ત્વમેવ સખા (લેખ) ~ માના વ્યાસ (સ્પંદના), મુંબઈ
“સખા” આમ સામાન્ય રીતે વપરાતો શબ્દ નથી. સ્ત્રી સખી બનાવી લે. પત્રોમાં, ગીતોમાં સખી શબ્દ વારંવાર સાંભળવા મળે પણ સખા!!
સ્ત્રી ને પુરુષ મિત્ર ક્યાં હોય? ખૂબ જૂજ દાખલા જોવા મળે. શાળામાં થોડી મૈત્રી હોય પછી કૉલેજમાં મિત્રવર્તુળ હોય. બહુબહુ તો સોસાયટીમાં એકબે સાથે બોલચાલનો વ્યવહાર હોય, પણ અંતરંગ મૈત્રી ન હોય. એને પછી પ્રેમ કે લફરાંનું નામ આપી દેવાય. શુદ્ધ મૈત્રી સંભવી શકે નહીં. એવી મૈત્રીને સમજવાની પરિપક્વતા દરેકમાં હોતી નથી.
પરણેલી સ્ત્રીને તો આની કલ્પના કરવી મુશ્કેલ. જો કોઈ પુરુષ મિત્ર સાથે સાદી ચા પીવા કાફૅમાં જાય તો પણ લોકોની આંખો ચાર થઇ જવાની. ઓફિસમાં પણ કોઈ સાથે ઝાઝી દોસ્તી, મજાકનું કારણ અવશ્ય બની જાય. અરે, લગ્ન પછી જો કૉલેજ કે શાળાનો જૂનો મિત્ર મળી જાય અને હસીને વધુ વાત કરી તોપણ પતિનાં મનમાં શંકાનો કીડો સળવળ્યા વગર ન રહે. નિર્દોષ મૈત્રી ચર્ચાનું કારણ બની જાય.

હાથમાં તાળી આપવી કે વાંસામાં ધબ્બો મારવો જેવી સામાન્ય બાબતો લગ્ન પછી ચાલુ રાખવી નહીં. એ બધાંનો અર્થ રાતોરાત બદલાઈ જતો હોય છે. જે ક્લાસમેટ લગ્ન પહેલાં બહેનપણીનાં ઘરમાં આરામથી આવજા કરતો હોય એનું લગ્ન પછી આવવું પ્રશ્નો જન્માવે છે.
હા, જો મિત્ર પછી આગળ જતાં પતિ બની જાય તો શક્ય છે. પરંતુ ભારતીય પુરુષ પરણ્યા પછી ફક્ત સ્વામી બનીને રહી જાય છે. એ મૈત્રી ભૂતકાળ બની રહી જાય છે. આમાં એનો વાંક નથી. પુરુષપ્રધાન સમાજમાં પતિનો દરજ્જો ઊંચો હોય એમ પુરુષ શું સ્ત્રીઓ પણ માનતી હોય છે.

એક સમયની સખી પત્ની બનતાં જ મૈત્રી નામની કળી ખીલ્યાં વગર જ ખરી પડે છે. એ કાર્યેષુ મંત્રી, ભોજનેષુ માતા બની જાય છે. સખી બનતી નથી.
સનાતન ધર્મમાં સપ્તપદીનું છેલ્લું વચન આજીવન મિત્ર બનીને રહીશું એ છે. પણ પરણતી વખતે કોને આ સાત વચનો સાંભળવાની ફૂરસદ હોય છે?
લગ્ન કરાવનાર મહારાજ પણ આસપાસનાં કોલાહલને અવગણી ઘોઘરા અવાજે સપ્તપદીની રસમ નિભાવવા સાત વચનો લેવડાવતા હોય પણ વરવધૂને ક્યાં રસ હોય છે? ક્યા એન્ગલથી ફોટા વધુ સારા આવશે તેની ચિંતા વધુ હોય છે.
પતિ-પત્ની સખા અને સખી બને તો વિખવાદ થાય જ નહીં. સખ્યભાવમાં પરસ્પર વિશ્વાસ રહે, નાનામાં નાની વાત એકબીજાને કહેવાય, છુપાવાય નહીં. ક્યારેય ઇર્ષા ન થાય.
પતિ જો સખા કે બડી બની જાય તો એનો ક્યારેય ડર ન લાગે. એને માટે હ્રદયમાં આદર હોય પણ ભય હરગિજ નહીં. બંનેની કક્ષા સરખી. કોઇ વધુ નહીં કે ઓછું નહીં. કોઇને ખોટું લાગશે, વઢશે એ સખ્ય હોય તો સંભવે જ નહીં. એકબીજાની હાજરીમાં એકદમ હળવાશ અનુભવાય. કેટલી ઉમદા વાત છે.
ધારોકે આ સખાભાવમાં પતિ ઉણા ઉતર્યા તો?? તો કંઈ નહીં, પ્રયત્ન ચાલુ રાખવો પણ દાસી તો ન જ બનવું.
શ્રી કૃષ્ણ દ્રોપદીના સખા હતા. સંકટ સમયમાં હંમેશા આવી ઊભા રહ્યા. જ્યારે પાંચ પતિએ જુગારમાં એક વસ્તુની જેમ એને દાવમાં મૂકી હારી ગયા ત્યારે સખાને આર્તભાવે પોકાર્યા અને સખા પણ કેવા! ભરોસાની એરણ પર ખરા ઉતરે એવા. મૈત્રીની લાજ રાખી.
એ જ શ્રીકૃષ્ણ સખીને સમયસર ટકોર પણ કરી શકે છે કે દ્રોપદી આવી કેશ ન બાંધવા જેવી પ્રતિજ્ઞા લઇશ તો પાંડવો બીજી બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકે. તારા માટે પ્રતિજ્ઞા લેવી સહેલી હશે પણ પાંડવો માટે દુષ્કર બની જશે.
એ જ શ્રીકૃષ્ણ અર્જુનનાં પણ સખા સ્વરૂપ જ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં વિરાટદર્શન સુધી અર્જુન એમને મિત્ર માને છે, પછી એને સાચું સ્વરૂપ સમજાય છે. એક મૈત્રી શ્રી કૃષ્ણ અને અર્જુનની છે, જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને ધનુર્ધર અર્જુન છે. ત્યાં વિજય, નીતિ અને સમૃદ્ધિ નિશ્ચિત છે. એક ઉમદા પવિત્ર મૈત્રી કેટલી કલ્યાણકારી હોઇ શકે તે દર્શાવે છે.

