આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગઃ ૧૪ ~ “વંટોળિયાનાં શુકન…!” : ~ મૂળ ફ્રેન્ચ કાવ્યઃ ‘ધ ડ્રંકન બોટ’ ~ મૂળ કવિઃ આર્થર રિમ્બો ~ ભાવાનુવાદ અને આસ્વાદ: ઉદયન ઠક્કર

(કવિ પરિચયઃ જીન નિકોલસ આર્થર રિમ્બો (20 ઓક્ટોબર 1854 – 10 નવેમ્બર 1891) ફ્રેન્ચ કવિ હતા. તેઓ અતિવાસ્તવ થીમ્સ અને આધુનિક સાહિત્ય- કળા પરના તેમના પ્રભાવ માટે,  અને અતિવાસ્તવવાદની પૂર્વરૂપરેખાનું પાયાનું કામ કરવા માટે પ્રખ્યાત છે.

શાર્લવિલેમાં જન્મેલા, તેમણે ખૂબ જ નાની ઉંમરે લખવાનું શરૂ કર્યું હતું. તેઓ એક તેજસ્વી અને ઉત્કૃષ્ટ વિદ્યાર્થી હતા, પરંતુ ફ્રાન્કો-પર્શિયન યુદ્ધ વચ્ચે પેરિસ ભાગી જતાં, કિશોરાવસ્થામાં જ તેમનું ઔપચારિક શિક્ષણ છૂટી ગયું હતું. તેમની કિશોરાવસ્થાના અંતમાં અને પ્રારંભિક પુખ્તાવસ્થા દરમિયાન, તેમણે તેમના મોટા ભાગના સાહિત્યિક ઉત્પાદનનું નિર્માણ કર્યું. તેમની ત્રણ મુખ્ય કૃતિઓ “ધ ડ્રન્કન બોટ (૧૮૭૧), “અ સીઝન ઈન હેલ” (૧૮૭૩), “ઈલ્યુમિનેશન્સ” (૧૮૭3-૧૮૭૫) ગણાય છે.

રિમ્બોએ તેમની છેલ્લી મુખ્ય કૃતિ,  “ઈલ્યુમિનેશન્સ” એસેમ્બલ કર્યા પછી 20 વર્ષની ઉંમરે સાહિત્ય લખવાનું સંપૂર્ણપણે બંધ કર્યું.

રિમ્બો એક ઉલ્લંઘનકારી, સ્વતંત્ર અને અશાંત આત્મા હતા,  તેઓ સાથી કવિ પોલ વર્લેઈન સાથેના (ક્યારેક હિંસક કહેવાય એવા) રોમેન્ટિક સંબંધોમાં  હતા, જે લગભગ બે વર્ષ સુધી (૧૮૭૧-૧૮૭૩) રહ્યા હતા. લેખક તરીકે તેમની નિવૃત્તિ પછી, તેમણે તેમના સાડત્રીસમા જન્મદિવસ પછી કેન્સરથી મૃત્યુ ન થાય ત્યાં સુધી વેપારી અને સંશોધક તરીકે ત્રણ ખંડોમાં વ્યાપક પ્રવાસ કર્યો. કવિ તરીકે, રિમ્બો પ્રતીકવાદમાં તેમના યોગદાન માટે  જાણીતા છે. તેમના સાહિત્યને  આધુનિકતાવાદી સાહિત્યનું પુરોગામી માનવામાં આવે છે.)

                                       (રિમ્બો -સોળ-સત્તરની વયે જ્યારે આ કાવ્ય લખાયું હતું)

આજે ફ્રેંચ કાવ્ય ‘ધ ડ્રંકન બોટ‘ (પીધેલ નૌકા)ની વાત કરીએ. આર્થર રિમ્બોએ આ કાવ્ય ૧૬ વર્ષની વયે, ૧૮૭૧માં રચ્યું હતું. ૧૦૦ પંક્તિની મૂળરચના છંદોબદ્ધ અને
પ્રાસયુક્ત છે, અહીં તેનો સંક્ષેપમાં ભાવાનુવાદ કર્યોછે. આખું કાવ્ય એક નૌકાની ઉક્તિરૂપે છે:

નિર્લેપતાથી વહ્યે જતી નદીમાં આગળ વધતાં મેં અનુભવ્યું
કે હું હંકારાતી નથી હવે નાવિકોથી
એ બધા તો વીંધાયા, ચિત્કારતા રેડ ઇન્ડિયન્સ વડે
ચડાવાયા રંગીન વધસ્તંભો પર, નગ્ન..

નૌકા ‘નિર્લેપતાથી વહ્યે જતી નદીમાં’ (એટલે કે જીવનમાં) આગળ વધતી હતી. અત્યાર સુધી તે નાવિકોના ઇશારે ચાલતી હતી. એકાએક તેને મુક્તિનો અનુભવ થયો. નાવિકો બધા વીંધાઈ ગયા, રેડ ઇન્ડિયન્સ વડે. બે જ પંક્તિ થકી કવિએ વગડાઉ અમેરિકાનું ચોંકાવનારું ચિત્ર દોર્યું છે. નૌકા પરના નિયંત્રણોનો અંત આવ્યો, તેની આદિમ ઇચ્છાઓ ચિત્કારી ઊઠી.

મને ફરક પડતો નહોતો
મારા પર લદાયાં હોય, વલન્દાઓનાં ઘઉં કે વિલાયતી કપાસ
નાવિકો ભેગી એ જંજાળ પણ ભાંગી
નદીઓએ સરવા દીધી મને,મન ફાવે ત્યાં

નૌકાની અગાઉની હયાતી માત્ર વેપારવણજ માટે હતી, હવે તેણે નિરુદ્દેશે દેશભ્રમણ શરૂ કર્યું. (‘નદીઓ’ બહુવચનમાં લખાયું છે- નૌકા વિવિધ નદીઓમાં સરતી હતી.)

દરકાર વગર હું દોડી, મનસ્વી બાળકની જેમ
ભરતી-ઓટના ભભૂકતા ચાબખા ખાતી
દ્વીપકલ્પો છૂટા પડ્યા ત્યારેય નહોતા થયા
આવા વિજયી કોલાહલો

દ્વીપકલ્પ મુખ્ય ખંડથી છૂટો પડે, તો કેવી ઉથલપાથલ થઈ જાય! નૌકા નાનકડી નદીમાંથી સાગરમાં ફેંકાઈ ગઈ ત્યારે એવા જ ‘વિજયી કોલહલો’ થયા. રિમ્બોનાં આવા
પ્રતીકો (સિમ્બલ્સ)થી તે વખતનો ફ્રેંચ સમાજખળભળી ઊઠ્યો હતો. નૌકાને નદીમાં સ્વતંત્રતાને ભોગે સુરક્ષા મળતી હતી. સાગરમાં જતાં વેંત તે સ્વાધીન થઈ ગઈ.
ભરતીના ભભૂકતા ચાબખા તેને ભલા લાગ્યા.

મારા સમંદરપ્રવાસને વંટોળિયાનાં શુકન થયાં
બુચથી ય હળવી હું, નર્તતી રહી મોજાં પર
દસ રાત સુધી, દીવાદાંડીઓની જડ દ્રષ્ટિ તળે

નૌકાનો ઉન્માદ તો જુઓ! વંટોળિયાને અપશુકન નહિ, પણ ‘શુકન’ ગણે છે, મોજામાં ઘસડાવાને ‘નર્તન’ કહે છે. નૌકા ‘પીધેલ’ છે- તેની અંદર પાણી પેઠું છે, તેને મુક્તિનો નશો ચડ્યો છે. વહાણોને બચાવનાર દીવાદાંડીઓ પ્રત્યે તેને આદર, નહિ પણ ચીડ છે.

લીલું જળ ફરી વળ્યું મારા તૂતક પર
ભૂરા દ્રાક્ષાસવ અને વમનના ડાઘા

સાગરના જળે ધોઈ નાખ્યા દારૂના અ
ને નાવિકોએ કરેલી ઉલટીના ડાઘા. લંગર ગયું, સુકાન પણ ગયું. નૌકા લાંગરવા માગતી નથી, તેને તો બસ, લહેરોના લહાવા લેવા છે.

મેં જોયાં છે વીજળીથી સ્ફોટમાન આકાશો, ફુવારા,
ફીણ, પ્રવાહો. મેં જોઈ છે સાંજ
ને સવાર, પારેવાં શી પવિત્ર
મેં જોયું છે, જે માણસોને લાગ્યું હો કે તેમણે જોયું છે

કિશોરવયે રિમ્બો, જુલે વર્નની સાહસકથા ‘ટ્વેંટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી’ વાંચીને પ્રભાવિત થયા હતા. તેમાં આવતાં કેટલાંક દ્રષ્યોનો અણસાર આકાવ્યમાં આવે છે.

ક્ષિતિજે લીલેરા ધણની લગામોની જેમ તણાયેલા
મેઘધનુષ્યો મેં જોયાં છે
…હું બહુ રોઈ છું,હ્રદય-વિદારક હોય છે પરોઢ
ચંદ્ર ક્રૂર અને સૂર્ય કટુ હોય છે

દરિયાઈ અશ્વો દાબડા બોલાવતા હોય,કેશવાળી ફીણ ફીણ થતી હોય, મેઘધનુષ્યની લગામો તેમને કાબુમાં રાખતી હોય માંડમાંડ નૌકાને આવુંયે જોવા મળ્યું. તે તોફાનમાં
તણાઈ ગઈ ન હતે, તો જીવનભર મજૂરી કર્યાકરતે.પરોઢના સૌંદર્યથી નૌકાનું હૈયું વલોવાઈ જાય છે. (આવી સંવેદનશીલતા કલાકારમાં સહેજે હોય. અહીં કવિની જીવનદ્રષ્ટિ વરતાય છે.)

…છો ફાટતો મારો મોભ, છો જતી હું સાગરને તળિયે
ઓ મોજાંઓ! તમારી સુસ્તીમાં સ્નાન કર્યા પછી
હું કપાસ લઈ જતી નૌકાઓની પૂંઠે નહિ જઈ શકું
કે કેદીઓને ભરી જતાં વહાણોની ભીષણ આંખો હેઠળ નહિ તરી શકું

જનસામાન્યને કલ્પનામાં પણ ન આવે એવા વિશ્વનું દર્શન નૌકાએ કરીલીધું, હવે તે કપાસની ખેપ કરવા પાછી જાય? નૌકાએ હવે જળસમાધિ લેવી છે, આનંદસમાધિ
લેવી છે.

રિમ્બો આપણને જાણે પ્રશ્ન કરે છે- તમારે જીવન વેંઢારવું છે? કે માણવું છે?

 

 

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.