સત્યજિત રે, અને એમની પ્રસિદ્ધ અપુત્રયી (સત્યજીત રેના જન્મદિને : 2 May) ~ સોનલ પરીખ

(“ઓપિનિયન”ના સૌજન્યથી, સાભાર)

સત્યજિત રે ફિલ્મકલાના માસ્ટર છે. એમની ફિલ્મો જોયા પછી મારું મન જે રીતે રણઝણી ઊઠે છે એને હું વર્ણવી શકતો નથી. લોકો જન્મે છે, જીવે છે અને મૃત્યુ આવે ત્યારે એને સ્વીકારે છે. થિયેટરમાં અપુત્રયી જોયા વિના જો મૃત્યુ આવે તો એને પાછું કાઢજો.

— અકિરા કુરોસાવા, (જપાનના ફિલ્મસર્જક)

જપાનના પ્રસિદ્ધ ફિલ્મસર્જક અકિરા કુરોસાવાએ 1975માં મોસ્કોમાં લૅક્ચર આપતા કહ્યું હતું, ‘સત્યજિત રે ફિલ્મકલાના માસ્ટર છે. એમની ફિલ્મો જોયા પછી મારું મન જે રીતે રણઝણી ઊઠે છે એને હું વર્ણવી શકતો નથી.’

Kurosawa, Akira – Senses of Cinema
અકિરા કુરોસાવા

‘પથેર પાંચાલી’ને યાદ કરતાં કુરોસાવાએ કહ્યું કે ‘કાન્સ ફૅસ્ટિવલમાં એ ફિલ્મ બતાવાયા પછી સિનેમેટિક ગ્લૉબલિઝમનો નવો યુગ બેઠો. જાણે કોઈ મહાનદીનો ઉદાત્ત પ્રવાહ વહી નીકળ્યો.’

સત્યજિત રે અને એમની અપુત્રયી (‘પથેર પાંચાલી’, ‘અપરાજિતો’ અને ‘અપુર સંસાર’) એવા વિષયો છે કે એમના વિશે વારંવાર વાત કરવી ગમે. ઓસ્કાર વિજેતા અને લેખક તેમ જ પ્રકાશક, ચિત્રકાર, સુલેખનકાર (કેલિગ્રાફર), ગ્રાફિક ડિઝાઇનર અને ફિલ્મ વિવેચક રેએ ભારતમાં તેમ જ વિદેશમાં સિનેમાનું ગૌરવ વધાર્યું.

2 મેએ સત્યજિત રેનો જન્મદિન. એ નિમિત્તે ફરી એમને અને એમની અપુત્રયીને યાદ કરીએ:


કેવું છે ‘પથેર પાંચાલી’નું પ્રથમ દૃશ્ય ?

વિશાળ જળરાશિ પર એક બાજુ કમળનાં પાંદડાં ફેલાયેલાં છે. બેચાર કમળ ઝૂલે છે. વચ્ચેથી ઊભા થયેલા એક પર્ણહીન ભીના થડિયા પર એક વરસાદી જીવડું લાંબી પારદર્શક પાંખ ફફડાવતું બેઠું છે.

કેમેરા જળરાશિને પોતાનામાં સમાવતો કિનારાની વનશ્રી અને હરિયાળા વગડા પરથી પસાર થતો ગામમાં પ્રવેશે છે. નાની કાચી શેરીને છેડે લાકડાના થાંભલાવાળા વરંડામાં એક સ્ત્રી હાથ વતી પંખો હલાવતી સૂતી છે.

ઘરમાં એક નાના આયનામાં જોતી આઠનવ વર્ષની કન્યા આંખમાં આંજણ આંજે છે, એ જ આંગળીથી કપાળ પર ચાંદલો કરે છે અને લીટીવાળી બંગાળી સાડી સંભાળતી, નાનો ઘડો કાંખમાં લેતી ઘર પાછળના નાના ફળિયામાં જાય છે. ખાડો ખોદી, એક છોડ રોપી, પાલવ ગળા ફરતો લઈ તે એ છોડને પ્રણામ કરે છે.

બીજા દૃશ્યમાં એક નાનો છોકરો – માત્ર ધોતી પહેરેલો – હરિયાળા મેદાનમાં દોડે છે. પાછળ આ કન્યા દોડે છે. વરસાદ તૂટી પડે છે. છોકરો એક મોટા ઝાડ નીચે આશ્રય લે છે, બહેન ગોળગોળ ફરતી ભીંજાતી રહે છે.

થોડીવારમાં એ ઝાડ નીચે આવે છે ત્યાં સુધીમાં ઝાડની ઘટા ટપકવા માંડી છે. બહેન ધ્રૂજતા ભાઈને પોતાના પાલવમાં વીંટી લે છે. આ બાજુ સૂતેલી મા થોડા પાંદડા એકઠાં કરતી, નીચે પડી ગયેલું કોઈક વનફળ લઈ ફાટેલા પાલવથી માથું ઢાંકતી ઘર તરફ દોડે છે.