એની સામે કર્ણ અને દુર્યોધનની મૈત્રી પણ છે. જે મૈત્રી સર્વ માટે વિનાશકારી નીવડી હતી. ભલે કર્ણએ મૈત્રી નિભાવવા કૌરવ પક્ષે લડવાનું પસંદ કર્યું પરંતુ અધર્મનો સાથ આપ્યો. એણે ક્યારેય મિત્રને ખોટું કરતા રોક્યો નહીં.
સખા હોય તો શ્રી કૃષ્ણ જેવા. બાળસખા સુદામાને ભૂલ્યા નહીં. ગરીબ દશાથી સંકોચાતો મિત્ર કંઈ માગી શકતો નથી એ જાણી તાંદુલનાં એક-એક દાણાની કહ્યાં વગર જ કિંમત ચૂકવી દીધી. ધન્ય મૈત્રી.

જીવનમાં મિત્રો આવતાં જતાં રહે છે. સ્થળકાળ પ્રમાણે બદલાતાં રહે છે. કોઇ એકબે જ હંમેશ માટે હ્રદયમાં સ્થાન પામે છે. “માય ફ્રેન્ડ” કહેવું જેટલું સહેલું છે એટલું નિભાવવું આસાન નથી.
સોશ્યલ મીડિયા પર થતી અને વિસરાઈ જતી મૈત્રી સાવ તકલાદી પુરવાર થતી હોય છે. અનુકૂળ પરિસ્થિતિમાં બનતાં મિત્રો પ્રતિકૂળ સંજોગોમાં પરખાઇ જતાં હોય છે. તાળીમિત્રો, પ્યાલીમિત્રો અને સાચાં મિત્રો વચ્ચે ભેદ જેટલો જલદી સમજાઇ જાય એટલી તકલીફ ઓછી થાય છે.
મૈત્રીમાં અપેક્ષા ઓછી અને ઉદારતા વધુ હોવી જોઈએ. ગણતરી, હિસાબ વસૂલાત શબ્દો દોસ્તીની ડિક્ષનરીમાં હોતા નથી. ઇર્ષા સરખામણીથી મૈત્રી ઝંખવાઈ જાય છે.
પ્રસંગ, પ્રવાસ કે ક્લબમાં બનતી દોસ્તીનું આયુષ્ય જે તે સમય જેટલું જ હોય છે. સિનેમામાં બતાવાતી જાન આપી દેવાવાળી મૈત્રી આપણે નથી કરવી. એ કદાચ લશ્કરમાં કે સમરાંગણમાં સાચી હશે. આપણે સામાન્ય માનવી. જરૂરનાં સમયમાં સાથે ઊભા રહીએ એટલું બસ. ઘણીવાર પૈસા કે ગાડી કરતાં ફ્ક્ત આપણી હાજરી એમને શાતા દેનારી હોય છે.

દુન્યવી સંબંધોનાં છોડની સતત કાળજી લેવી પડતી હોય છે. જો વધુ આળપંપાળ કરીએ તો વેવલા ગણાઇએ અને વખતસર ખાતર પાણી ન આપીએ તો છોડ અકાળે મુરઝાઈ જશે.
પ્રભુને જ જો સખા બનાવી દઇએ તો દોસ્તી કાયમ માટે ટકી જવાની. પરમ સખા. ત્વમેવ સખા. રોજ એની સાથે દિવસ દરમિયાન થયેલી વાતો કહી દેવાની. પછી એજ અંતરમાં આવીને કહેશે, આ બરાબર કર્યું અને આમ ન થાય. એની વાતો ગાંઠે બાંધી, એની જ માફી માગી એને જ શરણે જતા રહેવાનું. હવે એજ સુધારે કે શીખવાડે એની મરજી. પરમ સખાનાં ખભે માથું મૂકીને નિશ્ચિંત થઈ જવાનું.
શ્રીકૃષ્ણ જો સખા બની જાય તો એકાંતમાં, એકલતામાં પણ આવીને ઊભા રહેશે. તમને કંપની આપવા. કદી હાથ નહીં છોડે. સામે તમારે પણ દોસ્તી નિભાવવાની. જાતને છેતરવાની નહીં. એ તો સાચો મિત્ર છે, જો જો છેલ્લે સુધી મૈત્રી નિભાવી જાણશે.

~ માના વ્યાસ (સ્પંદના), મુંબઈ
mana.vyas64@gmail.com