુખ મેળવવા માટેની દોડધામ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે! હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે, ‘જેલ થીમ્ડ’ હૉટલનો!
હૉટલમાં તમે એક કેદીની જેમ રહો છો અને તમારી સરભરા પણ કેદી તરીકે જ થાય છે. માણસ મોનોટોનીથી કંટાળી જાય છે એને એકવિધતામાં સુખ નથી આવતું, એને સુખ માટે વિવિધતા જોઈએ છે.
યુધિષ્ઠિર રાજા ‘નરો વા કુંજરો વા’ કહીને પણ દુઃખી-દુઃખી થઈ ગયા હતા જ્યારે કેટલીક બેંકરપ્ટ પાર્ટીઓ (દેવાળિયા) બીજાને બાટલીમાં ઉતારી, ઉપરથી બૂચ મારી દે તો પણ જરાય અફસોસ ન થાય કારણ એમને ગમે એમ કરીને સુખ જોઈતું હોય છે. એ માટે ભલેને નાદારી નોંધાવવી પડે કે ચૂનો પણ લગાડવો પડે!
કો’કને અધ્યાત્મમાં સુખ મનાય તો કોઈકને વિષયભોગમાં, કોઈકને રમતગમતમાં તો કો’કને રાજકારણમાં, કોઈકને નોકરીમાં તો કો’કને ધંધામાં, કોઈક ને પુત્રમાં તો કો’ક ને પત્નીમાં (???)! ટૂંકમાં જેવો મનનો મિજાજ હોય એ પ્રમાણે સુખ મનાય છે.
ભજન સાંભળવાનો મૂડ થયો હોય અને ગઝલ સાંભળવા મળે તો મજા ના આવે અને જો ગઝલ સાંભળવાનો મૂડ થયો હોય ને ભજન સાંભળવા મળે તો પણ મૂડ ના આવે.
સુખ કે દુઃખ મૂડ અર્થાત મિજાજ પર આધારિત છે અને ‘મૂડ સ્વિંગ્સ’ એટલે કે મિજાજ હંમેશા બદલાતો રહે છે, પરિસ્થિતિ, સ્વાસ્થ્ય ને સંજોગો અનુસાર.
સુખ અને દુઃખ બંને વિરોધાભાસી છે જેમ ઠંડક અને ગરમી, પ્રકાશ અને અંધકાર, જ્ઞાન અને અજ્ઞાન વિરોધાભાસી છે એમ.
જેમ ઠંડકનો અભાવ એટલે ગરમી, પ્રકાશનો અભાવ એટલે અંધકાર, જ્ઞાનની ઊણપ એટલે અજ્ઞાન. એનાથી વિપરીત ગરમીનો અભાવ એટલે ઠંડક, અંધકારનો અભાવ એટલે પ્રકાશ અને અજ્ઞાનનો નાશ એટલે જ્ઞાન. એવી જ રીતે દુઃખનો અભાવ એટલે સુખ અને સુખનો અભાવ એટલે દુઃખ.
જેમ માઇનસ 5 અને પ્લસ 5ની વચ્ચે શૂન્ય હોય છે એવી રીતે થોડાં દુખ અને થોડાં સુખ વચ્ચેની કોઈ સ્થિતિ હોઈ શકે? કદાચ આપણાં શાસ્ત્ર જે સ્થિતપ્રજ્ઞની વાત કરે છે, ગીતામાં પણ કહ્યું છે ‘સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા’ એ આ શૂન્યાવસ્થા તો નથીને!
કોઈપણ વાતે ના સુખ અનુભવાય કે ના દુઃખ અનુભવાય ‘સમલોષ્ટાશ્મ કાંચન:’ એવી સ્થિતિ થાય એ સર્વોપરી સુખ છે!
ખેર, આપણે તો અધિક ને અધિક સુખ માટે વલખાં મારીએ છીએ. માઇનસમાં જવું મંજૂર નથી, શૂન્ય પર સ્થિર રહેવાની શક્તિ નથી, અને પ્લસમાં આગળ વધવાની ત્રેવડ નથી.
