કૈં નમણી અટકળ જેવું છે, દરવાજો ખોલ ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
ઘર આપણને એક નિરાંતનો અહેસાસ આપે છે. બાલ્કનીમાં લગાડેલી ગ્રીલ આપણને સુરક્ષિત રાખે છે. તિજોરી ધન, દાગીના અને અગત્યના દસ્તાવેજો સાચવે છે. ઘરની સુરક્ષાનું કામ દરવાજાના ભાગે હોય છે.
ઘરને તાળું મારી બહાર જવાનું હોય ત્યારે આપણે દરવાજો બરાબર બંધ થયો છે કે નહીં તેની ત્રણચાર વાર તપાસ કરીએ છીએ. જો ખુલ્લો રહી જાય તો ખુલ જા સીમ સીમ કહ્યા વગર ચોર પોતાનું કામ સિફતથી પતાવી દે. વાત ધનની ચોરી તરફથી દિલની ચોરી તરફ વળે ત્યારે નાજુક અને ગર્ભિત વળાંક લે એવું આદિલ મનસૂરીની પંક્તિઓમાં વંચાય છે…
રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે
અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
મોટા શહેરોમાં સલામતીની દૃષ્ટિએ સાવ અમસ્તો દરવાજો ખોલાય નહીં. જે સોસાયટીમાં દરવાન નથી હોતા ત્યાં સેલ્સમેનથી લઈને અનેક લોકો બેરોકટોક આવજા કરે, ટાણે કટાણે ડોરબેલ વગાડી ખલેલ પહોંચાડે. વરિષ્ઠ નાગરિકો ઘરમાં એકલા હોય તો વધારે જોખમ પણ રહે. કુરિયર કે ફૂડ ડિલિવરીને બહાને લૂંટી લેવાના અનેક બનાવો બને છે.
દરવાજો ખોલવો એટલે જગત સાથે કનેક્ટ થવું. જગતની સારપ જો ઘરમાં આવતી હોય તો એને દીવો લઈને આવકારવી જોઈએ. મનોજ ખંડેરિયા કુમાશને આવરે છે…
તેજ હશે કે ઝરમર? સૌરભ? કોણ હશે આ?
કૈં નમણી અટકળ જેવું છે, દરવાજો ખોલ
શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વર્ષોથી
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ
દરવાજા પરથી સાંકળ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે. એનું સ્થાન કડી કે આગળાએ લીધું છે. સ્વરૂપ ભલે બદલાય પણ કાર્ય તો એ જ રહેવાનું. સાંકળ ખખડાવવાની પ્રક્રિયા હવે ડોરબેલને હવાલે થઈ છે.
એમાં મહદ્અંશે કોયલનો કે પંખીનો ટહુકો રણકે છે. દૂધવાળો આવે તો પણ એ જ ટહુકો વાગે અને પ્રિયતમા આવે તો પણ એ જ ટહુકો વાગે. મોબાઈલના રિંગટોનની જેમ એમાં વૈવિધ્ય હોવું જોઈએ. હવે આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ વ્યાપી રહ્યું છે તો શક્ય છે કે આવનાર વ્યક્તિને જોઈને દરવાજો પોતે જ નિર્ણય લે કે ડોરબેલમાં કયો અવાજ વગાડવો. રમેશ પટેલ ક્ષ લખે છે…
આ સરસર સરતાં દૃશ્યોને અટકાવ નહીં
વિક્ષુબ્ધ નજરના દરવાજાને ખોલ હવે
કંઈ કેમ ભીતરના ભાવ જગતને સ્પર્શે ના?
લે, આજ અસરના દરવાજાને ખોલ હવે
ભીતરનો ભાવ દરવાજા ઉપર ને એની આસપાસ પણ પ્રગટ થાય છે. આપણે ઉંબરા પર સાથિયો દોરીએ છીએ. દરવાજા પર શુભ અને લાભના સ્ટીકર લગાડીએ છીએ. નવરાત્રિમાં રંગોળી પૂરીએ છીએ.
દિવાળીમાં બહાર દીવો મૂકીએ છીએ. આને કારણે દરવાજાને પોતાનું એકલપણું દૂર થવાનો અહેસાસ થતો હશે. ઘરનો માલિક કે માલકિન જો એકલા રહેતા હોય તો આ એકલતા વધારે ઘૂંટાય છે. સુભાષ શાહ પીડાને આલેખે છે…
એકલતાના અડાબીડમાં એવો તો અટવાયો
કે આમ ફરું તો દિશા નડે ને આમ ફરું તો પાસું
દીવાલ ક્યાં છે? બારી ક્યાં છે? ક્યાં છે ઉપર નીચે?
અંદર જેવું છે જ નહિ ત્યાં દરવાજો શું વાસું?
મહારાષ્ટ્રમાં શનિ શિંગણાપુર નામનું ગામ છે. અહીં ઘરોને દરવાજા હોતા જ નથી. ચોરીનો કોઈ ભય નહીં. ગામના લોકો માને છે કે શનિદેવ એમનું રક્ષણ કરે છે.
જો કોઈ ચોરી કરવાનો પ્રયત્ન કરે તો સાત વર્ષ સુધી એ પીડાય એવી માન્યતા છે. ઘરમાં દરવાજાની ફ્રેમ હોય છે પણ દરવાજો નથી હોતો. આવું રામરાજ્ય બહુ જવલ્લે જોવા મળે. રમેશ પારેખની પંક્તિ સાથે તર્કનો દરવાજો ખોલીએ…
વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથી
એક માણસ છે, અરીસા છે ને બે આંખો નથી
મનમાં ખોવાયો છે એની શ્હેરભરમાં શોધ છે
એટલે કે એક દરવાજો હજી જડતો નથી
લાસ્ટ લાઈન
દોસ્ત, તાળું ન વાસ દરવાજે
આવશે કોઇ ખાસ દરવાજે
મારા ઘરમાં પ્રકાશ છે, રહેશે
હોય છો ને અમાસ દરવાજે
કેમ ભડકે બળી ગયો ઉંબર
જઇને પગલાં તપાસ દરવાજે
એ હવાથી ન આમ ખૂલી જાય
એ હશે આસપાસ દરવાજે
વાટ જોતાં ખડેપગે છે બેઉ
વૃદ્ધ આંખોના શ્વાસ દરવાજે
~ યોગેન્દુ જોષી ‘યોગ’
સુંદર કાવ્યપંકિતઓથી સમૃદ્ધ લેખ
વાહ બહોત બળિયા હિતેનભાઈ
વાહ.. ખૂબ સરસ