|

મારી માવલડી : આ કન્યા તો કોઈ રાજવી કે ગામધણીનું ઘર ઉજાળશે! ~ રશ્મિ જાગીરદાર (અમેરિકા)

મંગુભાઈ ઈનામદાર અને અંબાબેન ઈનામદારને ત્યાં એક કન્યારત્ન જન્મ્યું! જમાનો તો એ હતો, જયારે નવજાત બાળકીને ‘દૂધપીતી’ કરવાનો રીવાજ હજી અસ્ત નહોતો થયો, જો કે હા, આ પ્રથા અસ્ત તો આજે પણ ક્યાં થઇ છે? ફર્ક હોય તો એટલો જ કે, ત્યારે દીકરીઓને જન્મ લેવાનું સૌભાગ્ય (!) તો સાંપડતું જ, આજકાલ તો જન્મ પહેલાં જ!

આ ઈનામદાર કુટુંબમાં જે કન્યારત્ન પ્રગટ્યું, તે એક તો ઊંચા ખાનદાન, મોભાદાર ઘર અને પુણ્યશાળી માબાપનું પ્રથમ સંતાન હતું. વળી રત્ન શબ્દ પણ તેને માટે અતિયોગ્ય હતો, કારણ કે મોતી રંગનો વર્ણ, રૂબીની ઝાંય પથરાઈ  હોય, તેવો આછેરો રક્તરંગી ચહેરો, અને સોલીટેર હીરા મઢ્યા હોય તેવી સ્વચ્છ પાણીદાર આંખો!

સાચે જ રત્નનો ભંડાર લઈને જન્મેલી આ કન્યાનું નામ ‘કંચન’ સિવાય બીજું શું રાખી શકાય? કંચન તો સાચે જ પેલી પરી કથાની કુંવરીની જેમ દિવસે ના વધે તેટલી રાતે વધતી ગઈ, અને આ કંકુ પગલી કન્યાના શુભ પગલે માબાપને ત્યાં ત્રણ પુત્રરત્નો પણ જન્મ્યા. એને એક નાની બેન પણ હતી. સૌ ભાંડરડા કંચનને ‘મોટાં બેન’ કહેતાં.

એકવાર ગામમાં એક જ્યોતિષી આવ્યા, સૌએ એમને ઈનામદારના ડહેલે બેસવા કહ્યું. ગામના લોકો પણ પોતાનું ને ખાસ તો પોતાની દીકરીઓનું ભવિષ્ય જાણવા ત્યાં એકત્રિત થયા.

સૌથી પહેલો નંબર કંચનનો આવ્યો કારણ કે તેને ૧૧મું વર્ષ પૂરું થઈને ૧૨મું વર્ષ બેઠું હતું અને કન્યા ને ૧૨-૧૩ વર્ષે પરણાવી દેવાનો વણકથ્યો નિયમ હતો તે જમાનામાં.

જ્યોતિષીએ કંચનના બંને હાથમાં માછલીનું ચિન્હ જોઈ ને ભવિષ્ય  ભાખ્યું કે, આ કન્યા તો કોઈ રાજવી કે ગામધણીનું ઘર ઉજાળશે! અને સાચે જ જ્યોતિષીની આગાહી સત્ય ઠરી, જયારે કંચનના વિવાહ કંબોલા અને એવાં ત્રણ ગામના ધણી, શિવરામ ઈનામદારના સુપુત્ર ઠાકોરલાલ ઈનામદાર સાથે થયા.

કંચનને એક વાતની ખુશી જીવનભર રહી કે, લગ્ન પછી પણ તેની અટક ઈનામદાર જ રહી! આવું ભાગ્ય દરેક દીકરીને ક્યાં મળે છે!

લગ્ન એટલે શું તેની પણ ઝાઝી જાણ વગર ગણેશ આગળ બેઠેલી કંચનના મનના ભાવ કેવા હશે? થોડો ઉત્સાહ, થોડી અમૂંઝણ, થોડી અનિશ્ચિતતા ને અનેક ગણી આશા..! જાણે, ભીંતે ચીતરેલા ગણેશને તે પૂછે છે.

“ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ તમે બોલો,
આ મીંઢળ હું બાંધું?
આખા તે આયખાના મઘમઘતા કંચવાને,
પારકી તે ગાંઠથી હું ગાંઠું…?”

