પૂર્વાંચલની પુત્રી : બ્રહ્મપુત્રા – રોમાંચક પ્રવાસ – ડૉ. શ્રીરામ સોની
પૂર્વાંચલની સંસ્કૃતિ, બ્રહ્મપુત્રા નદી સાથે જોડાયેલી છે. તિબેટમાંથી શરુ થઈ લગભગ ૯૦૦ કી. મી.નો પ્રવાસ કરીને, બંગાળના મહાસાગરમાં વિલીન થતી, આ નદીનાં દરેક પ્રદેશમાં જુદાંજુદાં નામ છે.
બ્રહ્માએ રચેલું માનસરોવર, એ સિંધુ ને સતલજ નદીની સાથે બ્રહ્મપુત્રાનું પણ ઉદગમસ્થાન છે. ગુવાહાટી કે ગુવાહટી – ગૌહત્તીમાં અમારી ટુરનો આજે પહેલો દિવસ છે અને એરપોર્ટથી અમે શહેરમાં પ્રવેશીએ છીએ.
કાંઠાને સમાંતર રસ્તો છે, પણ કાંઠા પર અસંખ્ય મકાનોની હાર એટલે નદીનાં દર્શન કરવાને આતુર અમારી આંખોને નિરાશા થઈ. પણ એક ટેકરા પર આવેલી અમારી હોટલની મોટી બાલ્કનીમાંથી આ વિશાળ નદી અને એનો પટ જોઈ દંગ થઈ ગયા અને અભિભૂત થઈને જોતાં રહ્યાં.
આ નદી અરુણાચલમાંથી ભારતમાં પ્રવેશે છે. આ નદીનું મૂળ તિબેટ, હિમાલયમાં આવેલું છે. તિબેટમાંથી નીકળીને તે ૧,૧૨૫ કિમી. લંબાઈના અંતર સુધી પૂર્વ તરફ વહે છે.
ત્યાંથી નૈઋત્ય ચીનમાં મુખ્ય હિમાલય હારમાળાથી દક્ષિણ તરફ નીએન ચેન તાંગલા સુધી વહે છે. ત્યાંથી તે પૂર્વ હિમાલયને ભેદીને દક્ષિણ તરફ અરૂણાચલના સિયાંગ ઉપવિભાગ પાસે ઈશાન ભારતમાં પ્રવેશે છે. અહીં તે દિહાંગ નામથી પણ ઓળખાય છે.
અહીંથી તે નૈઋત્ય તરફ વળે છે અને ૭૨૦ કિમી. જેટલી લંબાઈમાં અસમ ખીણમાં થઈને પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણમાં ફંટાઈને તે બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને છેવટે એનાં જળ બંગાળના ઉપસાગરમાં ઠલવાય છે.
સમય સાથે બ્રહ્મપુત્રા નદીનો વિસ્તાર ફંટાતો ગયો છે. વારંવાર થતા ભૂકંપથી એનો પ્રવાહનો રસ્તો નદી બદલતી રહે છે.
અરુણાચલ અને આસામના માર્ગ પર પાસી ઘાટ પાસે એના પર ૪.૫ કિલોમીટર લાંબો પુલ તૈયાર થયો છે. રેલવે ને ગાડીઓ બંને એના પરથી પસાર થઈ શકે છે.
ટુરના પ્રથમ દિવસે, અમારે જલ્દી જમીને કાઝીરંગા માટે નીકળી જવાનું હતું. એટલે ૬ દિવસ પછી અરુણાચલનો પ્રવાસ પુરો કરી અમે પાછા ગૌહત્તી આવ્યાં.
અમે નદીમાં એક નાના ટાપુ “ઉમાનંદ” પર આવેલા શિવમંદિરની મુલાકાતે જવા નીકળ્યાં. ત્યારે જ એનાં ખરા દર્શન થયાં અને રોમાંચથી “ઓહોહો” થઈ ગયું.
