“કહે કબીર…” ~ સંજુ વાળા
કહે કબીર – ૧
~ સંજુ વાળા
કહે કબીર : મગહરને મારગ જાતાં નડશે જળો !
વ્યથા, પ્રથા આડી ઊતરશે,
અથડાશો નિજગતથી સ્હેજે હલોચલો સળવળો
યાત્રી થઈને નીકળે એણે
ગાંઠ વાળવી પડે મૂકી સૌ ગ્રંથિ
ઓઢ્યું-પહેર્યું એક કરીને
ખાલી થઈ રહેવાનું મક્કમ મનથી
એવો પણ મુકામ મળે કે
એવો પણ મુકામ મળે કે
મુઠ્ઠીભર મગફળી પામવા તુર્યાતિત ટળવળો !
કહે કબીર : મગહરને મારગ જાતાં નડશે જળો !
વણખેતીએ ખેડુ ના હોય
વણખેડુ ના હોય કદી પણ ખેતી
મુગતાફળના મોહ ન જકડે
બદરીફળથી પણ ચાલે જે ચેતી
પાણીને જે ભૂ કહે
એનાં ભાગ્યેથી પ્રલય વિશેનાં કથા-કથાનક ટળો !
કહે કબીર : મગહરને મારગ જાતાં નડશે જળો !
કહે કબીર – ૨
~ સંજુ વાળા
કહે કબીર : અમને અનુસરશે, એ અગ્નિના સાક્ષી !
મીટ હજો મદિરાલય બાજુ, દાંત ન મળજો રાક્ષી !
તુરત જ માગે તારણ, તેના
ભાલે તિલ્લક કરે નહીં કોઈ સિદ્ધિ
ચડી છાપરે શંખ ફૂકે નહીં
કે મુઠ્ઠીમાં રમતી રાખી રિદ્ધિ
નગર વચાળે નાગર થઈને
રહે, પાનમાં ચાવે સૌ પ્રસિદ્ધિ
કહે કબીર : એ મોતીમના, વીંધાય જેમ મીનાક્ષી !
કહે કબીર : અમને અનુસરશે, એ અગ્નિના સાક્ષી !
હડસેલી હદ બહાર તરાપો
નિજ બાહુબળ અજમાવીને તરે
સામે પૂર જઈ પાર ઊતરતા
વાટ નીરખતી મનસાકુંવરી વરે
પછી લાગલો ઓચ્છવ ઓચ્છવ
ગગન ગડગડે, નેહ નિરામય ઝરે
કહે કબીર : આંજે અજવાળાં એ ના અન્ય આકાંક્ષી !
કહે કબીર : અમને અનુસરશે, એ અગ્નિના સાક્ષી !
(આજ અનુપમ દીઠો – સંજુ વાળા) ટૂંકમાં જ પ્રગટ થનાર કાવ્યસંગ્રહમાંથી)
(બુદ્ધિપ્રકાશના સૌજન્યથી સાભાર)
(બુદ્ધિપ્રકાશના સૌજન્યથી સાભાર)