એક સ્મરણ દિવાળીનું ~ સંધ્યા શાહ

દિવાળીનું અમારે ત્યાં ખૂબ મહત્વ. પિતા કાપડના વેપારી હતા એટલે પૂજનનો પણ ખૂબ મહિમા. દિવાળીની રાત્રે કે બેસતા વર્ષની વહેલી સવારે ચોપડા પૂજન હોય.

આખી દુકાન બનારસી સેલા અને કાંજીવરમ સિલ્કની સાડીઓથી શણગારેલી હોય. સાડીઓના પિલર બનાવીને તેના પર તૂઈના પટ્ટાની સજાવટ હોય.

પ્રત્યેક વર્ષે કંઈક નવું જ હોય. લોકો ખાસ એ જોવા માટે આવે. અમે બધા ભાઈબહેન પૂજનમાં જતાં.

પિતા સ્વાતંત્ર્યસેનાની, ગાંધીજીનો તેમના વ્યક્તિત્વ પર ખૂબ પ્રભાવ, અત્યંત પ્રામાણિક અને નિષ્ઠાવાન. જિંદગીભર ખાદી પહેરતા પણ દિવાળીના પૂજનના દિવસે ટસર સિલ્ક્નો ઝભ્ભો અને ધોતી પહેરતા. ક્યારેય સોનુ ન પહેરતા પિતા, પૂજન વખતે અચૂક સોનાની વીંટી પહેરતા.

દિવાળીના સમયે નવા સ્ટોકથી દુકાન ઉભરાતી હોય. આખા ગામમાં પ્રતિષ્ઠિત દુકાન અને વડીલોના મીઠાશભર્યા વ્યવહારને કારણે અમારા ગામની બેન-દીકરીઓના આણાં-પરિયાણાં પેઢી દર પેઢી અમારી દુકાનેથી જ લેવાતા.

દિવાળીમાં પ્રત્યેક પરિવારની મહિલાઓની પસંદગીને ધ્યાનમાં રાખીને અમે એક આકર્ષક સાડી મોકલતા. મોટે ભાગે તે બધાને પસંદ આવતી. ન આવે તો પંદર દિવસમાં તે બદલાવી શકે.

આમ વેપારની સાથે ગ્રાહકો સાથેનો સ્નેહભર્યો નાતો જળવાઈ રહેતો. પણ, આ કામમાં દોડાદોડી ખૂબ રહેતી. દુકાનના માણસો સાથે આખો પરિવાર આ કામમાં જોડાઈ જતો.

દરેક ગ્રાહકના ઘરે બેસતા વરસની સવાર સુધીમાં તો સાડી પહોંચવી જ જોઈએ એવો પિતાનો આગ્રહ રહેતો. દિવાળીની આખી રાત આમેય જાગરણ રહેતું. પૂજન પછી આ પ્રક્રિયા ચાલુ રહેતી ને સાંજ પડી જતી.

મને ચોક્કસ યાદ નથી પણ સાતમાં કે આઠમાં ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં અમારે ‘દિવાળીની બોણી’ નામનો એક પાઠ આવતો.

તેમાં પન્નાલાલ નામનો માણસ એક કાપડના વેપારીની દુકાનમાં કામ કરે છે. દિવાળીના દિવસોમાં એના બે નાનકડા બાળકો રોજ પન્નાલાલને ગામમાં રોશની જોવા લઈ જવાની કાકલૂદી કરે છે. અંતે બેસતા વરસે પન્નાલાલ બન્ને બાળકોને એક જ તાકામાંથી સીવડાવેલા કપડા પહેરાવી અને દુકાને લઈ આવે છે. દુકાને શેઠ સ્નેહથી વધાવે છે પણ કામનો તો પાર નથી.

પન્નાલાલ દુકાનની બહારની ગાદી પર બાળકોને બેસાડીને કામે લાગી જાય છે. હમણાં પપ્પા બહાર લઈ જશે એવી રાહ જોતા બાળકો થોડી મીઠાઈ અને કંઇ નાસ્તો ખાઈને રડતાં રડતાં ત્યાં જ સૂઈ જાય છે.

રાત્રે થાકીને લોથ થયેલો પન્નાલાલ એ  બિચારા રડી રડીને થાકેલા, કાજળથી મિશ્રિત આંસુના ડાઘથી ખરડાયેલા ચહેરાવાળા, ઊંઘતા બાળકોને  તેડીને પાછો જાય છે.

આ વાર્તા વાંચીને હું ખૂબ રડી હતી. મેં મારા પિતાને આ વાત કહી. તેમની આંખો પણ સજળ બની.

તે દિવસથી આજ પર્યંત બેસતા વરસે બપોરે 12 વાગ્યા સુધી જ સાલમુબારક કહેવા દુકાન ખુલ્લી હોય. સ્ટાફના માણસોને  દિવાળીની ભેટથી રાજી કરી ઘરે જવા દેવાનો નિયમ આજે પણ ‘મંગલમ્’માં જળવાઈ રહ્યો છે.

~ સંધ્યા શાહ, મુંબઈ
+91 9324680809

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.