તમારા ગયા પછી તમારું નામ એક અક્ષરનું ઈનિશ્યલ માત્ર થઈ જાય છે ~ યોગેશ શાહ
(સાભાર: ગુજરાતી મિડ-ડે)
લગ્નગાળો આવે ને મુંબઈના તાંબાકાંટા (કાલબાદેવી)ની દુકાનોમાં વાસણો પર મશીનથી નામ લખવાનાં અવાજો આવવા માંડે. “ફલાણાં નિવાસી, હાલ મુંબઈ શેઠશ્રી… ના સુપુત્ર/સુપુત્રીના લગ્નપ્રસંગે સપ્રેમ ભેટ તા: …” એમ લાંબુંલચક લખાવવામાં આવે.
કુટુંબવાળા પોરસાઈને જોતાં રહે કે વર્ષો સુધી, આ વાસણ વાપરશે ત્યાં સુધી આપણને યાદ કરશે. નામની જોડણી બરાબર છે કે નહીં, બરાબર ઊંડું કોતરાયું છે કે નહીં એ પણ ચેક કરી લે. અને ખરેખર વર્ષો સુધી વાસણ પર નામ રહેતાં પણ ખરાં.
હવે આવા વાસણોનાં “ઠીકરાં” આપવાનો રીવાજ નથી રહ્યો. ગિફ્ટ લેનારાં હવે તમારું નામ નહીં પણ કઈ કંપનીની પ્રોડક્ટ છે એ જુએ છે. બ્રાન્ડેડ પ્રોડક્ટ હોય તો આંખોમાં અહોભાવ દેખાય અને નહીં તો એ ગિફ્ટ બીજાને આપવામાં ચાલે.
નામનો મહિમા છે અને નથી. “છે” એટલા માટે કે પોતાના નામનો ઉચ્ચાર વ્યક્તિ કલબલાટ અને કોલાહલમાં પણ સાંભળી લે છે. ગિફ્ટ-ટેગ પર પોતાનું નામ સુંદર અક્ષરે લખે છે. સ્ટેજ પરથી પોતાનું નામ બોલાવાનું હોય તો તે માટે સતત કાન સરવા રાખે છે. કેટલાંક ડોનેશન્સ તો તક્તી પર નામ કોતરાય કે તખ્તા પરથી નામ બોલાય એ માટે જ આપવામાં આવે છે. કોને પોતાનું નામ પ્યારું નથી?
ગાંધીજીએ કહ્યું હતું કે “નામમાં શું રાખ્યું છે?”- “એ ભાઈ, ગાંધીજીએ નહીં શેક્સપિયરે કહ્યું હતું.”- “એમ? હશે, નામમાં શું રાખ્યું છે?”

બીજી બાજુ, નામનો મહિમા એટલા માટે નથી કે તમારા ગયા પછી તમારું નામ એક અક્ષરનું ઈનિશ્યલ માત્ર થઈ જાય છે. અને પછી ધીમેધીમે એ પણ રહેતું નથી.
રસ્તાઓ, મકાનો, સભાગૃહો, હોસ્પિટલો, સ્ફૂલો, કૉલેજો વગેરેને અપાયેલાં દાતાઓનાં નામ ધીમે ધીમે એક-બે અક્ષરોના ઈનિશ્યલ્સમાં સમાઈ જાય છે. મહાત્મા ગાંધી રોડ એમ.જી. રોડ થઈ જાય છે અને સરદાર વલ્લભભાઈ પટેલ રોડ એસવીપી રોડથી જ ઓળખાય. “સર હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલ”એ કેટલું લાંબુલચક નામ લાગે? એટલે સર એચ.એન. હોસ્પિટલ, ટૂંકું ને ટચ.
“નામ છે તેનો નાશ છે” એવો ઉપદેશ આપનારાં સાધુ-મહારાજ, ભગવંતો પણ પોતાના નામ આગળ ધ.ધૂ.પ.પૂ. ૧૦૮/૧૦૦૮ ફલાણા ગિરી, મહંત, સ્વામી, સાહેબ, સુરીશ્વરજી વગેરે તો લખાવે જ છે. પણ સામાન્ય માણસ તો અમુક-તમુક જગ્યાના કે મંદિરના મહારાજશ્રી તરીકે જ એમને ઓળખતો હોય છે.
આ વિષયના અનુસંધાનમાં જ નોબેલ પ્રાઈઝ વિનર કવિ પાબ્લો નેરુદાનો કિસ્સો ઘણો રસપ્રદ છે.

આ કવિ લોકપ્રિય તો પછીથી થયાં પણ એ પહેલાં એમના કુટુંબને એ કવિતા લખે એ જ ગમતું ન હતું. એટલે એમણે એમના ગમતા ઝૅક કવિ ઝાન નેરુદાની અટક રાખીને પાબ્લો નેરુદાના નામે કાવ્યો લખ્યાં. પછી મૂળ નામનું તો અસ્તિત્વ જ ન રહ્યું. નામમાં શું રાખ્યું છે?! હશે ભાઈ.
“મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ”
~ યોગેશ શાહ
ykshah234@gmail.com