“શુભેચ્છાનો મહેરામણ” ~ (૩) ~ કવિશ્રી હિતેન આનંદપરાના જન્મદિન નિમિત્તે, એમના શેરના આસ્વાદ સાથે….! ~ વિવિધ કવિઓ
“આપણું આંગણું” વતી યોજાયેલી ગઝલ શિબિરના કવિઓએ ખૂબ ઉત્સાહ અને સ્નેહથી આપણાં સહુનાં લાડીલા કવિશ્રી હિતેનભાઈને, જન્મદિનની શુભેચ્છાના સંદેશાઓ સાથે એમના એક કે બે શેરનો આસ્વાદ પણ પાઠવ્યાં. “આપણું આંગણું” વતી હું આપ સહુનો આભાર માનું છું. આજે આ ત્રણ દિવસની, આ મહેફિલ – સેલિબ્રેશન પુરું કરતાં, કવિશ્રી ભાઈ હિતેનને ખોબેખોબે જન્મદિન નિમિત્તે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. ઈશ્વર તમને નિરામય અને સુખી જીવન આપે અને સર્વ મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના તો ખરી જ, પણ, ગુજરાતી સાહિત્યની સેવા તમે આમ જ અવિરત કરતા રહો, એવી અભ્યર્થના.
૩૦. પ્રણવ જોશી “બેખુદ“*
કવિશ્રી હિતેનભાઈનો મને ગમતો શેરઃ
“વાત જે કરવી હતી એને, કદી ના થઈ શકી
રાહ જોતા રહી ગયા કે આગવો અવસર મળે”
– હિતેન આનંદપરા*
અહીં એકદમ સામાન્ય વાત સાવ સરળ રીતે શબ્દોના સાનિધ્યમાં આપણા સુધી શાયરે પહોંચાડી છે. એ પણ આપણા સૌના પ્રિય છંદમાં.
અહીં શાયરની ફિલોસોફી ફક્ત મળવા કે વાત કરવાં સુધીની નથી. આપણે ધ્યાનથી આ શેરનું વારંવાર પઠન કરીએ તો જ્ઞાત થાય કે આ શેર તો જીવનની દરેક પ્રકિયાને લાગુ પડે છે. માણસને વસ્તુ ટાળવાની પ્રિય આદત જન્મજાત હોય છે. કબીરના “કાલ કરે સો આજ” વાળા દોહાની વિપરીત દિશામાં પૂરા જોશથી દોડવા માટે હંમેશા તૈયાર.
અહીં શેરની પૃષ્ઠભૂમિ બહુ જ માર્મિક અને આધ્યાત્મિક પણ છે. કોઈપણ કામ કરવા માટે સારા અવસરની રાહ એ કાર્યનું બાળમરણ એના જન્મ પહેલાં જ કરે છે. અહીં ફક્ત બીજી વ્યક્તિ કે સમાજ માત્ર સાથે સંવાદની વાત નથી પણ જાત સાથેના મનોમંથન કે સ્વપ્નોત્થાન માટે પણ આપણે આવો જ અભિગમ કેળવતાં હોઈએ છીએ. સારા અવસર કે મોકાની રાહમાં રહેતાં, રહેતાં, આપણે ઘણું બધું હાથવેંતમાં હોય એ છેટું કરી રહીએ છીએ. સારો અવસર એ માનસિક રીતે આત્મવિશ્વાસમાં એક કાલ્પિનક વધારો કરે પણ એ કોઈ જરૂરી પરિબળ નથી કાર્યની સફળતાના સોપાન સર કરવાં માટે.
રાહ જોવી એ ધીરજની પરીક્ષા છે, અને જયારે એ રાહ અપરિપક્વ અભિગમને વળગી રહે ત્યારે એના દૂરગામી પરિણામો વરવા અને વાસ્તવિકતાથી દૂર હોય છે. સમયની પરીક્ષામાં સૌએ ઉતીર્ણ થવું એ એટલું જ કપરું બની જાય છે.
