| |

આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગઃ ૧૬ ~ “વહાલા પત્રો” : ~ મૂળ કવિઃ કેરોલ એન ડફી ~ ભાવાનુવાદ અને આસ્વાદ: ઉદયન ઠક્કર

(મૂળ કવિ પરિચયઃ કેરોલ એન ડફી (જન્મ: 23 ડિસેમ્બર 1955) એક સ્કોટિશ કવિ અને નાટ્યકાર છે. તેઓ મૅન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં આધુનિક કવિતાના પ્રોફેસર તરીકે કાર્યરત છે. મે 2009 માં તેઓ Poet Laureate તરીકે નિયુક્ત થયાં હતાં અને તેમનો કાર્યકાળ 2019 માં પૂરો થયો. તેઓ Poet Laureate બનનાર પ્રથમ કવયિત્રી, પ્રથમ સ્કોટલેન્ડમાં જન્મેલા સ્ત્રી કવિ અને સૌ પ્રથમ લેસ્બિયન હતાં. તેમનાં સર્જનોને અનેક પુરસ્કાર અને ઍવોર્ડ્સ મળ્યાં છે. એમના કાવ્યસંગ્રહો “Standing Female Nude” (1985), Scottish Arts Council Book Award, “Selling Manhattan” (1987), Somerset Maugham Award અને “Mean Time” (1993), ને Whitbread Poetry Award  મળ્યાં છે. “Rapture” (2005), જેને T. S. Eliot Prize મળ્યું છે. તેમની કવિતાઓ દબાણ, લિંગભેદ અને હિંસા જેવા મુદ્દાઓને સરળ ભાષામાં અભિવ્યક્ત કરે છે.
ડફીનું કાર્ય દૈનિક અનુભવો અને પોતાને તેમજ અન્યના સમૃદ્ધ કલ્પનાઓના જીવનને શોધે છે. બાળપણ, કિશોરાવસ્થા અને પુખ્તવયના દ્રશ્યોને નાટકીય બનાવતી વખતે, તે પ્રેમ, સ્મૃતિ અને ભાષા દ્વારા આરામના ક્ષણો શોધે છે. ચાર્લોટ મેન્ડેલ્સને “ધ ઓબ્સરવર”માં ડફી વિષે લખ્યું છે કે “ડફીની પ્રતિભા વિશિષ્ટ છે. તેની સામાન્ય વાણી માટેની સંવેદનશીલતા, તેની સુંદર, શક્તિશાળી, સહેજ અવગણનાયોગ્ય પંક્તિઓ, તેની સૂક્ષ્મતા – ડફીમાં આ બધાંને કવિતામાં બદલવાની કુશળતા છે. શ્રેષ્ઠ નવલકથાકારોની જેમ, તે તેના પાત્રોના જીવનમાં તેમના માલિકી હક્કો, આશાઓ, બોલી અને શબ્દપ્રયોગો દ્વારા પ્રવેશે છે. પરંતુ તે માત્ર એટલું જ નહીં, પણ એક સમયયાત્રી અને સ્વરૂપ પરિવર્તક પણ છે, જે ટ્રોયથી હોલીવુડ, ગેલેક્સીથી આંતરડાં, છૂટક પડેલા ચામડીથી ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ સુધી સરકતી રહે છે, જ્યારે અન્ય કવિઓ એક જ ચુંબન, એક જ લાત, અથવા એક જ પત્ર વિશે ભારપૂર્વક લખે છે… વાક્યરચના માટેની સૂક્ષ્મતાઓથી લઈને કલ્પનાના વિશાળ ઉડાણ સુધી, તેના શબ્દો ગેર-કવિઓના મનમાંથી તાજા પલળેલા લાગે છે—એટલે કે, તે બધું સહેલું બનાવે છે.
પોતાના લેખન વિશે, ડફીએ કહ્યું છે: એક કવિ તરીકે હું સરળ શબ્દો ઉપયોગ કરવા માંગુ છું, પણ એક જટિલ રીતે.” અને દરેક કવિતામાં, હું એક સત્ય પ્રગટ કરવાનો પ્રયાસ કરી રહી છું, તેથી તે કલ્પિત શરૂઆત રાખી શકતું નથી.”
૨૦૧૫થી કેરલ એન ડફી બિરિટિશ અકાદમીમાં ઓનરરી ફેલો તરીકે કાર્યરત છે.)

‘વહાલા’ પત્રો

કેટલાંક સાચવે છે તેમને જૂતાંના ડબ્બામાં, ઉજાસથી આધે
ઢાંકણ ખૂલતાં જ પાંપણો પટપટાવે છે સ્મરણો, ઉઝરડાયેલાં
તેમને વાંચવાથી સમજાય છે કે આંધળુકિયા કરવા એટલે શું..?
‘મારા પોતાના …’
ખાનગી ટુચકા, હવે તો ન સમજાય એવા,
ગબડી પડે છે વહાલ-વચનો વચ્ચેના અવકાશમાં .
‘શું પહેર્યું છે તેં?’

‘કદીયે બદલતો નહીં.’
શરૂ થાય છે વહાલાથી, પૂરા થાય છે વિવાદથી,
ગેરહાજરીથી, અભાવથી. અત્યારે પણ મૂઠીની પાંખડીઓ ખૂલતાં
ધ્રૂજે છે, પંક્તિ તળે આંગળી ફરતી જાય છે, જુએ છે
ભવિષ્ય તે વખતનું.
કોઈ અગ્નિદાહ નથી આપતું,
વહાલા પત્રોને, જે પડ્યા છે અકડાઈને, પૂઠાના કોફિનમાં

‘લુચ્ચા….’ આપણને સૌને વિચિત્ર નામો હતાં
જે સંભારીને મોં રાતું થઈ જાય છે,
જાણે ખૂન કર્યું હોય આપણે કોઈનું, બદલાવેલા નામથી.
‘હું મરી જઈશ તારા વિના.’ ક્યારેક વળી, એકાંતમાં,
આપણે વાંચવા માટે ફરી બહાર કાઢીએ છીએ.
હૈયું ધક ધક થતું હોય છે, દફનાવેલા હાડકાં પર પડ્તી કોદાળીની જેમ.

– કેરોલ એન ડફી – (Carol Ann Duffy)

(અંગ્રેજીમાંથી અનુવાદ – ઉદયન ઠક્કર)

કેરોલ એન ડફીના કાવ્ય “ડાર્લિંગ લેટર્સ” નો આ અનુવાદ છે.

આવા પત્રો ઉઘાડેછોગ તો રખાય નહીં. કેટલાંક તો રાખે જૂતાંના ડબ્બામાં. ક્યાં આકાશમાં ઊડતો પ્રેમ અને ક્યાં જૂતાં? વહ ભી એક દૌર થા, યહ ભી એક દૌર હૈ. “ઉજાસથી આઘે” – પત્રો છુપાવીને સાચવ્યા છે, અંધારમાં, કોઈની નજર ન પડે તેમ.  તડકે રાખ્યા હોય તો પીળા પડી જાય, માટે ડબ્બામાં રાખ્યા છે અંધારેથી એકાએક ઉજાસમાં આવતાં આંખો અંજાઈ જાય, પટપટાવવી પડે, તેમ ઢાંકણ ખૂલતાં પત્રોમાં સચવાયેલાં સ્મરણો પાંપણો પટપટવે છે.

પત્રોમાં દિલ ઠાલવતાં પ્રેમી અચકાય નહીં, વિના સંકોચે લખી નાખે, (વહાલા’, “લુચ્ચા”, કહું મરી જઈશ તારા વિના’, “મારા પોતાના.’) આવાં આંધળુકિયાં કરે છે, માટે જ પ્રેમને આંધળો કહ્યો છે. આટલાં વર્ષો પછી યાદ પણ ન હોય એવી ખાનગી ગમ્મતો વાંચવા મળે છે આ પત્રોમાં. મીઠા ઝઘડા (લવર્સ ક્વોરલ) પણ જોવા મળે છે. અક્ષરો ફિક્કા પડી ગયા હોય, આંખે ઝળઝળિયાં બાઝ્યાં હોય, માટે વાંચતી વખતે લીટી નીચે આંગળી રાખવી પડે છે.

પ્રમાદધનને પરણ્યા પછી કુમુદે સરસ્વતીચંદ્રના પત્રો સળગાવી નાખ્યા હતા, પણ તેવી હિંમત બતાવનારા ઓછા હોય છે. માટે અકડાયેલાં ગાત્રો સાથે પડયા રહે છે પત્રો,  શબપેટીમાં. જીવાતી જિંદગી સાથે પત્રોને સંબંધ ન હોવાથી તેમને કોફિનમાં પોઢેલા કહ્યા છે. “મીઠી’, ‘પિંકી’, ‘સની’, ‘લાડુ’…. કેવાં કેવાં સંબોધનો કરાયાં હોય છે, આ પત્રોમાં!  આવા ં ઉર્ફે નામોથી તે વ્યક્તિના ગૌરવની હત્યા કરાઈ હોય એવું લાગે, આજે તો!

ગુનેગાર અપરાધના સ્થળે પાછો આવે તેમ  આપણે પણ એકલા પડીએ ત્યારે ફરી જઈએ છીએ એ પત્રો પાસે. આપણું હૈયું ઘક ધક કરે છે, કોદાળી અથડાય છે જાણે દટાયેલાં હાડકાં જોડે…!

કવિ શૃંગાર અને કરુણની સાથે હાસ્યરસ પણ ભેળવી શક્યાં છે, માટે આ કાવ્ય બહુપરિમાણીય (મલ્ટી ડાઇમેન્શનલ) બને છે.

જયંત પાઠકના કાવ્ય ‘જૂના પત્રોનો નાશ કરતાં’ ની થોડી પંક્તિઓ માણીએ :

પત્રો જૂનાં અણમૂલ ખજાનો ગણી સાચવેલા,
પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ !
વર્ણે વર્ણે વિભવ ઉ૨ ને ચિત્તના ઠાલવેલા,
નાનાંમોટાં સુખદુઃખ તણી સુપ્ત જેમાં ઘડીઓ

હૈયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાઠ પ્રીતે;
‘રે સંબંધો મરણ પછીયે ના  છૂટે કોઈ રીતે”
એવાં એવાં વચન વદતાં કાળની ઠેકડીઓ કીધી;
આજે ખબર પડી કે આખરે એ જ જીત્યો!

*********

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.