દીકરીના આવવાથી ગાજતું આ ઘર થયું ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
કેટલોક ઉચાટ કામ સંપન્ન થયું કે નહીં તેનો હોય. કેટલોક ઉચાટ કામ મળશે કે નહીં તેનો હોય.

બે દિવસ માટે બહારગામ ગયેલા માબાપને ઘરે એકલા રહેતા સંતાનની ચિંતા હોય. રજા પર ગયેલા બોસને છાને ખૂણે અકળામણ હોય કે મારા વગર કર્મચારીઓ બરાબર કામ કરશે કે નહીં. મનગમતું કામ મળવું અને કામ મનગમતી રીતે થવું એ બંને પડકાર હોય છે. ડૉ. કિશોર મોદીને શેનું મન થાય છે તે જાણીએ…
હસ્તરેખામાં જવાનું મન થયું
જે નથી તે જાણવાનું મન થયું
ધૂળની ચપટી લઇ પગલું ગયું
આંગણાને ચાલવાનું મન થયું
હસ્તરેખામાં અતીતનો ધબકાર અને ભાવિનો અણસાર છૂપાયેલો હોય છે એવું નિષ્ણાતો કહે છે. આમ તો દરેકે પોતાની કેડી પોતે જ કંડારવાની હોય છતાં ભવિષ્યનો દિશાનિર્દેશ પ્રયાસોને વેરવિખેર થતાં અટકાવી શકે.
સમજી વિચારીને થતી રઝળપાટમાં કોઈ લક્ષ્ય સમાયેલું હોય. હવાતિયા અસ્પષ્ટ માનસિકતા છતી કરે છે. પ્રેમના પંથે ભૂલો પડેલો મુસાફર શું અનુભવતો હશે એના વિશે મરીઝ ફોડ પાડે છે…
ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઈ રહ્યું છે મને કંઈ ખબર નથી
પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી
પ્રેમને વર્તુળમાં કેદ કરી શકાય નહીં. એ વર્તુળની બહાર નીકળી ગયેલી લાગણી છે. એ સમષ્ટિ સુધી વિસ્તરે તોય પનો ટૂંકો પડે. દયારામે લખ્યું: જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે. પ્રેમમાં ઊઘડવું જેટલું આકર્ષણ ધરાવે છે એટલી જ જવાબદારી ઠરવાની હોય છે.
અશોક જાની `આનંદ’ પ્રેમ પદારથનું પગેરું મેળવાનો પ્રયાસ કરે છે…
કણેકણમાં, હવામાં વ્યાપ્ત છે સઘળી દિશામાં
હૃદયને શી રીતે કોણે આ રણઝણતું કર્યું છે?
હવે આ મન થયું પરવશ પરાધીન કોણ જાણે
સુંવાળું મોરપીંછું સ્પર્શતું મન પર ફર્યું છે
આપણું મન ઘણી વાર આપણા હાથમાં નથી રહેતું. જાદુગર વશીકરણ દ્વારા મન પર કાબૂ મેળવી પોતે જે ઇચ્છે તે કરાવી શકતા હોય છે.

દુનિયામાં ઘણી રહસ્યમયી વાતો એવી છે જેને નજર સમક્ષ જોઈએ તોય શંકા રહ્યા કરે. શૂન્ય પાલનપરી બાહોશીને બદલે બેહોશીને વધારે ઉપકારક માને છે…
હરદમ તને જ યાદ કરું એ દશા મળે
એવું દરદ ન આપ કે જેની દવા મળે
કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે
મુગ્ધતા જાળવી રાખવી એક અઘરો ટાસ્ક છે. અનુભવો આપણને શીખવાડે તેનો ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે. ફાયદો એ કે નિર્ણય લેતાં પહેલાં જરૂરી આકલન કરી શકાય. ગેરફાયદો એ કે કુતુહલનો રોમાંચ જતો રહે. કેટલીક વાર આપણને વ્યવહારિકતા સમજાતી હોય પણ હૃદય સ્વીકારવાની ના પાડે. કેટલીક વાર હૃદયને જે મંજૂર હોય એના પર બુદ્ધિ મસમોટી ચોકડી મૂકી દે. ઉર્વીશ વસાવડા આવી જ કોઈ દ્વિધાને આકારે છે…
આ ચરણને શું થયું છે એ જ સમજાયું નહીં
બારણા ખોલ્યા પછી પણ બહાર નીકળાયું નહીં
પત્રની પહેલી લીટીના સ્હેજ સંબોધન પછી
એ અભિવ્યક્તિનું ધોરણ ક્યાંય જળવાયું નહીં
પત્રના ધોરણ વિશે વાત કરવી તો જોજનો દૂર રહી કારણ પત્ર લખવાનો મહાવરો જ છૂટી ગયો છે.
શાળાના પ્રશ્નપત્રમાં પત્રલેખન સમાવિષ્ટ હોય છે. એમાં મોટે ભાગે મહાનગરપાલિકાના અધિકારીને તમારા વિસ્તારની પાણીની સમસ્યા અંગે પત્ર લખો એવું કશુંક અનરોમેન્ટિક જ પૂછાતું હોય. ઝાડને, ફૂલને, પતંગિયાને, સસલાને, નદીને કે એવી કોઈ અન્ય દિવ્ય હયાતીને પત્ર લખવા વિશે પણ વિચાર થવો જોઈએ. સુધીર પટેલની પંક્તિમાં વીતેલી અવસ્થા પાછી નથી આવતી એનો અફસોસ સંભળાશે…
બાળપણનું તોય ના વિસ્મય મળ્યું
આંખ કીધી કેટલી પ્હોળી અમે
દૃશ્ય ઊજળું ના થયું પળવાર પણ
આંખને કંઈ કેટલી ચોળી અમે

લાસ્ટ લાઈન
જાગ મનવા સાફ કર મન, ભાન એ ભીતર થયું
તે પછીથી તન અમારું કેટલું સુંદર થયું
સાવ નાની વાતમાં લડતાં રહ્યાં, સમજ્યાં નહીં
જીદ કોઈએ ન છોડી, એમ આ અંતર થયું
જિંદગી કાઢી રઝળતાં, મા વિના અંધારમાં
એક બાળક ખુદના અજવાળે પછી પગભર થયું
કેટલી આંધી મળી જે આયખે આવી ચડી
એટલે તો એક આંસુ પાંપણે સાગર થયું
સાવ સૂની લાગતી ડેલી, મહોલ્લો, ઓટલો
દીકરીના આવવાથી ગાજતું આ ઘર થયું
~ કમલેશ શુક્લ
~ ગઝલસંગ્રહઃ નભ આજ સૂરજ અસરદાર લાગે
ખૂબ ખૂબ આભાર