‘જૂઠને સત્યમાં ફેરવી નાખવાનું સત્ય’… ને પછી….! ~ કવિ: જયશ્રી વિનુ મરચંટ ~ આસ્વાદઃ લતા હિરાણી
(જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, આ કાવ્ય ૨૦૦૬ અથવા ૨૦૦૭માં લખાયું હતું અને ફિલાડેલ્ફિયાથી પ્રકાશિત થતા ત્રૈમાસિક “ગુર્જરી ડાયજેસ્ટ”માં એ જ વર્ષો દરમિયાન પ્રકાશિત થયું હતું.
આ કાવ્ય પછી જાણીતા સાહિત્યકાર અને કોલમનિસ્ટ, લતાબહેન હિરાણીના વાંચવામાં આવ્યું અને એમણે (મને યાદ છે ત્યાં સુધી) ૨૦૧૫ કે ૨૦૧૬માં “દિવ્ય ભાસ્કર”માં આ કાવ્યનો આસ્વાદ કરાવ્યો હતો.
આજે ભારતમાં ચૂંટણીના માહોલમાં આ કાવ્ય કેટલી હદે લાગુ પડે છે, એ વિષે વધુ કંઈ કહેવા જેવું બાકી રહેતું નથી. આદરણીય લતાબહેનનો હું અંતરથી આભાર માનું છું. ~ જયશ્રી મરચંટ)
‘જૂઠને સત્યમાં ફેરવી નાખવાનું સત્ય’… ને પછી….!
કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખો, ને પછી,
અટકળને અંધ પાંખો ફૂટે ને પછી,
એ..ને… અટકળ ઊડી, ઊડી ને એવી તે ઊડી, ને પછી,
અટકળ બની ગઈ અફવા, ને પછી,
અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણ, ને પછી,
ચરણોની હરણફાળ, અંધ પાંખોનો ફરફરાટ, ને પછી,
ઊડી ઊડીને અફવા થાકે, ને પછી,
ચરણ સંકોરે, અંધ પાંખો ખેરવે, ને પછી,
કોશેટામાં પાછી પેસીને ઉઘાડે બંધ આંખો ને પછી,
કોશેટામાં ડંકાની ચોટ પરથી એલાન કરે કે “હું અટકળ નથી” ને પછી,
“હું અફવા પણ નથી”, ને પછી,
છાતી ઠોકીને કહે, હિંમતભેર કે, “હું જ સત્ય છું..!” ને પછી,
કોશેટાની અદીઠ પંચાયતી અદાલત પાસે મ્હોર મરાવે, એના સત્ય હોવાના દાવા પર….!
ને પછી,
ત્યારથી, કોશેટામાં સત્ય, અટકળ અને અફવાની ગુલામી કરે છે…!
~ જયશ્રી વિનુ મરચંટ
~ આસ્વાદઃ લતા હિરાણી
નામ ખાસ જાણીતું ન હોય ને અચાનક શબ્દો પર નજર પડે, નજર આગળ વધવા લલચાય ને એક સુંદર ‘હટકે’ કાવ્ય મળી આવે એવું ક્યારેક ક્યારેક બને, આજે ફરી બન્યું! ‘ને પછી’ જેવો મજાનો લય અને રવ લઈને આવતું આ કાવ્ય એનો નમૂનો.


પહેલાં અટકળો થાય, એમાંથી અફવા જન્મે અને ધીરે ધીરે આ અફવા ફેલાવનારાઓ એને સત્યનું મહોરું પહેરાવીને જ જંપે! જી હા, આ એક કડવું પણ સત્ય છે. આ છે જૂઠને સત્યમાં ફેરવી નાખવાનું સત્ય યાને કે અસત્યનું સત્ય!
અફવાને મારીમચડીને સત્ય તરીકે રજૂ કરવામાં આવે એ તો આપણા સહુનો રોજેરોજનો અનુભવ છે. એટલે વાત બહુ ગંભીર છે, મુદ્દો ગહન છે, પણ રજૂઆત માટે કોશેટાનું કલ્પન ખૂબ મુલાયમ અને છતાંય ડંકાની ચોટ જેવું સશક્ત અને સબળ છે.


ભ્રમણાનો કોશેટો ને એમાંથી પેદા થતી અટકળની બંધ આંખો! એક એક શબ્દ વિચારીને મુકાયેલો છે. આંખો છે પણ બંધ છે. એ કશું જોવા એટલે કે સચ્ચાઈ જાણવા, સમજવા કે વાસ્તવિકતાને ઓળખવાનો ધરાર ઈન્કાર કરે છે. જુઓ, એ પછી આની ‘અંધ’ અને ‘બંધ’નો માત્ર પ્રાસ જ નથી મળતો, એ અત્યંત અર્થસભર વાત બની રહે છે.
આંખો બંધ છે ને ‘પાંખો ફૂટે’, ને એય પાછી અંધ છે! નહીંતર તો યોગ્ય-અયોગ્યની ઓળખાણ ઈચ્છા ન હોય તોયે થાય. એ નથી જ કરવું એટલે પાંખોને અંધ બનાવી દીધી..! એ ફાફડે, ઊડે પણ ગમે ત્યાં ઊડે, આડેધડ ઊડે. ન હોય એની દિશા કે દશા, માત્ર અવદશા જ હોય! એટલે જ આ અટકળની પાંખો એને જલદીથી અફવામાં પરિવર્તિત કરી શકે.


અફવાની સત્ય(અસત્ય) બનવાની દોડમાં કવિએ એક પછી એક પગલાં સમજીને ભર્યા છે. ઑક્ટોપસને આઠ હાથ હોય છે ને મિનિપેડને સહસ્ત્ર પગ હોય છે, પણ અફવાને સહસ્ત્ર હાથ અને સહસ્ત્ર પગ હોય છે.
દરેક હાથ પાસે જુદું હથિયાર અને દરેક પગ પાસે જુદો રસ્તો ફૂટી નીકળે છે જે તેને સત્ય (?) બનવા તરફ લઈ જાય! અહીં માત્ર દોડ જ નથી થતી, એલાન થાય છે, ડંકા-નિશાન સાથે સવારી નીકળે છે. પૂરી સામાજિક નિસ્બત ધરાવતી બાબતને કલામયતાથી રજૂ કરી છે.
ખૂબ સરસ રચના અને એનો એટલો જ સરસ આસ્વાદ.
વાહ વાહ ખૂબ સરસ
અછાંદસ રચના અને આસ્વાદ.
બંને સર્જક મિત્રોને વંદન અને ધન્યવાદ.
જયશ્રી બેન પહેલાં વાંચનમાં દિલને અડી જાય ને તરત જ બે-ચાર વાર વંવચી નાખવાનું મન થાય એવું અછાંદસ, અદ્ભુત , અંત ચોટદાર, ને અર્થ સઘન, મઝા આવી ગઇ