પાંચીકા રમવાની ઉમરે સાસરે જવું, ને તેમાય એ જમાનામાં તો ઘૂંઘટ ઓઢીને કામ કરવું કેટલું દોહ્યલું! પણ કંચન તો જેમ પિતા ને ત્યાં નોકર ચાકરોમાં ઉછરેલી તેમ જ સાસરે પણ હતું.

અસીમ સુંદરતા સાથે અપ્રતિમ બુદ્ધિમત્તાવાન કંચને સાસરે આવતાં જ પોતાનું સ્થાન અને કામ સમજી લીધાં. જાણે લગ્નની ભેટ સ્વરૂપે મળ્યો હોય તેમ, પતિની આગલી મૃત પત્નીનો પુત્ર તેને, લગ્ન વખતે જ પ્રાપ્ત થયો હતો. તેના ઉછેર અને સંસ્કાર સિંચનનું કાર્ય તેણે એવી રીતે ઉપાડી લીધું કે, પાછળથી તે દીકરાને સરકાર તરફથી પ્રમાણિકતાનું પ્રમાણપત્ર પણ મળેલું!

રાજકારણમાં સહજ હોય છે, તેમ સસરા- પથીચંદ ઈનામદારના મૃત્યુ પછી તરત કોઈએ ગાયકવાડ સરકારમાં લખાણ મોકલ્યું કે,

“મરનાર ગામ ધણીને કોઈ વારસદાર નથી તો ધણીપણું ખાલસા કરવું!”

આમાં કેટલાક અભણ ગામ લોકો અને કેટલાક વિરોધીઓએ સહી પણ કરેલી, એટલે ગામો ખાલસા થયાં ને સાલિયાણું બંધ થયું!

આવા કપરા સંજોગોમાં કોઈ પણ તૂટી જાય પણ પતિપત્ની બંને હિંમતવાળા, બાહોશ અને સાહસિક હતા. કંચને પતિને હિંમત આપી. તેઓએ સરકારમાં હાજર થઇને જણાવ્યું કે, “હું પોતે વારસદાર છું” પણ કમાનમાંથી નીકળેલા તીરની જેમ ખાલસા થયેલા ગામનો હુકમ પણ પાછો ન વળ્યો તે ન જ વળ્યો.

આવા બનાવોથી ડરી જાય કે ભાંગી પડે તેમાંનું આ દંપતી નહોતું, તેમનું ઘરબાર, પિતાએ બંધાવેલી શાળા, સ્વામીનારાયણનું મંદિર અને મંદિર ખાતે આપેલી ૨૦ વીઘા જમીન અને આખેઆખું ગામ મૂકીને ભાગ્ય અજમાવવા નીકળી પડ્યું આ દંપતિ.

ઈનામદાર દંપતિ પોતાના એકમાત્ર પુત્રને લઈને ધરમપુર પહોચીને ત્યાંના રાજાને વાત કરી, અહીં પણ ત્રણ ગામોની જવાબદારી સ્વીકારી.

ગામમાં ત્યારે આદિવાસીઓના છુટા છવાયા ઝુંપડા સિવાય કાંઈ નહોતું. ધીમે ધીમે મહેનતથી જમીનને ખેતી લાયક બનાવી. જુદા જુદા અનાજ, કઠોળ, તેલીબીયા અને કેરી તેમજ બીજા ફાળોની ખેતી ચાલુ કરી. ગામના લોકોનું પણ ધ્યાન રાખ્યું . ત્રણે ગામમાં પાણી માટે કુવા, કરીયાણાની દુકાન અને શાળા બંધાવી.

કંચનબેન, પોતાના પરિવાર સાથે એમાંનાં જ એક ગામ ‘ધોધડકુવા’માં રહેવા લાગ્યા. એ જ ઘરમાં તેમનું કુટુંબ વિસ્તર્યું. તેમને બીજા બે પુત્રો અને ત્રણ પુત્રીઓ જન્મ્યા જેનાથી તેમનું ઘર ભર્યુંભાદર્યું અને આનંદપૂર્ણ બની રહ્યું.

તેઓ પોતાના ખેતરમાં ડાંગરનો પાક સૌથી વધુ કરતાં કારણકે વરસાદ વધારે પડતો અને આબોહવા પણ અનુકુળ રહેતી.

આ ઉપરાંત તમામ કઠોળ અને તેલીબીયા તેમજ  શાકભાજી પણ ઉગાડતાં, જેથી વર્ષ ભરની ખાદ્યસામગ્રી ઘરની જ મળી રહેતી. આ સિવાય પણ ઘણી જમીન બાકી રહેતી જેમાં ઘાસની ખેતી કરવામાં આવતી હતી. આ ઘાસની ઘાંસડીઓ પ્રેસમાં તૈયાર કરવામાં આવતું ને રેલ્વે દ્વારા મુંબઈ મોકલાવાતી.

