આજની ઘડી તે રળિયામણી ~ અનિલ ચાવડા
“સને 1871ની વસંતઋતુ હતી. એક યુવાને અલમારીમાંથી એક પુસ્તક ઉપાડ્યું, ખોલ્યું અને એકવીસ શબ્દો વાંચ્યા. આ શબ્દોએ તેના ભાવિ જીવન પર પણ કદી ન ભૂંસાય તેવી જબરદસ્ત છાપ છોડી. આ એકવીસ શબ્દોને લીધે તેની આખી જિંદગી બદલાઈ ગઈ.
આ યુવાન મોન્ટ્રીયલ જનરલ હૉસ્પિટલમાં અભ્યાસ કરતો એક મેડિકલનો વિદ્યાર્થી હતો. તેને સતત ચિંતા રહેતી હતી કે પરીક્ષા પાસ કરી શકીશ કે નહીં, પરીક્ષા પાસ કરીને શું કરીશ, ક્યાં જઈશ, કેવી રીતે પ્રેક્ટિસ કરીશ, ગુજારો કેવી રીતે થશે મારો?
એકવીસ શબ્દો વાંચીને પોતાના જીવનને બદલી નાખનાર આ યુવાન આગળ જતા તેની પેઢીનો સૌથી પ્રખ્યાત ફિઝિશિયન બન્યો. જગવિખ્યાત જ્હોન હોપકિન્સ સ્કૂલની તેણે રચના કરી. તે ઓક્સફર્ડ ખાતે રિઝિયસ પ્રોફેસર ઑફ મેડિસિનની પદવી પામ્યો. તે સમયના બ્રિટિશ સામ્રાજ્યમાં આટલી ઊંચી પદવી પામનાર તે એકમાત્ર વિદ્યાર્થી હતો. એકવીસ શબ્દોને આજીવન અનુસરનાર આ વ્યક્તિ મૃત્યુ પામ્યો ત્યારે તેની જીવનકથા લખવા માટે 1446 પાનાંઓની જરૂર પડી હતી. આ વિદ્યાર્થી એટલે સર વિલિયમ ઓસ્લર.”
આ છે ડેલ કાર્ગેનીના વિશ્વવિખ્યાત પુસ્તક How to stop Worrying and start livingના પ્રથમ પ્રકરણની શરૂઆત.
હવે તમને એમ થતું હશે કે પેલા એકવીશ શબ્દો કયા હતા? તો આ રહ્યા તે એકવીશ શબ્દો,
“Our main business is not to see what lies dimly at a distance but to do what lies clearly at hand”
અર્થાત્ આપણું મુખ્ય કામ એ જોવાનું નથી કે દૂરસુદૂર ઝાંખુંપાંખું શું છે, પણ આપણું મુખ્ય કામ તો હાથવગા દીવડાને ખપમાં લેવાનું છે. હજી પણ આ વાતને સાવ ટૂંકમાં અને સચોટ રીતે કહેવી હોય તો નરસિંહ મહેતાની આ એક જ પંક્ત કાફી છે, ‘આજની ઘડી તે રળિયામણી’
નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણને સંબોધીને કહે છે, કેમ કે પછીની પંક્તિ છે, “મારો વહાલો આવ્યાની વધામણી રે, આજની ઘડી તે રળિયામણી…”
પ્રભુના આવવાથી આજની ઘડી રળિયામણી થઈ ગઈ છે. કૃષ્ણ અર્થાત્ સુખ, કૃષ્ણ અર્થાત્ આનંદ, કૃષ્ણ અર્થાત્ હકાર.
ભૂતકાળમાં દુઃખદ ઘટનાઓ બની ગઈ હોય તેને યાદ કરી-કરીને આપણે વર્તમાનને પણ અસહ્ય પીડાથી ભરી દઈએ છીએ. ભવિષ્યમાં પણ હું સુખી નહીં થાઉં એવી ચિંતાથી વર્તમાનને કાળોધબ્બ કરી નાખીએ છીએ. આ બધી લાયમાં જે ઘડીમાં જીવીએ છીએ તે ઘડીને રળિયામણી કરવાનું ચૂકી જઈએ છીએ.
ગુજરાતી ભાષાના ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની ગઝલના શબ્દો ભીંત પર કોતરાવી રાખવા જેવા છે – ‘હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે’.
શરીરથી આપણે ભલે ઘરની ખુરશીમાં બેઠા હોઈએ. પણ મન તો ક્યાંય ભટકતું હોય છે. ઑફિસના કામકાજની ચિંતા, મિત્રો સાથે બહાર જવાની ચિંતા, અરે, બીજું તો ઠીક પણ જમતી વખતે પણ આપણે માનસિક રીતે આપણામાં નથી હોતા. કોળિયો મોઢામાં હોય છે, પણ મન તો ક્યાંય ભૂખ્યું તરસ્યું રઝળતું હોય છે. કોળિયાની મીઠાશ શરીર તો માણે છે, પણ મન વગરની એ મીઠાશ ફિક્કી થઈ જાય છે.
આપણે ટાઇમ મશીનની શોધ નથી કરી, પણ એક રીતે જોવા જોવા જઈએ તો આપણે ભૂતકાળ અને ભવિષ્યમાં જ ભટકતા હોઈએ છીએ. અને એ રઝળપાટમાં મોટેભાગે આપણે ક્યાં ક્યાં દુઃખી થયા હતા અને ક્યાં ક્યાં દુઃખી થવાની સંભાવના છે, તે વાતને યાદ કરીને વર્તમાનને ખરાબ કરતા રહીએ છીએ.
આપણી નવ્વાણું ટકા ચિંતા કાલ્પનિક હોય છે, જે હકીકતમાં ક્યારેય બનતી જ નથી. છતાં આપણે તે સજારૂપે ભોગવી લઈએ છીએ.
એ સજામાંથી છૂટને આજની ઘડી રળિયામણી કરવાનો એક જ રસ્તો છે, તમારી જાતને પૂછવું કે વધારેમાં વધારે શું ખરાબ થઈ શકે તેમ છે? ખરાબમાં ખરાબ બનવાનું છે તેનો સ્વીકાર કરી લો અને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે.
કવિ ભાવેશ ભટ્ટની કાવ્યપંક્તિઓ યાદ આવે છે
ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી તેવી હોડી.
~ અનિલ ચાવડા