આ પણ પ્રાર્થના જ છે ભાઈ! ~ લેખ ~ અનિલ ચાવડા
પ્રાર્થનામાં ગજબની શક્તિ છે. તે આત્માના અંધારિયા ઓરડામાં દીવો પ્રગટાવી દે છે. અંધ આંખમાં દૃશ્યો રોપી દે છે અને નિર્જીવ ચરણને રસ્તા પર દોડતા કરી દે છે. એ ઉજ્જડ ઝાડ જેવા જીવતર પર કૂંપળ ઉગાડી આપે છે.
ભાંગીને ભુક્કો થઈ ગયેલી તમામ આશાને ઈંટો જેમ ગોઠવીને એક ભવ્ય મહેલ રચી શકે છે. જ્યારે દવા પોતાનુંં કામ કરવામાં ધીમી પડે ત્યાં દુવા પોતાનું કામ કરે છે.
આપણે શરીરને ચોખ્ખું રાખવા સાબુ, લોશન, શેમ્પુ, ક્રીમ, પાવડર અને બીજી અનેક પ્રકારની સાધનસામગ્રીનો ઉપયોગ કરીએ છીએ. કોકને રૂપાળા લાગવાનું આપણને ગમતુંં હોય છે. તમે સરસ દેખાવ છો, એવું કોઈ કહે ત્યારે ખૂબ આનંદ થતો હોય છે.
જેમ શરીરને સ્વચ્છ રાખવા સ્નાન જરૂરી છે, તેમ અંતઃકરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના જરૂરી છે.
રોજ સવારે ઊગતો સૂરજ નવા જીવનનો સોનેરી પ્રકાશ પાથરે છે. પંખીઓ રોજેરોજ આનંદથી ટહુકે છે. તેમને પણ મુશ્કેલીઓ આવતી હશે. છતાં તેમની રોજના આનંદમાં જરા પણ ઓછપ નથી આવતી.
તેમને કશું ગુમાવ્યાનો ગમ નથી, કશુંક મેળવી લીધાનો અહમ પણ નથી. પોતાની જરૂર કરતા જરા પણ વધારે તેમને ફાવતું નથી. મર્યાદિત વસ્તુઓમાં જિંદગીનો અમર્યાદિત આનંદ તેઓ લઈ શકે છે. તેમનો આ નિજાનંદ જ તેમની પ્રાર્થના છે.
આપણી મુખ્ય તકલીફ એ છે કે આપણી પ્રાર્થનાઓમાં મોટેભાગે આપણો અંગત સ્વાર્થ ટપકતો હોય છે. મંદિરના પગથિયે પગથિયે આપણી માગણીની યાદી લંબાતી જતી હોય છે.
પરિણામે એ પ્રાર્થના આજીજી બનીને રહી જાય છે. એવું લાગે છે જાણે આપણે ઈશ્વર પાસે કશુંક માગવા કરીગરી રહ્યા હોઈએ. જેની સાથે કશી જ લેવાદેવા પણ ન હોય એવા વ્યક્તિનું પણ હિત ઇચ્છવા માંડો પછી પ્રાર્થનાની કશી જરૂર નથી. કોઈને મદદ કરવાની શક્તિ તમારામાં ન હોય ત્યારે તેની માટે પ્રાર્થના ચોક્કસ કરજો.
પ્રાર્થનાનું વાઇફાઈ જેવું છે. પરમાત્માનો ટાવર એટલો ઊંચો છે કે બધે જ તેનું નેટવર્ક પકડાય છે. મજાની વાત એ છે કે પ્રભુના વાઇફાઈનો કોઈ પાસવર્ડ નથી. તમારી શ્રદ્ધા એ જ તમારો પાસવર્ડ. તેને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી, કે નથી જાત સાથે લેવાદેવા.
તેને રંગરૂપ, અમીરગરીબ, નાનું-મોટું કશું જ અસર કરતું નથી. જો અસર કરે છે તો માત્ર ને માત્ર હૃદયની સચ્ચાઈ.
આપણા મનના મોબાઈલને ઈશ્વરના વાઇફાઈ સાથે કનેક્ટ કરવું હોય તો પવિત્રતા, નૈતિકતા અને પ્રામાણિકતા પ્રથમ શરત છે.
એક ગામમાં એક ખેડૂત રોજ સવાર પડે ને ખેતર ઊપડી જાય. ન ક્યારેય મંદિરમાં જાય, ન આરતીમાં જોડાય. પુજારીએ તેને ઘણી વાર કહ્યું કે ગામના બધા આવે છે તું કેમ નથી આવતો? શું તને ઈશ્વરમાં શ્રદ્ધા નથી?
ખેડૂત કશું બોલ્યા વિના ચૂપચાપ સાંભળતો રહેતો. એક દિવસ પૂજારીથી ન રહેવાયું. તે ખેડૂતની પાછળ તેના ખેતર સુધી પહોંચી ગયો.
કહ્યું, તુંં તો સાવ નાસ્તિક છે. આ શું ખેતરમાં આખો દિવસ તન તોડ્યા કરે છે, ક્યારેક ઈશ્વરના સાંનિધ્યમાં સમય વિતાવ. ક્યારેક બીજાઓના ભલા માટે પ્રાર્થના કર. તારી આવક વધારવા માટે આમ ખેતરમાં મંડ્યો ના રહીશ.
જવાબમાં ખેડૂતે કહ્યુંં કે મારો પરિશ્રમ એ જ મારી પ્રાર્થના છે. હું ખેતરમાં અનાજ ઉગાડું છું, તેમાંથી અનેક પંખીઓ, પશુઓ, માનવોનું જીવન ચાલે છે. મારી પ્રાર્થના બંધ થશે તો કેટલાય રઝળી પડશે.
ખેડૂતની આટલી વાત સાંભળીને પુજારીને મંદિરમાં જે ક્યારેય નહોતું સમજાયું તે ખેતરમાં આવીને સમજાઈ ગયું.
એ દિવસથી તેણે પણ ચોવીસે કલાક મંદિરમાં ધૂપ-દીવા-પૂજા-આરતી કરવાનું બંધ કરી દીધું. તે ગામના રસ્તાની સાફ સફાઈ કરવા લાગ્યો. ત્યાંથી નવરો પડીને બીમાર લોકોની સેવા કરવા માંડ્યો. હજી સમય બચતો હતો તો નાના બાળકોને ગીતો શીખવવા માંડ્યો.
કોઈકે કહ્યું,. તમે તો પેલા ખેડૂતને નાસ્તિક કહેતા હતા, પણ આ તો તમે પોતે જ નાસ્તિક થઈ ગયા હોય એવું લાગે છે. મંદિરમાં પ્રાર્થના કરવાનું મૂકીને રસ્તાનો કચરો વીણવા માંડ્યા છો. આવું કેમ?
પૂજારીએ એટલું કહ્યુંં, આ પણ પ્રાર્થના જ છે ભાઈ!
~ અનિલ ચાવડા
Anil bhai excellent heart touchable lekh. To Day Politician people must read seva mate elected thavu jaruri nathi. my chair i loved it any rite chair madvo mara kutumb ni seva karva. bija jay hava khava. mari khurshi mai khushri kaha chali gayi o kurshi pachi ave tane sone madhavu re.
Very nice and true