ડૂબતા બજારે પણ ‘સ્કેમ છો?’ ‘સજામાં છું’ કહી મજા કરી લે તે ગુજરાતી ~ યોગેશ શાહ

ગુજરાતીઓને શૅર ગમે.

શૅર લેવા-વેચવા ગમે, શેર સાંભળવા પણ ગમે, શૅર કરેલી કટીંગ ચાય ગમે. શૅરબજારમાં હમણાં કાંઈ કહેવાપણું નથી, તેથી શેર કહેનારાઓને સાંભળવા મુંબઈગરા પહોંચી ગયા ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના આંગણે ગઝલોત્સવમાં (૧૧, ૧૨ ,૧૩ એપ્રિલ).

ત્રીજા સત્રમાં હિતેન આનંદપરાના સંચાલન હેઠળ ઉદયન ઠક્કર, કિરણસિંહ ચૌહાણ, સુરેશ ઝવેરી, ચેતન ફ્રેમવાલા, ઈન્તેખાબ અન્સારી અને મિતા ગોર મેવાડાએ ગઝલપ્રસ્તુતિ કરી હતી. 

ગુજરાતીઓ કડવું ક્યારેય ન બોલે. ગુસ્સે થાય તોય બોલે “તારી ભલી થાય”. પ્રેમાનંદના કડવા હોય કે ગઝલના મિસરા હોય, સમજાય કે ન સમજાય, મોઢામાં મિસરી ભરીને મીઠું-મીઠું વાહવાહ બોલે. ‘ઈર્શાદ’ બોલવું એમને ન ફાવે. રદીફ કાફિયા નથી સમજવા ભૈ! તમે જેમ બોલો છોને એમાં જ મજા આવે છે બસ.

હર્ષદ મહેતા વખતે ડૂબતા બજારે પણ “સ્કેમ છો?” “સજામાં છું” કહીને મજા કરી લે તે ગુજરાતી.

ભલે અરબીમાંથી ફારસીમાં અને ઉર્દૂમાં થઈને આવી, પણ આજે ગુજરાતીમાં ગઝલોનો મબલખ પાક ઉતરે છે. આજે જે પ્રમાણમાં ગુજરાતીમાં લખાય છે તે માટે “ગિરનાર જેટલી ગઝલો લખાય છે” એમ રઈશ મનીઆરે કહેવું પડ્યું. ‘જેવી’ નહીં એ ટકોર પણ સાનમાં કરી દીધી.

સુરતથી પધારેલા કવિ રઈશ મનીઆરે `છેલ્લાં પચાસ વર્ષની ગઝલસફર` અંતર્ગત શ્રોતાઓ સમક્ષ જાણે ગઝલની મઘમઘતી છાબડી મૂકી દીધી હતી. ગુજરાતી ગઝલોના સઘન અભ્યાસી રઈશ મનીઆરે કવિ આદિલ મન્સુરીની ગઝલોને પરંપરા અને આધુનિકતા વચ્ચેનો વળાંક ગણાવી. રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, ચિનુ મોદી, મનહર મોદી, ખલીલ ધનતેજવી, જલન માતરી, હરીન્દ્ર દવે, ભગવતીકુમાર શર્મા, નયન દેસાઈ, કરસનદાસ લુહાર, કૈલાસ પંડિત, સુરેન ઠાકર મેહુલ, અદમ ટંકારવી, રાજેન્દ્ર શુક્લ, જવાહર બક્ષી, ભરત વિંઝુડા સુધીના કવિઓના ચૂંટેલા શેર પોતાની આગવી અદાથી રજૂ કર્યા. ગુજરાતી ગઝલ સમયાંતરે દુર્બોધતાનો ભોગ બની અને ફરી હેમેન શાહ, મુકુલ ચોક્સી જેવા કવિઓએ તેમાં નવીન કામ દાખવ્યું તે વિશે પણ સરસ વાતો કરી. સાંપ્રત સમયમાં લખતા અનેક કવિઓ, કવયિત્રીઓના ઉલ્લેખ સાથે તેઓએ સરસ રસાળ વક્તવ્ય રજૂ કર્યું.

