કચ્છની ધરાનું સૌંદર્ય (પ્રવાસવર્ણન) ~ સંધ્યા શાહ
કચ્છનું મને સદાય આકર્ષણ રહ્યું છે. મારી માતાનું તેજસ્વી બાળપણ ત્યાં વ્યતીત થયું છે. કચ્છની સૂકી ધરાના ખડતલ અને સાહસિક માનવીઓએ આખા જગતમાં પોતાના પરિશ્રમની, ઐક્યની અને ઔદાર્યની આગવી છાપ અંકિત કરી છે. ત્યાંની લોકસંસ્કૃતિ, હસ્તકળાની બેનમૂન કૃતિઓ, માટીના ભૂંગા, લીંપણ પર કરેલું ચિત્રકામ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને પ્રકૃતિનું અનુપમ સૌંદર્ય ત્યાં જવા હંમેશા આકર્ષિત કરે છે.
દિવાળીની રજાઓમાં પરિવાર સહિત કચ્છનો પ્રવાસ શરૂ કર્યો. મારી માતા વાતે-વાતે ‘જાત ભારી તકડી’ જેવી સૂચક પંક્તિઓ અને અવતરણો કહેતી તે દુલેરાય કારાણીની આ ભૂમિ, બળબળતા રણમાં પોતાના કૂતરા સાથે તરસ્યા વટેમાર્ગુઓને પાણી પીવડાવતા દાદા મેકણની આ ભૂમિ, ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માની આ ભૂમિમાં વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે પસંદગી પામેલ ધોળાવીરા અને ધોરડો, ધરતીકંપ પછી બેઠું થયેલું કચ્છ… કેટકેટલુંયે જોવાનું નક્કી કર્યું.

સુરેન્દ્રનગરથી શરૂ થયેલા પ્રવાસમાં અમે ચૂલી અને ભદ્રેશ્વરના મુકામ પછી રાત્રે માંડવી પહોંચ્યાં. સરસ વૈભવી વિલામાં ઉતારો રાખ્યો હતો.
ચાર બેડરૂમ્સ, કિચન, ડાઈનિંગ રૂમ બધું જ રાચરચીલાથી સજ્જ. મોટી પરસાળમાં આંબાનું ઝાડ, કૂવો, સાઈકલ, રમતગમતના સાધનો. બાળકોને તો મજા પડી ગઈ.
નવા વર્ષની સવારે અમારી આસ્થાના કેન્દ્ર સમા બોત્તેર જિનાલયમાં દર્શન કર્યા. પ્રાર્થના કરી.

શ્યામજી કૃષ્ણવર્માના ક્રાંતિતીર્થ ગયા. ભારતની આઝાદી માટે જીવનભર પરદેશમાં રહીને લડનારા આ પત્રકાર, ક્રાંતિકારી, ભારતીય યુવાનોના પ્રણેતા રહ્યાં, 1930માં એમનું મૃત્યુ થયું.
એમણે પોતાના અને પત્નીના અસ્થિ 100 વર્ષ સુધી જળવાઈ રહે તેનો પ્રબંધ કર્યો હતો. તેમની ઈચ્છા હતી કે સ્વતંત્ર ભારતમાં તેમના અસ્થિ લઈ આવવામાં આવે. 2003માં શ્રી નરેન્દ્ર મોદીએ આ ઈચ્છા પૂર્ણ કરી હતી.
2010માં વતન માંડવીમાં લગભગ 90 એકરની જગ્યામા ક્રાંતિતીર્થની રચના કરવામાં આવી. લંડનના ઇંડિયન હાઉસની પ્રતિકૃતિ સમા ભવનમાં એમની સ્મૃતિ અનેક રીતે સંચિત કરવામાં આવી છે.
આ બધું જાણતા હોવાથી અમે ખૂબ ઉત્સુક હતા. પણ અમારા દુર્ભાગ્યે, મુલાકાતીઓના પ્રવેશ પર બંધી હતી. અમે અમારા સ્વાતંત્ર્યસેનાની પિતાની વાત કરી પણ છેવટે તો પ્રાંગણમાં રહેલા એ દંપતિના સ્ટેચ્યુના દર્શન કરીને જ સંતોષ માનવો પડ્યો.
માંડવીના દરિયાકિનારે આવેલા વિજય વિલાસ પેલેસ પર પહોંચ્યા. સોએક વર્ષ પહેલાં કચ્છના રાજા ખેંગારજીએ પોતાના રાજકુંવર વિજયરાજના ઉનાળાના નિવાસ માટે ઈન્ડોયુરોપિયન શૈલીમાં આ મહેલ બંધાવ્યો હતો.

