|

ચાર મુક્તક ~ શૂન્ય પાલનપુરી

૧.

ક્યારે ફરી મળીશું કોઈ ખાતરી નથી 
મરવું પડે છે રોજ એ કૈં જિંદગી નથી 
સામે છો કિંતુ હાય ! ઓ, શાકુંતલી નસીબ !
તમને અપાવે યાદ એ વીંટી રહી નથી !

૨.

પ્રેમ-પંથે જો ફના થવાની તૈયારી નથી, 
દિલના મર્મો જાણવાને તું અધિકારી નથી, 
ક્યાંક જોજે શૂન્ય ના ભેટી પડે આવેશમાં, 
એના બાહુપાશમાં કોઈ છટકબારી નથી.

૩.

કહે છે કોણ, આ ધરતી અમારે મન પરાઈ છે?
અમારા દેહમાં એની જ તો ખુશબૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈં રંગમાં આવ્યા છે સંબંધો   
વતન સાથે અમારે શૂન્ય લોહીની સગાઈ છે.

૪.

જન્મ ને મૃત્યુ તિમિર કાળે હશે 
જિંદગી બાકીના અજવાળે હશે 
બંને છેડે શૂન્ય હું પોતે હઈશ 
માત્ર એક જ ઈશ વચગાળે હશે 

~ શૂન્ય પાલનપુરી

Leave a Reply to Naren PKCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 Comments

  1. એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
    બાકી અમારો શૂન્ય તો લાખોમાં એક છે.

    આહા

    ખૂબ સરસ હિતેનભાઈ

  2. મુક્તકોની ખરી મજા એમની Res Ipsa Loquitar (it speaks for itself-સ્વયંસ્પષ્ટ) પ્રકૃતિના કારણે છે.

    ચાર પંક્તિના ખોબામાં મુક્તક વાદળ ભરીને વરસાદ લઈ આવે છે.

    આજે ગુજરાતી ગઝલના ખ્યાતનામ શૂન્ય પાલનપુરી શાયરની કલમે એક-એક મુક્તકની મજા આવી

    ચારેય મુક્તક સ્વયંસિદ્ધ છે…