થોડી સેકન્ડોમાં સમેટાઈ જતા આ દૃશ્યમાં કેટલું કેટલું કહેવાયું છે – તેમાં ગતિ છે, વાર્તાનો ઉપાડ છે, સંવેદન છે, સર્જક-ભાવક-કથાનકને જોડતી શાંત એકતાનતા છે …

1955માં બનેલી ‘પથેર પાંચાલી’ સત્યજિત રેની પહેલી ફિલ્મ હતી. 1956ના કાન્સ ફૅસ્ટિવલમાં આ ફિલ્મ અનેક અવૉર્ડ જીતી. 1992માં 64માં ઑસ્કાર સમારંભમાં ઓડ્રી હૅપબર્ને ઘોષણા કરી, ‘ધ ઓનરરી ઑસ્કાર ઑફ ધીસ યર ગૉઝ ટુ ધ ગ્રેટ ઇન્ડિયન ફિલ્મમેકર સત્યજિત રે’.

70 વર્ષના સત્યજિત રે એ સમારંભમાં હાજર ન હતા, હૃદયરોગની સારવાર માટે કોલકાતાની એક હૉસ્પિટલમાં દાખલ થયેલા હતા. એમણે હૉસ્પિટલમાંથી આપેલો પ્રતિભાવ અમેરિકામાં ચાલી રહેલા ઑસ્કાર સમારંભમાં સ્ક્રીન પર બતાવાયો હતો.

બીમાર છતાં પ્રફૂલ્લિત અને તેજસ્વી લાગતા સત્યજિત રે કહેતા હતા,

ફિલ્મસર્જકને માટે ઑસ્કાર એટલે નોબેલ પ્રાઈઝ. ખુશ છું. જિંદગીમાં જે પણ શીખ્યો, જે પણ જોયું-જાણ્યું-અનુભવ્યું તે સઘળું મેં સિનેમાની કલાને સમર્પિત કર્યું …’

ઑસ્કાર મળ્યો તે જ વર્ષે તેમને ભારતરત્ન મળ્યું. એ જ વર્ષે તેમનું મૃત્યુ થયું. એમણે પોતાની માતૃભાષા બંગાળીમાં ફિલ્મો બનાવી, પણ એની અપીલ વૈશ્વિક હતી.

તેઓ કહેતા, ‘ધ બેસ્ટ ટેકનિક ઈઝ ધ વન ધેટ ઈઝ નોટ નોટિસેબલ.’ સભાન રીતે નોંધાયા વિના જે અસ્તિત્વને ગાઢ રીતે સ્પર્શી જાય તે ફિલ્મ-ટેકનિકનું શ્રેષ્ઠ રૂપ છે. એટલે જ સત્યજિત રે કે એમની ફિલ્મોને વર્ણવવાં એટલાં સરળ નથી. સ્થાનિક વિષયો, અત્યંત સરળતા અને સાદગીભરી અભિવ્યક્તિ છતાં તેમાં સર્વવ્યાપકતાનો સ્પર્શ હોય છે.


અપુત્રયી એ બાળક અપૂર્વની પુખ્ત ઉંમર સુધીની જીવનયાત્રા છે. ઉપરાંત ‘જલસાઘર’, ‘દેવી’, તીન કન્યા’, ‘ચારુલતા’, ‘નાયક’, ‘અશ્ની સંકેત’, ‘શતરંજ કે ખિલાડી’, ‘ઘરે બાહિરે’, ‘ગણશત્રુ’, ‘શાખા પ્રશાખા’ અને ‘આગંતુક’ આ ફિલ્મોએ તેમને અકિરા કુરોસાવા, આલ્ફ્રેડ હિચકોક, ચાર્લી ચૅપ્લિન, ડેવિડ લીન, રિત્વિક ઘટક, વિટ્ટોરિયો દ સિકા જેવા સર્જકોની હરોળમાં મૂકી આપ્યા.

સત્યજિત રેના દાદા અને પિતા લેખક, વિચારક, પ્રકાશક અને સમાજસુધારક. સત્યજિત ત્રણ વર્ષના હતા ત્યારે પિતા ગુજરી ગયા. માએ કષ્ટ વેઠીને પુત્રને મોટો કર્યો અને તેનો કલાપ્રેમ જોઈ શાંતિનિકેતન પણ મોકલ્યો. મેધાવી સત્યજિત શાંતિનિકેતનને કંઈક રમૂજથી જોતા, પણ ત્યાં જ તેમની પાંખો ખૂલી. ગ્રાફિક આર્ટ શીખી તેમણે જવાહરલાલ નહેરુના ‘ડિસ્કવરી ઑફ ઇંડિયા’ સહિત થોડાં પુસ્તકોનાં કવરપેજ બનાવ્યાં હતાં.

1947માં એમણે અન્ય સાથે મળી કલકત્તા ફિલ્મ સોસાયટી બનાવી, જેમાં વિદેશની ફિલ્મો પ્રદર્શિત થતી. સત્યજિત આ દરેક ફિલ્મો જોતા. 1949માં એમને દીર્ઘકાલીન પ્રેમિકા સાથે લગ્ન કર્યાં. એ જ વર્ષે ફ્રેંચ દિગ્દર્શક ઝાં રેંવૉર કોલકાતા આવ્યા હતા. એમની ‘ધ રિવર’ ફિલ્મના શૂટિંગમાં સત્યજિત મદદરૂપ થયા અને પોતાના મનમાં ઘોળાતો ‘પથેર પાંચાલી’ પ્રોજેક્ટ ચર્ચ્યો. 1950માં કંપનીએ સત્યજિતને 3 મહિના માટે લંડન મોકલ્યા. આ ત્રણ મહિના દરમિયાન એમણે 99 ફિલ્મો જોઈ. વિટ્ટોરિયો દ સિકાની ‘બાયસિકલ થિવ્ઝ’ અને ઝાં રેંવૉરની ‘રુલ્સ ઑફ ધ ગેમ’થી એટલા પ્રભાવિત થયા કે હવે એવી ફિલ્મો જ બનાવવી એવું નક્કી કરી લીધું. મોટાભાગની ફિલ્મોની વાર્તાઓ પોતે જ લખી. સંગીત પણ આપ્યું અને સિનેમેટોગ્રાફી પણ કરી.

‘પથેર પાંચાલી’ની વાર્તા 1828માં બિભૂતિભૂષણ બંદોપાધ્યાયે લખેલી આ જ નામની વાર્તા પર આધારિત હતી. વિદ્વાન પણ ગરીબ બ્રાહ્મણ હરિહર અને એની પત્ની સર્બજયા બાળકો દુર્ગા અને અપૂર્વ સાથે એવા નાના ગામડામાં રહે છે, જ્યાં દિવસમાં એક વાર પસાર થતી ટ્રેન પણ નવાઈનો વિષય છે. હરિહર એક વાડીનો માલિક હતો, પણ હવે બધું વેચાઈ ગયું છે. મોટી આંખોવાળા અપુની એન્ટ્રી લગભગ વીસ મિનિટ પછી થાય છે. દેશ નવો સ્વતંત્ર થયો હતો, બંગાળનો મોટો ભાગ પાકિસ્તાનમાં જતો રહ્યો હતો. ગ્રામીણ બંગાળથી લઈ બનારસ ને પછી કોલકાતા સુધી અપુત્રયીની યાત્રા છે. ચકિત આંખોવાળો બાળક અપુ અનેક ઊતરચઢમાંથી પસાર થતો વિચારશીલ યુવાન બને છે. સત્યજિત અને તેમના બધા તરવરિયા સાથીઓ ત્યારે નવા હતા, બધા જ પછીથી પ્રખ્યાત થયા. શૂંટિંગની શરૂઆત 1952માં પોતાની બચતમાંથી કરી પણ પછી પૈસા ખૂટતા ગયા.

સત્યજિત ત્યારે પણ પૂર્ણતાના આગ્રહી. પટકથામાં ફેરફાર ઈચ્છનારની મદદ ન સ્વીકારે. છેવટે સરકારે મદદ આપી. 1955માં ફિલ્મ રિલિઝ થઈ. કલાકૃતિ તરીકે વિદેશોમાં પણ વખણાઈ. એક વિવેચકે જો કે કહ્યું, ‘હાથથી ખાવાનું ખાતા કંગાળ ખેડૂતોની ફિલ્મ મને તો ન ગમે.’ પણ ‘ટાઈમ્સ’એ તેને ‘પ્યૉર સિનેમા’ કહી. ‘અપુર સંસાર’માં માનીતા કલાકારો સૌમિત્ર ચેટરજી અને શર્મિલા ટાગોરને લીધા, આ ત્રણે ફિલ્મોના અનુભવો સત્યજિત રે એ ‘માય યર્સ વિથ અપુ-અ મેમ્વૉર’ પુસ્તકમાં સમાવ્યા છે. ત્રણે ફિલ્મોનું સંગીત પંડિત રવિશંકરે આપ્યું હતું.

સત્યજિતે કહ્યું હતું, ‘ઘણીવાર મને લાગે છે કે શેરીમાં ચાલતો એક સાધારણ માણસ મહાનાયકો કરતાં વધારે પડકારરૂપ વિષય છે. આછાઘેરા પડછાયામાં આવૃત્ત એની સાધારણતા, એના અસ્તિત્વમાં ગૂંજતું ભાગ્યે જ સંભળાય તેવું જીવનસંગીત મારે શોધવું છે, પકડવું છે, વ્યકત કરવું છે.’ કુરોસાવા કહે છે, ‘લોકો જન્મે છે, જીવે છે અને મૃત્યુ આવે ત્યારે એને સ્વીકારે છે – બરાબર. પણ થિયેટરમાં અપુત્રયી જોયા વિના જો મૃત્યુ આવે તો એને પાછું કાઢજો.’

~ સોનલ પરીખ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.