ઈનામદાર શેઠ પોતે આ બધા બહારના કામોમાં, તેમજ ખાલસા થયેલા ગામધણીપણાના, ગાયકવાડ સરકારમાં ચાલતા કેસ માટે એમ બહારના કામોમાં વધુ વ્યસ્ત રહેતા એટલે ખેતીનું બધું કામકાજ કંચનબેનની દેખરેખ હેઠળ ચાલતું. આમ તેમનું જીવન સરસ રીતે વહેતું હતું.

આવા નાનકડા ગામોમાં પાણી, વીજળી કે વાહનની કોઈ જ સગવડ નહોતી તો પછી ગામમાં ડોક્ટર, દવાખાના કે સારવાર તો હોય જ ક્યાંથી? પરિણામે દર વર્ષે અનેક લોકો સારવારના અભાવે જીવ ગુમાવતા, આવામાં કંચનબેનના પોતાના બે નાના દીકરાઓ પણ હોમાયા. એકની ઉમર પાંચ અને બીજાની અઢી વર્ષ.

પોતે ઘોડાગાડી રાખતા પણ ચીલ ઝડપે વધતી માંદગીની સામે ઘોડાગાડીની ઝડપ ઘણી ઓછી પડતી!  ખરેખર તો સામાન્ય લાગતી માંદગી, ડોક્ટર, દવા, અને સારવારના અભાવે તો ક્યારેક સમયસર વાહન ન મળવાથી, શહેરની હોસ્પિટલમાં સમયસર ના પહોંચવાને કારણે, માંદગી ઘાતક બનતી.

પોતાના બબ્બે પુત્રોને એક-દોઢ વર્ષના ગાળામાં ગુમાવનાર માબાપની દશા કલ્પનાતીત હતી. બંને ભારે સમજુ હતા, તેઓ એકબીજાને આશ્વાસન આપવા પ્રયત્ન કરતાં અને કારમા ઘાને કાળજે સમાવી સ્થિતિ સામાન્ય કરવા મથતા. ક્યારેક પતિ તો ક્યારેક પત્ની સાવ ભાંગી પડતા, પણ સમજદારીથી એકબીજાને સંભાળી લેતા.

અંતે બંનેએ નિર્ણય કર્યો કે આપણે દીકરીઓને પણ દીકરાથી સવાઈ ગણીને ઉછેરીશું અને ભણાવીશું. અને સાચે જ જયારે છોકરાઓ પણ માંડ વર્નાક્યુલર ફાઈનલની ડીગ્રી લેતા, ત્યારે આ માબાપે ત્રણે દીકરીઓને કોલેજ ભણવા મોકલી. એટલું જ નહિ પોતે, ભણતરનું મહત્વ સમજીને, વલસાડ જીલ્લાના પોતાના ત્રણે ગામોમાં  શાળા  બંધાવી ને કેળવણીને ઉત્તેજન આપ્યું.

આ કારણથી ૧૯૬૨ની સાલમાં તેમના સંતાનો અને માબાપને ખંભાત અત્રાપી મંડળના ઉપક્રમે, ત્યારના શિક્ષણપ્રધાન શ્રી મગનભાઈ બારોટ તરફથી બિરદાવવામાં આવ્યા.

પોતાના ગામોમાં પાણી માટે કુવા, જીવન જરૂરિયાતની ચીજો માટે કરિયાણાની દુકાનો અને ગામના બાળકોની કેળવણી  માટે, શાળાઓની વ્યવસ્થા તો કરી જ પણ, હજી લોકોને માંદગીથી રક્ષણ મળે તે માટે, કૈક કરી છૂટવાનો વિચાર હતો જે અમલમાં મુકે તે પહેલાં જ, ૧૯૫૫ની સાલમાં “સમાજવાદ ઝિંદાબાદ”ના સૂત્ર સાથે લાલ ટોપીધારી સમજવાદ દ્વારા મોટા જમીનમાલિકો સામે આંદોલન ચલાવ્યું.

દિવસે ને દિવસે આંદોલન ઉગ્ર બનતું ગયું. ગામના આદિવાસી લોકોને, માલિકોને ત્યાં મજુરી કરવા જતા રોક્યા. ખેતીનું કામ ઠપ્પ થઈ ગયું! આવામાં કંચનબેન અને શેઠે પોતાના પંચમહાલ જીલ્લામાંથી મજુરો લાવીને ખેતીનું કામ ચાલુ રાખવાના મરણિયા પ્રયાસો આદર્યા.