દરિયાની સમીપે હોવાથી પુષ્કળ હવા ઉજાસ ધરાવતાં, લાલ પથ્થરના ગુંબજ અને ઘુમ્મટોથી શોભતા આ રાજમહેલમાં વિશાળ દીવાનખંડ, ભવ્ય રાચરચીલું, રાજવી પરિવારના ફોટાઓ અને કચ્છ્ની કલાના કામણ જોવા મળ્યા. ઝરૂખામાં બેસીને પ્રતીક્ષા કરતી રાણીની કલ્પના કરીને એ માહોલને માણ્યો. મહેલના પ્રાંગણના હરિયાળા પરિવેશમાં રાજા વિજયરાજની પ્રતિમા ધ્યાનાકર્ષક છે.
માંડવીનો દરિયાકિનારો સાદ દઈ રહ્યો હતો.
મારી મા કહેતી હતી કે અહીંના લોકો દરિયાને દેવ તરીકે પૂજે કારણ પરિવારનો દીકરો કે મોભી તો આજીવિકા માટે દરિયો ખેડીને બહાર જ હોય.
આકાશે રક્તિમ આભા ધરી હતી જેનું પ્રતિબિંબ જળરાશિ પર ઝીલાતું હતું. ઉછળી-ઉછળીને મોજાઓ કિનારા પર અફળાતા હતા. એ સ્વર્ણિમ સંધ્યાએ રેતી પર થોડાક પગલાં ચાલીને પાણીમાં પગ બોળીને ઊભા રહેવાનું ખૂબ ગમ્યું.
દરિયા કિનારો સહેલાણીઓથી ઊભરાતો હતો. બહુ જ બધી વોટર સ્પોર્ટ્સનો લોકો આનંદ લઈ રહ્યા હતાં.
ઊંટની સવારી તો કેમ ચૂકાય? પ્રવાસીઓના કોલાહલમાં અને ફેરિયાઓની અવરજવરમાં સૂરજે પોતાની લીલા સંકેલી લીધી. અંધારાના આગોશમાં અમે પણ વિલા તરફ પ્રયાણ કર્યું
હવે અમારો મુકામ હતો ધોરડો. હોડકા ગામના ‘શામ-એ-સરહદ’ વિલેજ રિસોર્ટમાં પહોંચતા સાંજ ઢળી ગઈ.
રણોત્સવની તૈયારીનો ઝળહળાટ દેખાતો હતો. માટીના લીંપણ અને તેના પરના પારંપરિક ચિત્રોથી શોભતા ભૂંગા રણોત્સવની શાન હતા.
અમારા રિસોર્ટના વિશાળ પરિસરમાં સાતેક ભૂંગા હતા. બધા પ્રવાસીઓને જમવા માટેની ખુલ્લા પ્રાંગણમાં વ્યવસ્થા હતી. આતિથ્ય પણ ખૂબ હૂંફાળું. બહારથી ગ્રામ્ય પરિવેશ અને અંદર તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ ભૂંગામાં રહેવાની મજા આવી ગઈ.
માટીના પલંગ પાછળની ભીંતો ઉપર પણ સુંદર મજાના ચિત્રો દોરેલા હતા. શીતળ રાત્રિમાં ખુલ્લા આકાશ નીચે ખાટલા ઢાળીને કચ્છી કલાકારોની ગાયકીનો અને પારંપરિક ભોજનનો આસ્વાદ માણ્યો. મોડી રાત્રે આંખ મળી.
જેસલમેરમાં તંબુમાં ગાળેલી આવી જ એક રાત્રિ યાદ આવી ગઈ. સવારે સૂર્યોદય જોવા વહેલા નીકળી ગયા. સરહદનો વિસ્તાર હોવાથી ચોકી પર થોડી પૂછપરછ કરી. સૂર્યોદય જોવા આવ્યા છીએ તેની ખાતરી આપીને અમે ટાવર સુધી પહોંચી ગયા. અમારા જેવા કેટલાય પ્રવાસીઓ ટાવર પર હતાં. અમે પણ જલ્દી જલ્દી ચાર માળ સુધી ચડી ગયા.
હજી ભળભાંખળું થયું હતું. સૂર્યના આગમનની પ્રતીક્ષા હતી. ચારે બાજુ સફેદ રણ દેખાતું હતું. સૂસવાટા મારતા પવનમાં અમારા વાળ ઊડી રહ્યા હતા. ધીરે ધીરે વધતી આકાશની લાલિમા સૂર્યદેવતાના આગમનની છડી પોકારવા લાગી.
બીજના ચંદ્ર જેવો સૂરજ ઉપર આવી રહ્યો હતો. એક સૂર્ય આકાશમાં તો એક જળમાં પ્રતિબિંબિત થતો હતો. બન્ને સૂર્યને એકસાથે જોવાનો લહાવો અવિસ્મરણીય રહ્યો. રમ્યતાની આ અદ્દ્ભુત પળોને કેદ કરવામાં સહુ વ્યસ્ત થઈ ગયા.
વહેલી સવારનું આ સહજ સૌંદર્ય, ચોમેર પથરાયેલી શુભ્રતા ને સૂર્યનો સ્વર્ણિમ અજવાસ ભીતરને ઉજાળી રહ્યો. અમે બહુ વાર રોકાયા પછી ભૂંગામાં પરત આવ્યા. નાસ્તો કરી, તૈયાર થઈ ધોળાવીરા જવા ઉપડી ગયા.
ભારતીય સંસ્કૃતિના હજારો વર્ષ પહેલાના અવશેષોને જાળવીને બેઠેલું આ સ્થળ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન પામ્યું છે.
જગતના નકશામાં સ્થાન પામેલા આ સ્થળે આપણી નગરવ્યવસ્થા, જળરક્ષા પ્રત્યક્ષ દેખાતી હતી. હજારો વર્ષ પહેલાની આપણી દૂરદર્શિતા અચંબો પમાડે તેવી છે. મ્યુઝિયમમાં દ્રશ્યશ્રાવ્ય ડોક્યુમેન્ટરીમાં ધોળાવીરાના અવશેષો અને તેનો ઈતિહાસ દર્શાવતા હતા, જો કે ઓડિયો સ્પષ્ટ ન હતો.
શિયાળો હજી જામ્યો નહોતો એટલે થોડાક જ યાયાવર પંખીઓ દેખાતા હતા. ધોળાવીરાથી ભુજ જવાનો રસ્તો એટલે રણનું અફાટ સૌંદર્ય. આ રસ્તા પરથી પસાર થવાની આહ્લાદક અનુભૂતિને કારણે તેને ‘રોડ ટુ હેવન’નું નામ આપવામાં આવ્યું છે.
સ્વર્ગનો રસ્તો ખરે જ આટલો સુંદર હશે ને! આખો રસ્તો ખૂબ રળિયામણો. રસ્તાની ધાર પર વાહન ઊભા રાખી થોડાક પથ્થરો પરથી નીચે ઉતરીને સફેદ રણમાં જઈ પહોંચ્યા.
જેસલમેરની જેમ આ રેતીનું રણ નથી, આ મીઠાનું રણ છે. સદીઓથી આ ભૂમિ પર વરસાદી પાણી અને રાજસ્થાન, પાકિસ્તાનની નદીઓનું પાણી ઠલવાતા એ દરિયા જેવું લાગે, ઘૂઘવાટા કરતું પાણી પછીથી મીઠાના રણમાં પલટાઈ જાય.
જ્યાં સુધી અમારી નજર પહોંચતી હતી ત્યાં સુધી, ક્ષિતિજ સુધી, શુભ્રતાનો પારાવાર છલકાતો હતો. પૃથ્વીનો અંત આવી ગયો હોય તેવું લાગતું હતું. છીછરા પાણીએ મીઠાનું અદ્દ્ભુત સ્વર્ગ રચ્યું હતું.
સવારે ધોરડાના ટાવર પરથી જોયેલો સૂર્ય અત્યારે અમને સંમોહિત કરીને વિદાય લઈ રહ્યો હતો. નિરભ્ર આકાશની નીચે કુદરતના કરિશ્મા જેવા આ રણમા મીઠાની કણીઓએ સુવર્ણની આભા ધરી હતી. આ ક્ષણોને અમે ડ્રોનથી ઝીલી લીધી. આ નિતાંત સૌંદર્યની પળો કચ્છના પ્રવાસની શ્રેષ્ઠ પળો રહી.
ધોરડોને ઝગમગતું કરવાનું શ્રેય એની લોક્સંસ્કૃતિ, લોકકળા અને રણને તો મળે જ છે પરંતું શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને રણના સૌંદર્યની આગવી ઓળખ આપી છે એ તો ચોક્કસ.
ભુજમાં પ્રકૃતિના સૌંદર્યથી ખચિત કડિયો ધ્રો જોવા ગયા. અમુક અંતર કાપ્યા પછી એટલો પથરાળ રસ્તો આવે છે કે ત્યાંથી જીપમાં જવું પડે. ઉપર જઈએ ત્યારે યુરોપની ધરા પર પહોંચી ગયા હોય તેવું લાગે.

પાણીથી કપાયેલા ડુંગરમાં દેખાતા રંગબેરંગી પથ્થરોની કોઈ અજબ શોભા હતી. મનમોહક દ્રશ્યો એ આ સ્થળવિશેષનું આકર્ષણ હતું, એટલે જ તડકો હોવા છતાં એ જોવાનો મોહ જતો કરી શકાય તેમ નહોતું. કચ્છ્ની ધરાના અપૂર્વ સૌંદર્યે અમને જકડી રાખ્યા હતાં.
અમારી હાલત ‘woods are lovely dark and deep, but we have promises to keep’ જેવી હતી. ઘણું જોયું અને છતાં ઘણું બાકી રહી ગયું. ફરી વાર આવવાનું નક્કી કરી કચ્છની ધરતીને વંદન કરી વિદાય લીધી.
~ સંધ્યા શાહ, મુંબઈ
~ મો : 93246 80809
Feels like I m with you in full journey , it’s so beautifully written have no words to express,really અદભુત આલેખન કર્યું છે