અમને એક અલગ જ યુગનો અહેસાસ થયો ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 18) ~ પૂર્વી મોદી મલકાણ

શેઠી પરિવારની અને શેઠી મોહલ્લાની મુલાકાત લીધા બાદ અમારા કદમ ગોરખત્રી તરફ વળ્યાં.

કિસા ખ્વાની બઝારના અંત પર આવેલ, હિન્દુઓની અનેક નિશાનીઓ લઈને બેઠેલો આ વિસ્તાર એક સમયે સમ્રાટ કનિષ્કનો ગણાતો હતો. સમયાંતરે કનિષ્ક યુગ ઈતિહાસમાં સમાઈ ગયો. ત્યાર પછી ત્યાં બૌદ્ધ, રાજપૂત, શીખ, મુઘલોના યુગની નિશાનીઓ આવી. એમાંયે ખાસ કરીને નાથ સંપ્રદાયે અહીંની ભૂમિ પર પોતાનો ઇતિહાસ પાકો કર્યો હોઇ અમને એક અલગ જ યુગનો અહેસાસ થયો.

ગોર ખત્રીનાં આ વિસ્તારમાં ગુરુ ગોરખનાથનું ૧૬૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે જે દર વર્ષે કેવળ દિવાળીના દિવસે એકવાર ખૂલે છે. આ મંદિર પર તાલિબાનીઓએ હુમલો કરી નુકશાન કરેલું ત્યારથી ભક્તોની અવરજવર ઓછી થઈ ગઈ છે. અમે ગયાં ત્યારે મંદિર બંધ હતું. તેની દીવાલો થોડા સમય પહેલાં પોતાની પર કરાયેલાં ઘાની ચાડી ખાઈ રહી હતી.

આ ખંડિત મંદિરને જોઈ મારું મન ખિન્ન થઈ ગયું. હું ફરી વિચારવા લાગી કે પશ્ચિમી દેશોમાં ઇતિહાસ અને ઐતિહાસિક ઇમારતોનું જે રીતે ધ્યાન રાખવામાં આવે છે તે રીતે આપણે ત્યાં કેમ નથી થતું? આપણે સંસ્કૃતિને માન આપનારા ખરા પણ ખરા અર્થમાં સંસ્કૃતિનું સંવર્ધન કરવામાં આપણે ઊણા ઉતર્યા છીએ.

પાકિસ્તાની ઈતિહાસકાર અને લેખિકા રીમા અબ્બાસીએ “હિસ્ટોરીક ટેમ્પલ્સ ઓફ પાકિસ્તાન”માં નોંધ કરી છે કે; નાથ સંપ્રદાયના આ સ્થળને એક સમયે સરકાર ભારતના કુંભમેળાની જેમ વિકસાવવા માટે વિચારી રહી હતી. ત્યારે જો તેમણે આ સ્થળને કેવળ હિન્દુઓનું નહીં બલ્કે પાકના પાકસ્થળ તરીકે મહત્ત્વ આપી દીધું હોત તો આ વિરાસતનું મૂલ્ય કૈંક અલગ જ રહ્યું હોત. પણ એમ થઈ ન શક્યું. થોડા રાજકારણને કારણે અને તાલિબાનીઓને કારણે આ વિરાસતનો વિકાસ અટકી ગયો.

જો’કે મિસ અબ્બાસીનું કહેવું એ ય છે કે; તાલિબાનીઓનો કોઈ ધર્મ નથી. તેથી એમણે કેવળ આ સ્થળ પર જ નહીં પણ પેશાવરની મસ્જિદો પર પણ ખૂબ હુમલાઓ કર્યા છે. ખેર, આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે વિષે આપણે જાણતાં નથી. પણ એટલી વાત ખરી છે કે આજે જેટલા ઈસ્લામિક ભાઈ-બહેનો આપણાં સમાજમાં સરળતાથી ભળેલા છે તેટલી સરળતાથી ભળેલા હિન્દુઓ પાકમાં કે પેશાવરમાં કેટલા તે જાણવું હોય તો મારે મારી ટૂર લંબાવવી પડે તેમ હતી, અને એટલો સમય મારી પાસે નહોતો.

