… આપવા (ગઝલ) ~ નીરવ વ્યાસ

નીરવ વ્યાસ
(આણંદમાં જજ તરીકે કાર્યરત)

બુઠ્ઠા સમયને તીક્ષ્ણ એવી ધાર આપવા,
છોલાઉં છું જાતે, મને આકાર આપવા.

નીકળ્યો ઘરેથી ફેરિયો અખબાર આપવા,
સુમસામ એવા શહેરને ચકચાર આપવા.

આપી શક્યો છું શું?, મને એ પણ ખબર નથી,
જો કે, હું આવ્યો’તો બધાને પ્યાર આપવા.

સંસાર છોડીને હવે નીકળ્યા છે સંતજી,
કરશે ભ્રમણ સંસારમાં, સંસાર આપવા!

મારે ભજવવું જોઈએ, જે પાત્ર મારું છે,
ના આવશે કોઈ, મને કિરદાર આપવા.

અમથો જ ટોળું જોઇને ‘નીરવ’ ડરી ગયો,
લોકો તો આવ્યા’તા, નર્યો સત્કાર આપવા!!!

***

Leave a Reply to હરીશ દાસાણીCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

10 Comments

  1. ઉત્તમ ગઝલ.કાબિલેદાદ ગઝલિયત. જીયો કવિ.

    1. ચકચાર, કિરદાર,સંસાર,આપી શકયો છું શું કયા બાત કવિ બહેતરીન ગઝલ 👌👌👌

      1. ચકચાર, કિરદાર,સંસાર,આપી શકયો છું શું કયા બાત કવિ બહેતરીન ગઝલ 👌👌👌

  2. વાહ કવિ વાહ…સંસાર છોડીને…..
    છોલાઉ છું જાતે………

  3. શ્રી નીરવ વ્યાસની સ રસ ગઝલનુ ખૂબ સ રસ પઠન

  4. નીરવ , ખૂબ સરસ . મને યાદ છે હું બચપણમાં ફેરિયો હતો પેપર નો અને સવારે રોજ ૨૦ કિલોમીટર સાઇકલ ચલાવતો અને છેક છાણી સુધી પેપર વહેંચતો . આ એક શેર માં કટાક્ષ બહુ ગમ્યો —
    સંસાર છોડીને હવે નીકળ્યા છે સંતજી,
    કરશે ભ્રમણ સંસારમાં, સંસાર આપવા!
    મસ્ત અને સચોટ વાત છે : ” સંતજી ” શબ્દ વાંચીએ કે ત્યાં જ વ્યંગ પ્રહાર ની મજા આવે છે .વળી આ પ્રકારે પ્રથમ વખત પ્રયોગ જણાય છે. મોજ આવી !!!!