ખરું કદ પારખી લીધું મેં મારું (લેખ) ~ હિતેન આનંદપરા ~ અર્ઝ કિયા હૈ ~ ગુજરાતી મિડ-ડે

‘યે ઢાઈ કિલો કા હાથ હૈ; કિસી પે પડતા હૈ તો આદમી ઊઠતા નહીં, ઊઠ જાતા હૈ.’ દામિની ફિલ્મનો સની દેઓલ બોલેલો આ ડાયલોગ યાદ આવી જાય એવી અઢી કરોડ વેક્સિન ડોઝની સિદ્ધિ ભારતે એક જ દિવસમાં હાંસલ કરી બતાવી. આંકડાં એટલાં ઊંચકાઈ ગયા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ૭૧મો જન્મદિવસ યાદગાર બની ગયો. ‘કુળ એકોતેર તાર્યા રે’ સાથે તમે સંમત થાવ કે ન થાવ, આંકડા સાથે તો સંમત થવું જ પડશે. વિશ્વભરમાં નોંધ લેવાય એવા આ વિક્રમના અછોવાના કરવાના જ હોય. અશોક જાની ‘આનંદ’ની પંક્તિઓ સાથે તેની મહત્તા કરીએ…
છત હટાવી ભીંત, ચારેચાર ચાલી નીકળી
બારણું છોડીને, બારી બહાર ચાલી નીકળી

થઈ અમે ખાંભી પછી પાદર ઉપર ખોડાઈશું
આ જિજીવિષા થઈ પડકાર ચાલી નીકળી

એક જ દિવસમાં આવી સિદ્ધ મેળવવી એ વિકટ નહીં, અતિવિકટ ટાસ્ક છે. આ સિદ્ધિ માટે કોરોના વૉરિયર્સ, સરકારી અધિકારીઓ અને ભારતીય જનતા પણ શાબાશીની હકદાર છે. એક લક્ષ્યને સાકાર કરવા સંઘશક્તિ જાગૃત થાય તો શું પરિણામ મળી શકે એ આખા જગતે જોયું. ડૉ. કિશોર મોદી એ ક્ષણની મહત્તા કરે છે જેની પાસે શાશ્વતીની ક્ષમતા રહેલી છે… 
આ કિરણ જેવું રૂપાંતર થઇ જવાનું
એક સૂરજની સમાંતર થઇ જવાનું

આજ હમણાં ક્ષણ સુવાસિત જેમ મળવું
જાણે કાલે તો યુગાંતર થઇ જવાનું

વિક્રમી વેક્સિન ડોઝથી યુગ બદલાશે નહીં, પણ દૃષ્ટિ જરૂર બદલાશે. આપણે આ કરી શકીએ છીએ, એ આત્મવિશ્વાસ બિલિયન ડૉલર્સમાં પણ માપી ન શકાય. કોરાના મહામારીમાં જનતાએ ખોફનાક મરણ જોયું છે અને કફોડી સ્થિતિનો સામનો કર્યો છે. એક તરફ લાચારી જોઈ છે તો બીજી તરફ પડખે ઊભી રહેતી માણસાઈ પણ જોઈ છે. કઈ શક્તિ છે જે આપણને સામનો કરવા પ્રેરે છે? ગિરીશ પોપટ ‘ગુમાન’ તેનો નિર્દેશ કરે છે…
જીવનમાં દુઃખ અને દર્દોની જ્યારે ફોજ જન્મે છે
હું તમને જોઉં છું ને બસ મનોમન મોજ જન્મે છે

દુઃખોના પહાડ સામે પણ કદી ઝૂકવા નથી દેતો
હૃદયમાં કોણ છે ગુમાન, જે દરરોજ જન્મે છે?

૧૭ સપ્ટેમ્બરની સિદ્ધિ સાથે પ્રધાનમંત્રીને તો આકાશ ભરીને અભિનંદન હોય જ, પણ એ તમામ લોકોને દરિયો ભરીને દાદ આપવી જોઈએ જેમણે દિવસરાત એક કરીને અનેક પડકારોનો સામનો કર્યો અને મિશન સફળ બનાવ્યું. આ સિદ્ધિ જોઈને વિરોધ પક્ષના વામણા નેતાઓની બોલતી બંધ નથી થઈ, બબૂચક થઈ ગઈ છે. તેમના લવારાને સ્થાન આપીને આ કૉલમને અભડાવવી નથી. એ લોકો મનોમન સૂયકાન્ત નરસિંહ ‘સૂર્ય’ની પંક્તિ સમજી ગયા છે…
પછાડે હાથ તું, કે પગ પછાડે
હું તારું કુંડાળું ઠેકી ગયો છું

ખરું કદ પારખી લીધું મેં મારું
તને લાગે છે હું બ્હેકી ગયો છું

માણસનું કદ તેના કાર્યોથી પરખાય છે. વાણીવિલાસ પ્રારંભિક સ્તરે કામ આવે, લાંબી રેસમાં તો વાણીની સચ્ચાઈ અને કાર્યોની શરણાઈ બોલવાની. અનેક આપત્તિઓ વચ્ચે પણ નરેન્દ્રભાઈની ટકી રહેલી લોકપ્રિયતા તેમણે આદરેલા પુરુષાર્થને કારણે છે. કોઈની સાડેબારી રાખ્યા વગર દેશહિતમાં લીધેલા મક્કમ નિર્ણયોને કારણે છે. જમીન પર જોઈ શકાતી કાર્યસિદ્ધિ જોઈ વિરોધ પક્ષના નેતાઓને ઈસ્ટમેન ઈર્ષા અને દયનીય દ્વેષ થાય એ બકરીના બેં બેં જેટલું  સ્વાભાવિક છે. હેમંત ગોહિલ ‘મર્મર’ની પંક્તિઓ સાથે કર્મા ફિલ્મનો ‘થપ્પડ કી ગૂંજ’ ડાયલોગ યાદ આવે તો મિચ્છામિ દુક્કડમ…  
રણની એલર્જી છે, કાં તો કારણની એલર્જી છે
ફૂલો જેવા ફૂલોને લ્યો, ફાગણની એલર્જી છે 

એવા પગને કાયમ માટે આઈસીયુમાં રાખો, હા
જેને નખથી શિખા સુધી અડચણની એલર્જી છે 

એલર્જી ઝટ મટતી નથી એ સ્વીકારીને ચાલવું પડે. ભારતની પ્રજાએ આવી એલર્જીને ઓળખવાની છે કારણકે તે આપણી એનર્જીને કોઢ કરી મૂકે એવી શાતિર છે. દેશવિરોધી વાયરસનો પણ ખાત્મો કરે એવી ચીરકાલીન વેક્સિન શોધાય એવી આધ્યાત્મિક આશા રાખીએ.    

ક્યા બાત હૈ

દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી

એકાંતનો આ મોગરો કોળી ઊઠ્યો જુઓ
એક આગવી સુવાસ છે, હું એકલો નથી

સહરા છે, ઝાંઝવા છે, સતત ઊડતો ગુબાર
ને કોઇની તલાશ છે, હું એકલો નથી

વાળીતી જેમાં ગાંઠ જન્મભરના સાથની
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હું એકલો નથી

બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
મનની અતાગ વાવ છે, હું એકલો નથી

આ કેફ ઊતરે તો હવે કેમ ઊતરે?
ગેબી છલકતો જામ છે, હું એકલો નથી

દીપક હું નીતરું છું સુરાહીમાં દમબદમ
ભરચક તલબનો જામ છે, હું એકલો નથી

~ દીપક બારડોલીકર

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. વાહ!વાહ! અતિ સુંદર લેખ. ભરપૂર માણ્યો. અઢળક અભિનંદન. આભાર.
    અમિતા દવે