નરસિંહ મહેતાના કાવ્યમાં અષ્ટનાયિકા ભાવ (અભ્યાસલેખ) ~ મિતા ગોર મેવાડા

(શબ્દો: ૧૦૧૨)

નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદ્ય કવિ છે અને સદીઓ વિત્યા પછી પણ આજે એવા જ લોકપ્રિય રહ્યા છે. વિદ્વાનો અને આમ જનતામાં સરખા જ માન્ય. સાહિત્યસર્જક નરસિંહ સાહિત્યકાર નથી.  તેમણે જે કંઈ લખ્યું તે પોતાના આરાધ્ય કૃષ્ણની ભક્તિ પ્રગટ કરવા માટે લખ્યું છે. કૃષ્ણ પ્રત્યેના ભાવોને  પરિણામે લખ્યું છે. લખાઈ ગયું છે.

કૃષ્ણ સંસ્મરણમાં નિત્ય અને સતત રમમાણ નરસિંહ જે ભાવ, સ્નેહ, ભાવના, ભક્તિ અનુભવે છે તે તેમની વાણીમાં આપોઆપ પ્રગટ થાય છે. એ જ કારણે તેમના કાવ્યમાં સ્વાભાવિકતા, સરળતા, પારદર્શિતા, ચિત્રાત્મકતા, ચમત્કૃતિ અને કલ્પનાશીલ ઊર્મિની સાથે ચિંતન, લય, સૌંદર્ય અને ઢાળનું વૈવિધ્ય જોવા મળે છે.

નરસિંહ મહેતાએ ૮૦૦ કરતાં વધારે પદનો વારસો આપણને આપ્યો છે. પણ તેમાના મોટા ભાગનાં પદો માત્ર વિદ્વાનો જ જાણે છે. આમ જનતા નરસિંહ મહેતાના ઘણાં શૃંગારિક પદોથી પરિચિત નથી અને તેના માટે તેનું મહત્વ પણ નથી. કૃષ્ણ પ્રેમ પ્રગટ કરવા માટે નરસિંહે શૃંગારનો આધાર લીધો. ભક્તિ હંમેશાં શૃંગાર રૂપે, સ્ત્રી પુરુષના પ્રેમરૂપે, દેહસંબંધના વર્ણન તરીકે જ અભિવ્યક્ત થાય છે.

હિન્દુ ભક્તો અને સૂફીઓ વચ્ચે થોડો તફાવત છે. હિન્દુઓ કૃષ્ણને પુરુષ અને પોતાને સ્ત્રી ગણીને સ્ત્રીભાવે ભક્તિ કરે છે, જ્યારે સુફીઓ પોતાને પુરુષ અને અલ્લાહને માશુકા તરીકે ચાહે છે. નરસિંહ હોય, મીરાં હોય કે અલવારની આંડાલ હોય, પણ તેમની ઉત્કટતા અને તેમની ભાષા સરખી જ હોય છે.

મીરાં “આધી રાત પ્રભુ દર્શન દેજો અને અંગ શું અંગ લગા લો”ની માગણી કરે છે. તેમ નરસિંહ માટે પણ “આજની ઘડી તે રળિયામણી છે કારણ કે વાલોજી આવ્યાની વધામણી છે” અને પછી

“ભુજ ભેળી ચારે જામ સખી
રસ ભોગવે ભામિની

અબળાએ બળ કરી લીધો
કુચ પર કામિની”

સ્ત્રીઓ, ભારતીય સમાજમાં સૌથી વધારે શોષિત વર્ગ છે, પણ ભક્તિ હંમેશાં સ્ત્રીભાવે જ થાય છે અને સ્ત્રીઓના ગુણ જેવા કે સમર્પણ, શરણાગતિ, નમ્રતા એ ભક્તિના મુખ્ય લક્ષણો છે. આ લક્ષણો ન હોય તે ભક્ત થઈ શકે નહીં. તેથી કદાચ નરસિંહે સ્ત્રીઓની મહત્તા ગાઈ છે.

“સારમાં સાર અવતાર અબળા તણો
જે બળે, બળે રવિ  તે પુરુષ પુરુષાર્થથી શું કરે”

અને

“કોણ કર્મે કરી નાર હું અવતરી
શ્રીહરિ દિન થઈ માન માંગે”

ભક્તિ સ્રોતના મૂળમાં અવતારનું આલંબન, કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાનું આકર્ષણ, બિલ્વમંગળ, જયદેવ, ચંડીદાસ અને વિદ્યાપતિના સાહિત્યમાં મળે છે. જયદેવ, નામદેવ અને કબીરથી નરસિંહ મહેતા પરિચિત હતા એ એમની રચનાઓમાં એમના ઉલ્લેખ મળવાથી આપણને જાણ થાય છે. જયદેવનો તો એમની રચનામાં વારંવાર ઉલ્લેખ થયેલો દેખાય છે

“એ રસ જાણે વ્રજની રે નારી
કે જેદેવે પીધા રે”

નરસિંહમાં જયદેવ જેવી સંભોગ-શૃંગારની સ્થૂળતા અને ચંડીદાસ, વિદ્યાપતિ કરતાં પણ વધુ સ્ફૂટપણે ભક્તિનું તત્વ ઉભરી રહેલું દેખાય છે. લીલાલક્ષી પ્રેમ ભક્તિનો નરસિંહ મહેતા જાણે લલકાર કરી રહ્યા હોય એવું લાગે છે.

