ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ અને શ્રી રવિશંકર મહારાજ ~ ડૉ. શ્રીરામ સોની
માણસાઈના દીવા પ્રકટાવનાર કરુણાદ્રવિત અને જેમના પાવન હસ્ત વડે આપણા ગુજરાત રાજ્યનું ૧લી મે ૧૯૬૦ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમમાં ઉદ્ઘાટન થયું એ રવિશંકર મહારાજને નવી પેઢી જાણતી જ નથી.
ખેડા જિલ્લાનું સરસવણી ગામ એમનું વતન. માતાપિતા તરફથી વારસામાં એમને ધાર્મિક સંસ્કારો, સુટેવો ને સુવિચારોનું ઘડતર મળેલું. નાનપણથી જ સાહસ, નીડરતા ને દુ:ખીજનો માટે લાગણી હતી.
પહેલીવાર ગાંધીજીના દર્શન થયા અને એમના શબ્દોની જાદુઈ અસર થઈ. એમણે ગાંધીજીના ભાષણથી પ્રભાવિત થઈને અંગ્રેજ સરકારના અન્યાય સામેની લડતમાં જોડાવાનું નક્કી કર્યુ.
ગાંધીજીની સલાહ મુજબ, બારૈયા-પાટણવાડિયા કોમ જે દારુ પીતી, ચોરીઓ કરતી અને અંધશ્રદ્ધામાં ડૂબેલી રહેતી. એમની વચ્ચે રહી એ કોમની બદીઓ દૂર કરવા મથ્યા, એમના જીવનમાં પરિવર્તન લાવ્યા અને સફળ થયા.
પાટણવાડિયાના ગોર એટલે એ લોકો “મહારાજ”કહી સંબોધે, પણ પછી તો બધે જ “મહારાજ “તરીકે ઓળખાવા લાગ્યા. વિનોબાજીએ ભૂદાન યાત્રા શરુ કરી ત્યારે ભૂદાન સફળ કરવા ગુજરાત યાત્રા દરમ્યાન વિનોબાજીની સાથે ને સાથે રહ્યા.
પૂરપીડિતોના રાહતકામોમાં, વાવાઝોડા હોનારતોમાં, હુલ્લડોમાં, રોગચાળામાં, દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પીડિતોની વહારે એ પહોંચીને જ્યાં સુધી સ્થિતિ બરાબર ના થાય ત્યાં સુધી ત્યાં જ રહેતા.
એમણે સેવાના એટલા કામો કર્યા છે કે લખવા બેસીએ તો પાનાંનાં પાનાં ભરાય. ગાંધીજીએ એમને કહેલું, “જો ઈશ્વર અદલાબદલી કરવા દે અને તમે ઉદાર થાઓ તો તમારા ખોળિયાની હું જરુર અદલાબદલી કરુ”.
૮૦ વર્ષની ઉંમરે હિમાલયના ગઢવાલમાં પદયાત્રા કરી સર્વોદયનો સંદેશો ફેલાવ્યો હતો. તે પછી બિહારના દુકાળમાં રાહતકામ કરવા પહોચી ગયેલા. ત્યાં ૮૦૦ જેટલા કૂવા પણ ખોદાવ્યા. તાપીમાં ભયંકર પૂર આવેલું ત્યારે ૮૫ વર્ષે ત્યાં પહોંચી રાહતકાર્ય ગોઠવેલું.
પ્રાણીમાત્રમાં પ્રભુનું દર્શન કરી, દલિત પતિત દુખી માનવીઓની, પોતાના શરીરના અણુએ અણુને નિચોવીને સેવા કરનાર રવિશંકર મહારાજ કેવળ ગુજરાતના નહિ, સમસ્ત ભારતના વિરલ સંત હતા. ૧-૭-૮૪ના રોજ ૧૦૧ વર્ષે તેમનું અવસાન થયું.
મોડાસામાં, મારા પિતા અને ડો. રસિકભાઈ શાહને મળવા ઘણી વાર આવતા હતા. અમને છોકરાઓને ચા નહી પીવાની સલાહ આપતા અને ચા એક વ્યસન છે એવું કહેતા, જે અમને સમજાતુ નહોતું કેમકે બધા જ ઘરોમાં ચાનું ચલણ હતું. અમારે ત્યા મારાં બા જ ચા પીતાં.
વર્ષો વીત્યાં ને એકવાર એક મેડિકલ કેમ્પમાં મહારાજના વતનના ગામ સરસવણી જવાનું થયેલુ. મને થયું, ચાલો મહારાજનું ગામ ને એમનું ઘર જોવા મળશે. કેમ્પ પત્યા પછી ગામના છોકરાઓને કહ્યુ કે મહારાજનુ ઘર જોવું છે, કોઈ જોડે બતાવવા આવો.
બે છોકરા તરત બોલ્યા, ”હેડો, બતાવું.” મે કહ્યું, “રવિશંકર મહારાજ વિષે શુ જાણો છો?”
“એ તો બઉ મોટા મોણહ થેઈ જ્યા. મોટા નેતા અતા. એ ગોમના ઝોપે બાવલું મેલ્યું સ્ એ જોયું નઈ?’’
મેં કહ્યું,”એમ નહિ, એ કઈ રીતે આટલા મોટા થયા? એમણે શુ કર્યું?
બીજો છોકરો બોલ્યો, “બહુ મોટા મારાજ અતા”. પત્યું.
મહારાજનું ઘર બંઘ હતું. સરકારે રિનોવેશન કરી, ફોટાઓ મૂકી મ્યુઝિયમ જેવું બનાવ્યું છે, પણ બંધ હોવાથી જોઈ શક્યા નહી.
“એ તો બંધ જ રે સે. કોઈ મોટા આવ્ તાણ ખોલ્.”
ઘર ના જોઈ શક્યા એના દુઃખ કરતા, મહારાજના ગામમાં જ કોઈ એમને જાણતું નથી એ જોઈ વધારે દુ:ખ થયું.
~ ડૉ. શ્રીરામ સોની
(ગુજરાત સ્થાપના દિન નિમિત્તે)