વિશ્વની પાંચમા નંબરની અને દેશની પહેલા નંબરની આ નદીને ગંગા, જમુના, નર્મદા, મહા, કાવેરી, વગેરે નદીઓ જેવું સન્માન પ્રાપ્ત થયું નથી એની નવાઈ લાગે છે.
અમારે ટાપુ પર આવેલા મંદિરે જવા ફેરીબોટ લેવાની છે. બોટમાં પગથિયાં ઉતરી ભંડકિયામાં બેસવાનું છે. અમારી સાથે બીજા ૫૦ મંદિરના સ્થાનિક દર્શનાર્થીઓ છે.
સ્થાનિક સ્ત્રીઓ, બોટમાં બેસતાં પહેલાં માથે ઓઢીને બ્રહ્મપુત્રાને વંદન કરે છે. એવી કથા છે કે શ્રીકૃષ્ણની પટરાણી રુકમણી, પૂર્વાંચલના ભીષ્મક રાજાની પુત્રી હતી. શ્રીકૃષ્ણએ દ્વારકાથી આવી રુકમણીનું હરણ કરીને લગ્ન કરેલા. શ્રીકૃષ્ણ સાથે જતી વખતે રુકમણીએ બ્રહ્મપુત્રા નદી ઓળંગતા પહેલાં માથું ઢાંકીને નદીને વંદન કરેલાં. આજે પણ સ્થાનિક સ્ત્રીઓએ, નદી ઓળંગતાં પહેલાં નદીને વંદન કરવાની આ પ્રથા જીવતી રાખી છે.
મને મંદિર કરતાં પાણીમાં થતી આ સફરનો વધારે આનંદ છે. કેટલીયે ફેરીબોટો મુસાફરોને આજુબાજુના ગામડાઓમાં લઈ જતી દેખાય છે. નદીના સાગર જેવાં મોજાં બોટને અથડાય છે અને મને ગમતું હેમંતકુમાર નુ ગીત” ઓ નોદીરે, એકથી કથા શુધુર શુધુર તુમારે…” (“ઓહરે તાલ મિલે નદી કે જલ મેં) હું શરુ કરું છું.
ઉમાનંદ ટાપુ પર અમે આવી પહોંચ્યા છીએ . અહીં ૪૦૦ વર્ષ જૂનું શિવમંદિર આવેલું છે. “ભસ્મકુટા” નામની ટેકરી પર ૧૫૦ પગથિયાં ચઢવાના છે અને અસંખ્ય દર્શનાર્થીઓની સાથે લાંબી હારમાં ઊભા રહેવાનું છે.
અમે ઉપર જવાનું માંડી વાળ્યું ને નીચેથી જ મનભરીને બ્રહ્મપુત્રાના પ્રવાહના સૌદર્યને જોવાનુ રાખ્યું. જોકે ઉપરથી ચારેબાજુથી થતાં નદીનાં દર્શનનો લાભ ગુમાવ્યો.
દોઢેક કલાક પછી ઉપર દર્શન કરી આવેલા પ્રવાસીઓ પાછા આવ્યા. અમે ફરી બોટમાં, નદી દર્શન કરતાં પાછાં આવ્યાં.
બ્રહ્મપુત્રા નદીના કાંઠા ઊપર ગાઢ જંગલો આવેલા છે. આ નદી વિષે જેટલું લખાય એટલું ઓછું છે.
અમદાવાદના સિનિયર ડેન્ટીસ્ટ, ડો. પ્રતિભા આઠવલે ૨૨ વર્ષથી પૂર્વાંચલના ગામડાઓમાં સ્વખર્ચે નિશુલ્ક ડેન્ટલ કેમ્પ કરે છે. એમણે એમના અનુભવો અને પૂર્વાંચલ વિશે સુંદર પુસ્તક લખ્યું છે. નામ છે, “પૂર્વરંગ-હિમરંગ”. રસ ધરાવતા વાચકો કે પૂર્વાંચલની મુલાકાતે જતાં પ્રવાસીઓએ જરુરથી વાંચવા જેવું પુસ્તક છે.
***