|

સુખી અને સ્વસ્થ જીવનનો મંત્ર – ડૉ. પ્રતાપભાઈ પંડ્યા

(હ્રદયસ્થ પૂ. પ્રતાપભાઈની સ્મૃતિમાં આજે એમના વતન અમરેલીમાં કાર્યક્રમ યોજાયો હતો, એની આ તસવીર છે).

(હ્રદયસ્થ શ્રી ડો. પ્રતાપભાઈ પંડ્યાનું નામ લેતાં જ એમનું સૌને પોતાના કરી લેતું સ્મિતથી શોભતું મુખ નજર સામે આવી જાય. આજીવન વિદ્યાર્થીઓને ભણાવ્યાં પણ સાથે સમાજસેવાનું કામ ગાંધીએ ચીંધેલા માર્ગે કરતા રહ્યા. દેશવિદેશમાં ગુજરાતી ભાષાના પુસ્તકોને ઘરઘર સુધી પહોંચાડીને, લોકો સુધી વાંચન પહોંચાડવાનો ભેખ એમણે લીધો હતો.  આ કાર્ય માટે એમણે પોતાનું સંપૂર્ણ પેન્શન દાનમાં આપી દીધું હતું. ગાંધીજીની વિચારધારાને અનુસરીને એમણે આખી જિંદગી ખાદી પહેરી અને સમાજમાં અનેક સેવાકાર્યો કરતાં રહ્યાં. પૂ. પ્રતાપભાઈના પત્ની, આદરણીય શ્રીમતિ રમાબહેન પંડ્યા આ બધાં સેવાકાર્યોમાં એમનું પીઠબળ રહ્યાં છે. એમણે સ્થાપેલી “પુસ્તક પરબ” સંસ્થા આજે પણ એમના સુપુત્રી મનીષાબહેન પંડ્યાના ઉદાર અનુદાનથી અનેક પ્રકારની પ્રવૃત્તિમાં સક્રિય છે. એટલું જ નહિ, બહેન મનીષા અને આદરણીય શ્રીમતી રમાબહેન આજે પણ  પૂજ્ય પ્રતાપભાઈના આદરેલાં અનેકવિધ સામાજિક સેવાકાર્યો આગળ ધપાવતાં રહ્યાં છે.
ડૉ. પ્રતાપભાઈનું લખેલું પુસ્તક, “વેદવાણી” ઘરમાં વસાવીને વાંચવા જેવું છે. ધર્મ અને વેદોનું નવનીત એ પુસ્તકમાં એમણે લખ્યું છે. એમણે નાનાનાના અનેક પ્રેરણાદાયી લેખો લખ્યા છે. એમાંનો એક લેખ આજે એમને અશ્રુભરી આંખે શ્રદ્ધાંજલિ આપતાં રજૂ કરું છું. પૂ. મોટાભાઈ, I miss you.)

ધર્મનો આરંભ જીવનમાં સ્વદોષદર્શનથી થાય છે. શાંતિનો આરંભ પણ ત્યાર પછી જ શરૂ થાય છે. પ્રત્યેક વ્યક્તિમાં ગુણો અને અવગુણો હોય છે. આપણે જો ગુણોને જોઈશું તો ગુણોને પામી શકીશું. જે જોઈએ તે પામીએ, દોષોથી ભરપૂર જીવન ન થવા દેવું હોય તો કોઈના અવગુણો ન જોવા જોઈએ. જે માત્ર બીજાના દોષો જુએ છે, તે કદી પોતાના દોષોને જોઈ શકતો નથી. પોતાના દોષો – અવગુણો જોનારને બીજાના અવગુણો જોવામાં કે સાંભળવામાં રસ હોતો નથી. તે માને છે કે આપણામાં જ પુષ્કળ દોષો પડ્યા છે તે જોવા જોઈએ, અને એમાં જ ઘણીવાર ભવ પૂરો થઈ જાય છે.

બીજાના દોષો જોયા કરવાથી પોતાના દોષ જોઈ શકાતાં નથી ને બીજાના ગુણો પણ જોઈ શકાતાં નથી. જો બીજાના ગુણોનું સન્માન કે પ્રશંસા કરવામાં ન આવે, તો મીઠા સંબંધો કદી બની શકતા નથી. આવી મીઠાશ વિના જીવનમાં એકબીજાની હૂંફનો અનુભવ થતો નથી.

કુટુંબની અશાંતિ, કંકાસનું એક કારણ બીજાના દોષો જોવાનું છે. “મારા જીવનમાં જે કંઈ પણ ખોટું કે ખરાબ થાય છે, તે બીજાને કારણે છે.  મારો કોઈ દોષ છે જ નહિ.” જ્યારે કોઈ આવું માને, તે માણસ પોતે જ પોતાનો દુશ્મન જ નથી બનતો, પણ આત્મઘાતક બને છે. ઘરની એક પણ વ્યક્તિ પોતાની ભૂલને તર્કશક્તિના જોરે, બીજા સભ્યને જવાબદાર બનાવી દેશે, તો એ ઘરમાં શાંતિ રહી શકતી નથી. દરેક સભ્ય પોતાની ભૂલને જુએ, બીજાની ખામીને ભૂલીને પોતાના દોષને કારણે અન્યોને કેટલું ખમવું પડે છે, તે રીતે વિચારે તો જ ઘરમાં સુખશાંતિ પ્રસરે. ભવિષ્યમાં કોઈ પણ પ્રસંગે પોતાની ખામીઓ જોતાં આવડી જાય તો બીજાના દોષોને બદલે ગુણો વધારે દેખાશે અને એ ઘરમાં હૂંફાળી લાગણીઓ અને પ્રેમ છવાયેલાં રહેશે.

કોઈ પણ વ્યક્તિ પ્રત્યે પૂર્વાગ્રહ ધરાવો નહિ. એકવાર કોઈએ ભૂલ કરી તો તે વ્યક્તિ કાયમ આમ જ કરશે, એવું માનવું નહિ. એના સંજોગો, એની પરિસ્થિતિ, એની એ સમયે કુંઠિત થઈ ગયેલી વિચારશક્તિના કારણે કદાચ અયોગ્ય આચરણ કરી બેસે છે. ત્યારે પૂર્વગ્રહને કારણે એના મૂળ ગુણને પ્રગટતો અટકાવો નહિ. જો વ્યક્તિ સ્વદોષદર્શન કરે અને પરગુણદર્શન કરે તો તેના જીવનમાં શાંતિ હોય છે, મનમાં પ્રસન્નતા હોય છે અને કુટુંબમાં સંપ હોય છે.

સ્વદોષદર્શનના ગુણથી જે ગુણી હોય તેને જ આ બધું સુખ મળે છે, ભલે પછી તે ક્રિયાકાંડો કરતો ધર્મી ન હોય કે ધની પણ ન હોય.

પોતાના અવગુણોને જોવા એ પોતે જ પોતામાં એક ધર્મ છે અને આંતરસંપત્તિ છે. એવી વ્યક્તિ ગુણી તો છે જ, પણ સાચા અર્થમાં ધર્મી અને ધની પણ છે જ.

(ફેબ્રુઆરી ૨૦૦૫, “સંગત”ના સૌજન્યથી સાભાર.)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment