“મહેણું માર્યું… મહેણું માર્યું….!” ~ ગીત ~ કવિ મુકેશ જોશી ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
“મહેણું માર્યું… મહેણું માર્યું….!”
મહેણું માર્યું… મહેણું માર્યું, તીર સરીખું ઊંડે જઈને વાગ્યું,
ખેલ જીવનમાં બદલાયો, કોઈ યુગોની બેહોશીથી જાગ્યું
એક મહેણાંએ કીધાં કેવાં ચિર સનાતન કામ…!
ચોપાઈમાં મુદિત મને લ્યો પ્રકટ ભયે શ્રીરામ
આ બાજુ મહેણું હસતું ને આ બાજુ શ્રીરામ….
મહેણું માર્યું… મહેણું માર્યું….
મહેણું માર્યું… મહેણું માર્યું, ગદા સરીખું છાતી પર વાગ્યું
મહાયુદ્ધનું બીજ કશે રોપાયું, એવું દસે દિશાને લાગ્યું
એક મહેણાંએ કીધાં કેવાં ચિર સનાતન કામ…!
ગીતાજીમાં અમૃત અમૃત ઢોળે શ્રી ઘનશ્યામ
આ બાજુ મહેણું હસતું, પેલી પા સુંદર શ્યામ…!
મહેણું માર્યું… મહેણું માર્યું….
મહેણું માર્યું… મહેણું માર્યું, કાંટા જેવું ધારદાર કંઈ વાગ્યું
રંગ જીવનનો બદલાયો, અસલ રંગમાં કોઈ ફરીથી જાગ્યું
એક મહેણાંએ કીધાં કેવાં મહેતાજીના કામ….!
ગાંધીજીનું પ્રિય ભજનિયું, વૈષ્ણવજન તે નામ.
આ બાજુ મહેણું હસતું, ત્યાં જૂનાગઢયું ગામ…!
મહેણું માર્યું… મહેણું માર્યું….
વિવેકના વાઘા ના હો તો શબ્દો અત્યાચાર
જેણે જેણે મહેણાં માર્યાં, એ તો પાછી નાર
સર્વે નારીને મારા બબ્બે નમસ્કાર.
રામાયણ, ગીતા ને ભજનોથી ઝળહળ સંસાર.
મહેણું માર્યું… મહેણું માર્યું….
એક મહેણાંએ કીધાં કેવાં ચિર સનાતન કામ…!
~ મુકેશ જોશી
~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
અહંકારની ઓસરી વટાવી શકાય ત્યારે જ અલખના બારણે પહોંચાય છે. અલખને બારણે પહોંચ્યા પછી પણ બારણું ખોલવાની યોગ્યતાનું પરિમાણ હોય છે, પ્રકાશપુંજને ઝીલવાની શક્તિ. સંપૂર્ણપણે વાસના ત્યજીને આવ્યા હો તો જ ઉપાસનામાં હ્રદય, મન અને આત્મા સ્થિર થાય છે અને અલખને પેલે પાર જવાનું દ્વાર ખૂલે છે.
એકવાર આ દરવાજા ખુલી જાય પછી તો ઝળહળ ઝળહળ આખુંયે બ્રહ્માંડ ભાસે છે. આ ગીત આવી દિવ્ય અનુભૂતિની મુસાફરીએ લઈ જાય છે.
મહેણું અને એ પણ એક સ્ત્રી દ્વારા મરાતું મહેણું! ત્યારે સૌ પહેલાં મહેણું સાંભળનારને પોતાનો અહંકાર બાજુ મૂકીને એ વાતની યથાર્થતા કેટલી છે, એનું દર્શન અંતરાત્મામાં કરવું જોઈએ. કારણ, શબ્દોની તાકાત અને નારીશક્તિના સંકલ્પનો મેળ થાય ત્યારે પરિણામની બે શક્યતાઓ ઊભી થાય છે. એક તો સુભગ સુમેળની અને બીજી વૈમનસ્યના બીજ રોપાવાની.