આ બાજુ સમાજવાદનું આંદોલન પણ પુરજોશથી ચાલુ હતું. તેમના આગેવાનોએ, જ્યાં આવી રીતે ખેતીનું કામ ચાલુ હતું, ત્યાં ૫૦૦૦થી ૬૦૦૦ મજૂરોના ટોળાઓ લઈને ઊભા પાકમાં, આગ લગાડવાનું ચાલુ કર્યું.

સતત સાત વર્ષો સુધી આંદોલન ચાલતું રહ્યું ને ઊભા પાકો ખેતરમાં બળતા રહ્યા. આવી કટોકટીમાં આ દંપતીએ, પોતાની બે-બે દીકરીઓના એકસાથે લગ્ન લીધાં. તે જ વખતે મોરારજી દેસાઈનો “ગોલ્ડ એક્ટ” પણ લાગુ હતો!

બબ્બે દીકરીઓના કરિયાવર કરવામાં આ ઈનામદાર દંપતી કેવું હેરાન થયું હશે? પણ આવા બાહોશ, સાહસિક, હિંમતવાન અને ધિરજવાન દંપતી, હંમેશની જેમ આ કસોટીમાંથી પણ પાર ઉતર્યાં.

જીવનસંઘર્ષ સામે લડતા લડતા થાક તો લાગે જ, પણ થાક ખાવાનો સમય તો ભગવાન જ આપી શકે, એ ન્યાયે વધુ સમય મળે તે પહેલાં જ કંચનબેનના પતિને ઉપર જણાવેલા બધા કારણો અને ટેન્શનોને લીધે, લકવાનો એટેક આવ્યો.

તે સમયે પણ ડોક્ટર, દવાખાના અને સારવારના અભાવે, અને ખાસ તો ઝડપી વાહનોના અભાવે મોડું તો થયું જ પરંતુ બોમ્બેમાં મરીન લાઈન્સ આવેલી “બોમ્બે હોસ્પિટલ”માં દાખલ કર્યા, ત્યાં ત્રણેક મહિના રાખીને  સેવા અને સારવાર કરીને કંચનબેન પોતાના પતિને સાજાસમા લઈને ઘરે આવ્યા, જોકે માંદગીએ પોતાની અસર તો છોડી જ હતી!  પરિણામે હવે જીવનના દરેક ક્ષેત્રે બધી જ જવાબદારી કંચનબેને પોતે ઉઠાવવી પડતી.

તેઓની આસપાસની જમીનના માલિકો મોટેભાગે પારસી હતા. તેઓ તો સમાજવાદના આંદોલનથી થાકીને અને ખેતરો બાળતાં એનાથી ગભરાઈને, ખેતીકામ બંધ કરી, ક્યારના શહેર ભેગા થઈ ગયા હતા. પણ કંચનબેને એકલે હાથે સંઘર્ષ કરીને ખેતી ચાલુ રાખી.

તેઓ પોતે કાપણી ચાલતી હોય ત્યારે લાઈસન્સવાળી બંદુક લઈને ખેતરમાં હાજર રહેતાં, જેથી આગ લગાડવા આવતા સમાજવાદીઓનો સામનો થઈ શકે. એમના આ બહાદુરીભર્યા કામોને લીધે આજુબાજુના સૌ જમીનદારો તેમને ‘ઝાંસીની રાણી’ કહીને બિરદાવતા!

આ ‘કંચનબેન’ તે જ મારી માવલડી!

આ તેજસ્વી મહિલા વિષે એક નવલકથા પણ લખી શકાય, પણ શબ્દોની મર્યાદા જાળવીને કહું તો, તેમણે તેમને ભાગે આવેલું દરેક કાર્ય અને જવાબદારી, પૂરી નિષ્ઠાથી અને સફળતાપૂર્વક નિભાવી હતી.

પોતાના બધા બાળકોને ભણાવ્યા જ નહિ ગણાવ્યા પણ ખરા. પોતે આચરણથી સદગુણો સીંચ્યા. સૌને સારા ઠેકાણે પરણાવ્યા, બધાજ રીવાજો નિભાવ્યા, એટલે સુધી કે બધા પૌત્ર-પુત્રીઓ અને દોહિત્ર-દોહિત્રીઓના પ્રસંગો પણ રૂડી પેરે ઉજવ્યા.

