….ઘણાં વર્ષોની મહેનત છે….!’ ~ ગઝલ ~ પારૂલ ખખ્ખર ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
ઘણાં વર્ષોની મહેનત છે….!’ (ગઝલ)
મળ્યું છે ઠામ-ઠેકાણું, ઘણાં વર્ષોની મહેનત છે,
નથી તૈયાર આ ભાણું, ઘણાં વર્ષોની મહેનત છે.
કથા એની લખી જેની વ્યથા કોઈ નથી લખતું,
નથી કંઈ શીઘ્ર આ ગાણું, ઘણાં વર્ષોની મહેનત છે.
તમે બસ માન-આકરામો, ઇનામો, શાલને જોયાં!
આ ઝગમગ છાબ ને આણું, ઘણાં વર્ષોની મહેનત છે.
સતત તાલીમ લીધી ને કસોટીમાં ખરા ઉતર્યા,
સ્વીકારે છે વિપદ ટાણું ઘણાં વર્ષોની મહેનત છે.
રહે સદ ને અસદ અંદર, રહે અપરાધનું લશ્કર,
આ અંદર જાગતું થાણું ઘણાં વર્ષોની મહેનત છે.
તમે પૂછ્યું ‘નથી ડૂબકી લગાવી, શેં થયાં પાવન?’
લીધું ગંગાએ ઉપરાણું – ઘણાં વર્ષોની મહેનત છે.
તિજોરી જોઈ ‘પારુલ’ની કરે શંકા જગતકાજી,
તરત બોલે શબદ-નાણું ‘ઘણાં વર્ષોની મહેનત છે’.
~ પારુલ ખખ્ખર
~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
મહેનત, સતત પ્રયત્નો, પ્રેરણા, માર્ગદર્શન, આત્મવિશ્વાસ, લક્ષ્ય, પ્રોત્સાહન, ધૈર્ય – આ બધા જ શબ્દોનું યોગ્ય પ્રમાણમાં ચ્યવનપ્રાશ બનાવીને સતત વર્ષોના વર્ષો એનું સેવન કરો ત્યારે જ સફળતાના સ્વરૂપે આશા અને ઉમંગની પૂર્તિનું ફળ મળે છે.
તકલીફ એ છે કે આ બધાં જ શબ્દોના ચ્યવનપ્રાશનું વરસો સુધી સેવન કર્યા પછી પણ ઈચ્છાપૂર્તિ ધાર્યા પ્રમાણે ન પણ થાય, એવું યે બની શકે. કારણ, કદાચ એ મિશ્રણના તત્ત્વોના પ્રમાણમાં ઓછુંવત્તું થયું પણ હોય, ત્યારે શું કરવું? આમાં માત્ર શારિરીક મહેનતથી જ નહીં, પણ આત્મા, હ્રદય અને મનથી પૂજાયેલી મહેનત હોવી જરૂરી છે.
નિદા ફાઝલી કહે છે એમ;
“કભી કિસી કો મુકમ્મિલ જહાં નહીં મિલતા
કહીં જમીં તો કહીં આસમાં નહીં મિલતા”
સાંપ્રત સમયમાં આપણે એવા જગતમાં રહીએ છીએ કે જ્યાં આપણને તકદીરની ચાદરનું પોત ૧૦૦ ટકા સાચા રેશમનું હોય તો લંબાઈ પૂરી નથી પડતી અને લંબાઈ પૂરી પડે તો એ પોત નું ખરબચડાપણું સંપૂર્ણપણે પગને ઢાંકતી નસીબની ચાદરની હૂંફ માણવા નથી દેતું.
શાહિદ મીરનો શેર યાદ આવે છેઃ
“ઔર કુછ ભી મુઝે દરકાર નહીં હૈ લેકિન
મેરી ચાદર મેરે પૈરોં કે બરાબર કર દે”
પણ કવયિત્રી તો જુદી જ ખુમારીથી વાત કરે છે. કેવું મળ્યું છે અને કેટલું મળ્યું છે એના Analysis Paralysis – વિશ્લેષણની લકવા જેવી બધિરતાને પાળી-પોષીને મોટી કરવાને બદલે, પોતાની મહેનત પર નાઝ કરીને કહે છે કેઃ
“મળ્યું છે ઠામ-ઠેકાણું, ઘણાં વર્ષોની મહેનત છે,
નથી તૈયાર આ ભાણું, ઘણાં વર્ષોની મહેનત છે.”
