અક્ષુણ્ણ વેદનાનો કવિ રાવજી ~ (૧૫ નવેમ્બર ૧૯૩૯- ૧૦ ઓગસ્ટ ૧૯૬૮) ~ સંધ્યા શાહ

ગુજરાતી સાહિત્યનો અકાળે વિરમી ગયેલો અષાઢી ટહુકો એટલે રાવજી. ગુજરાતી સાહિત્યને કારુણ્યથી છલછલતું રાખનાર રાવજી પટેલની પુણ્યતિથિએ એનું સ્મરણ મનને ઉદાસીથી ભરી દે છે.

ગ્રામ્ય પરિવેશમાં ઉછરેલા આ કવિએ શહેરી સંસ્કૃતિની વચ્ચે સતત ગૂંગળામણ અનુભવી છે. પ્રકૃતિ જેનાં રોમરોમમાં શ્વસે એવા તળપદી માહોલના આ કવિએ લયની લીલીછમ વહેતી ટેકરીઓની સાખે સતત છલક્યા કર્યુ.

૨૮ વર્ષની ભરી યુવાનીમાં સંઘર્ષોથી હારેલો રાવજી અમરગઢની ટી.બી. હોસ્પિટલમાં તરફડતો રહ્યો. એની અદમ્ય ઝંખનાઓ ઉંબરો પણ ઓળંગી શકી નહીં. પ્રિય પાત્રનું મિલન, વિયોગ, ઝુરાપો, પળેપળ તૂટતી જિંદગી અને સતત અનુભવાતા મૃત્યુની વચ્ચે ભીંસાતી જીજીવિષા રાવજીના કાવ્યોમાં પ્રગટી છે. અપરિમેય ધીમું આક્રંદ રાવજીના જીવન અને કવનનો સૂર બન્યું છે.

કવિ આરતભર્યા હ્રદયના કલ્પનોમાં પ્રિયજનની સંનિધિ વર્ણવે છે તો એકાંતની ગતિશીલ ક્ષણોમાં ઉઘડેલા દ્વારે થોભીને વિચારે છે:

‘ક્ષણે
ક્ષણે

પ્રવેશ મારો મુજમાં
તુજમાં
મુજમાયુ તુજમાયુ ક્યાં જઇ માણું?’

તો એ જ પ્રેમાળ હ્રદય પ્રિયજનની વિદાયે કહી ઉઠે છે:

‘મારા ખેતરને શેઢેથી
‘લ્યા ઊડી ગઈ સારસી’

હવે તો આખુંય આભ રેલી જાય કે ગળા સમાણું ઘાસ ઊગી જાય તોયે કશો ફરક નથી પડતો. કવિ કહે છે:

‘રણ, તને કેવી મળી છે પ્રેયસી?
ઉમ્રભરની જે તરસ આપી ગયા’

મહુડાની છાંય, હળે જોતરાતાં બળદ, ડૂબી જતો લાલ-લાલ સૂરજ, પાન, તડકો ને દૂધભર્યા ડૂંડાની વચ્ચે સંભળાઈ જતી મિલની સાયરન પારાવાર વૈષમ્ય પ્રગટ કરે છે. આર્થિક ભીંસમાં અકળાતો, ક્ષયના રોગમાં તરફડતો, કશુંક નવિન સર્જવાની મથામણ કરતો રાવજી લાગણીના દુકાળમાં સતત વહેરાતો રહ્યો. શોણિત ઝરતા તનમનથી તરફડતો રાવજી પ્રતિપળ ક્ષીણ થતો ગયો. રાવજીની કવિતામાં ઘૂંટાયેલું દર્દ મહેસૂસ થાય, તેના અશ્રુભર્યા ગીતોથી હ્રદયમાં એક કસક અનુભવાય.

‘તમે રે તિલક રાજા રામના
અમે વગડાના ચંદન કાષ્ટ’

https://tahuko.com/?p=10239

બન્ને અંતિમો પર રહેલા પ્રિયપાત્રો, કેટલો બધો વિરોધાભાસ. રાવજીને જળ તો નથી મળ્યા પણ ઝાંઝવાયે નસીબ નથી થયા

‘તમે રે અખશર થઈ ઉકલ્યા
અમે પડતલ મુંઝારા ઝીણી છીપના’

ભરી યુવાનીમાં મૃત્યુના ઓળા તણે કચડાતો કવિ મુંઝારો અનુભવે છે.

‘દેહમાં પૂરાયેલ અસ્તિત્વ ગમતું નથી
મને કોઈ રાવજીથી ઓળખે એય હવે ગમતું નથી..’

જીવનની અંતિમ ક્ષણો સાવ સમીપે અને ઝંખનાના ઘોડા તો લીલાછમ! ચોકમાં પડતો પડછાયો રોકી રહ્યો છે પણ શ્વાસની લીલા સંકેલવી રહી. મૃત્યુના ઘેરા વિષાદની વાત, પત્નીના ભાલે કંકુના સૂરજ આથમ્યાની વેદના પણ કવિએ ઝીલી છે.

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..
મારી વેલ સંગારો વીરા
શગને સંકોરો
અજવાળા પહેરીને ઊભા શ્વાસ’

https://tahuko.com/?p=654

પ્રેમ, મૃત્યુ અને જીવન વચ્ચેની ખેંચતાણમાં બહુ જલ્દી આપણાથી દૂર ચાલ્યા ગયેલા કવિની આ અમર રચના છે.

‘અંગત’ કાવ્યસંગ્રહ, ‘અશ્રુઘર’ અને ‘ઝંઝા’ નવલકથા અને ‘વૃત્તિ અને વાર્તા’ (મરણોત્તર) આ એના સર્જન થકી રાવજી આપણી વચ્ચે શબ્દદેહે વિરાજે છે. રાવજીના અશ્રુભર્યા ગીતો ગુજરાતી સાહિત્યને મળેલી અપૂર્વ મિરાત છે.

~ સંધ્યા શાહ :
+91 93246 80809

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.