આપણાં ધીરુબહેન ~ સ્મરણાંજલિ ~ નંદિતા ઠાકોર
આજે ૧૦મી માર્ચ. પ્રિય ધીરુબહેન પટેલનો વિદાય દિવસ.
છેલ્લાં કેટલાંક મહિનાથી મગજમાં એક વિચાર ઘોળાતો હતો. ધીરુબહેનની પ્રથમ પુણ્યતિથિ કે વર્ષગાંઠ આવશે અને એમને યાદ કરીને કંઈક સરસ કાર્યક્રમ કરવામાં આવશે જ એ તો ખાત્રી હતી પણ જે તે દિવસ પૂરતું એમને યાદ કરીશું, વાતો કરીશું, કાર્યક્રમો કરીશું, એ પછી શું?

ધીરુબહેને માત્ર પોતાની જ કલમને વિકસાવી કે જીવંત રાખી એવું નથી. નવી કલમો પ્રગટે, વિકસે અને યોગ્ય રીતે વહેંચાય એ માટે એ સતત મથ્યાં. ખાસ તો બહેનોની.
એમને માર્ગદર્શન આપ્યું, પ્રેરણા આપી, તક આપી, સમજ આપી. સર્જન શિબિરો યોજી. ‘લેખિની’ કે ‘વિશ્વા’નાં પ્રાગટ્ય પાછળની પ્રેરણા બન્યાં. હવે એમની વિદાય પછી આપણે એમની કૃતિઓ વાંચીશું, ગાઈશું, ભજવીશું કે અન્ય કોઈ પણ રીતે વહેંચીશું જરુર, પણ શું માત્ર એટલું જ કરીશું? એ સિવાય શું?
મને લાગે છે કે આપણી ફરજ એ કે એમણે પ્રગટાવેલા દીવામાં ઘી-તેલ પૂરતાં રહીએ, એની વાટ સંકોરતાં રહીએ. અને એ માટેનો એક નાનકડો પ્રયાસ એટલે ૮મી માર્ચે અમે ૧૬ સખીઓએ ઉજવેલો મહિલા દિવસ.

ધીરુબહેનના ચીંધ્યા કલમ માર્ગે અમે સૌ ક્યાંક, ક્યારેક ચાલ્યાં છીએ. એ પ્રવાસ અટકવો ન જોઈએ એવી ખાત્રી ફરી એકવાર અમે સૌએ એકમેકને આપી. શબ્દને અનેક રીતે ઉજવ્યો. ઓઢ્યો, પહેર્યો, ગાયો, વહેંચ્યો, માણ્યો.
અમારી કલમયાત્રાને લાગેલો થાક ખંખેર્યો. એને ધાર કાઢી. સારું સાહિત્ય વાંચવા અને રચવા માટેની સજ્જતા કેળવવા માટે કટિબધ્ધ થયાં. કહોને કે એક “મિની સર્જન” શિબિર માણી.

ધીરુબહેને પ્રગટાવેલી જ્યોતને મશાલની જેમ આગળ લઈ જવાની જવાબદારીનો એક અંશ અમે જાતે પોતે સ્વીકાર્યો છે. આ અમારી ફરજ છે એ સમજ સાથે. અમારી કલમને તો અમારે વધુ સક્ષમ બનાવવાની છે જ પણ શબ્દની જ્યોત ઠેર ઠેર પ્રગટે એ માટે ધીરુબહેને કરેલાં પ્રયાસોને જીવંત રાખવાનાં છે.
છુટાંછવાયાં બે ચાર કાર્યક્રમો કે આયોજનો પૂરતાં નથી. કશુંક નક્કર કામ નિશ્ચિતપણે થવું જોઈએ. કાર્યશાળાઓ, સર્જન શિબિરો જેવું.

આ વિચારને વધાવી લઈ વહાલાં મિત્રો પ્રીતિ જરીવાળા અને જાગૃતિ ફડિયાએ બધું જ આયોજન સાવ ઓછા સમયમાં ખૂબ કુશળતાથી પાર પાડ્યું. અને મહિલા દિવસે અમે સોળ સખીઓએ ધીરુબહેનની સ્મૃતિને ઉજવી.
એ દિવસ માત્ર મહિલા દિવસ તરીકે નહીં પણ ધીરુબહેન દિવસ તરીકે ઉજવ્યો, અને એ રીતે અમે અમને પોતાને ઉજવ્યાં.
જે લોકો કોઈ કારણે ન જોડાઇ શક્યાં તે પણ આમ તો સાથે જ હતાં. ધીરુબહેનને અમારા સૌ તરફથી આ આદરાંજલિ હતી.

વ્યક્તિના ગયા પછી એની ભક્તિ કર્યા કરવાથી એમનાં કાર્યો જીવંત રહે કે આગળ વધે ખરાં? વ્યક્તિનાં વિચારને કે કાર્યને જીવતાં રાખવાની ફરજ આપણાં જેવાંઓની હોય છે. એ ફરજ નિભાવવા બનતા પ્રયાસો કરશું જ એ વચન અમે કેટલાંક મિત્રોએ પોતાને અને ધીરુબહેનને પણ આપ્યું છે.
-નંદિતા ઠાકોર