આ બધી ખૂબીઓ ઉપરાંત પોતાના માયાળુ, દયાળુ અને ઉદાર સ્વભાવ તેમ જ હંમેશા હસતી રહેતી, પાણીદાર આંખો, અને ઉંચી બુદ્ધિમત્તા, એ તેમની આગવી ઓળખ હતી. એને લીધે તેમના સંપર્કમાં આવનાર કોઈ પણ તેમને ક્યારેય ભૂલી નહી શકે.

તેમના જીવનનો આ પ્રસંગ ના કહું તો તેમનામાં રહેલા અખૂટ આત્મવિશ્વાસ  માટે અન્યાય ગણાશે. તેમના એક દોહિત્રનો મિત્ર જયારે આવે ત્યારે તેમને પગે લાગતો, વાતોમાં તેમણે જાણી લીધું કે, તે ઘણો ગરીબ છે ને હવે આગળ ભણવું તેના માટે શક્ય નથી. એકવાર બેસતા વર્ષના દિવસે તે છોકરો આવીને બાને પગે લાગ્યો તેમણે શુકન માટે ૧૦ રૂપિયાની નોટ કાઢીને કહ્યું.

”લે બેટા, આ સાચવીને  રાખજે. જો મારા બંને હાથમાં માછલીઓ છે એટલે મારા આશીર્વાદ ફળે જ છે. તું પાંચ વર્ષમાં જ તારી પોતાની ગાડી લઈને મને પગે લાગવા આવજે, જા દીકરા, તને મારા આશીર્વાદ છે.”

અને તમે નહિ માનો, ખરેખર તે છોકરો બાની હયાતી માં જ પાંચ વર્ષ પૂરા થાય તે પહેલાં જ, પોતાની ગાડી લઈને આવ્યો અને કહ્યું,

”જુઓ બા તમારી ગાડી!”

ફરજંદ કોઈનું પણ હોય તે ના ભણે તે ન  ચલાવે, તેની બધી જરૂરિયાત પૂરી પાડે ને, કહે,

“લે હવે ભણ!”

મારા અનુભવે મને સમજાયું છે કે, દીકરીને માતાના ગુણો જ દેખાય, દોષ તો શોધ્યા ય ના જડે. હા, દીકરાને કદાચ જડી આવે તે પણ લગ્ન કરે પછી જ!

મારી માવલડીનો એક દોષ, ખરેખર તો ગુણ જ! મને જડ્યો, બહુ જ સંશોધન કર્યાં પછી! તેઓ અત્યંત શિસ્તપ્રિય અને સમયના પાબંદ હતાં, અને અમને બાળકોને કડક રીતે આ બધું પળાવતાં. તેમાં અમારી ચૂક થાય તો ખૂબ ગુસ્સે થતાં! અને એ ગુસ્સે થાય ત્યારે એમની બહું બીક લાગતી! અત્યારે પણ એવું કંઈ થઈ જાય તો તરત મનમાં થાય કે, હમણા બા બોલશે!

બાનું માતૃત્વ એના પોતાના બાળકો ઉપરાંત તેના સંપર્કમાં આવતી તમામ વ્યક્તિઓ માટે એક હૂંફાળી છાયા સમું બની રહેતું.

અમે નાના હતા ત્યારે અમારી પરીક્ષા કે નોકરીના ઇન્ટરવ્યુ કે હરીફાઈ વખતે અમે બાને કહેતા કે તું પ્રાર્થના કરજે તારા ભગવાનને!

વર્ષો પછી અમારા બાળકોના તમામ અગત્યના અને સારા કામ વખતે અમે સૌ બાને આ જ વાક્ય વારંવાર કહેતા રહેતા. એક વાર બાને કહીએ પછી અમને જરાય શંકા નહોતી રહેતી. જેટલી શ્રધ્ધા અને વિશ્વાસ અમને બાની પ્રાર્થનામાં હતાં, એથી વધુ શ્રદ્ધા અને વિશ્વાસ બાને એના ભગવાનમાં હતા.

~ રશ્મિ જાગીરદાર (અમેરિકા)

ઈનામદાર દંપતિ: મારા જન્મદાતા

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. આપના માતૃશ્રીની હિંમત, સૂઝબૂઝને શત શત પ્રણામ.🙏
    ખરા ઝાંસીની રાણી.👏👏👏

  2. Rashmiben, I had tears in my eyes! You know what, at the same time, this explains your sharpness, courage, efficacy and compassion within you.
    તમારા કંચનમાને મારા પ્રણામ.