ચારે તરફ દે દર્શન, ઈશ્વરની આ નિશાની ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને એક લેખ
આપ્યું ઘણું છે ઈશે, માગો ન હાથ જોડી
માણી શકો તો માણો, સુંદર છે જિંદગાની
પર્વત, નદી, સરોવર; આ કેટલી સખાવત
ચારે તરફ દે દર્શન, ઈશ્વરની આ નિશાની
ઈશ્વર મંદિરોમાં મૂર્તિરૂપે છે ને પ્રકૃતિમાં નદી, પર્વત, વૃક્ષ, ફૂલ વગેરે અનેક રૂપે વિદ્યમાન છે. ફૂલોનું રંગવૈવિધ્ય, નાનકડી કોતરથી વહેતી અને માઈલોના માઈલો વિસ્તરતી નદીની તરંગલીલા, પર્વતોનું આકાર વૈવિધ્ય, વૃક્ષોનું પરોપકારી વૃક્ષોપનિષદ આપણને ધન્ય અને સમૃદ્ધ કરે છે. ઈશ્વર બીજ બનાવે છે, આપણું કામ એને વાવવાનું ને વિસ્તારવાનું છે. જય સુરેશભાઈ દાવડા વૃક્ષોના વૈકુંઠને નિરૂપે છે…
નથી કેવળ એ ડાળી, મૂળ, થડ કે પાનનાં વૃક્ષો
બીજાને કાજ જીવે સંતની પહેચાનનાં વૃક્ષો
ઋષિમૂનિઓ, ફકીરો, ઓલિયા, સાધુ-મહાત્માઓ
યુગો સુધી ન ખૂટે સ્ત્રોત એવાં જ્ઞાનનાં વૃક્ષો
ઋષિમુનિઓ વિશાળ વૃક્ષ નીચે સાધના કરતાં હોય એવું આપણે અવારનવાર વાંચ્યું છે. કોઈને શોપિંગ સેન્ટરમાં બોધિતત્ત્વ લાધે એવી શક્યતા નહિવત છે. પરમ સાથેના અનુસંધાન માટે પણ એક વાતાવરણ જોઇએ. બહારનું અને અંદરનું એમ બંને વાતાવરણનો સુમેળ સધાય તો મોતી જેવા તારણો હાથ લાગે. ડૉ. વિવેક મનહર ટેલર વૃક્ષત્વના મૂળ સુધી જાય છે…
પ્રેમ મારો જેમ વિસ્તરતો ગયો
એમ ધરતીમાં વધુ ખૂંપ્યો છું હું
ટાઢ-તડકો-વૃષ્ટિ હો કે પાનખર
હર મિજાજી મોસમે ખીલ્યો છું હું
ઉનાળાનો આકરો તાપ ઝીલતું ઝાડ કોઈ પાસે છત્રી નથી માગતું. ચૂપસાપ એ તાપ સહી લે છે ને ઉપરથી છાંયડાની ભેટ ધરે છે. એના પર બંધાતો પંખીનો માળો નિરામય ઐશ્વર્યનું પ્રતીક છે. માળામાં આમ તો ડાળખાં ને ઘાસ, પણ એમાં સમાયેલો વિશ્વાસ અસીમ હોય છે.
ઇયળ પોતાને ખાઈ જશે એવો ડર રાખી પાંદડું ભાગી નથી જતું. પતંગિયું આવીને રસપાન કરે એમાં ફૂલ સંતુષ્ટિ અનુભવે છે. પ્રકૃતિના ગૌરવગાન જેટલા ગવાય એટલા ઓછાં છે. રાજેન્દ્ર શુક્લ એને સર્જકતાનો સંસ્પર્શ કરાવે છે…
મર્મરે છે પંખીઓ, પરણો, પવન
કલરવે કલ્લોલ કરતું વૃક્ષ છું
ડાળ નીચે, મૂળ ઊંચે શબ્દનું
હું પરમ મકરંદ ઝરતું વૃક્ષ છું
આમ જુઓ તો પચાસની ઉંમર પહેલા આપણે કેટલું કમાઈએ છીએ એ જોવાનું હોય અને પચાસ પછી આપણે કેટલું આપીએ છીએ એ જોવાનું હોય.
જિંદગી અરસપરસ જીવાતી હોય છે. પ્રકૃતિના વિવિધ તત્ત્વો સંપીને રહે છે. પર્વતના પગ પખાળતી નદી નાનમ નથી અનુભવતી. પર્વત ઊંચાઈનો ગર્વ નથી કરતો કારણકે તેને ખબર છે તેની ઉપર પણ વાદળો છે. સાગર નદીઓને સમાવીને પોતાનું આધિપત્ય વ્યક્ત નથી કરતો, પણ સ્વીકારનું સૌંદર્ય દર્શાવે છે. આખરે ભાવના તર્પણ, અર્પણ અને સમર્પણની છે. સ્વાતિ રાજીવ શાહ પ્રકૃતિલીલાને નીરખે છે…
સરસરાતા આ પવનમાં વાંસળી વાગી રહી
ભાવ કોઈ આ હૃદયનાં દ્વાર ઊઘાડી ગયો
બાગનાં સૌ ઝાડ સંકોરી ગયાં છે પાંદડાં
છાંયડાને પામવા હું થડ સુધી પ્હોંચી ગયો
પર્યાવરણના પાઠ શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. એ ખરેખર તો મોટાઓને પણ ભણાવવા જોઈએ. પ્રાકૃતિક સ્થળોએ જ્યાં ત્યાં ફેંકાતી પાણી ને પીણાંની બોટલ, વેફરના તરછોડાયેલા રેપર્સ વગેરે અનેક પ્રકારનો કચરો ફેંકતા હાથ ગુનાહિત ભાવ કેમ નહીં અનુભવતા હોય એનું આશ્ચર્ય થાય છે.
કેટલાક અળવીતરા લોકો હાલતાચાલતાં ઝાડની ડાળી તોડી નાખે છે. આવા લોકોની આંગળી મરડાય એ જરૂરી છે. શાંતિલાલ કાશિયાણી આપણી વિચિત્ર માનસિકતા દર્શાવે છે…
ફૂલોનું રક્ત કાઢવા મથે છે માનવી અહીં
તરુવરો ઉજાડવા મથે છે માનવી અહીં
જે ડાળ પર એ બેસતો, ને એ જ ડાળ કાપતો
ધરાને રણ બનાવવા મથે છે માનવી અહીં
લાસ્ટ લાઈન
ક્યાં છે એ સાંજ નમણી? પળ યાદગાર ક્યાં છે?
ઝરમર, નદી, પવન ને, નૌકાવિહાર ક્યાં છે?
ખુલ્લા વિશાળ નભમાં, ટમટમતા તારલા, ને
જે ટાઢ ઓઢતા’તા, એવી લગાર ક્યાં છે?
એ ચાંદનીમાં તારી, હૂંફે લપાઇને જે
ચ્હેરો ખિલે જલજ સમ, એવો નિખાર ક્યાં છે?
ક્યાં છે હવે એ માદક, કળિઓ શી બંધ રાતો?
ને ખુશનુમા ઉઘડતી, મારી સવાર ક્યાં છે?
સઘળી ઋતે ને પળ-પળ, શ્વાસોમાં જે શ્વસુ છું,
એ અર્થને `પ્રણય’ના, સમજાવનાર ક્યાં છે?
~ ડૉ પ્રણય વાઘેલા
વાતાવરણ લક્ષી સુંદર લેખ અને સંકલન. બધા જ લેખકો એ સુંદર લખ્યું અને તે બદલ આપનો અને સર્વનો આભાર અને સર્વને અભિનંદન. મિત્ર પ્રાણયને જવાબ આપતા જણાવવાનું કે તમારી પ્રથમ પંક્તિ
ક્યાં છે એ સાંજ નમણી? પળ યાદગાર ક્યાં છે?
ઝરમર, નદી, પવન ને, નૌકાવિહાર ક્યાં છે?
નો જવાબ આ અઠવાડિયામાં હું કેનકુન મેક્સિકોમાં હોવાથી એમ જ આપીશ કે એ નમણી સાંજ યાદગાર પર ઝરમર, પવન અને નૌકા વિહાર બધું જ અહીંયા છે અને હું માણી રહ્યો છું ભાઈ પ્રણયથી દુર પરંતુ કૌટુંબિક પ્રણય સાથે
સરસ રજૂઆત.
ખરેખર કહેવાતા educated and sophisticated લોકોને પ્રકૃતિનું મહત્વ સમજાતું નથી. પર્યાવરણની જાળવણીનો સંકલ્પ અબાલવૃધ્ધ સર્વે કરવો રહ્યો.
ખૂબ જ સરસ સંકલન.
મારા મુક્તકને સ્થાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર કવિ શ્રી હિતેનભાઈ!