“એક સર્જકની નજરે…!” – હરીન્દ્ર દવે ~ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

“સર્જકતા એ “સ્લો સાઈક્લિંગ’ની સ્પર્ધા છે. એમાં સહુ પહેલો આગળ જનારો હારે છે અને જે છેલ્લો રહે છે તે જીતેલો જાહેર થાય છે. ફ્રેન્ચ સર્જક ઝાં કોક્તોએ કહ્યું હતું એમ, સાચા સર્જકની યાત્રા પગપાળા જ થાય છે.
પગે ચાલીને ફરીએ ત્યારે હૂંફાળો તડકો, સ્ફૂર્તિદાયક ટાઢ, દાયકાઓથી આસન જમાવીને બેઠેલાં વૃક્ષોનો પરિચય કેળવવાની તક, બંને બાજુએ મલકમલક મલકાતાં મકાનોનો અનુભવ, ધરતીનો સ્પર્શ, આકાશની વિશાળતા – બધું જ મળે છે. પણ ફ્લડલાઈટથી આંજી દેતી મોટરો ધૂળ ઉડતી પસાર થી જાય, ત્યારે પહેરણની ચાળ પરની ધૂળ ખંખેરીને મારગે ચડવાને બદલે, હાથ ઊંચો કરીને લિફ્ટ માગવાની ભૂલ કરી બેઠા, તો થયું. તડકો વૃક્ષો, આકાશ, ધરતી બધું જ ગયું! તો, એક સર્જક તરીકે મારો પ્રયત્ન કાયમ પગપાળો પ્રવાસ કરવાનો છે.”
**********

“સર્જક ગમે તેટલાં ટોળામાં પણ એકલવાયો છે. એકલતાની ભીંસે મને ઘણી વાર મૂંઝવ્યો છે, તો, એકલતાના મનનું આકાશ ક્યારેક મારાથી સભર હોય એવું પણ અનુભવ્યું છે. એવી ક્ષણે આપણે કંઈ કેટલાયના ઉપકારવશ છીએ, એનું સ્મરણ કરાવનારી છે. સૌ પ્રથમ ઉપકાર હું આ એકલતાનો માનું છુંઃ યહૂદી સર્જક ઍગ્નોએ કહ્યું હતું કે પોતે કઈ કઈ ગાયનાં દૂધ પીધાં છે, એ માનસને ક્યાં કદી યાદ હોય છે?”
**********

મને ચમત્કારમાં શ્રદ્ધા છે. લીલું તરણું ધરતીની માટી તોડીને ઊગે એનાથી મોટો ચમત્કાર બીજો ક્યો હોઈ શકે? હિમાલયનાં શિખરો પર પ્રભાતનાં કિરણો સોનાની માફક પથરાઈ જાય, એ પણ એક ચમત્કાર છે. નદીમાં તણાતા પર્ણને વળગેલી કીડીને જુઓ તો થાય કે કુદરતે કેવા કેવા ચમત્કારોનાં વિસ્મયનું વિશ્વ આપણા માટે ઘડ્યું છે?
**********

“પુષ્પો સાથેનો પ્રત્યેક પરિચય, પ્રત્યેક વેળા, એક નવો અનુભવ લઈને આવે છે. જીવાતા જીવનની દરેક ક્ષણ ચમત્કાર જ છે. એ ક્ષણ ભલે ને પછી દુન્યવી અર્થમાં સુખ લાવે છે કે દુઃખ લાવે, નર્યા વિસ્મયનો પ્રદેશ તો એમાં હોય જ છે. હવે પછીની આવનારી પ્રત્યેક ક્ષણ પુસ્તકનાં ન વાંચેલાં પાનાં જેવી છે. બરાબર આ જ રીતે કવિતાનો કોઈ પણ શબ્દ મારા માટે ચમત્કાર છે.”

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.