તો શું ખરું સુખ શૂન્ય પર અટલ રહેવામાં છે!!! તો સુખ મેળવવાનો કે સુખી થવાનો કોઈ ઉપાય ખરો? સુખ ગોતવાથી મળે? સુખને છીનવી શકાય? સુખ તો એ ઇન્ટેન્જિબલ છે તેથી માત્ર એનો અનુભવ કરી શકાય.
બીજી વસ્તુઓની જેમ સુખને જોઈ શકાતું નથી, દુઃખને પણ જોઈ શકાતું નથી; બન્ને અમૂર્ત છે. એને માત્ર માણી શકાય છે, એની માત્ર અનુભૂતિ જ કરી શકાય છે. ખરા અર્થમાં સુખ એટલે શું?
સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે એ રીતે દુન્યવી સુખ છ પ્રકારનાં છે:
अर्थागमो, नित्यमरोगिता च, प्रिया च भार्या, प्रियवादिनी च, वश्यस्य पुत्र: अर्थकरी च विद्या, षट् जीवलोकस्य सुखानि राजन् (નિયમિત આવક, કાયમ નિરોગીપણું, પ્રિય પત્ની, અને મધુર વાણી બોલનારી પત્ની, આજ્ઞાકારી પુત્ર, ધનોપાર્જન કરનારી વિદ્યા) પરંતુ ભૌતિકવાદમાં સુખની યાદી ખૂબ જ લાંબી થાય એટલા માટે દુનિયામાં ખૂબ ધનસંપત્તિ હોય એ સુખ નથી.
ગોલ્ડન સ્પૂન છોકરા ધૂળ માટીમાં રમવા માટે વલખાં મારે છે. એમને દોમદોમ સાહ્યબી, ગાડી, નોકરચાકર, બંગલામાંથી આ ધૂળમાટીમાં સુખ દેખાય છે જ્યારે ઝૂંપડીમાં રહેતા ગરીબ લોકોને બંગલા, ગાડી નોકરચાકર એ બધામાં સુખ હોય એવું લાગે છે.
આમ સુખની વ્યાખ્યા ભલે વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે પરંતુ સુખ કોઈ પદાર્થ કે કોઈ વ્યક્તિમાં નથી, દરેકનું સુખ પોતાના મનમાં રહ્યું છે
આ ચોક્કસપણે મનોગત અભિગમ છે. આવું દૃઢપણે માનવાનું કારણ છે. કારણકે આ અનુભૂતિનો વિષય છે.
તમે કોઈને સુખ માટે પદાર્થ, પૈસા કે બીજું જે કંઈ પણ જોઈએ એ આપી શકો પરંતુ એનાથી એને સુખ મળશે જ એની ખાતરી નથી.
કહેવાય છેને કે રાજાને ગમી એ રાણી, છાણા વીણતી આણી! એમ જ્યાં મન લાગી ગયું હોય ત્યાં સુખ રહ્યું છે.
‘જેનું મન જે સાથે બંધાણું
પહેલાં હતું ઘર રાતું રે,
હવે થયું છે હરિ સમાતું
ઘર ઘર ગુંજે છે ગાતું રે!’
રસશાસ્ત્રમાં કહ્યું છે એમ તમને જે રસની અપેક્ષા હોય અથવા તો તમારા હૃદયમાં કે મનમાં જે રસ ચાલી રહ્યો હોય એ રસ રજૂ કરવામાં આવે તો જ તમને એ રસની અનુભૂતિ થાય.
તમારા મનમાં વીર રસ ચાલતો હોય અને જો શૃંગાર રસ રજૂ કરવામાં આવે તો તમને શૃંગાર રસનો અનુભવ ન થાય અને એમાં મજા પણ ન આવે એ હકીકત છે.
સુખને ગોતવા કે ખરીદવા ક્યાં જવું એવો પ્રશ્ન પણ થાય પરંતુ ખરીદવાથી કે ગોતવાથી ક્યારેય સુખ મળતું નથી. સુખ માણવા માટેના પદાર્થો ખરીદી શકાય પરંતુ એનાથી ચોક્કસપણે સુખ મળશે જ એ નક્કી નહીં.