આ ઘણાં વર્ષોની મહેનત કરતાં પહેલાં શું જાણવું જરૂરી છે? તો એનો એક જ જવાબ મળે છે કે જીવનમાં એક મુકામ કે મકાન, જે પણ ધ્યેય હોય, એને હાંસિલ કરવા પહેલાં એ જાણવું જરૂરી છે કે આપણી પાસે નિર્ધારિત લક્ષ્ય સાધવા માટે આવશ્યક સામગ્રી છે કે નહીં? અને જો નથી તો એને કેવી રીતે પામી શકાય, એનું ચિંતન પહેલેથી કરી લેવું જોઈએ.
આ આત્મજ્ઞાન એ જ સફળતાની પગથીનો પહેલો પથ્થર છે. એનાં વિના આગળની કેડી કંડારી શકાય જ નહીં. સૌથી મોટી વાત એ છે કે કોઈએ સોનાની થાળીમાં, રૂપાના કટોરામાં ભરીને સમજણ, હિંમત, મહેનત કરવાની ધગશ, માર્ગદર્શન, ધૈર્ય – કંઈ પણ વણમાગે પીરસીને નથી આપ્યું. જે પણ પામીએ છીએ એને માટે તન, મન અને આત્માને નીચોવીને મહેનત કરી છે.
આવા કર્મયોગીઓ માટે જ નીચેની પંક્તિઓ લખાઈ છેઃ
“ગુલખમેં હમને ડાલ રખી થી
ઈબાદત કી વો ઘડી,
જો મંઝિલ પર પહોંચને કે બાદ કરની હૈ!”
ઈશ્વર પાસે પણ આવા કવયિત્રીને પોતાની મંઝિલ પામવાની દુઆ નથી કરવી, પણ મંઝિલ પર પહોંચીને પ્રાર્થના કરવી છે. કારણ, એમને સ્વયંની મહેનત કરવાની ક્ષમતા પર ભરોસો છે.
કેટકેટલી વિડંબણાઓ સહીને કોઈ એક મુકામ પર પહોંચાય છે? અહીં સુધી પહોંચીને મળેલી કીર્તિ, સફળતા અને આત્મવિશ્વાસની ગાથાઓ બધે જ ગવાય છે. આજના સમયમાં તો Nothing succeeds like success. અર્થાત્, સફળતા જેવું બીજું કંઈ જ સફળ નથી હોતું.
પણ એ સફળતાનાં ગીતો પાછળની વ્યથાના વીતક લખાતાં નથી હોતા. અને એ ગુજરી ચૂકેલી વ્યથાની કથાઓ વાગોળીને, એનો અફસોસ પણ રાખવાનો શા માટે? સફળતાની પાછળ સન્માન, ઈનામ, શાલ ઓઢાડવાના સત્કાર સમારંભોનો ઝળહળાટ બધાંને દેખાય છે પણ એની પાછળ રહેલો મહેનત નામના અદીઠ પુષ્પનો જે સંતોષ નામનો પરિમલ છે, શું એને કોઈ જુએ કે જાણે કે અનુભવે છે? પણ કવયિત્રી તો જરા પણ Apologetic – ક્ષમાપ્રાર્થી થયાં વિના જ, ગૌરવથી કહે છે કે, “આ બધાં પાછળ વર્ષોની મહેનત છે!”
અહીં ઈમામ બખ્શ નાસિખ** નો બહુ ચર્ચિત શેર યાદ આવ્યા વિના રહેતો નથીઃ
“જિંદગી જિંદા-દિલી કા હૈ નામ
મુર્દા-દિલ ખાક જિયા કરતે હૈં!”