શાયર અહીં એક હળવી ટકોર કરી આપ સૌને ચેતવે છે કે જે સમય છે એ સારો જ અવસર ઓઢી આવ્યો છે, વિચાર માત્રનું જન્મવું, વાત કરવાની ઉત્કંઠા કે કાર્ય અમલમાં મૂકવાની તૈયારી એ પર્યાપ્ત છે કશું પ્રાપ્ત કરવા માટે. અવસરની આડઅસર સ્વરૂપે ગુમાવેલી સોનેરી ક્ષણો જીવનમાં પાછી નહીં આવે. જે હોય એને વધાવો….
આપણા સૌ ગુરૂ અને પથદર્શક એવા હિતેનભાઈને જન્મદિવસની કોટિકોટિ શુભકામનાઓ…
હિતેનભાઈની ત્રણ ચાર ગઝલને વાંચતા મને થયું કે આવા ગજાનો શાયર/કવિ કેમ મારાથી ઓછો વંચાયો અને મણાયો. પણ જાગ્યા ત્યારથી સવાર….. 🙏🏻🙏🏻💐🙏🏻🙏🏻
૩૧. ભારતી ગડા…
અમૂલ્ય જીવનની સફર એક પછી એક સુંદર મજાના પડાવ પાર કરતી જાય અને આપની કલમ અવિરત ચાલતી જ રહે એવી શુભકામનાઓ💐
પ્રભુ આપને સ્વાસ્થ્ય સભર દીર્ધાયું આપે…!
ઘણું જીવો, સુંદર જીવો…જેટલું જીવો તેટલું ખૂબ સારું જીવો…!
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐🎂💐
મને ગમતો કવિ હિતેન આનંદપરાનો શેરઃ
“સોમાંથી છન્નું લાવવાની જીદ કરે જ્યારે બધા
શૈશવ કેવું રહેંસાય છે એ પણ જરા શિખડાવજો.
કવિશ્રીની આ ગઝલ મને આખી ગમી અલગ અલગ શેર દ્વારા અલગ અલગ ઉદાહરણ લઈને શિખવાડવાની વાત કરવામાં આવી છે.
આજની સ્પર્ધાત્મક દુનિયામાં માતા પિતાની બાળકો પાસેથી અપેક્ષાઓ વધી જાય છે. આજે ગમે એટલાં વધારે માર્ક્સ લઈ આવશે પણ બે ચાર ટકા થી જો પાછળ રહી જશે તો એમની ઈચ્છા મુજબની ફિલ્ડ મળતી નથી. એનાથી બાળકો હતાશામાં આવી જાય છે ઘણીવાર ન કરવાનું કરી બેસે છે ત્યારે માતા પિતાએ બાળકોને બળ , હિંમત, ટેકો આપવું જરૂરી બને છે. બાળકોની રસ અને રુચિ પ્રમાણે એમની ક્ષમતા પ્રમાણે એમના પણ સપનાઓ હોય છે. આપણે ફક્ત માર્ગદર્શન કરવાનું છે એમને એમના વિશાળ ગગનમાં વિહરવાની તક આપવી જરૂરી છે…
કવિશ્રી કરસનદાસ માણેકની પંક્તિ યાદ આવે છે..
“ખીલુંખીલું કરતાં માસૂમ ગુલ સમ શિક્ષકને સોંપાણાં,
કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકવામાં…”
આજનું બચપણ રુંધાઈ ગયું છે. અઢી વર્ષની ઉંમરથી ટાઈમટેબલ પ્રમાણે જીવવાનું શરૂ થઈ જાય છે. બાળકની નહિ, પણ માતાપિતાની રુચિ પ્રમાણે અલગ અલગ કલાસો શરૂ થઈ જાય છે. આજે આગળ વર્ગમાં જઈને એ બધાના માર્ક્સ સ્કૂલમાં ગણવામાં આવે છે એટલાં માટે એને હમણાંથી જ કાબેલ બનાવવામાં આવે છે.
જ્યાં ગામડામાં મુક્તપણે આંગણ, શેરી, પાદરમાં મિત્રો સંગાથે માટીમાં, નદીમાં, અવનવી રમતો રમવાની, ઝઘડવાની, ઝૂંટવીને ખાવાની જે મજા હતી એ હવે શહેરમાં કયાં કરવા મળે છે?
આધુનિકતાની ઘેલછામાં દેખાદેખીના જમાનામાં નાનકડું શૈશવ રહેસાતું જાય છે.
વડની એ વડવાઈ પર જ્યાં ઝૂલવાનું.
એ મજાનું બાળપણ ક્યાં માણવાનું?
૩૨. અતુલ દવે
હિતેનભાઈ, જન્મદિનની અઢળક શુભકામનાઓ 💐_*
“ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,
હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને.”
– હિતેન આનંદપરા
કેવો મજાનો શેર છે! વીતી રહેલા સમય સાથે અજાણતા જ વધી રહેલી ઉંમર તરફ આંગળી ચીંધી કવિ વસવસો વ્યક્ત કરે છે. સામાન્ય રીતે ઉંમર વધતાં શારીરિક મર્યાદાઓ આવતી જાય, માથે સફેદી દેખાવાની શરૂઆત થાય, ગમા-અણગમા બદલાય, વધઘટ થાય વગેરે વગેરે પણ આ તો કવિ. કવિની આંખ કંઈક વિશેષ જ જોતી હોય.
કવિ એવું અનુભવતા જણાય છે કે એક સમય હતો જ્યારે ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી વગેરેને કુતુહલ ભરી આંખે અને મુગ્ધ ભાવે જોઈ હૃદયમાં ઊઠતા સ્પંદનો, મનોભાવો સહજતાથી કલમ થકી કાગળ પર શબ્દ રૂપે ઊતરતા હતા જેમાં એક લય હતો, લચક હતી. હવે, જેમજેમ ઉંમરમાં વર્ષો ઉમેરાતાં જાય છે, તેમતેમ આ જ બધાંને જોવાની દૃષ્ટિ બદલાતી જાય છે, સંદર્ભો, સ્પંદનો, મનોભાવો બદલાતા જાય છે અને પ્રયત્નપૂર્વક મનમાં ઊઠતા શબ્દો માંડ કાગળ પર ઊતરે છે અને એમાં લય, લચકની ચપટીક ઉણપ વર્તાય છે. કવિ ક્યાંક વધતી જતી ઉંમર, પુખ્તતાથી ગૂંગળામણ, મૂંઝારો અનુભવે છે એવું લાગી રહ્યું છે.
ખરેખર, બહુ અર્થ સભર શેર શેરિયતથી છલકતો શેર, સલામ કવિને.
૩૩. મલ્લિકા મુખર્જી
આદરણીય હિતેન ભાઈ, આપને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ. અમદાવાદમાં નવજીવન ટ્રસ્ટના એક કાર્યક્રમમાં આપની સાથે પહેલો પરિચય થયો ત્યારે એવું લાગ્યું જાણે વર્ષોની ઓળખાણ હોય! આપનો સૌમ્ય વ્યવહાર દિલ ને સ્પર્શી ગયો. “આપણું આંગણું” બ્લૉગ દ્વારા આયોજિત દરેક ગઝલ શિબિરમાં આપનું સફળ સંચાલન કઈ રીતે ભૂલાય?
આપની ગઝલ ‘મળી આવે’ના એક શેરનો આસ્વાદ મારી સમજ પ્રમાણે રજૂ કરવાનું સાહસ કરું છું.
“ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસ્માર પેટીમાં
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે!”
– હિતેન આનંદપરા
મળી આવે’ ગઝલ તો ગમે જ છે પણ તેનો અંતિમ શેર મને ખૂબ ગમે છે. ‘ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટી’ અને ‘ખજાનો’ આ બે વિરોધી શબ્દોને કવિ ‘બચપણ’ શબ્દ સાથે એવી સુંદર રીતે જોડે છે જ્યાં પ્રેમનો સેતુ રચાય છે.
બચપણની યાદો મહત્વપૂર્ણ છે કારણ કે આ યાદો આપણા ભવિષ્યને આકાર આપે છે. આપણને સારા સમયની યાદ અપાવે છે. તેથી જ તે ખજાનો છે. ડૉ. એલિઝાબેથ લોરેન્સે કહ્યું છે કે દરેક બચપણમાં એક બગીચો હોય છે, એક મંત્રમુગ્ધ સ્થળ હોય છે જ્યાં રંગો વધુ તેજસ્વી હોય છે, હવા નરમ હોય છે અને સવાર પહેલા કરતાં વધુ સુગંધિત હોય છે.