વૃંદાવનમાં કૃષ્ણ વાંસળી વગાડે છે અને ગોપીની ચેતના પોતાની આસપાસનો સંસાર વિખેરી, નાદ સ્રોતના મૂળ તરફ જાય છે – એમાં મુક્ત કવિઓને જીવાત્માની પરમાત્મા તરફની તલસાટ ભરી દોડ દેખાય છે. આ આકર્ષણ સૂક્ષ્મ અને ઇન્દ્રિયાતીત છે. નરસિંહે ગોપીભાવે અને સખીભાવે કૃષ્ણપ્રીતિ કરી છે.

નરસિંહ મહેતાની શરૂઆતની કવિતાઓ ભલે જયદેવ રંગી હોય પણ એને પ્રેમભક્તિની ઉચ્ચતર સુચિત્ર ભૂમિકા સુસાધ્ય છે. પ્રેમભક્તિ એ વૈરાગ્યની પરમ સીમાએ પહોંચાડનારી છે એમ કહેતા નરસિંહ મહેતા લખે છે…

“જેણે હરિ તમ શું ધરીઓ નેહ,
વિસરી ગયા તેને સકલ સ્નેહ”

નરસિંહે જે ગોપી-કૃષ્ણના ભાવની વાત કરી છે તે મુખ્યત્વે આત્મા અને પરમાત્મા વચ્ચેના પ્રેમની છે. એમના કાવ્યત્વ સુધી પહોંચતા ગીતોમાં, પ્રતિભાશય ઉદગારોમાં અધ્યાત્મિક શૃંગારના ભાવ  આગળ તરી આવ્યા વગર રહેતા નથી. સખીભાવની અનેક ભાવ પરિસ્થિતિઓને મૂર્ત કરતા વિપુલ સંખ્યામાં રચાયેલા શૃંગારપ્રીતિનાં ગીતોમાં નરસિંહનો હૃદયરસ ઉતર્યો છે.

નરસિંહે તેમના ગીતોમાં સ્ત્રી અવતારની ધન્યતાનું વર્ણન કર્યું છે. તેમણે સ્ત્રી અવતારને અર્થપૂર્ણ અને અમૂર્ત સ્વરૂપ માન્યો. તેમના મતે, ભગવાનના પ્રેમનો અનુભવ સ્ત્રીના રૂપમાં જ સાચો છે, તેમણે એક પદમાં લખ્યું છે કે,

“પુરુષ એક માત્ર તું અન્ય સર્વ નારી”

સ્ત્રીઓ જે લાગણીથી ત્યાગ કરે છે અને દાસત્વની લાગણી અપનાવે છે, તે રીતે ભગવાનને પણ સ્વીકારે છે. તેમની કેટલીક બીજી પંક્તિઓ જુઓ…

“પુરુષ પુરુષાતન લીન થાય મારું,
સખી રૂપ થાઉં હું ગીત ગાવા.”

નરસિંહનાં પદોમાં ભગવાનને પ્રિયતમ ગણવામાં આવ્યા છે અને આ કારણોસર તેમની અનુભૂતિઓ નાયિકા સ્વરૂપે દેખાઈ આવે છે.

નરસિંહમાં ભાવસમૃદ્ધિ, ભાવસૌંદર્ય અને ભાવપલટાની લહેરો આવે છે એ ઊર્મિ કવિની પ્રમુખતા સિદ્ધ કરે છે. વિરહ ઝંખનાઓ, મિલન સમયની નાજુકતા અને ઉપાલંભ, ઉત્કંઠા, અભિલાષ, તલસાટ, વ્યાકુળતા, દગ્ધતા, વિરહ વ્યથા, આનંદ, લજ્જા, ભય, સંકોચ, દૃષ્ટતા, પ્રગલ્ભતા, રીસ, રોષ, પ્રણયિની સ્ત્રીનાં હૃદયની સર્વ ભાવમુદ્રાઓ અહીં ઝીલાય છે.

નાયિકાઓની વિવિધ શ્રેણીઓ તેમની સ્થિતિ અનુસાર બનાવવામાં આવી છે. તે તેમની માનસિક સ્થિતિ દર્શાવે છે.  ભક્તિ પણ એક માનસિક સ્થિતિ છે. અષ્ટનાયિકાના વિભાગ પણ પરિસ્થિતિ અનુસાર કરવામાં આવેલ છે અને એટલે અહીં અષ્ટનાયિકા ભાવ પર ભાર મૂકવામાં આવ્યો છે.

અહીં કેટલીક પંક્તિઓ ઉદાહરણ તરીકે આપી છે:

વાસકસજ્જિતા: જે તેના નાથના આગમનની રાહ જુએ છે અને તમામ વ્યવસ્થા સાથે તૈયાર છે.