સુભગ સુમેળ થાય એમાંથી યુગોની રાહ બદલી નાખતી ઘટનાઓ બને છે. જ્યારે વૈમનસ્યના બીજ રોપાય ત્યારે વિનાશ તરફની શતમુખ અધોગતિ આરંભાય છે. પરંતુ આ દેખાય છે એટલું સરળ અને પારદર્શી નથી. મહેણું મારનાર અને સહેનાર કોણ છે એના પર Conclusive Outcome – નિર્ણાયક પરિણામ આધારિત છે.
ભાવના, વિભાવના, જ્ઞાન, વિજ્ઞાન, અપેક્ષા, ઉપેક્ષા, ભક્તિ અને વૈરાગ્ય આ બધાં જ તત્વો ક્યાંક ને ક્યાંક મહેણાં સાથે જોડાયેલાં છે.
તુલસીદાસને એમની પત્ની રત્નાવલી મહેણું મારે છે કે; “મારા હાડમાંસના દેહની આસક્તિમાં સમય, સ્થળની મર્યાદાઓ અને કર્તવ્યભાન ભૂલીને મને મળવા આમ ચાલી આવ્યા છો, એ બદલ મને શરમ આવે છે.
મારા આ નશ્વર દેહની પ્રીતિને બદલે જો પરમાત્માને સોમા ભાગનીયે પ્રીતિ કરી હોત તો તમારું જીવન ધન્ય બની જાત. તમે જ્ઞાની છો, પંડિત છો. હજુ પણ જાગો અને આ મારા આ શરીરના મોહનો પરિત્યાગ કરીને તમારા જ્ઞાનને અનુરૂપ ભક્તિ કરો. ભક્તિને અનુરૂપ જે જ્ઞાન નિષ્પન્ન થશે, એનાથી આત્માના કલ્યાણનો માર્ગ મળશે.”
તુલસીદાસને પણ સામાન્ય માણસને થાય એમ જ મહેણાંના આ શલ્યથી હ્રદયમાં પીડા ઉત્પન્ન થઈ. પણ આ મહેણું મારનાર દ્રઢ મનોબળવાળી અને દૂરંદેશી સ્ત્રી, વરસોની પેલે પારની દુનિયા જાણે જોઈ શકતી હતી.
રામની દરેક કાર્યમાં રહેલી એકાગ્રતા એમની વચનબદ્ધતા, અને સત્યપરાયણતા આવનારી પેઢીને સમજાવી શકાય, એને માટે રત્નાવલિમાં રહેલી “યા દેવી સર્વે ભૂતેષુ શક્તિરુપેણ સંસ્થિતિ” જાગે છે, એટલું જ નહીં, એક બુદ્ધિમાન પંડિતના આત્માને ઝંઝોડીને, જ્ઞાની પંડિતમાંથી સંતશિરોમણી પંડિત, તુલસીદાસને “કાલાય તસ્મૈ નમઃ” કહીને ધરી દે છે.
એ એક મહેણાંને કારણે વાલ્મિકી રામાયણમાં રહેલા રામ, લોકભાષાની ચોપાઈઓમાં અવતરિત થઈને, રામકથાના રૂપમાં ઘેરેઘેર પહોંચ્યા.
આવું મહેણું યુગપરિવર્તક બની જાય છે અને સમયને પણ આશ્વસ્ત કરીને, સહેજ મલકી લેવાનો મોકો આપે છે. આ મહેણું મારનાર મહાન આર્ષદ્રષ્ટા છે કે પછી મહેણાંના મર્મ અને અર્કને પામીને, સમયના સમીકરણને બ્રહ્મની સાથે સમતોલ કરવા નિજ સ્વાર્થને ત્યજીને, અલખના દરવાજે ઊભા રહેવા નીકળી જનાર આર્ષદ્રષ્ટા છે, એનો ફેંસલો તો અંતે કાલબ્રહ્મ જ કરે છે.
મહેણાંની વાત થાય અને માનુની દ્રૌપદીનું દુર્યોધનને મારેલું મહેણું, “આંધળાના સંતાન આંધળા..!” કદાચ યુગપરિવર્તક જ નહીં, પણ મહાવિનાશમાંથી નવા યુગનો સ્થાપક પણ બની જાય છે.
