કિચન, મારું રજવાડું ~ માના વ્યાસ
બાળક જન્મે ત્યારથી જ માતાનું દૂધ તેને માટે સર્વશ્રેષ્ઠ આહાર હોય છે. તેથી જ બાળક માતાને તરત ઓળખી જાય છે અને પિતા કરતા માતા પ્રત્યે સ્હેજ વધુ પ્રીતિ ધરાવતું હોય છે.
મા અને બાળક વચ્ચે આ પ્રથમ સ્નેહનાં બંધનનું કારણ ઉદર તૃપ્તિ છે. મા આપે તે મમ. આમ નાનપણથી ભોજન સાથે માતા જોડાયેલી હોય છે.
કહે છે કે ભોજનમાં રસોઈ બનાવનારની માનસિકતા ભળેલી હોય છે. માતા જ્યારે પરિવાર માટે રસોઈ બનાવે ત્યારે તે સામગ્રી સાથે પ્રેમ અને કાળજી ઉમેરી દેતી હોય છે. જે ભોજનને સત્વશીલ બનાવે છે.
હોટલ અને મહારાજની રસોઈમાં હંમેશા એની ઉણપ રહેવાની. તેથી જ તેને અન્નપૂર્ણા કહી છે ને!
ગઇકાલની પેઢી સુધી ગૃહિણીનું કાર્ય ઘર, બાળકો અને રસોડું સંભાળવાનું હતું. હવે સમય બદલાયો છે.
સ્ત્રીઓ પગભર થવા નોકરી કરતી થઈ છે એટલે પાકકલા વિસારે પડી છે. વળી વિવિધ વ્યંજનો બજારમાં તૈયાર મળી રહે છે એટલે ઘરે બનાવવાની તસ્દી શા માટે લેવી, એવી માન્યતા પ્રવર્તે છે.
એક વાત તો સાચી છે કે દિવસ દરમિયાન ઓફિસમાં કામ કર્યા પછી ઘરે આવી રસોઈ માંડવી એ શારીરિક અને માનસિક રીતે થકવી નાંખનારું બની રહે છે, પરંતુ થોડી પૂર્વતૈયારી અને અન્યોન્યની મદદથી કાર્ય સહેલું થઈ શકે છે.
ભારતીય પુરુષ પાસે નાનપણથી રસોઇ શીખવાની અપેક્ષા રાખવામાં આવતી નથી. આપણે તો રમકડાં લાવવામાં પણ ભેદભાવ કરીએ છીએ. દીકરા માટે બેટબોલ અને દીકરી માટે કિચન સેટ!
બાળકોએ પપ્પાને કિચનમાં રસોઈ બનાવતા જોયા જ નથી.
આપણને સૌને મમ્મીનાં હાથની બનાવેલી વાનગીઓ ભાવતી હોય છે. પચ્ચીસ વર્ષનાં લગ્નજીવન પછી પણ ઘણા પતિ ‘મારી મમ્મી જેવી રોટલી કે પૂરણપોળી બનાવતા નથી આવડતી’ એવું પત્નીને કહી શકે છે. જરા વિચારો એ સ્વાદનાં મૂળ કેટલાં ઊંડા ઊતર્યાં હશે!
પણ હવે સમય બદલાયો છે. ઓફિસમાં જેનાં હાથ નીચે વીસ માણસો પાસે કામ લેતી હોય એ છોકરીને રસોઈ કરવાની કડાકૂટ લાગે છે. રસોઈવાળા બહેન, મહારાજ વગર ચાલતું નથી.
સતત અભ્યાસ, પરીક્ષાઓ અને ટ્રેનિંગ પછી કિચનમાં જવાનો સમય મળતો નથી અથવા રસોઈ બનાવવા પ્રત્યે રસ જ જાગતો નથી. મહારાજ સાંજે ચાર વાગે ભોજન બનાવી જાય એ રાત્રે આઠ કે નવ વાગે જમવાનું, બહારથી ઓર્ડર કરવાનું કે ડીપ ફ્રીઝમાંથી કાઢી માઇક્રોવેવમાં ગરમ કરી ખાઈ લેવાનું.
ઘણીવાર પોતાની જરૂરિયાત કરતાં દેખાદેખીમાં આંધળું અનુકરણ થતું હોય છે. મારા પડોશમાં મહારાજ આવે છે એટલે મારે પણ રાખવો જ જોઈએ એવા સ્ટેટસ સિમ્બોલ થકી ઘરનું બજેટ સુધ્ધાં ખોરવાઇ જતું હોય છે.
ઘણી બહેનોને મગની દાળ, અડદની દાળ વચ્ચે ફરકની ખબર નથી. ઓનલાઇન ઓર્ડર કરવાથી વસ્તુની ગુણવત્તા અને જોઈ ચૂંટીને લેવાની આવડત કેળવાતી નથી.
દહીં મેળવવા જેવું સહેલું કાર્ય કરવાની તૈયારી નથી.
મસાલા અને શાકભાજીની વિવિધ જાત વિશે તેઓ અજાણ છે. પાકકલા પણ વિજ્ઞાન છે. વિરુદ્ધ આહાર વિશેની જાણકારી ઉપયોગી થાય છે. જો તમે રસ લઇ આ આહારવિજ્ઞાન અનુસાર ભોજન બનાવશો તો કેટલી બિમારીથી બચી શકશો.
પગારદાર મહારાજ સમય બચાવવા એક સાથે ઉતાવળે ઘણી વાનગીઓ બનાવતા હોય છે જેથી ફાસ્ટ ગેસની આંચ પર રાંધેલો ખોરાક બરાબર સીજેલો હોતો નથી. ભારતીય વાનગીઓ બનાવવા ધીરજ રાખવી જરૂરી હોય છે અને એથી જ સ્વાદ ચડિયાતો હોય છે.
ભલે રસોઈ બનાવવા કોઇને મદદ માટે રાખો પણ સાથે થોડીવાર ઊભા રહો, અવારનવાર એની સાથે કામ કરતા રહેવાથી જ્યારે એ ન આવે ત્યારે તમે જાતે કંઈક બનાવી શકો.
રસોઈ એક કલા છે. પરિવાર માટે સ્વાદિષ્ટ ભોજન બનાવવું એ બંને પક્ષે તૃપ્તિકર હોય છે. ઘણીવાર પતિ અને બાળકો સાથે રસોઈ કરવાથી તણાવ દૂર થાય છે.
બહારનાં તૈયાર ભોજનમાં સ્વાદને નામે ક્રીમ, બટર, રંગ અને પ્રીઝરવેટીવ નાંખેલા હોય છે.
પતિએ પણ સાથે કિચનમાં મદદ કરવી જોઈએ જેથી એ પણ સ્વનિર્ભર થઈ શકે. દીકરો હોય કે દીકરી બંનેને નાનપણથી રસોઇ બનાવવા પ્રવૃત્ત કરવાં જોઈએ. રસોડું એ પરિવારની તંદુરસ્તીનું કેન્દ્ર છે.
તાજો, સાત્વિક, શુધ્ધ સામગ્રી અને પરિવારજનોની કાળજી રાખી બનાવેલું અન્ન શરીર અને મન માટે ઉપયોગી છે. કહે છે ને,અન્ન તેવો ઓડકાર.
કિચન એક નાનું સરખું રજવાડું છે, જેમાં રાણી છે, રાજા છે. પ્રજાની સુખાકારીની જવાબદારી તેમનાં હાથમાં છે. ચાલો આપણે આપણાં પોતીકા રજવાડાને આદર્શ બનાવીએ.
~ માના વ્યાસ
mana.vyas64@gmail.com
Wah..mana ben, khub j sunder. Hu ani sathe sahmat chhu.khub j agharu chhe jiyare husband wife banne job karta hoy.pan shakiya 6 koi ni madad hoy to.je Mari dikri na gharma 6.
MANA BEN you are rite but now a days situation change %G time husband wife both working and 10-12 hrs out of home totally no time. come home spend time for kids 1 or 2 hrs. food is mut selected by their ingrediation Now says vegan organic no Glton food available since last 10 yrs me and my wife never cooked only Sunday or holidays cook , Must choice for food little expensive than other pkt foods. but for your health, TIME IS CHANGED>