ભગવદ્ ગીતા તો આપણને ઉત્તમ શિષ્ય કેવી રીતે બનાય એ જ શીખવે છે ~ યોગેશ શાહ
યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટરમાં જ્યારથી ભગવદ્ ગીતા અને ભરત મુનીના નાટ્યશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે (૧૭ એપ્રિલ ૨૦૨૫) ત્યારથી બુક સ્ટોર્સ, ઓનલાઇન એમેઝોન, લીંક્ડ ઈન વગેરેએ “ભગવદ ગીતા ને આગળ નજરે ચડે તેમ દેખાડવાનું શરૂ કર્યું છે.
ચેટ જીપીટી/ ગ્રોકને લોકોએ ગીતા અંગેના પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું છે. સોશ્યલ મિડીયા પર ગીતા એન્ડ મેનેજમેન્ટ, ગીતા એન્ડ લીડરશીપ, ગીતામાં નેતૃત્વના પાઠ, ગીતાના ૧૮ અધ્યાયના ૧૮ સિદ્ધાંતો.. એવા એવા લેખો ફરી રહ્યાં છે.
ગ્રેટ લીડર કેવી રીતે બનાય એના પરિસંવાદો, સેમિનાર, ટૉક વગેરે તો રાખવામાં આવે જ છે. કૃષ્ણ બનાવવા સૌ પાસે ઉપાયો છે. પણ અર્જુન કેમ બનવું, ઉત્તમ શિષ્ય/સેવક કેમ બનવું એના સેમિનાર નથી રખાતાં. બલ્કે ભગવદ્ ગીતા તો આપણને ઉત્તમ શિષ્ય કેવી રીતે બનાય એ જ શીખવે છે.
સાચો નેતા એ જ બની શકે જે સાચો સેવક બની શકે. ગુરુને સંપૂર્ણ સમર્પિત સેવક જ સંપૂર્ણ જ્ઞાન મેળવી શકે. માટે શરણાગતિ જ સાચું સૂત્ર છે. દરેક ધર્મ શરણાગતિની જ વાત કરે છે.
પ્રભુને દરવાજે “મૈં હું, મૈં હું” કહેવાથી દરવાજો નહીં ખુલે પણ “તું હી તું હી” હૃદયમાંથી ઊઠશે ત્યારે જ એકતારો વાગવા લાગશે અને દરવાજા ખુલી જશે.
કોર્પોરેટ ફિલ્ડમાં પણ ગ્રાહકને ઉત્તમ સેવા આપવાથી જ બિઝનેસ વધે છે. દેશની જીડીપીમાં સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનો બહુ મોટો ફાળો છે. તેથી જ આફ્ટર સેલ્સ સર્વિસને બહુ મહત્વ અપાય છે.
“ગ્રાહકોનો સંતોષ એ જ અમારો નફો”. એમેઝોન, ફ્લીપકાર્ટ, ઝોમેટો, ઑલા, વગેરે આખરે શું આપે છે? સમયસર સેવા જ ને. ફરિયાદ કરો તો દલીલ વગર પૈસા પાછા. સંપૂર્ણ શરણાગતિનો જ આ એક પ્રકાર ને!
કુરુક્ષેત્રમાં અર્જુન માટે કૃષ્ણનું જે સ્થાન હતું તે જ સ્થાન ધંધાના ક્ષેત્રમાં એક દુકાનદાર માટે ગ્રાહકનું છે.
ગ્રાહક માટે “અનુકૂલસ્ય સંકલ્પ અને પ્રતિકૂલસ્ય વર્જનમ્” કરવાથી વિશ્વાસ વધે છે. વેપાર માત્ર નફા પર નહીં પણ સેવા પર પણ કેન્દ્રિત થાય ત્યારે સાધના ફળે છે. શરણાગતના સારથી જ કૃષ્ણ બને છે.
થોડાં વર્ષો પહેલાં દુકાનોમાં ગાંધીજીનાં શબ્દો લખેલાં જોવા મળતાં હતાં. “આપણી દુકાને આવેલો ગ્રાહક સૌથી મહત્વનો મુલાકાતી છે….એ આવીને આપણા કામમાં ખલેલ નથી પાડતો પણ એનું આવવું એ જ આપણો હેતુ છે… એને સેવા આપી આપણે એના પર કોઈ ઉપકાર નથી કરતાં પણ આપણને સેવા કરવાનો મોકો આપી એ આપણાં પર ઉપકાર કરે છે.”
“नष्टोर्मोह स्मृतिर्लब्धा, करीश्ये वचनम् तव” કહી અંતે જીતે છે કોણ? અર્જુન જ ને!
શરણાગતિના સેમિનાર ભૌતિક અને આધ્યાત્મિક બંને ક્ષેત્રમાં ઉન્નતિ અપાવશે.
(મિડ ડે: તા:૨૨/૦૪/૨૦૨૫)