આ ગોર ખત્રી નામ વિષે બે માન્યતા છે. પ્રથમ માન્યતા એ છે કે ગુરુ ગોરખનાથ પરથી આ સ્થળનું નામ ગોરખત્રી પડ્યું. બીજી માન્યતા એ છે કે “ગોર હટ્ટી કદરી” નામનો એક હકિમ આ વિસ્તારમાં બહુ પ્રખ્યાત હતો. સમયાંતરે આ “હટ્ટી કદરીનું ખત્રી” થઈ ગયું અને આ ખત્રી નામ એક જાતમાં આવી ગયું. ખેર, માન્યતા જે હોય તે. પણ આજે આ વિસ્તાર આર્કીયોલોજિકલ સાઇટ તરીકે પ્રખ્યાત છે.

સાતમી સદીમાં આવેલાં ચીની યાત્રાળુ ઝૂયાંગે પોતાની નોંધપોથીમાં લખ્યું છે: તે જ્યારે અહીં આવ્યો ત્યારે અહીં ૧૦૦૦થી વધુ બૌદ્ધ સ્તૂપો અને મઠો હતાં. આ સમસ્ત મઠો અને સ્તૂપો પૈકી ‘કનિષ્ક વિહાર’ નામે ઓળખાતો મઠ અદ્ભુત અને અતુલ્ય છે. જ્યાં જ્ઞાન મેળવવાની ઈચ્છા ધરાવતાં અનેક સાધુઓ રહે છે.

પુરાતત્વવિદોના જણાવ્યા અનુસાર ‘કનિષ્ક વિહાર’ એ બૌદ્ધ શિક્ષણ આપતી પેશાવરની પ્રથમ પ્રસિદ્ધ યુનિવર્સિટી હતી. પાકિસ્તાનના જાણીતા પુરાતત્વવિદ્ પ્રોફેસર અબ્દુલ રહેમાન પોતાના રિસર્ચ પેપર ‘પેશાવર અને તેના સ્મારકો’માં જણાવે છે કે ‘કનિષ્ક વિહાર’માં વસુબંધા અને અસાંગે નામના બે વિદ્વાન હતાં જેમણે બૌદ્ધ ધર્મને અલગ અલગ પરિમાણ આપીને વિશ્વનાં નકશા પર મૂક્યાં હતાં.

ગુરુ ગોરખનાથ મંદિર ગોર ખત્રી – પેશાવર

આ સ્થળ તે પેશાવરના સૌથી ઊંચા બિંદુઓ પૈકીનું એક છે. ૧૬૦x૧૬૦ના ચોરસ મીટરનું ક્ષેત્ર ધરાવતું આ સ્થળ એક પ્રકારે કિલ્લાનું સંયોજન છે. આ કિલ્લાનાં પૂર્વ અને પશ્ચિમમાં એમ દિશામાં બે મુખ્ય પ્રવેશદ્વાર છે.

જ્યારે અમે ગોરખત્રીના એક દરવાજા પાસે પહોંચ્યાં ત્યારે તે દરવાજો જોઈ મારી આંખો મોટી થઈ ગઈ કારણ કે આપણાં રાજસ્થાનના કિલ્લાઓની ઝલક આ દરવાજા પર ઝળકતી હતી. ગોર હટ્ટીનો આ વિશાળ દરવાજો લાકડાનો બનેલો.

આ દરવાજાને આક્રમણકારીઓ અને તેની સેનાથી બચાવવા માટે ઘણા ખીલા ઠોકેલા હતાં, કદાચ આ ખીલાઓને કારણે દરવાજાને બહારથી પકડવો તો મુશ્કેલ બને જ પણ હાથી, ઊંટ વગેરે જેવા પ્રાણીઓની આર્મી જ્યારે આ દરવાજા સાથે અથડાવવામાં આવે ત્યારે આ ખીલાનો માર એ પ્રાણીઓને પણ ભારી પડી જાય. અમે આ દરવાજે પહોંચ્યાં ત્યારે જાણ્યું કે આ દરવાજો લગભગ ૩૦૦થી ૪૦૦ વર્ષ જૂનો છે ને મોટેભાગે બંધ જ રહે છે. ગોર ખત્રીના આ આખા વિસ્તારને ગાર્ડનથી કવર કરેલો છે. સાંજ પડે આસપાસની આમ પ્રજા અહીં મનોરંજન માટે કુટુંબકબીલા સાથે ઉમટી પડે છે.

જહાંબાદ દરવાજો

જહાંબાદ સરાઈ : જ્યાં કનિષ્ક વિહારની પુરાતત્ત્વ સાઇટમાંથી મળેલ ઈંટીઓનો ફરી ઉપયોગ કરવામાં આવતો હતો, જેથી કરી ઈંટીઓ કોઈ એક સ્મારકમાં સચવાઈ રહે. ગુમ ન થઈ જાય કે ચોરી ન થઈ જાય.

આજે ખત્રી દરવાજા, પણ એક સમયે ખૈબરઘાટ તરફથી ભારતમાં પ્રવેશવાનો માર્ગ હતો

બાબરનામામાં આ સ્થળનો ઉલ્લેખ કરતાં બાબરે કહ્યું છે કે; હું (પ્રથમવાર- ૧૫૦૫નો સમય) જ્યારે આ સ્થળ પર આવ્યો ત્યારે અહીંનું મંદિર જોઈ ચક્તિ થઈ ગયો કારણ કે આટલું સુંદર કોઈ દેવસ્થાન હોય શકે તે મારે માટે નવી વાત હતી. પણ આ મંદિરની આજુબાજુ કશુંક થયું હતું. કદાચ કોઈએ હુમલો કરેલો પણ તેણે મંદિરને કશું જ નુકશાન પહોંચાડેલું નહીં. મંદિરની આજુબાજુ ઘણી તોડફોડ થઈ હોય તેવું લાગતું હતું, અહીં ઘણાં તહેખાના હતાં, તેમજ જમીનની અંદર રહેવાની જગ્યા બનાવવામાં આવેલી હતી. આ રહેવાના સ્થળમાં ઘણાં લોકો વાળ કપાવતાં કે ઉતરાવતાં જોવા મળ્યાં. આ મંદિરને હું જેમ હતું તે જ રીતે છોડીને હિંદુસ્તાન તરફ આગળ વધ્યો કારણ કે આટલાં દુર્લભ દેવસ્થાન બનાવવામાં ક્વચિત યુગ વીતી જાય છે.

બાબરના ઉલ્લેખ પછી આજેય આ સ્થળની ખાસિયત એ છે કે પાકિસ્તાનમાં રહેતાં હિન્દુઓ અહીં બાબરી ઉતારવા એટલે કે મૂંડન કરાવવા – વાળ ઉતારવા આવે છે. જોવાની વાત એ કે જે મંદિરની વાત બાબરે કહી છે તે મંદિર બૌધ્ધ ધર્મનું હતું કે હિન્દુ ધર્મનું તે વિષે આજેય અનેક મતમતાંતર ચાલે છે.

બાબર અને બાબર પછી હિંદુસ્તાન તરફ અનેક ઈસ્લામિક શાહ સુલતાનની સેનામાં રહેલાં લોકોએ આ સ્થળને ક્યારેય નુકશાન ન પહોંચાડ્યું, પણ આ છેલ્લા યુગમાં જે અફઘાની ઈસ્લામિક કે પાક ઈસ્લામિક (વિભાજન પછી) આવી તેમણે આ સ્થળને ઘણું જ નુકશાન પહોંચાડ્યું.

તોડફોડ કરવામાં આ પ્રજાઓની ખાસિયત એ રહી કે તેમણે આ કલા કે અહીં રહેલી કલાના મૂળને એમ જ રાખ્યું (મૂર્તિ, સ્તૂપા, મઠ, મંદિરનું શિખર કે દીવાલો) પણ તેના મસ્તક તોડી નાખ્યાં. મસ્તક એ સમયનાં લોકોનું, તેમની કલાનું, તેમની સંસ્કૃતિનું પ્રતીક છે.

આ ઉપરથી મારી ધારણા એ બની કે; આ લોકોએ મસ્તક તોડી તે કલાના ગૌરવનો તેમણે નાશ કર્યો છે. આ રીતે ઇમારતોનો ધ્વંશ કે મસ્તક વિનાની મૂરત તે અણસમજુ લોકોને માટે ગર્વની વાત હોઈ શકે. પણ હકીકતમાં જે કલાનો સમય દેખાતો નથી તે કલાનાં ઇતિહાસનાં મૂળ એટલા ઊંડા હોય છે કે તેને સરળતાથી તોડવા, નાશ કરવા કે ઉખેડવા સરળ હોતા નથી. તેથી અમે જ્યાં જ્યાં ફર્યા તે તે જગ્યામાં રહેલાં અવશેષો અમને મૌનમાં અનેક ગાથાઓ કહી ગયાં.

© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com

Leave a Reply to SARYU PARIKHCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment