“ઉઘાડી રાખજો બારી” (લેખ) ~ કામિની મહેતા
દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી
પ્રભાશંકર પટ્ટણીના આ કાવ્યમાં જીવનનો ગહન સાર સમજાવવામાં આવ્યો છે.

બારી એટલે શું? બહારની દુનિયામાં ડોકિયું કરવા, તેની સાથે સંપર્કમાં રહેવા માટેનું એક આધાર એટલે બારી. પછી એ બારી ઘરની હોય કે આપણાં મનની.
ઘરમાં બારીનું ખૂબ મહત્વ છે. નવું ઘર લેવા જઈએ ત્યારે બારીની દિશા ખાસ જોવાતી હોય છે. બારી વાટે જ ઘરમાં પ્રકાશ, ઊર્જા પ્રવેશે છે. બારી વગરનું ઘર એટ્લે બંધિયાર. બારીને ‘વાતાયન’ પણ કહે છે. ‘વાત’ અર્થાત હવાની જેમ વહેવું..
સુરેશ દલાલની એક વર્તમાનપત્રમાં આવતી એક વિખ્યાત કૉલમ હતી ‘મારી બારીએથી’. એમાં માણસના મનનું સરસ અવલોકન કરતો દૃષ્ટિકોણ હતો.
મારી બારીમાંથી હું બહારની જે દુનિયા જોવું છું, તે જ મારું વિશ્વ. બારીમાથી આકાશનો એક ટુકડો મારી અંદર પ્રવેશે છે, અને મારા મનના અવકાશને ભરી દે છે. ક્યારેક હવાની લહેરખી પ્રવેશે તો ક્યારેક ચાંદનીની શીતલ દુધિયા કિરણો પ્રવેશે. બહારની દુનિયામાં અંધારું છે કે અજવાળું, એ મને બારી દ્વારા જ જણાય.
સૂર્ય તો બધી જગા પર સમાન રૂપથી પ્રકાશતો હોય છે. મારે જો તેનો પ્રકાશ જોઈતો હોય તો મારે મારા ઘરની બારી ઉઘાડી રાખવી જોઈએ. પ્રકાશ અને હવાની સાથે બહારની દુનિયાના અવાજો, પંખીઓનો કલરવ, બાળકોનો મધુર કોલાહલ બારી વાટે જ ઘરમાં પ્રવેશે છે.
જેવી રીતે ઘરની બારી મને એકલતાથી દૂર રાખે છે, તેવી જ રીતે મારા મનની બારી મારી સંકુચિતતા, જડતાને દૂર કરે છે. સંસ્કારવશાત કે અમુક જડતાને કારણે નવા વિચારો કે પરિવર્તનો મન સ્વીકારી શકતું નથી. સંકુચિત માનસ નવા વિચારોને આવકારી શકતું નથી. જાતપાતની બેડી, રૂઢિગત પ્રથાઓની સંકુચિતતામાંથી બહાર આવવું હોય, તો નવા વિચારોનો સ્વીકાર કરવો પડે.
‘હમારે જમાને મે એસા થા.’ એવા મિથ્યા અભિમાનમાંથી બહાર આવવું પડે. જમાના સાથે રહેવા તેની સાથે ચાલવું પડે. નવા વિચારોને આવકારવા જોઈએ.
તેવી જ રીતે ફક્ત પોતાની જ માટે વિચારતા લોકો એ થોડું સમાજ માટે, દેશ માટે પણ વિચારવું જોઈએ. સમાજનું, દેશનું આપણાં પર ઋણ છે.

બીજાના દુ:ખ જોઈ તેમના પ્રત્યે થોડી સંવેદના રાખવી, તેમની માટે મદદનો હાથ લંબાવવો એ મનુષ્યનું કર્તવ્ય છે, માનવધર્મ છે.
એક બારીમાંથી લંબાએલો હાથ જો કોઈના જીવનમાં થોડી ખુશી, થોડી રાહત આપી શકતો હોય તો તેના જેવો પરોપકાર કોઈ બીજો નથી. પ્રાચીન યુગમાં થયેલા ઋષિ મુનિઓ એ સમાજકલ્યાણ ખાતર પોતાની જાત ઘસી નાખી હતી.
સ્વામી વિવેકાનંદનો જીવનનો એક પ્રસંગ છે.

સ્વામીજી સમાધિમાં જ મગ્ન રહેવા ઇચ્છતા હતા. ત્યારે તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ એ તેમણે ઠપકો આપ્યો.. મેં તો માન્યું હતું કે તું છાયા પાથરતા મહાન વટવૃક્ષ સામો થઈશ. દીન દુખિયારાની મદદ કરીશ. પણ તું તો તારા પોતાના સુખમાં જ નિમગ્ન છે. એ પછી વિવેકાનંદે કહ્યું કે જ્યાં સુધી છેલ્લો મનુષ્ય મુક્ત નહીં થાય ત્યાં સુધી હું મુક્તિની ઈચ્છા નહીં કરું..
આજે માનવી ચાંદ પર પહોંચી ગયો છે, પણ બીજાના મન સુધી નથી પહોંચી શક્યો. માણસ સ્વકેન્દ્રી થયો છે. સ્વાર્થી માનસ બીજાને ખુશી માટે વિચારતું નથી.
ક્યારેક આંગળી ચીંધયાનું પુણ્ય પણ મળી જતું હોય છે. ફક્ત આંગળી ચીંધવાથી કોઈ ભૂલેલા પથિકને તેનો રસ્તો જડી જાય..એના જેવું કોઈ ઉત્તમ કાર્ય નથી. બાદલ ફિલ્મનું એક ગીત હતું:
અપને લિયે જીયે તો કયા જીયે,
તું જી એ દિલ ઝમાને કે લિયે
~ કામિની મહેતા
+91 9322657056
વાહહહહ