ક્યાં છે કોઈ આકાર કસમનો ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં તાજેતરમાં નવી સરકાર દ્વારા શપથવિધિ સંપન્ન થઈ. પ્રધાનો બંધારણ અને કાયદાને અનુસારવાના સોગંદ ખાય છે.

જો કે આ સોગંદ લીધા પહેલા જ તોડાઈ ગયા ગણાય કારણકે મોટા ભાગના પ્રધાનો સામે કોર્ટમાં કેસ ચાલુ છે. એટલે કસમ લીધાની મહત્તાને માનીએ, પણ નિષ્ઠા વિશે તો શંકા થાય જ. બહુ જૂજ નેતાઓ એવા હશે જેના માટે ડૉ. ભૂમા વશીનું મુક્તક ટાંકી શકાય…
દેશ સર્વોપરી એ
લીધા છે શપથ
માતૃભૂમિને કાજે
લીધો આ જનમ
આ હૃદય ગાય છે,
માતરમ્ માતરમ્
જાન કુરબાન છે,
એ લીધા છે શપથ
આપણા દેશમાં કેટલાય લોકોને વંદે માતરમ્ બોલતાયે જોર પડે છે.

આવા લોકોએ સિરિયા કે અફઘાનિસ્તાન જેવા દેશોમાં નિષ્કાષિત કરી દેવા જોઈએ જેથી કેટલી વીસે સો થાય એની ખબર પડે. જે દેશમાં રહેતા હોય એ પ્રત્યે મમત કેળવવાની બદલે પેતાના ભાણા સાચવવા, પારકાનાં ગાણાં ગાવા લાગે છે. એમના આક્રોશમાં ક્રાંતિ નહીં પણ ઉથલપાથલના ભણકારા સતત વાગ્યા કરે.
અમિત ટેલર લડતને અર્થ આપવાનો પ્રયાસ કરે છે…
શોધતો ફરતો રહું
કોઈ મળે તો હું લડું
લોહી ઉકળતું રાખતા ચૂલામાં
બળતણ જોઈશે
હો ભલેને સ્વાર્થનું
તો પણ મને મંજૂર છે
સત્યના સોગંદ ખાવા
કોઈ સગપણ જોઈશે
સપ્તપદીમાં સાત ફેરા લેતી વખતે સોગંદ લેવાના હોય છે. તેમાં ભોજન, સુખ અને શાંતિ સભર જીવન, આધ્યાત્મિક અને ધાર્મિક કર્તવ્યનું પાલન, સૌહાર્દપૂર્ણ રીતે પ્રેમથી જીવાતો સંસાર, વિશ્વકલ્યાણ અને સંતાનપ્રાપ્તિ, ધનધાન્ય, પરસ્પર વિશ્વાસ, એકતા, મનમેળ અંગે વચન આપવાનું હોય છે.
એમાં વ્યક્તિ સાથે સમષ્ટિની ભાવના પણ જોડાયેલી છે. દિલીપ ધોળકિયા ‘શ્યામ’ વચનની મહત્તા કરે છે…
હૃદયમાં સાચવી રાખો,
વચન આપો અગર કોઈ
વચન વિશ્વાસની જ્યોતિ
વચન પોતે જ કિરતારા
વચન પ્રહ્લાદ ઉગાર્યો,
વચનથી રામવન પામ્યા
વચન બંધન અફર માનો,
વચન ઉતારે ભવ પારા
વચન આપતી વખતે એ ધ્યાન રાખવું પડે કે એને પાર પાડવા આપણે શક્તિમાન છીએ કે નહીં. જે કાર્યક્ષેત્ર આપણા વશમાં કે સમજમાં નથી એના વિશે વચન આપીને નિષ્ફળતા વહોરવી પડે.
પ્રત્યેક જણની એક મર્યાદા હોય છે. એ મર્યાદાથી આગળ થયેલી વાતો કાં તો બણગાં હોય અથવા ઠગારી આશા હોય. ચાંદ તારા તોડી લાવવાની કસમ હવે યુગો જૂની થઈ ગઈ. આ કસમ ઉચ્ચારાય તો પૂનમનો ચાંદ પણ ડિપ્રેશનમાં આવી અમાસમાં સરી પડે. સ્વાતિ રાજીવ શાહ કસમની નિષ્ઠાને પડકારે છે…
ખુદ કસમ આપી પછીથી
એ કસમ ભૂલી ગયા
દર્દ દઈ અમને ખુશીથી
એ કસમ ભૂલી ગયા
બસ કસમ ખાધી હતી
કે નામ એનું નહિ હવે
ચોટ જ્યાં લાગી,
અમારી એ કસમ ભૂલી ગયા
કસમ, સનમ તેરી કસમ, આપ કી કસમ, કસમ પૈદા કરને વાલેકી, ખુદા કસમ, તુમ્હારી કસમ, હિંદુસ્તાન કી કસમ, કસમ સુહાગ કી, મેરા વચન ગીતા કી કસમ, આખરી કસમ વગેરે અનેક હિંદી ફિલ્મોમાં સોગંદનો મહિમા થયો છે.

એક વાર સમ ખાઈએ પછી એ પાળવાના હોય. એમાં છેહ કરીએ ત્યારે અરીસા સામે ઊભું રહેવું દુષ્કર થઈ જાય. ડૉ. અપૂર્વ શાહ વકીલની બાનીમાં વાત કરે છે…
જ્યાં અપેક્ષાઓ હતી
ત્યાં વાયદા દેખાય છે
જ્યાં હતી નિઃસ્વાર્થતા
ત્યાં ફાયદા દેખાય છે
જો કર્ય઼ું સોગંદનામું
એટલી સગવડ વધી
જ્યાં ફકત સગપણ હતું
ત્યાં કાયદા દેખાય છે
કાયદો ગુના માટે સજા આપે છે, સોગંદ તોડવા માટે નહીં. નેતાઓ ચૂંટણી વખતે મસમોટા વાયદા કરે છે. એ નિભાવવાના આવે ત્યારે છટકબારીઓ ગોત્યા કરે. વચને કા દરિદ્રતા સૂત્રને તેઓ સુપેરે નિભાવી જાણે છે.
આવા લોકોને દીપક ઝાલા ‘અદ્વૈત’ સણસણતી ચાબુક ફટકારે છે…
ભરોસો નહિ અપાવે પણ
ભરોસાની કસમ ખાશે
તમારા સમ કશે, ને ક્યાંક
પોતાની કસમ ખાશે
ઘણાં લોકો મા જીવે ત્યાં સુધી
માની કસમ ખાશે
મા ગુજર્યા બાદ એ
બીમાર ડોસાની કસમ ખાશે
લાસ્ટ લાઈન
કેવો કરતાં વાર કસમનો?
જીતવા લે આધાર કસમનો
ભોળી જનતાને છળવાને,
લીધો છે અધિકાર કસમનો
તારલિયા દેખાડે સૌને,
ક્યાં છે કોઈ આકાર કસમનો?
રૂનાં પથ્થર હૈયે રાખી
દશરથ સ્હેતા ભાર કસમનો
વાતે વાતે સમ ખાઈને
ફૂલ્યો છે વસ્તાર કસમનો
નેતા રાખે બંધ દુકાનો
જ્યારે હો રવિવાર કસમનો
દૂધ દોવાને નીરણ નાખે
આટલો છે બસ સાર કસમનો
~ મિતુલ કોઠારી