“વાટ જોઉ હું વ્હાલા કેરી
સકલ કરી શણગાર રે,

અલજી હું આલિંગન લેવા,
ક્ષણ આંગણ, ક્ષણ દ્વાર રે.”

વિરહોત્કંઠિતા: એ કે જે નિરાશ છે કારણ કે તેનો નાયક આવતો નથી, અને જે વિરહના તાપથી જળી રહી છે.

“વ્હાલો વાંસલડી વાહે રે
ત્યમ ત્યમ અંગે અનંગ જગાવે
કેમ રહું મંદિર માહે રે?”

સ્વાધીનપતિકા: નાયક એની સાથે છે. તે એક નસીબદાર નાયિકા છે, જેનો પતિ તેને સ્વાધીન છે.

“સર્વસ સોંપું શામળિયાને જો આવે ઘર માંહે રે”

બીજું પદ

“નાચતાં નાચતાં નયણ નયણાં મળ્યા ,
મદભર્યા નાથને બાથ ભરતાં,
ઝમકતે ઝાંઝરે તાળી દે તારુણી,
કામિની કૃષ્ણ શું કેલી કરતાં.”

કલહાંતરિતા: નાયક  સાથે ઝઘડો કરીને પછી પસ્તાવો પણ કરે છે.

“ગાલે કાજલ કોણે કીધા?
નયન તંબોલે રાતા રે,
અધર અલંકૃત અળતાથી છે
લાજ નહીં પર ઘેર જાતા રે”

ખંડિતા: નાયક બીજી સ્ત્રી પાસે જાય છે, તેથી તે ખૂબ દુઃખી છે.

“જાઓ રે જાઓ  જાદવા ધૂર્ત
હવે નહીં માનું તમારા બોલ,
વાચ દેહી દેહી, વાહી ગયો વિઠ્ઠલા.
નિર્ગુણગારો  નાથ નઠોર.”

પ્રોષિતભર્તૃકા: આ નાયિકા એકલતા અનુભવે છે કારણ કે તેનો પ્રિય વિદેશ ગયો છે.

“ઓ દિસે સખી મેહુલો આવ્યો
ના આયો મારો નાથ વિદેશી રે,
નિર્ગુણને શું કહીએ બહેની
નાથ ગયો  ઘર છોડી રે.”

વિપ્રલબ્ધા: જેને નાયક દ્વારા દગો આપવામાં આવ્યો છે. તેણે વચન આપ્યું હોવા છતાં તે આવ્યો નથી.

“વાંસળી વહી ને મન માહે તેડિયા રે
અમે મેલ્યાં ઘરના રે કામ,
વહાલો મારો રમે આંખમિચૌલી રે
હરિ હુઆ રે અંતર્ધાન.”

અભિસારિકા: જે ગુપ્ત રીતે, લાજલજ્જા છોડીને તેના  પ્રિયતમને મળવા જાય છે.

“વાંસલડીએ વિંધાણી વનિતા
વૃંદાવનમા ચાલી રે,
શામળિયાને મળવા કાજે
જેમ તેમ ભૂષણ ઘાલી રે.”

બીજું પદ

“સકળ શણગાર સજીને શ્યામા,
શ્યામ તણા રંગ રાતી રે,
નરસૈયાચા સ્વામીને મળવા,
એકલડી વન જાતી રે.”

ઉપસંહાર:

નરસિંહ મહેતા મોટે ભાગે તેમના ભક્તિના  પદો માટે જાણીતા છે. “વૈષ્ણવજન તો તેને રે કહીયે” વિશ્વભરમાં પ્રસિદ્ધ ભજન છે. તેમના અન્ય ઘણા ભજનો લોકપ્રિય છે, પરંતુ તેમના શ્રૃંગાર ગીતો કે શ્રૃંગાર પદો એટલા લોકપ્રિય નથી થયાં.

નરસિંહ મહેતાની કુશળ કલમ ભક્તિની સાથે-સાથે કૃષ્ણ અને રાધાના અલૌકિક પ્રેમ માટે પણ એટલી જ શક્તિશાળી છે.

આ પરિપ્રેક્ષ્યમાં આપણે નરસિંહ મહેતાના કાવ્યમાં અષ્ટનાયિકાના વિચારને ધ્યાનમાં લેવો જોઈએ, ભલે નાયિકાની કલ્પના સાહિત્યનું પ્રદાન છે, ખાસ કરીને નાટ્યશાસ્ત્રના સર્જક અને સંરક્ષક ભરતમુનિનું.

ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને નાટકને સ્વરૂપ આપતા સિદ્ધાંતો અને આ પૂર્વધારણા અનુસાર લખાયેલાં પદો અથવા કવિતાઓ સાહિત્યમાં જોવા મળે છે. નરસિંહ મહેતા પણ આવા જ એક સાહિત્યકાર છે, જેમની કવિતાઓમાં નાયિકાની ભાવના દેખાય છે.

~ મિતા ગોર મેવાડા
mitamewada47@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment