સાત હાઈકુ ~ સ્નેહરશ્મિ ~ આસ્વાદઃ ઉદયન ઠક્કર

હાઈકુ વિષે થોડુંક….

હાઈકુ અથવા સત્તરાક્ષરી એ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે. સત્તર અક્ષરોનો બનેલો આ કાવ્યપ્રકાર કોઈ એક ભાવ, કલ્પન કે સંવેગ કે સંવેદના જગાડે છે. બાશો નામના કવિએ તાન્કામાંથી જે નવું રૂપ સર્જ્યું તે ‘હાઈકુ’ કહેવાયું.

19મી સદીમાં માશોકા શિકી દ્વારા હાઇકુ પ્રકારના કાવ્યનું નામકરણ કરવામાં આવ્યું હતું. હાઇકુની રચના એકદમ ટૂંકી, સાદી, અર્થસભર અને ધ્વનિપૂર્ણ હોય છે.

હાઈકુના સ્વરૂપનો અને એના ઇતિહાસનો અભ્યાસ કરનાર કેનેથ યાસુદાએ હાઈકુનાં ત્રણ મહત્ત્વનાં લક્ષણોની વાત કરી છે: when, what અને where.

જાપાનમાં એક જ પંક્તિમાં હાઇકુ લખવાની પ્રથા છે, જ્યારે અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરૂઆત થયેલી. હાઈકુમાં કવિના અંગત ભાવ કે કવિના ચિંતનને સ્થાન ઓછું આપવામાં આવે છે, હાઈકુમાં જે-તે વિષયવસ્તુને સ્થાન આપવામાં આવે છે.

હાઈકુ વાંચનાર વ્યક્તિના ચિત્તમાં સંવેદન ઉત્પન્ન થાય તો તેને હાઈકુની સફળતાનો આધાર માનવામાં આવે છે.

કવિ કેનેથ યેશુદાએ હાઇકુને ત્રણ પ્રકારમાં વિભાજિત કર્યા છે
(1) પ્રલંબ (vertical)
(2) ક્ષિતિજ (horizontal)
(3) તિર્યક (diagonal)
હાઈકુ વ્યકિત એક શ્વાસે બોલી શકતો હોવાથી કવિ કેનેથ યેશુદાએ તેને “એકશ્વાસી ” કાવ્ય તરીકે ઓળખાવ્યું છે.

અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યમાં પણ આ કાવ્યપ્રકાર ખેડાયો છે. ગુજરાતી સાહિત્યમાં હાઇકુ પ્રકારના કાવ્યોના સર્જનનો જશ સ્નેહરશ્મિને ફાળે જાય છે, સ્નેહરશ્મિને હાઇકુના પિતા કહેવાય છે. સ્નેહરશ્મિ દ્વારા હાઇકુનો સંગ્રહ “સોનેરી ચાંદ , રૂપેરી સૂરજ ” ઈ. સ. ૧૯૬૬માં બહાર પાડવામાં આવ્યો હતો. )

નોંધઃ  ઉપર આવેલી માહિતી અનેક અભ્યાસલેખો અને અભિપ્રાયો વાંચીને કરેલી ટૂંકી તારવણી છે, એ વાતની ખાસ નોંધ લેવી.
~ સંપાદક ‘આપણું આંગણું’)
***

સાત  હાઈકુ
(૧)
ઝાપટું વર્ષી
શમ્યું; વેરાયો ચંદ્ર
ભીનાં ઘાસમાં
(૨)
ફરતી પીંછી
અંધકારની : દીપ
નહીં રંગાય
(૩)
નવવધૂએ
દીપ હોલવ્યો : રાત
રૂપની વેલ
(૪)
રાત અંધારી :
તેજ-તરાપે તરે
નગરી નાની
(૫)
હિરોશીમાની
રજ લઈ જનમાં
ઘૂમે વસંત
(૬)
શાંત જળમાં
પ્રતિબિંબ, ફૂલનું
જુએ યૌવના
(૭)
ભરું પાણીડા :
સવા લાખની મારી
ચૂંદડી કોરી

~ સ્નેહરશ્મિ
~ આસ્વાદઃ ઉદયન ઠક્કર

સત્તર અક્ષરમાં અઢાર વાત તો ક્યાંથી થાય? માંડીને વાત કરવી હોય તો આખ્યાન લખવું અને છાંડીને વાત કરતાં આવડે તો હાઈકુ. ભાવક પર ભરોસો ન હોય તેણે હાઈકુના ધંધામાં પડવું નહિ.

હાઈકુ એટલે શું? ત્રિપગી ચમત્કૃતિ? સત્તારક્ષરી ઉખાણું? પંદરમી સદીમાં સોકાને લખ્યું,

‘મૂકી શકાય
ચન્દ્રે દાંડી તો પંખો
ફૂટડો થાય’

ચાલો, પંખો તો ફૂટડો થયો, પણ કવિતા?

સ્નેહરશ્મિનાં હાઈકુ વાંચીએ. ઝાપટું શમી ગયું છે. ઘાસની કેડે બાઝેલું એક બચુકડું ટીપું ઊંચે જુએ છે ને મલકાય છે. ચાંદીનું ચૂર્ણ ચમકતું ચારેકોર. જાણે મોતી વેરાણા ચોકમાં  –

‘સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે
હું નથી માનતો, આ ચંદ્ર તો ગપોડી છે.’

રાત પડી; અંધકારનો ખડિયો ખૂલ્યો; આકારો ઓગળ્યા નિરાકારમાં, ગોરી ધેનુ, લીલા કદંબ અને જામલી મોરપિચ્છ હવે શ્યામમય થયાં.

‘અલકમલક સીમને છેડે
વડની તળે, જલમાં કાળી શાહીનું ટીપું ભળે’
(મણિલાલ દેસાઈ)

ફરતી પીંછીં અંધકારની, પણ જ્યોતિનો સ્વભાવ જ અડવો. તિમિરોના સ્નેહ્સંમેલનમાં ભળી ન શકે. જમાનાના રંગે બધાં રંગાતા નથી. અડાબીડ અન્યાયો વચ્ચેય કેટલાંક ઉજ્જ્વળ રહી શકે છે.

અંધકાર સામે પટાબાજી ખેલતો દીપક નવોઢાની પહેલી જ ફૂંકે પરાસ્ત થઈ જાય છે અને જાગી જાય છે રાતનું રૂપ. ‘શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે?’ દીવો હોલવીને કવિ કલ્પનાને સંકોરી મૂકે છે.

રાતને સમે હિલસ્ટેશનથી ઊતરતાં ઊતરતાં તળેટીના કાળા જળમાં તેજનો તરાપો તરતો દેખાય છે. આ તે કઈ નગરી? અને આ નગરીમાં ‘ન’ ‘ત’ ‘ર’ ની કેવી નવતર ‘વર્ણ’ વ્યવસ્થા.!

હિરોશીમા અને નાગાસાકીમાં શું મહોરી શકે, સિવાય કે અસ્થિફૂલો? પરંતુ ‘બસંતીબાઈ’ તો બડી બેશરમ નીકળી! મૈયતમાં આવીને મહોબ્બતનાં ગાણાં ગાઈ ગઈ! ભસ્મને ગુલાલવત્ ઉડાડતી ચાલી! ‘વનમાં ઘૂમે વસંત’ લખી ‘વ’ નો વાણી વ્યાપાર કરવો સહેલો હતો, પરંતુ કવિએ વસંતને વનમાં નહિ, જનમાં ઘુમેડાવી. પહેલા ચરણમાં પંચાક્ષરી શબ્દ પછી બેત્રણ અક્ષરના શબ્દો ઉપરાઉપરી આવીને વાયરાને વેગ આપે છે.

કુદરતે કોની સાડીબાર રાખી છે? કરમચંદ ગાંધીના છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે પડખેના જ ખંડમાં પુત્ર મોહનની રતિક્રીડા ચાલતી હતી.

રાજા ઓડેસિયસના સાથીદારોને ટાપુ પરનો દૈત્ય કાચા ને કાચા ખાઈ ગયો તે રાતે વહાણ પર રાજાએ અને તેના રસાલાએ શું કર્યું? તો’ કે રડ્યા, કકળ્યા, પણ પછી ભરપેટ જમીને ઘસઘસાટ સૂતા. મોત તો છે જ. સાથે ખાવું-પીવું, નાહવું-ચાહવું, બધું જ છે.

બુલડોઝર  ફરી વળેલી બસ્તી પર બુલબુલો ગાય છે, કબર ફરતે કુંડાળું લઈ પતંગિયાં ગરબે રમે છે. આ હાઈકુને શીર્ષક આપી શકાય: ‘વસંતવિજય’.

છઠ્ઠા હાઈકુની યુવતી પુષ્પવત્ સુંદર છે, તેનું ચિત્ત જળવત્ શાંત. પુષ્પ દેખી તેને ચૂંટવાનું મન પહેલું થાય, અને સરવર દેખી કાંકરી નાખવાનું. આખી પરિસ્થિતિ કાચના કાચા વાસણ જેવી છે.

ફૂલનું પ્રતિબિંબ જોતી યુવતીને ક્યાંથી ખબર કે બિમ્બ એ પોતે જ છે? આપણે કદીક ફૂલ તરફ, કદીક પ્રતિબિંબ તરફ તો કદીક યુવતી તરફ જોતાં રહેવામાં શ્વાસ લેવાનું ભૂલી જઈએ છીએ.

આશાના આભલે ટંકાઈ, મનોરથના મોરલે ચિતરાઈ, પછી કુંવારિકાની ચૂંદડી કાં ન હોય સવા લાખની? પાણિયારેથી આવતી બાળા શૃંગારરસનું વહન કરી રહી છે, પાન નથી કરી રહી, એટલે  તરસી જ છે. સંત અને કવિમાં આટલો ફેર. એક ચુનરિયા કોરી રાખવા માગે ને બીજો રસછાંટણે ભીંજવવા.

કોક વાર, એક જ ‘પનઘટ પે’ સરખેસરખી બે સૈયરો પાણીડાં સાથે સીંચતી હોય. સરખાવો :
‘સોળ વરસની છોરી,
સરવરયેથી જળને ભરતી
તોયે એની મટકી રહેતી કોરી’
(પ્રિયકાંત મણિયાર)

***

આપનો પ્રતિભાવ આપો..