કારણોમાં તું ન પડતો આયનો તૂટ્યા પછી ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા
જગદીશ જોષીનું આશિત દેસાઈ સ્વરાંકિત એક ગીત છેઃ એક પછી એક પછી એક પછી પછી, મોજાં વટાવતાં દીધેલા કૉલ જેમ, આગળ ને આગળ ને આગળ ને આગળ.’
એક ઘટના બને પછી બીજી બનવા તૈયાર જ હોય છે. પનોતીનો તબક્કો ચાલતો હોય ત્યારે ઘણી વાર એવું લાગે કે અજાણી દિશાએથી દુઃખ આવીને આપણને તાણી જાય. શિયાળામાં બારી જરાક ખોલી હોય ને મચ્છરોનું ઝૂંડ અંદર આવી જાય એમ દુઃખ આપણું હીર ચૂસવા આવે. સંબંધોનું આકર્ષણ અકળામણ અને `અળખામણ’ બનતું લાગે. બરકત વિરાણી બેફામ વિષાદ વ્યક્ત કરે છે…
સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે
એ પછી જે કાંઈ બચશે, લાગણી કરશું અમે
તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં
જિંદગીને એ રીતે અળખામણી કરશું અમે
અવગણના સહન કરવી અઘરી હોય છે. કેટલીક વાર એમ થાય કે આનાં કરતાં અલગ થઈ જઈએ તો સારું. કાયમ મ્હેણા માણતી જીભ પર દોષારોપણ થાય છે પણ કેટલીક વાર આંખો પણ એવી ધારદાર અભિવ્યક્તિ કરે કે કાપો તો લોહી ન નીકળે.

જે સંબંધમાં સંવેદનાની આશા રાખી હોય એમાં રૂપાળા અંચળા તળે સ્વાર્થ છૂપાઈને બેઠો હોય. ઢંકાયેલું હથિયાર નાનું હોય તોપણ કરપીણ સાબિત થઈ શકે. અર્પણ ક્રિસ્ટી લખે છે…
લોક મોટાભાગના મૃગજળ સમા
એટલે હું થઈ ગયો‘તો રણ પછી
છે શરત, પ્હેલાં સ્વીકારો પિંજરું
આપવા તૈયાર છે એ ચણ પછી
અત્યારે ડિજિટલ છેતરપિંડીના જે બનાવો બની રહ્યા છે એમાં અનેક તરકીબો અજમાવવામાં આવે છે.

સ્ટોક માર્કેટમાં આકર્ષક કમાણીની કે લૉન ઉપર વાર્ષિક વીસ-પચ્ચીસ ટકા વ્યાજ છૂટે એવી લાલચો આપવામાં આવે. શરૂઆતના બેચાર મહિના કમાણી ચૂકવાય જેથી રોકાણકારને વિશ્વાસ બેસે. પછી વિશ્વાસઘાતનો ખેલ શરૂ થાય. વ્યાજ તો જવા દો આખી મૂડી ઓહિયા થઈ જાય. જેમને આવો કારમો અનુભવ થયો હોય એને ઝફર ઈકબાલની વાત વિશેષ સમજાશે…
ખાલી લગા મકાન તમારા ગયા પછી
ગેહરા થા આસમાન તમારા ગયા પછી
કદમોં કી ચાપ સાફ `ઝફર’ કો સુનાઈ દી
બજને લગા થા કાન તમારા ગયા પછી
ઉપરની ઉર્દૂ-ગુજરાતી મિશ્રિત પંક્તિઓની રચનારીતિ સંદર્ભે લયસ્તરોના સંપાદક વિવેક મનહર ટેલર નોંધે છેઃ `ઉર્દૂના સમર્થ શાયર અને આદિલ મન્સૂરીના ખાસ મિત્ર ઝફર ઈકબાલે આદિલસાહેબના આગ્રહને માન આપી ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલોનો વિશિષ્ટ પ્રયોગ કરી આવી 121 ગઝલોનો સંગ્રહ `તરકીબ’ આપણને ભેટ આપ્યો છે.’ બે ભાષાનો કઠે નહીં એવો વિનિયોગ થાય ત્યારે રસભર રવાની માણવા મળે.

શેખાદમ આબુવાલા પર્યાય પસંદ કરવાનું કહે છે…
શક્ય હો તો કોઈ યોગી ના અધરનું મૌન બન
કે પછી બદનામીની ચર્ચા બની ચર્ચાઈ જા
મરજી હો તો ધર્મની નીરસ લડતનું લે સ્વરૂપ
કે પછી કો રસભરી સરગમ બની રેલાઈ જા
ધર્મની કટ્ટરતા બાંગ્લાદેશમાં સતત વિસ્તરી રહી છે. ત્યાંની લઘુમતી અર્થાત હિંદુ આબાદી પર અત્યાચારો બેફામ બની રહ્યા છે.
![]()
બાંગ્લાદેશમાં ૧૯૫૧માં ૨૨ ટકા હિંદુઓ હતા જે ૨૦૨૨ની ગણતરી પ્રમાણે ૮ ટકા છે. વિભાજન સમયે પાકિસ્તાનમાં ૨૦.૫ ટકા હિંદુ હતા જે આજે ૨.૨૩ ટકા છે.
બીજી તરફ ભારતમાં મુસ્લિમ વસતી ૧૯૫૧માં ૯.૮ ટકા હતી જે ૨૦૨૩ના અંદાજ પ્રમાણે ૧૪.૨૫ ટકાની આસપાસ થઈ છે. ચતુર કરો વિચાર.
જનાબ રાહુલ ગાંધી ઍન્ડ કંપનીએ માઈનોરિટીના મંજીરા વગાડતા પહેલા અન્ય દેશોમાં કેવા તબલાં વાગે છે એ સાંભળવું જોઈએ. કર્મ આધારિત નિરીક્ષણની જગ્યાએ ધર્મ આધારિત ધારણા મુખર બનતી જાય છે. પ્રમોદ અહિરની પંક્તિઓના સથવારે વિખવાદની વાત મૂકીને સંવાદ તરફ આગળ વધીએ…
બેઠો હું પહોંચી જવા અક્ષર સુધી
ને કલમ પહોંચી ગઈ ઈશ્વર સુધી
તે પછી રસ્તો ખૂલ્યો નટવર સુધી
મીરાં પહેલાં પહોંચેલી ભીતર સુધી
લાસ્ટ લાઈન
ક્યાં કશું છૂપે સિફતથી આયનો તૂટ્યા પછી
ભેદ ચ્હેરાના ઊઘડતા આયનો તૂટ્યા પછી
શું હતાં એ બિંબ કે બરછી, કટારો ને ખડગ
રંગ રાતો જાય દડતો આયનો તૂટ્યા પછી
એમ પાછો હાથ ક્યાંથી આયનો અકબંધ મળે
ગોઠવી કરચો ન જડતો આયનો તૂટ્યા પછી
સાજ શણગારો સમીપે પોરસાતો ઓરડો
ભીંત સાથે આજ લડતો આયનો તૂટ્યા પછી
કેમ, કોણે ઘા કરેલો પથ્થરોનો, પૂછ મા
કારણોમાં તું ન પડતો આયનો તૂટ્યા પછી
~ વીરેન મહેતા
~ કાવ્ય સંગ્રહઃ શાહી, કલમ, કાગળ, અને…
વાહ… ખૂબ સુંદર 🌹🌹🌹🌹