મહાભારતના યુદ્ધમાં થયેલો ભયંકર વિનાશ, દ્વાપરયુગ અને કલિયુગનો સંધિકાળ બને છે. પણ આ સંધિકાળ અને વિનાશના તાંડવને સહ્ય કરે છે, દ્રૌપદીસખા, શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ ન હોત તો ગીતા ન હોત અને ગીતા વિના આજના સમયમાં જીવનના દરેક તબક્કામાં કેમ જીવવું, એ વાત જગતમાં કદી ન સમજી શકાત. જેમ કે;
“વિહાય કામાન્યઃ સર્વાન્પુમાંશ્વરતિ નિઃસ્પૃહ;.
નિર્મમો નિરહંકારઃ સઃ શાંતિમધિગચ્છતિ”
અર્થાત્ઃ જે સઘળી ઈચ્છાઓને ત્યજીને નિઃસ્પૃહ રહીને જીવે છે અને જે અહંકારરહિત બને છે એ જ પરમ શાંતિ પામે છે.
માનવીઓને કલિયુગમાં જે સૌથી વિશેષ નડે છે, તે છે અહંકાર, (ઈગો), નિષ્ક્રિયતા, દ્વેષ, મોહ, આસક્તિ, ક્રોધ અને વિષયવાસના અને સ્વાર્થને સાધવા માટે કોઈ પણ હદ સુધીની અધોગતિનો રોમભર પણ ફફડે નહીં એ રીતે કરેલો – Blatant – લાજશરમ વગરનો સ્વીકાર. આ બધી જ સામગ્રી કે સામગ્રીનું કોકટેલ આજના માણસને જ્ઞાનમાર્ગે પોતાના અસલ સ્વ-રૂપને, ભક્તિમાર્ગે પોતાના અસલ સ્વ-ભાવને અને કર્મમાર્ગે પોતાના સ્વ-ધર્મને પામતાં રોકે છે.
અહીં કવિ મહેણાંનો મહિમા નથી કરતા પણ એક અદભૂત વાતને રજુ કરે છે. મહેણું મારનાર પાસે જો કોઈ પણ યોગ્ય સંદર્ભ ન હોય અને અમસ્તાં જ કોઈની કમી કે ખામીને ઉજાગર કરવા જો દ્રૌપદી જેવું મહેણું મારે, તો યુગપુરુષ કૃષ્ણનું હોવું એ સમયમાં આવશ્યક બની જાય છે. કારણ, કૃષ્ણના હોવાપણુંની હળવાશ જ યુદ્ધના એ સમયને સહ્ય બનાવે છે.
અહીં આ પરિસ્થિતિને પલટીને જોવાની આવશ્યકતા છે કે મહેણું તો માર્યું, પણ કૃષ્ણ ન હોત તો? કદાચ મહાભારત થાત, મહાવિનાશ પણ થાત, પણ આ યુદ્ધ અને એના પરિણામને સમય-સુસંગત એવી Legitimacy – તર્કગ્રાહ્યતા આપતી શ્રીમદ્ ભગવદગીતા ક્યારેય દુનિયાને મળી ન હોત. શ્રીકૃષ્ણએ ગીતામાં દરેક યુગમાં કઈ રીતે જીવવું એનો સાર આપ્યો છે.
આપણાં પ્રખર સાહિત્યકાર, વિચારક, ચિંતક શ્રી ગુણવંતભાઈ કહે છે એમ,
“અઢાર અધ્યાયમાં વિસ્તરેલી ગીતાની વિચારયાત્રા અને ભાવયાત્રા તો સ્મૃતિલોપથી સ્મૃતિલબ્ધા ભણીની, વિષાદથી વિજય ભણીની, બંધનથી મુક્તિ ભણીની, ભેદબુદ્ધિથી અભેદભાવ ભણીની, સંશયથી શ્રદ્ધા ભણીની અને શ્રદ્ધાથી મોક્ષ ભણીની છે.”
આ સનાતન ગીતાના અમૃતથી સંસાર સમસ્ત આવનારા યુગો સુધી વંચિત રહી જાત અને “જાતસ્ય હી ધ્રુવો મૃત્યુમ્”ના શ્લોકના સંદર્ભમાં મહાભારતનું ભીષણ યુદ્ધ કદી સમજી શકાત નહીં.