આવા સોનેરી બચપણમાં ભાઈ-બહેન સાથે લડવું, પહેલો દાંત ગુમાવવો, પ્રથમ વખત કોઈની પાસેથી ભેટ મેળવવી, મિત્રો સાથે બહાર રમવું, બચપણમાં એક પાલતુ જાનવર કે પક્ષીનું હોવું, સંતાકૂકડી રમવી, ઝાડ પર ચડવું, શાળાનો પહેલો દિવસ, શાળામાંથી પ્રવાસે જવું, શાળામાં લંચ ટાઈમ, તમારી મનપસંદ વાર્તા, પેઇન્ટિંગ/કલા અને હસ્તકલા વગેરે બચપણની એવી મીઠી અને રોમાંચક યાદો છે જે આપણે ક્યારેય ભૂલી શકતા નથી.
એટલું જ નહીં, બચપણ ક્યારેક આપણને ભૂતકાળના અનુભવો અને ભૂલોની યાદ અપાવે છે જે આપણને પોતાને સુધારવામાં મદદ કરે છે. બાળક તરીકે આપણામાં આશ્ચર્યની ભાવના ખૂબ જ તીવ્ર હોય છે. આ અનુભૂતિ આપણામાં જાગૃતિ લાવે છે. સૌથી અગત્યનું, ભલે આપણે ગમે તેટલા મોટા થઈએ, બચપણની યાદો આપણી અંદરના બાળકને જીવંત રાખે છે. આપણા સૌની ભીતર હંમેશા એક બાળક હોય છે.
આ શેરમાં કવિનો મુખ્ય સંદેશ એ છે કે આપણું વર્તમાન જીવન અનેક દબાણો, ભાર અને ચિંતાઓથી ભરપૂર છે. એ પરિસ્થિતિમાં જીવનનું સમતોલપણું લગભગ અશક્ય લાગે. ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટી સમા જીવનમાં પણ, થોડા અપવાદોને બાદ કરતાં, બચપણનો એક ખજાનો જરૂર હોય છે જે માનવીને જીવવાનું બળ પૂરું પાડે છે. તેથી હિંમત ક્યારેય હારવી નહીં
૩૪. ભાવેશ જાની
આદરણીય હિતેનભાઈને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ ….💐
મને ગમતો હિતેનભાઈનો શેરઃ
“વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર
તું ઈશ્વરનાં નવાં મંદિર, નવાં આવાસ રહેવા દે”
– હિતેન આનંદપરા
એકદમ સરળ ભાષામાં લખાયેલ શેરમાં જ એની ગહનતા છે અને એ જ આ શેરનું સૌંદર્ય છે. આપને અઢળક શુભકામનાઓ.
૩૫. દાજી ચૌહાણ
“ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો
શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઇશ્વર મળે.”
– હિતેન આનંદપરા
આદરણીય હિતેન આનંદપરા સરને જન્મદિવસ મુબારક હો!
૩૬. પ્રજ્ઞા કમલ ભટ્ટ.
સ્વ-નામધની હિતેન ભાઈને જન્મદિને અઢળક અભિનંદન, મબલખ શુભકામના.
મા શારદાની અવિરત કૃપા એમના પર વરસતી રહે. ઈશ્વર એમને નિરામય દીર્ધાયુ પ્રદાન કરે અને એમના જીવનપથ પર પ્રસન્નતા પાથરે.
“બધું જલદી શીખવવાના, તારા આયાસ રહેવા દે.
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.”