કમર કસીને પરિશ્રમ કરો અને એ પણ વિચારપૂર્વક, ધીરજથી, આત્મવિશ્વાસથી, અને પછી ખંતપૂર્વક પૂરતી તાલિમ લઈને જીવનના રણક્ષેત્રમાં ઉતરો, તો જ સફળતા વરે છે. પણ એ પહેલાં વિપદ પડે તો વલખ્યા વિના, એમાંથી પ્રામાણિકતાથી પાર પડવા માટે આવશ્યક શિક્ષણ હોવું જ જોઈએ. બહારના લોકોના ભયનો ભય નથી હોતો. પણ લાલચને લીધે મનુષ્યના આત્માની અંદર જ સત અને અસત્ વચ્ચે એક જંગ ચાલતી હોય છે, જેમાં અસત્યના હાથે, લાલચની પાછળ જાતે જ ખુવાર થઈ જવાનો ડર હોય છે. આ ભયની સામે, અભય થઈને, અંતરાત્માને જાગૃત રાખવા માટે જે મંથન કરવું પડે છે, એટલું જ નહીં, સત્યના રસ્તે કાયમ રહેવા માટે વરસોનો સતત અને સખત પરિશ્રમ કરવો પડે છે.
આત્માની પવિત્રતા એ ન તો શાબ્દિક વિવાદ કે ન તો ઠાલાં વાણીવિલાસનો વિષય છે. પવિત્ર મન અને હ્રદય તો ઈશ્વર સમક્ષ કરેલી આરતીના દીપક અને ધૂપ છે.
માત્ર મોટી મોટી વાતો કરીને, અને આધ્યાત્મિકતાનો આંચળો ઓઢીને ફરવાથી Cosmic Energy – વૈશ્વિક ઉર્જામાં ‘ગંગાસ્નાન’ થઈ નથી શકતું. સારા માણસ બનવા અને રહેવા માટે અંતરથી શુદ્ધ હોવું બહુ જરૂરી છે અને એને માટે પણ જાગરૂકતા કેળવવી પડે છે. શુદ્ધતા વિના બૌધીતત્ત્વ માટેની સજ્જતા કેળવી શકાય નહીં. શુદ્ધ થવા અને રહેવા માટે ખૂબ શ્રમ કરવો પડે છે.
ગઝલના મક્તામાં, કવયિત્રી કોઈ પણ જાતનાં Reservation – અનામત રાખ્યા વિના કે આડપડદા વિના કહે છે કે, એમની પાસે જે સદવિચાર, જ્ઞાન અને સમજણનો કુબેર ખજાનો છે એને માટે પણ વરસોના વરસોની મહેનત છે.
“તિજોરી જોઈ ‘પારુલ’ની કરે શંકા જગતકાજી,
તરત બોલે શબદ-નાણું ‘ઘણાં વર્ષોની મહેનત છે’.”
પારુલબહેનની આ સાદી અને સરળ લાગતી ગઝલમાં જીવન જીવવાની એક જ ચાવી છે, તાલિમ લેવા પાછળની સજાગ મહેનતની આરતીની આશકા. આ ગઝલમાં આત્મવિશ્વાસ, કાર્ય પરાયણતા અને કર્મયોગનો ભરપૂર મહિમા થયો છે.
અહીં મને મારો શેર યાદ આવે છેઃ
“હો ખુદ પર જો ભરોસો, તો બધું સરખું જ લાગે છે
કરેલા ખુદના કર્મોનો, ખુદાને ન્યાય ના સોંપો”
આ ગઝલ પોતા થકી પોતાને અને પરમાત્માને પામવાની છે. આ ગઝલ વાંચતાં અલ્લામા ઈકબાલનો આ શેર જાણે પ્રતિપાદિત થાય છેઃ
ख़ुदी को कर बुलंद इतना कि हर तक़दीर से पहले,
ख़ुदा बंदे से ख़ुद पूछे, कि बता तेरी रज़ा क्या है
– अल्लामा इक़बाल
પારૂલબહેનની સર્જકતા ઈશ્વરદત્ત છે પણ એની પાછળ એમની કર્મનિષ્ઠા છે. ગુજરાતી સાહિત્યમાં એમણે પોતાની એક આગવી કેડી કંડારી છે. કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન
***
મજબૂત ગઝલ અને એટલું જ સરસ આલેખન