ગઝલ એટલે મૂળ તો પ્રેમની ગોષ્ઠિ. અને આપણે તો સંસ્કારી પ્રજા ભૈ! મનમાં ભલે ઈશ્કે મિજાજી (પ્રિયતમ તરફનો પ્રેમ) હોય, જાહેરમાં વાતો તો ઈશ્કે હકીકી (ઈશ્વર તરફના પ્રેમ) ન જ કરાય. ઉપર હાથ કરે તો માલિકને અને સામો હાથ કરે તો માશૂકને- એમ બંનેને સાંકળતા જવાહર બક્ષી કા અંદાઝે-બયાં કુછ ઑર હી હૈ.

બપોરે ૩.૩૦ વાગ્યે યોજાયેલા સત્રમાં જાણીતા કવિ જવાહર બક્ષીએ `જ્યાં જ્યાં ગઝલ મારી ઠરે` અંતર્ગત ગઝલના સ્વરૂપ વિશે રસાળ વાતો કરી. તેઓએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે,

સ્નેહલ મુઝુમદારના છંદોબધ્ધ લયને તો રેકૉર્ડ કરી રાખવા જોઈએ.

કેટલીક ટિટબિટ્સ: ગુજરાતી ગઝલની શરૂઆત બાલાશંકર કંથારિયાએ કરી એમ કહેવાય છે (ગુજારે જે શિરે તારે…) અને કલાપીએ “જ્યાં જ્યાં નજર મારી ઠરે” કહીને ઠેર ઠેર ગવડાવી. ગોવર્ધનરામે સરસ્વતીચંદ્રમાં લખેલી “સુખી હું તેથી કોને શું?” જેવી ગઝલે ઈશ્ક સિવાયના વિષયો ઊઘાડ્યાં.

ગાંધીજીએ (અહો આશ્ચર્યમ્) જેનું વિવેચન લખીને ઇન્ડિયન ઓપિનિયનમાં પ્રકાશિત કરેલી, તે ગઝલ એટલે મણિલાલ નભુભાઈ દ્વિવેદીની “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે”.

125th Death Anniversary Today: Manilal Nabhubhai Dwivedi Creator of Gujarati Language's Most Discussed Autobiography | સમયાંતર: આજે 125મી પુણ્યતિથિ: મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગુજરાતી ભાષાની સૌથી ...
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

હાસ્યરસવાળી ગઝલને હઝલ કહે છે. ગુજરાતના ગાલિબ ‘મરીઝ’ની ગઝલોમાં ટ્રૅજી- કોમેડી જોવા મળે છે (ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. )

શેરનો ઉચ્ચાર શેઅર જેવો કરવામાં આવે છે, જેનો અર્થ છે જાણવા જેવી વાત. શેર પરથી જ શાયર અને મુશાયરો શબ્દો આવ્યાં. સૌ પ્રથમ મુશાયરો ૧૯૩૦માં રાંદેરમાં મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના વખતે યોજાયો હતો.

ગુજરાતી ગઝલના ગગનમાં “ગણ્યા ગણાય નહીં, વિણ્યા વિણાય નહીં” એટલા તારલાઓ છે. છાબડીમાં તો કેમ માય? તોય લલિતભાઈએ અને હિતેનભાઈએ ચોક્કસપણે ઐતિહાસિક કાર્ય કર્યું કહેવાય!

“ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (IKS)” હમણાં બહુ ચર્ચામાં છે તો ભારતીય પરંપરાની શ્લોકની વિભાવના અરબી-ફારસીના શેર સાથે સરખાવી શકીએને?

(મિડ ડે: તા: ૧૫ એપ્રિલ, ૨૦૨૫ : મંગળવાર)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment