મન, આત્મા, પૂર્વજન્મો અને જીવન ~ મૂળ લેખક: સુકેતુ ~ અનુસર્જન : ડૉ. સરોજિની જિતેન્દ્ર ~ પુસ્તક પરિચય: કિશોર વ્યાસ
આપણે ઘણી વખત એક પ્રાર્થના ગીત ગવાતું કે વાગતું સાંભળ્યું છે કે, “પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો”. પરંતુ એવું ક્યારેય વિચાર્યું નથી કે, આત્મા શું છે? તેને જીવનમાં આટલું મહત્વનું શા માટે ગણવામાં આવે છે. આત્મા અને શરીરનો સબંધ શું છે? આત્મા શરીરમાં ક્યાં સ્થાન ધરાવે છે. તેની ભૂમિકા શું હોય છે?
જો કે, પરમાત્મા અને આત્મા, તન અને આપણું મન, જીવન, મૃત્યુ અને મોક્ષ જેવા વિષયો આદિ-અનાદિકાળથી માનવની જિજ્ઞાશાને જીવંત રાખતા આવ્યા છે.
કદાચ યુગોથી આ અલૌકિક તત્વોને વિવિધ દ્રષ્ટિકોણ અને પધ્ધતિઓથી જાણવા અને તેનું તળ તપાસવાના પ્રયત્નો થતા જ રહ્યા છે. કેટલીક વૈજ્ઞાનિક શોધો પછી એવું તારતમ્ય નીકળ્યું છે કે, માનવદેહ-શરીરની આસપાસ એક તેજોમય પ્રકાશનું વર્તુળ જોવા મળે છે જેને આત્માની ઊર્જા કે પ્રકાશ કહી શકાય. પરંતુ આત્માને એ પ્રકાશ ક્યાંથી મળે છે? કોણ આપે છે તેને એ પ્રકાશ? શોધ થયા પછી પણ એ પ્રશ્ન સામાન્ય માનવીને તો ઉદ્દભવતો જ રહ્યો છે.

એવું કહેવાય છે કે, તેનો આધાર પૂર્વજન્મના સંસ્કારો અને આ જન્મનાં કર્મો પર તે પ્રકાશનો આધાર રહેલો છે. અહીં એ બાબત સાબિત થાય છે કે, પૂર્વજન્મ હોય જ છે!
ગયા જન્મના અનુભવો, વર્તમાન જીવનને કઈ રીતે પ્રભાવિત કરે છે અને તેનાં કારણે જીવનમાં કેવી અનુભૂતિઓ કે સમસ્યાઓ ઉદ્દભવે છે તેના પર પ્રકાશ પાડી, તેનું સમાધાન શોધવાનો પ્રયાસ એટલે જ પૂર્વજન્મનું અનુસંધાન કહી શકાય.
આ તમામ સવાલો અને તેના જવાબો લઈને, પરમાત્માથી સર્જાતાં આત્માની સફરને જાણવા, સમજવા અને પામવા માટેનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રજૂ કરતું પુસ્તક એટલે, મૂળ ‘સુકેતુ’એ લખેલું અને તેને અનુસર્જન સ્વરૂપે વિદુષી લેખિકા ડૉ. સરોજિની જિતેન્દ્રએ લખેલું “મન, આત્મા, પૂર્વજન્મો અને જીવન” નામનું પુસ્તક.
આ પુસ્તક, પરમાત્માથી સર્જાતા આત્માની સફર, આત્મા, તન અને મનની માહિતી મેળવી તેના સમન્વયથી બનતા જીવન અને તેના ઉદ્દેશ્યને ઓળખવા માટેની સમજ આપે છે.
પૂર્વજન્મ અનુમાન છે કે સત્ય? તન, મન અને આત્માનાં સુયોગ્ય સંયોજનથી બનેલું જીવન શું છે અને તેનું ચૈતન્ય સ્વરૂપ કેવું છે? શરીર શું છે અને તેને આત્માની અનિવાર્યતા શા માટે હોય છે? આ તમામ સવાલોના વૈજ્ઞાનિક રીતે જવાબ આપવાનો આ પુસ્તકમાં પ્રયાસ કરવામાં આવ્યો છે.
લેખિકા ડૉ. સરોજિની જિતેન્દ્રએ ચોત્રીસ વર્ષની ઉમરે જ્યારે “પ્રાણઘાતક માંદગી સંદર્ભે મૃત્યુ”નો સંશોધનાત્મક અભ્યાસ શરૂ કર્યો ત્યારે ‘મરણ’ શબ્દ વિશેની સમજણ ઘણી સીમિત હતી. પરંતુ સંશોધન કાર્ય દરમ્યાન, જ્યારે તેમણે કેન્સરની અંતિમ અવસ્થામાં શ્વાસ લેતાં દર્દીઓની, સ્વજનને પીડાતા જોવાની વ્યથા અનુભવતા આત્મીયજનોની અને કેન્સરના દર્દીઓની સારવાર કરનારા ડોક્ટર્સની મુલાકાત લીધી, ત્યારે તેમણે ‘મરણ’નાં વિવિધ સ્વરૂપો અને એ સ્વરૂપો સાથે સંકળાયેલાં અનેકવિધ સંવેદનોનો પરિચય થયો હતો.
એ કેન્સર પીડિતોની ૨૬ જેટલા દર્દીઓની સત્યકથાઓ તેમણે તેમના આથી અગાઉ પ્રસિદ્ધ થયેલાં, બહુ પ્રસિદ્ધ પુસ્તક “મૃત્યુ સમીપે”માં સચોટ રીતે વર્ણવી છે.
અનેક લક્ષણો સાથે વિરમતા દર્દીઓને જોયા અને તેમની મરણ પૂર્વેની તમામ સ્થિતિઓ પછી મૂંઝવતા થયેલા અનેક પ્રશ્નોના ઉત્તરો મેળવવા તેમણે પારદર્શિતા, સર્જનશીલતા, આત્મીયતા, સફળતા, હકારાત્મકતા વગેરે જેવાં અગિયાર જીવનતત્વોને સ્વયમની જીવન સફરમાં થયેલા અનુભવો સંદર્ભે મૂલવ્યા.
એક તબીબ તરીકે અને એક માનવી તરીકે તેમના અનુભવોના વિષદ અભ્યાસમાંથી આલેખાયું “જાત સાથે વાત” નામનું પુસ્તક.

ત્યાર પછી પણ તેમની એ યાત્રા ચાલુ જ રહી, કારણ કે, તેમને જ્યાં પહોંચવું હતું તે લક્ષ્યસ્થાન હજુ દૂર લાગ્યું હતું. તેમણે પરમ તત્વ અને આત્મતત્વ, સૃષ્ટિની રચનાનાં રહસ્યો અને રચનાના ઉદ્દેશ્યો જાણવા અને સમજવા પ્રાચીનકાળના ઋષિઓએ આત્મસાત કરેલાં ‘અનુભૂતિજન્ય જ્ઞાન’નો અભ્યાસ કર્યો.
એ સર્વેનાં વૈજ્ઞાનિક સંદર્ભોની માહિતી મળ્યા પછી એક બીજું સર્જન થયું જે પુસ્તકનું નામ છે “દિવ્ય સત્યનો કરિશ્મા”.
યાત્રા એ પછી પણ ચાલુ જ રહી. સંશોધન અભ્યાસ અવિરત અજવાળાં પાથરતો રહ્યો. પરમાત્મા અને આત્મા, તન અને મન તથા તન, મન અને આત્માના સમન્વયથી આકારિત થતાં જીવનના હેતુ અને લક્ષ્યને સમજવા તેમણે ‘પી.એલ.આર.’ ચિકિત્સા પદ્ધતિની માહિતી મેળવી.

પૂર્વ જન્મના અનુસંધાન’નાં નામે ઓળખાતી આ થેરપી ગત જન્મના અનુભવો, વર્તમાન જીવનને કઈ રીતે પ્રભાવિત કરે છે અને તેનાં કારણે તત્કાલીન જીવનમાં કેવી સમસ્યાઓ ઉદ્દભવે છે તેના પર પ્રકાશ પાડે છે તથા અ સમસ્યાઓનું સમાધાન શોધવામાં સહાયક બને છે.
એ ચિકિત્સા પદ્ધતિની પ્રેક્ટિસ કરનાર સુકેતુના પુસ્તક “વ્હાઈટ સોલ”- સફેદ આત્માનાં વાંચીને તેમને જીવનના ઉદ્દેશ્યને, તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા માટેની દિશા બતાવી.
આ પુસ્તકમાં એ ‘વ્હાઈટ સોલ’ની સામગ્રીનો સુપેરે ઉપયોગ કર્યો હોવાનું પ્રતિબિમ્બિત થાય છે. લેખિકા ડૉ. સરોજિની જિતેન્દ્ર માટે ‘અજાણી શોધ’ની સફર જેવું જીવન બની રહ્યું.
બેશક, આ પુસ્તકનું વાચન, વાચકની જિંદગીમાં ‘જીવન ઉદેશ્ય’ વિષયક જ્ઞાનની તેજ્ર રેખાને ઉદિત કરે તથા માનવજાતિમાં સકારાત્મક ભાવોનો વિકાસ થાય અને પ્રત્યેક જીવ શ્વેતાત્માના મૂળભૂત સ્વરૂપને પ્રાપ્ત કરે તેવા ઉદેશ્યથી જ આ, “મન, આત્મા, પૂર્વજન્મો અને જીવન” નામનું સર્જન અભિભાવકોના હૃદયે સમાવવા માટે જ કર્યું છે.
લેખિકા ડૉ. સરોજિની જિતેન્દ્રએ અદ્દભૂત ખેડાણ કર્યું છે, અને હજુ તેનાથી પણ કંઇક આગળ હશે.. તે આલેખવાની ઈશ્વર તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. મિત્રો, આ પુસ્તક વસાવજો, વાંચજો અને વંચાવજો..જ્ઞાનને ગતિ આપજો તેવી વિનંતી કરું છું.
https://www.zenopus.in/author/detail/sarojini-jitendra-dr
***