|

ઉંબર પર દીવો મેલ્યો રે (લલિત નિબંધ) ~ માયા દેસાઈ

ઓફિસથી આવતાં અકારણ મોડું થયું અને રાત્રિભોજનની ચિંતામાં ધ્યાનબધિર થઈ ઘર તરફ ચાલી રહી હતી. અરે, એક નાનાં  ખાડામાં તો પગને જરા મોચ પણ આવી. એ મોચની કસક સાથે ઘરે આવી. ઘર ખુલ્લું જ હોવાથી સીધો ગૃહપ્રવેશ તો થયો પણ લંગડાતી ચાલે ઉંબરમાં લાગી ઠેસ અને ‘તારી તો ભલી થાય..!’ કહી ખુરશીમાં બેસી પડી.

ટચલી આંગળીએ મારાં દર્દમાં શામિલ થતાં રુધિરનાં આંસુ સાર્યાં. દીકરીઓની મુલાયમ આંગળીઓએ પગને પંપાળ્યો ત્યારે મારી નજર તો ઉંબર પર. મણિલાલ દેસાઈની પંક્તિઓ યાદ આવી ગઈ…

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના,
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

વ્હાલમ સાથે એ ઉંબર સાથે માનભેર ઘરમાં આવ્યાંની યાદ તાજી થઈ. ઉંબર એટલે એક લાકડા, આરસ કે ગ્રેનાઈટની પટ્ટી. પણ એટલું જ ક્યાં, એ તો એક ચોકીદારની જેમ સીમોલ્લંઘનની નોંધ લેનાર હિસાબનીશ જાણે.

બેએક પેઢી પહેલાં લગભગ દરેક ગૃહિણીની દિનચર્યા સાથે વણાયેલી એક રીત એટલે ઉંબર પૂજવો. આજે પણ ઘણાં કુટુંબોમાં રોજ અથવા સારાં પ્રસંગે ઉંબર પૂજવાની રીતિ છે. જો એની આટલી  શ્રદ્ધાથી પૂજા થતી હોય તો એ તો ઘરમંદિરના દેવ જેટલો જ પવિત્ર, મહત્વપૂર્ણ અને જીવંત જ ને.

જેમ ઘરેથી નીકળતાં પહેલાં અને ઘરે આવીને પ્રભુને પગે લાગીએ એમ જ ઉંબરને પણ. એ વણલખ્યો નિયમ હોય તેમ સી.સી. ટીવીમાં જાણે બધાંની સલામ સ્વીકારે. કોઈ ગુસ્સે થઈ ઘરની બહાર જાય તો એનો રોષ  ઘરનાં વડીલની જેમ પચાવી લે અને કોઈ હરખાતું  આવે તો નર્તનની થાપ ઝીલી લે.

ઉંબર એટલે તો જાણે સિક્યોરિટી ચેકદ્વાર, ફક્ત બીપ બીપ ન વાગે એટલું જ. સૌને નખથી શિખા સુધી માપી લે એવી એની બાજ નજર.

મહેલ હોય કે મઢૂલી, આ લાકડાની પટ્ટી એટલે એ જમીનનાં ચોસલાની, એ પોતીકાપણાની સ્વીકૃતિ, સલામતી અને સુરક્ષાની ત્રિપુટી. એક એવું કાલ્પનિક મોનિટર જે બહારથી અંદર આવનારને શાંતિ બક્ષે અને અંદરથી બહાર જનારને અજ્ઞાત ખાત્રી આપે કે ઘરને હું સંભાળીશ.

વડીલોની તો ખાસ તાકીદ કે ઉંબર પર ઊભા રહીને સંવાદ નહીં, કદાચ આ ઉંબરને એની ગરિમા બક્ષવા! સ્ત્રીઓ ઉંબરનું પૂજન કરીને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે મારા ઉંબરે આપ, દિવ્ય સંતો કે  અતિથિ આવે તે પ્રસન્નચિત્તે પ્રવેશ કરે. ઉંબર જાણે ઘરની પવિત્રતાનો પરવાનો. ચકોર નજર તો ઉંબર પરથી જ ઘરની સકારાત્મકતા માપી લે છે.

સિનેમા અને ટેલિવિઝનની દુનિયામાં એકવીસમી સદીમાં પણ ઉંબર રાજ કરે છે. નવોઢાની જેમ સજાવાય છે એને, ગૃહલક્ષ્મીને પ્રવેશ આપવા! દીકરીનાં આગમને એની કોમળ પગલીને ઉંબરે સ્પર્શ કરાવાય ત્યારે તો ઉંબર જાણે સાતમા આસમાને. નવવધૂ ઉંબર ઓળંગી એકવાર લક્ષ્મી રૂપે આવી એટલે શ્વસુરગૃહની જ રીતરસમો અપનાવી એમની થઈ જાય એવું વણલખ્યું વિધાન, ગર્વથી એનું એલાન થતું રહે.

Vastu Guide for Griha Pravesh | Vastu Advice Griha Pravesh | My Vaastu

ઉંબર તો આ બધું સ્થિતપ્રજ્ઞ સાધુની જેમ આ સાંભળતો રહે. નવાં વરઘોડિયાંને ઘરમાં લેતી વખતે, બહેનો અને ભાઈ વચ્ચે થતાં મીઠાં મૌખિક કરારની તો ઉંબર ખૂબ મજા લે.

