આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૨૬ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં. ૨૬
પ્રિય દેવી,
તારી વાત સાચી છે વૃદ્ધાવસ્થા આગળ ઝુકી જવાનું આપણા સ્વભાવમાં જ નથીને!
સુ.દ.ની એક કવિતાની થોડી ઝલક મારા અંતરભાવ પ્રતિબિંબિત કરે છે.
‘નામ દઈને કે નામ દીધા વિના, સારું કે ખરાબ એવું ક્શું કીધા વિના જીવવાનું તો છે,
તો પછી લીલાં પાંદડાનો ફુવારો ફૂટતો હોય એમ ઝાડ જેમ કેમ નહીં જીવવું!
કોઈકને જીવવાનો થાક લાગે, કોઈકને ધાર્યું નહીં જીવ્યાનો વસવસો છે,
કોઈકને જીવનનો નર્યો નશો છે, કોઈકને મરણ સાથે મહોબત થઈ જાય છે,
કોઈક ઉદાસ છે, કોઈકને ભરપૂર જીવવાની પ્યાસ છે.’
આપણને તો ભાઈ, ભરપૂર જીવવાની પ્યાસ છે. ઈન્દ્રિયો એનું કામ કરે, મન એનું કામ કરે અને અંતરમન થનગનતું રહે બસ એથી વિશેષ કાંઈ નથી જોઈતું. ચાલ, હવે તેં જે પ્રશ્નો મૂક્યા છે એ લઈએ.
તારી મિત્ર સોનલની કરુણ કહાણીના સંદર્ભમાં ઘણા બધા પ્રશ્નો મૂકી વળી આપણા પત્રો માટે તેં વિશાળ ફલક ખોલી નાંખ્યું છે. તું લખે છે કે, “આજે આ કહેવાનું તાત્પર્ય એ જ કે,… કયો ધર્મ? કોના સંસ્કાર? કઈ ભૂમિનું બીજ? કયું શિક્ષણ? કયો સમાજ? સંજોગોની આગળ બધું જ બદલાઈ જાય છે….”
એ પ્રશ્નો પર જઈએ તે પહેલા મને તારી મિત્ર સોનલ કે જેની દર્દભરી વાત ગયા પત્રમાં તે લખી તેના જેવા ઘણા લોકો માટે એક ન સમજી શકાય એવો સવાલ ઊભો થાય છે. એકવાર પ્રેમ લગ્ન કર્યા પછી ફરી કોઈના પ્રેમમાં પડીને પોતાના જ પ્રથમ પ્રેમનું આ લોકો અપમાન નથી કરતાં?
અમારે ત્યાં અહીં યુકે.માં પણ એક એવો કિસ્સો બન્યો હતો કે જેમાં પ્રેમલગ્ન કર્યા પછી ૧૭/૧૮ વર્ષે પોતાનાથી નાની ઉંમરની કુંવારી વ્યક્તિના પ્રેમમાં પડી, યુવાનીમાં પગ માંડતી દીકરીથી માંડી કેટલાય લોકોનું જીવન બરબાદ કરી નાંખ્યું.
માન્યું કે કદાચ પતિ/પત્ની પાસેથી અપેક્ષિત વાતો ન મળી હોય તો પણ, મારા માનવા પ્રમાણે પ્રેમની પહેલી શરત જ એ છે કે જેને માટે પ્રેમ જાગ્યો તે વ્યક્તિ જેવી છે તેવી જ સ્વીકારવાની. એના સઘળા ગુણો અને અવગુણો સાથે.
તો પછી પ્રથમ પ્રેમ માત્ર શારીરિક આકર્ષણ જ હોઈ શકે? એને પ્રેમનું નામ આપી શકાય?
ખેર, જે બીજી વાત લખી એ મિત્રના પતિનો પ્રેમ સાચો સાબિત થયો. ધર્મ અને સંસ્કાર, ભૂમિ, શિક્ષણ કે સમાજ કરતાં માણસ અંદરથી કેટલો પરિપક્વ થયો છે તે મહત્વનું છે, પછી એ પ્રેમ હોય કે વર્તન, વિચાર હોય કે વાણી. એના પતિને સલામ.
મારું એક સામાન્ય નિરીક્ષણ છે દેવી, કે આપણા આખા સમાજે પરિપક્વ થવાની જરૂર છે. પછી તે ધર્મ, શિક્ષણ, વર્તન, રાજકરણ વગેરે કે જેમાં આપણે ઘણાં બધાં ક્ષેત્રે મેચ્યોરિટિ લાવવી પડશે.
એક નાનું ઉદાહરણ લઈએ. કોઈ બે વ્યક્તિ વચ્ચે મતભેદ થાય તો સામાન્ય રીતે એનો અંત બોલાચાલીથી આવે કે અબોલાથી આવે. વચ્ચેનો વાતચીતનો માર્ગ લઈને એકબીજાને સમજવાનો પ્રયત્ન મોટાભાગના સંઘર્ષને ટાળવામાં મદદરૂપ થઈ શકે જે સામાન્ય કિસ્સાઓમાં બનતું નથી.
એટલું જ નહિ, જાહેર વિષયોની સામે ઘણીવાર તો અંગત દુઃખતી રગ પર પ્રહારો કરવામાં આવતા હોય છે. પરિણામે મૂળ વાત વધારે વણસી જતી જણાય છે. કારણ વગર જ નાની અમથી વાતનું વતેસર થઈ જતું હોય છે. હું આ પરિપક્વતાની વાત કરું છું, તને શું લાગે છે?
રઈશભાઈની પેલી કવિતા યાદ આવી ગઈ ને મારું મોં ડબલ મલકી ગયું. કારણ એક તો હઝલ છે અને પાછી હું રહી જન્મજાત ‘હુરતી’. ‘પન્નીને પહતાય ટો કેટો’ની, ને વાહણ જો અઠડાય ટો કેટો’ની. ને અમના ટો કેટો છે કે પાપન પર ઉંચકી લઉં, પછી માઠે ચઢી જાય ટો કેટો’ની. ને અમના ટો પ્યાર રેહમની ડોરી, એના પર લુગડા હુકવાય ટો કે’ટોની…’
શરૂઆતનું શારીરિક આકર્ષણ રોજિંદુ થયા પછી પણ જિંદગી મીઠ્ઠી લાગે અને ઐક્યતા વધે તેને હું તો પ્રેમ કહું.
‘ચાલો અભિગમ બદલીએ’ માં સ્વામી સચ્ચિદાનંદે થોડું જે સ્ત્રીઓ વિષે લખ્યું છે તે સાચે જ વિચાર માંગી લે તેવું છે,
‘તિરસ્કૃત જીવન જીવનારી સ્ત્રીઓની દશા તો દયનીય છે જ, પરંતુ તિરસ્કૃત થઈને આત્મહત્યા કે હત્યાનો ભોગ બનનારી સ્ત્રીઓની દશા તો અત્યંત દયનીય છે. મરવું એટલું ત્રાસદાયી નથી જેટલું આપણે માનીએ છીએ; અરે યશ આપનારું મૃત્યુ તો ઉત્સવ ગણાય પણ કલંકિત થઈને મરવું એ તો મૃત્યુના ત્રાસ કરતાં અનેકગણું ત્રાસદાયક છે…. સાચી ધર્મવ્યવસ્થામાં અને માનવતાલક્ષી સંસ્કૃતિમાં હસતાં-ખેલતાં-આનંદ કરતાં જીવનોની વ્યવસ્થા હોય, જેને કલ્યાણકારી કહી શકાય.”
ધર્મ તથા સમાજની મિથ્યા માન્યતાઓથી તથા કુદરતી પરિસ્થિતિના કારણે તિરસ્કૃત થનારી સ્ત્રી સહાનુભૂતિને પાત્ર છે,
પણ જેને બધું જ મળ્યું છે અથવા ઘણું ઘણું મળ્યું છે, તેમ છતાં તે બધા પ્રકારનાં નીતિ-નિયમોને નેવે મૂકીને સ્વચ્છંદી વિહાર કરે તેનો બચાવ કરવાનો હોય નહીં..
લે આજે ‘હુરતી’ની વાત કાઢી બેઠી છું તો ગઈકાલે જ એક સુરતી ભાઈ સાથે વાત કરતી હતી અને તે જે બોલ્યા તે કહીને વિરમું, ‘ચાપુચપટી આપી મેલવાનું, હમજ્યાને?’
નીનાને સ્નેહ યાદ.