એટલું જ નહીં, કુરુક્ષેત્રમાં સુદર્શન ચક્રધારી ઘનશ્યામે કારૂણ્યસભર સ્મિતસહ રથ વચ્ચોવચ ઊભો રાખીને આવું કહ્યું પણ ન હોત;
“પરિત્રાણાય સાધુનામ્, વિનાશયશ્ચ દુષ્કૃતામ્,
ધર્મ સંસ્થાપનાર્થાય, સંભવામિ યુગે યુગે !”
“સંભવામિ યુગે યુગે”નું વચન આપનારા શ્રીકૃષ્ણ અને ગીતાના પરિપેક્ષ્યમાં, માનુની દ્રૌપદી આ યુગકાર્ય કરવા માટે જ જન્મી હોય એવું કવિ સિફતથી પ્રસ્થાપિત કરી દે છે.
નરસિંહ મહેતાને એમની ભાભીએ મહેણું મારતાં આત્મજાગૃતિ થઈ હોઈ ગૃહત્યાગ કરીને તપ થકી મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવે તેમને કૃષ્ણની રાસલીલાનાં દર્શન કરાવ્યાં. આમ, આ મહેણાં થકી વિશ્વને મળે છે ગુજરાતી સાહિત્યના મધ્યકાલીનયુગના પ્રતિનિધિ, પ્રેમલક્ષણા ભક્તિપરંપરાના ઉદ્ગાતા નરસૈંયો, ઉર્ફે નરસિંહ મહેતા. એમણે અનેક કીર્તનો થકી નીતિમત્તા અને ભક્તિનો સમન્વય કરીને સમાજને જાગૃત કરવા યોગદાન આપ્યું. ગાંધીજીનું પ્રિય ભજન, “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” થકી વિશ્વભરમાં જૂનાગઢને ભારતના નકશા પર ઉજાગર કર્યું. આમ, અન્ય કેટલાંય કીર્તનો-ભજનો એમણે રચ્યાં અને ગામગામ ફરીને લોકોમાં ભક્તિરસ થકી જ્ઞાન માર્ગનો પરોક્ષ રીતે મહિમા કરતા રહ્યા.
રામાયણ અને મહાભારતના કાળનું અનુસંધાન, ગાંધીજીના પ્રિય ભજન, “વૈષ્ણવજન”ના રચયિતા, નરસૈંયાની પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા કવિ સાધે છે અને અહીં કવિનો કસબ ઉજાગર થાય છે.
ગાંધીજી “રઘુપતિ રાઘવ રાજારામ” પણ ગાતા, ગીતા પણ વાંચતા અને વૈષ્ણવજન પણ સાંભળતા. કેટલી સહજતાથી કવિ આ યુગધર્મ નિભાવી જાય છે!
મહેણું મારનાર આ બધી જ નારીશક્તિઓને કવિ વંદન કરે છે, ત્યારે કવિ સાથેની ભાવયાત્રા પર નીકળેલો ભાવક પણ અનાયાસે શીશ ઝૂકાવીને બેઉ હાથે નમન કરી લે છે.
આખુંયે ગીત વાંચતા થયું કે મહેણું તો માર્યું પણ એ મહેણાંને પોતાનું મિથ્યાભિમાન બાજુ મૂકીને, સાંભળનારાઓને કારણે રામાયણ, ગીતા અને ભજનનું નવનીત પ્રાપ્ત થયું અને આત્મા તથા જગતની શાંતિ માટે શું કરવું ન કરવું એની શીખ મળી. અહીં એક વાત ફરી ફલિત થાય છે કેઃ
“નિર્મમો નિરહંકારઃ સ શાંતિમધિગચ્છતિ!”
ચૈત્રી નવરાત્રીના પ્રારંભમાં, આજે નારીશક્તિનો મહિમા કરીને નકારાત્મકતાને પણ ઉર્ધ્વગતિકારક બનાવનારા શબ્દોને આમ ઉજાગર કરવા બદલ કવિને અભિનંદન.
***
excellent asvad