– હિતેન આનંદપરા
આ શેરમાં ખૂબ જ સૌમ્યતાથી, આજના સ્પર્ધાત્મક યુગમાં છીનવાતાં શૈશવ પ્રતિ ધ્યાન દોરે છે, આક્રોશ વ્યકત કરે છે. બાળકના જન્મતાં જ કંઈક ને કંઈક શીખવવાની પેરવી માતા પિતા કરતા હોય છે. પ્રાથમિક ધોરણથી જ માવતર અને શિક્ષક એને બધું જ શીખવી દેવાની ખેવના રાખતા હોય છે. જાતજાતના ટ્યુશન, કોચિંગ ક્લાસ અને એકટીવિટીના નામે એના શૈશવનો ભોગ લેવાય છે ત્યારે કવિને કહેવું છે કે બાળકને માથે બધું થોપી ન દો. એને એની રીતે આગળ વધવા દો. બધું ફટાફટ શીખવી દેવાના ધખારા છોડી એને ખુલ્લાપણાના શ્વાસ લેવા દો. બાળક ની મરજી એના ગમા અણગમાનો ખ્યાલ રાખવો જ જોઈએ.
૩૭. ડૉ. ભૂમા વશી
“પ્રેમ આખી જિંદગીનો મર્મ છે
એ વિનાની સર્વ વાતો તર્ક છે”
– હિતેન આનંદપરા
માતૃભાષાને પ્રેમ કરનારા અને એના માટે નક્કર કામ કરનારા, સતત કામ કરનારા, નવા આયોજન કરનારા, નવા લેખકોને સાચું, સારું અને સ્પષ્ટ લખવા માટે પ્રેરિત કરનારા અને એ શીખવા માટેની વ્યવસ્થા કરીને શિબિરોનું આયોજન કરનારા અને પછી લખ્યા પછી અભિવ્યક્તિ કરવા માટે તક આપીને નવોદિત કવિ અને કવયિત્રીઓને ખૂબ પ્રોત્સાહન આપનારા એવા કવિતા, ગઝલ, લેખ લખનારા એવા આપણા હિતેનભાઈ આનંદપરાનો આ શેર અદ્ભુત છે.
સત્ ચિત્ત અને આનંદ અને પ્રેમ , એ આપણું સ્વરૂપ છે. પ્રેમ હોય તો જ આપણે જીવનને આનંદથી અને સંપૂર્ણ રીતે જીવી શકીએ. પ્રેમ વગર ખાલી કરવા માટે કરેલા કાર્યો અથવા તો સાચવેલા સંબંધો વ્યર્થ છે. અને ફક્ત મગજથી કરેલી પ્રેમ વિશેની વાતો ફક્ત તર્ક છે.
ખૂબ સાદા સરળ શબ્દોમાં ખૂબ સુંદર વાત કવિએ કહી દીધી છે.
પ્રિય હિતેનભાઈને જન્મદિવસની અનેક શુભકામનાઓ.
આ શબ્દ-સાધકને, એમના ભાષાનું સંવર્ધન કરવાના યજ્ઞમાં સતત સફળતા મળતી રહે તે માટે પ્રભુને પ્રાર્થના .
બધા જ સુંદર આયોજન માટે અને “આપણું આંગણું” દ્વારા યોજાયેલી શિબિરો માટે, શિક્ષણ માટે હૃદયથી આભારી છું.
આદરણીય કવિશ્રી હિતેનભાઈ આનંદપરા સરને જન્મદિવસની ખૂબખૂબ શુભેચ્છાઓ*🌹🙏
૩૮. તૃપ્તિ ભાટકર
કવિશ્રી હિતેનભાઈને જન્મદિન નિમિત્તે અઢળક શુભકામનાઓ.
મને ગમતો કવિનો શેરઃ
“ઉપેક્ષા, ઉપેક્ષા, ઉપેક્ષા, ઉપેક્ષા કરી જેની જીવનમાં કાયમ
દીવાલો પર એની તસ્વીરો મઢે છે, આ માણસ બરાબર નથી.”
– હિતેન આનંદપરા
માવતર માટે એમનો જીવ એટલે એમના સંતાનો અને જીવનનું ધ્યેય એટલે એમનું ઉજ્જ્વળ ભવિષ્ય. બાળકોને ઉછેરવામાં પોતાની જાતને ભૂલાવી એમને સારું ભણતર, એમનાં શોખ અને ઈચ્છાઓને પૂરી કરવા હંમેશા તત્પર. જરાય માંદગી આવે તો જીવ અધ્ધર! આર્થિક રીતે ના હોય સઘ્ધર છતાં સતત પ્રયત્નશીલ કે બાળકોને આપું હું બહેતર. સંતાન ગમે એટલું મોટું થાય તો પણ એમનાં પ્રેમ અને વાત્સલ્યના નિરંતર વહેતાં ઝરણામાં કોઈ દી ખોટ આવતી નથી.
સંતાનોએ પણ માતાપિતા સાથે પ્રેમથી રહેવું, માન-સમ્માન આપવું, ઢળતી ઉંમરે એમનું ધ્યાન રાખવું અને થોડો સમય આપવો એથી વિશેષ બીજું શું અપેક્ષિત હોય છે એમને! જે મનુષ્ય પોતાના માવતરને જીવતા જીવ આટલું પણ નથી આપી શકતો, એમની જરૂરિયાતોની, સ્વાસ્થ્યની દરકાર નથી રાખી શકતો, બે પ્રેમના શબ્દો બોલવા સમય નથી ફાળવી શકતો, સતત એમની ઉપેક્ષા કરતો રહે છે, એ જ મનુષ્ય એમના અવસાન બાદ એમની તસ્વીરોને દીવાલો પર લગાવી ફૂલહાર ચઢાવે છે. આવા મનુષ્ય પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતાં કવિ કહે છે કે આ માણસ બરાબર નથી.
૩૯. ગેબી લુવારવી
મને ખૂબ ગમતો કવિ હિતેનભાઈનો શેરઃ
“ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ,
મળો એ શખ્સને ને સાવ સાધારણ મળી આવે”
– હિતેન આનંદપરા
અસાધારણ માનવી અને કવિ, એવા આપને જન્મદિવસની ખૂબખૂબ શુભેચ્છાઓ✨🙏
૪૦. જિગીષા દેસાઈ
મને ગમતો કવિ હિતેનભાઈનો શેરઃ
“ધરતી વચાળે દરિયો, દરિયા વચાળે છીપલાં,
છીપલાં વચાળે મોતી, મોતી વચાળે તું.”
– હિતેન આનંદપરા
સર્જકને આજના દિવસે ઘણી ખમ્મા…જન્મદિવસની શુભેચ્છાઓ….
‘મોતી વચાળે તું’ થી પ્રચલિત આખી ગઝલ સરળ અને પ્રેમથી લથબથ છે. પ્રેમની પરાકાષ્ઠા દર્શાવતા આ શેર પર મને સવિશેષ પ્રેમ છે. સરળ શબ્દોથી સજ્જ આ શેરમાં પોતાના પાત્રનું મહત્વ સહજ વર્ણવીને કહે છે કે આ પૃથ્વી પર દરિયો છે દરિયામાં છીપલાં. છીપલામાં મોતી ને મોતીની વચ્ચે તું….એકદમ સાદા શબ્દોમાં બોલચાલની ભાષામાં કેટલી ઊંચી વાત કહી છે! પ્રેમના ઊંડાણની આ વાત મને બહુ સ્પર્શી ગઈ ….’તું’ શબ્દ ઉમેરીને આખા શેરમાં ચમત્કૃતિ નીખરી આવે છે…..
૪૧. રમેશ મારૂ, ‘ખફા’
મને ગમતો કવિશ્રી હિતેન આનંદપરાનો શેરઃ
‘ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,
હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને.’
– હિતેન આનંદપરા
કવિશ્રી હિતેન આનંદપરા સરને અવતરણ દિવસની ખૂબખૂબ શુભેચ્છાઓ.
કવિશ્રીનો આ શેર ઘણું બધું કહી દે છે. હદથી વધારે સમજણ મેળવીને પણ શું ફાયદો? એ મેળવવાના ચક્કરમાં કે મળી ગયા પછી કેટકેટલું ગુમાવી દેવાય છે !મોટા થવાની લહાયમાં ને લહાયમાં કુદરત સાથેનો નાતો સાવ છૂટી જાય છે. અરે મુગ્ધતા જ નથી રહેતી તો પછી કુદરતના જે બેનમૂન હિસ્સાઓ છે એને માણવાની ને નીરખવાની નજર ક્યાંથી આવવાની?
કવિશ્રીના મને ગમતો આ શેર સાથે ફરી એકવાર જન્મદિવસની ખૂબખૂબ શુભેચ્છાઓ.