સૌંદર્ય પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે ~ અનિલ ચાવડા
ઉમાશંકર જોશી નખી સરોવર જોવા ગયેલા. ત્યાં પ્રકૃતિનો નયનરમ્ય નજારો જોયો, જોઈને અભિભૂત થઈ ગયા અને ‘નખી સરોવર ઉપર શરતપૂર્ણિમા’ નામે એક સોનેટ લખ્યુંં. તે સોનેટ ગુજરાતી ભાષાના ઉત્તમ સોનેટમાંનું એક ગણાય છે. અને તેમાંની એક પંક્તિ તો શિલાલેખ જેવી છે, ‘સૌંદર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે’ સુંદરતા માણો, તમારું હૃદય આપોઆપ ગીત ગાવા માંડશે.
આપણી આસપાસ સુંદરતા વેરાયેલી પડી છે, પણ આપણી પાસે તેને જોવા માટેની આંખ નથી. એવું નથી કે સૌંદર્ય પહાડ, નદી, ઝરણાં, પંખીનો કલરવ, અને નિતાંત કુદરતી વાતાવરણમાંં જ હોય. એ તો તમને શહેરની ગલીમાંં કે ભીડભીડમાંં પણ દેખાઈ જાય.
કોઈ ભિખારી આનંદથી કિલ્લોલ કરતો દેખાય તો તેમાં પણ પ્રકૃતિની સુંદરતા જ છે. કોઈ યુવક કોઈ વૃદ્ધની ટેકણલાકડી બનીને તેમને રસ્તો ક્રોસ કરાવતો હોય તો એ પણ સુંદરતા છે.
રડતા બાળકને છાનુંં રાખવા માટે બસ સ્ટેશન પર બેસેલા સાવ અજાણ્યા માણસો પણ ચીબાવલા મોઢા કરીને નખરા કરવા માંડે તો સમજવુંં કે કુદરત સોળે કળાએ ખીલી છે.
આ નિર્દોષ ઘટનાઓ સૌંદર્યના રંગોથી રંગાયેલી છે. એવે સમયે વગર તહેવારે માનવતાનો એક તહેવાર ઉજવાઈ જતો હોય છે. તેની માટે ધૂળેટીના રંગોની જરૂર નથી પડતી. આપોઆપ સંવેદનથી તમે રંગાઈ જાવ છો.
સુંદરમે લખેલું-
“હું ચાહુ છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તે સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.”
આસપાસની કુરૂપતા જોઈને કડવા મોઢાં કરવા કરતાં આપણામાંં રહેલા ઉમંગોની રંગોળી તેમાં પૂરીએ તો આપોઆપ સૌંદર્ય પોતાનું સરનામું શોધી લેશે.
શાહબુદ્દીન રાઠોડ એક જોક કહેતા હોય છે કે મારી પાસે એક માણસ આવીને મને કહે, મારે સમાજસેવા કરવી છે, હું શું કરું? શાહબુદ્દીન રાઠોડે જવાબ આપ્યો, સૌથી પહેલા તો જેના જેના ઉછીના રૂપિયા લીધા છે, તેમને પાછા આપી દો, આ પણ એક મોટી સમાજસેવા જ છે.
આપણે બીજાનો ફેંકેલો કચરો ન ઉપાડીએ તો કંઈ નહીં, પણ આપણી પોતાની પ્લાસ્ટિકની બોટલ કચરાપેટીમાં નાખીએ તો એ પણ પ્રકૃતિની સલામતી માટે કરેલું એક ઉમદા કામ ગણાય.
સુરેશ દલાલ કહેતા કે માણસને જેમ પાણીની તરસ લાગે તેમ સુંદરતાની તરસ લાગવી જોઈએ. આપણને એ તરસ લાગે તો છે, પણ કોઈક આપણી માટે જગતને રળિયામણું કરે એવી ઇચ્છા રાખીએ છીએ. ફકત બહારની દુનિયાની વાત નથી, અંદરનું વિશ્વ પણ સૌંદર્ય ઇચ્છે છે.
આપણે સતત એવી ઝખના રાખીએ છીએ કે બીજા આપણને પ્રેમ કરે, આપણું ધ્યાન રાખે, આપણી ચાકરી કરે. પણ એ જ વસ્તુ આપણે પણ બીજા માટે કરવાની હોય તે આપણે ભૂલી જઈએ છીએ. મેં તો આટલું બધું કર્યું, તેં મારા માટે કંઈ ન કર્યું. આ અપેક્ષાનો એરુ આપણને સતત ડંખતો રહે છે. અને એનું ઝેર પ્રસરતુંં જ રહે છે. અને એના લીધે આપણું આંતરિક સૌંદર્ય નંદવાતું જ રહે છે.
આપણે ક્યાંક ફરવા પણ જઈએ તોય ઉમાશંકરની જેમ આપણને કવિતા નથી સૂઝતી કે કાકા કાલેલકર કે ભોળાભાઈ પટેલ માફક પ્રકૃતિની સુંદરતા વિશે નિબંધ લખવાનું મન પણ નથી થતુંં. આપણને એ દૃશ્યો આંખમાં ભરવા કરતા કેમેરેમાં ભરવાની લાલસા હોય છે. અને એ પણ સેલ્ફી રૂપે. જેમાં આપણે કેટલા સેલ્ફીશ છીએ તે આપોઆપ દેખાઈ આવે છે.
આપણું મન સતત એ જ વિચારતું હોય છે કે કયા એંગલથી ફોટો લઉં તો હું સારો દેખાઉં. આ જ પ્રયાસમાં પ્રવાસનો પમરાટ ક્યાંય જતો રહે છે. પર્વત, ઝરણાં, નદી, વૃક્ષો, પંખી ને પતંગિયાં બધું આંખ સામે હોવા છતાં અનુભવાતું નથી. કારણ કે મન સોશ્યલ મીડિયાની મોહિત નગરીમાં ઘૂમતું હોય છે. વિચારતુંં હોય છે કે આ ફોટો શેર કરીશ તો કેટલી લાઇક આવશે, આની પર કેટલી કોમેન્ટ આવશે. આ ફોટો તો ફલાણાને કે ફલાણીને જોરદાર લાગશે.
જે માણસ જગતના સૌંદરનનું પાન કરી શકે, તેણે કરમાયેલા ચહેરેના જીવવું પડે. આપણે આર્ટિફિશ્યલ ફૂલોથી ટેવાઈ ગયા છીએ. અત્તર છાંટીને કામ ચલાવી લઈએ છીએ. ઘણા માણસો બગીચામાં જાય તોય અત્તર છાંટીને જાય. જ્યાં સુગંધની નદીઓ વહેતી હોય ત્યાં તમે પરફ્યૂમની બાટલી ખોલો એ કેટલું બેહૂદું લાગે?
આપણે પોતે એક બાટલી છીએ અને આપણા વિચાર, વાણી અને વર્તન આપણી મહેક છે. આટલી વાતનું સરખી રીતે મનન કરીએ તોય સમજાઈ જાય કે આપણું આંતરિક સૌંદર્ય કેવું છે, જીવનની સુગંધ કેવી છે…
~ અનિલ ચાવડા