બાર ગામે બોલી બદલાય એમ રીતરિવાજનુંય ખરું. દક્ષિણ ગુજરાતમાં એક કોમમાં દીકરીનાં સાસરે દરેક શુભ પ્રસંગે, દીકરીનાં પિતાએ ઉંબર પૂજવાની રસમ. આ રસમમાં પિતાએ  મોટી  કિંમત મૂકવાની હોય, ત્યારે એ ઉંબરે જરૂર છાનાં આંસુ લૂછ્યાં હશે. દીકરી પરણાવતી વેળાએ પણ ઉંબરે આંગણની ચરકલડીને વળાવવા પિતાએ ઘસેલા પગરખાંની ટીસ સાંભળી જ હશે.

ઉંબર એટલે જાણે મર્યાદાનો એમ્બેસેડર (પ્રતિનિધિ). બહારથી આવતી નકારાત્મકતા, અનિષ્ટને ત્યાંથી ‘પીછે મુડ’ કહેતો સિપાહી. જાણે પોકારીને કહેતો હોય કે અંદર આવનારે કુવિચાર, કુલક્ષણ અને કુવિચાર બહાર મૂકી આવવાં. અભિમાન કે ગર્વને તો ઉંબર બહાર પગરખાં સાથે જ મૂકવાની એ ચેતવણી આપતો રહે.

સાથે એમ પણ કાનમાં કહે, “અંદર આવી ગયા છો તો આ ઘરની માન અને રીતિનું સન્માન કરજો.” એ જ રીતે ઘર છોડતાં પણ ઉંબર યાદ દેવડાવે,” આ ઘરના સંસ્કાર અને મોભાને અનુરૂપ વર્તન કરશોજી.”

ઉંબર એટલે મર્યાદા, જેમ નદીને કાંઠાની, સાગરને તટની તેમ ઘરને ઉંબરની. કાંઠો તોડી નદી વહે તો પ્રલય થાય તેમ ઉંબરને વળોટી જાય એ પ્રેમ અને ઉષ્માનું સંરક્ષણ ગુમાવી, જાણે જગતરૂપી મહાસાગરમાં ગુમ થઈ જાય.

પ્રેમાનંદની પંક્તિ ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ’ ઉંબરની ગૌરવગાથા કહે છે. મર્યાદા છોડી બહાર સુખ ન સાંપડે એ જ ઉંબરની ટેગલાઈન.

સારા પ્રસંગે, વારતહેવારે ઉંબરને ધોઈએ, પૂજીએ અને ફૂલ-તોરણથી સજાવીએ કારણ અહીં જ તો નૃસિંહ બની ઈશ્વરે પ્રહ્લાદનું રક્ષણ કર્યું.

ઈશ્વરને એકલાં તો આવવા ન દે તેથી લક્ષ્મીજી પણ હોય જ ઉંબરે, તો વળી બારસાખની ટોચે ગણેશજી. તેથી જ ઉંબરે ઠેસ લાગે તો આત્મભાનને ઠમકોરી લેવું કારણકે ઉંબર જ યાદ દેવડાવે છે કે ભલા માણસ, અહીંથી બહાર સલામતીનું ક્ષેત્ર ખતમ અને દુનિયાનાં લોકો સાથે શાન, ભાન અને માનની મર્યાદા રાખી વર્તજે. સંસારમાં રામની જેમ મર્યાદા રાખી જીવવાથી રાવણ જેવા મહારથીને માત કરી શકાય.

આપણાં જૂનાં ઘરોમાં મોટાં ફળિયાં, ઉંબરો, ઓસરી અને પછી ઓરડા આવતાં. આ પાછળ વૈજ્ઞાનિક વિચારસરણી એવી હતી કે ફળિયાનો કચરો ઉંબરે ભટકાય અને ત્યાં જ પડી રહે, થોડોઘણો ઓસરીમાં આવતો પણ ઓરડામાં  કયારેય ન આવતો. આનું બીજું કારણ એ પણ હોઈ શકે કે ઉંબરની અંદર આવી ભાવનાત્મક રીતે શાંત થઈ, ઓસરીમાં સ્વસ્થ થઈ ઘરમાં સસ્મિત પ્રવેશ કરી શકે. ઉંબર એટલે જાણે સલામતીનું ગેરંટી કાર્ડ.

સકારાત્મકતા ઉંબરની બહાર જતાં ઘટતી જાય તેથી જ ઘરની સ્ત્રીઓ ઉંબરને પૂજી વિનવે, જનારની રક્ષા કાજે. કુમારિકા તરીકે કે ગૃહલક્ષ્મી તરીકે એને પૂજતાં, શણગારતાં કવિ દલપત પઢિયારની પંક્તિઓ એક આત્મગૌરવ બક્ષે –

“મેં  તો  ઉંબર  પર  દીવડો  મેલ્યો
કે  ઘર  મારું  ઝળહળતું
પછી  અંધારો  ઓરડો  ઠેલ્યો
ભીતર મારું ઝળહળતું.”

ઉંબરની  મનમાં માફી માગતાં વિચાર્યું કે એક ખાલીખમ ફ્લેટ, માત્ર બારી, બારણાં, દીવાલો હતી, અંધકાર અને ઉજાસ આંખમીંચામણાં  કરતાં હતાં. ત્યારે એક ઉંબરે  અચાનક  એને કંકુના સાથિયાની લાલચે ઘર બનાવી દીધું.

©માયા દેસાઈ
મુંબઈ, ભારત.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. વાહ, વાહ! ઘર, ઉંબર ને બારણું – કહેવા માટે સિમેન્ટ, પથ્થર અને લાકડીના બનેલાં પણ અંદર રહેનારાઓની જીવંતતાને મોભો આપી શોભાવે!

  2. ખૂબ સરસ પ્રવાહિત શૈલીની રચના માણવી ગમી.