સુખ અને દુઃખની શી વ્યાખ્યા કરવી?
ઘણા લોકો સ્ટેટસના લાઇક અને ડિસ્લાઇકમાં પણ સુખ અને દુઃખ માને છે.
મારો એક મિત્ર છે એ આસ્તિક છે કે નાસ્તિક એ પ્રશ્ન નથી પરંતુ એની જે વહેવારુ વાત છે એ મને વાજબી લાગે છે.
એ કહે છે કે જ્યારે જરૂર હોય ત્યારે મળે એ જ સુખ! બાકી પછી જરૂર ના હોય ત્યારે મળે એ કહેવાતું સુખ શા કામનું?
વળી એ કહે છે કે મારી આવક માંડ બે લાખની છે. વર્ષે ત્રણ સાંધો ત્યાં તેર તૂટે એવી જીવનની વિષમ પરિસ્થિતિમાં પણ 20 હજાર રૂપિયા ટીડીએસમાં કપાઈ જાય છે અને ઇન્કમ ટૅક્સ રિટર્ન ભર્યા પછી ત્રણ-ચાર મહિને એ રકમ, રૂપિયા 20 હજાર પાછા મળે તો શા કામના?
જીવનનો જ્યારે અંતિમ પડાવ હોય અને માંડ બે-ચાર વર્ષ બચ્યાં હોય ત્યારે મળેલ ધન કે સંપત્તિનો શો ઉપયોગ? એ બીમારીના ઉપચારમાં વપરાય કે પછી વારસદાર માટે છોડીને જવાં પડે. માટે જે સમયે જરૂર હોય ત્યારે મળે એ જ સુખ.
ડૉ. પ્રકાશ કોઠારી વારંવાર કહે છે કે સુખ બે કાનની વચ્ચે અર્થાત મગજમાં કે મનમાં રહ્યું હોય છે, એટલે કે આ એક માઈન્ડસેટની વાત છે. જેવું મનમાં નક્કી કર્યું હોય એ પ્રમાણે મળે એ જ સુખ બાકી બીજું બધું તો દુઃખ જ ગણાય કે ના પણ ગણાય પરંતુ સુખ તો ના જ ગણાય!
અંતમાં, એક મનોચિકિત્સકના અંદાજમાં લખેલો મરીઝ સાહેબનો એક શેર યાદ આવે છે,
‘પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ!’
આમ આખી વાતનો સાર એ લાગે છે કે તમારા મનમાં જે હોય એ મુજબ જો તમને મળી જાય તો એ તમારા માટે સુખ છે અન્યથા….
સપનાં કાયમ રહે અધૂરાં,
આશા ના થાય પૂરી;
પ્રભુ આ તે શી મજબૂરી!
જપની માળા ફેરવી એમાં
મણકો ઓછો ફર્યો?
મારે તે શી લેવાદેવા?
પથ્થર નામે તર્યો!
નાનીઅમથી વાતના લીધે
આપણી વચ્ચે દૂરી…
પ્રભુ આ તે શી મજબૂરી!
તારાં સહુ કામ થાય છે પૂરાં,
મારા માટે બહાનાં?
કેવળ પચે ના જ્ઞાનની વાતો,
જીવન લાગે સૂનાં;
હું તો છું લાચાર હંમેશા,
પણ તારી શી મજબૂરી?
કે પ્રભુ આશા ના થાય પૂરી?
~ પિનાકીન ઠાકર (મુંબઈ)
ppinakin1@gmail.com
sadness and Happiness dependce on your mind. example you have billion dollar, and think i amm happy same moment you are happy and some body come and said you have not new speciiall watch he wear half billion dollar watch oh oh oh i will do it and moment whole night you thinh about watch and your mind filled un happiness. but your mind think forget billion dollar watch i have given so many kids education from billion and they are happy mind filled well you are happy. YOUR OWN THINKING MADE HAPPY AND UN HAPPY. think good. always Happy.