“ચક્રવત્ પરિવર્તન્તે, સુખાનિ ચ દુ:ખાનિ ચ.” ~ ડૉ. નિરંજના જોશી

।।શ્રી:।।
સાંઈ મકરંદે કહ્યું છે
“કો’ક દિન ઈદ ને કો’ક દિન રોજા;
ઊછળે ને પડે નીચે જિંદગીના મોજાં.”

જીવનને મહાસાગર કલ્પીએ તો તેમાં મોજાંની ગતિ એકસરખી રહેતી નથી.
“ચક્રવત્ પરિવર્તન્તે સુખાનિ ચ દુ:ખાનિ ચ.”
“એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી”આ કાવ્ય પંક્તિ કદાચ દુઃખીને એવું આશ્વાસન આપે છે કે; “આ સમય પણ વીતી જશે”.

આવા વ્યથિત માનવીના સંદર્ભમાં પ્લાસ્ટિક સર્જન અને શબ્દ સર્જક ગીતકાર, શ્રી શ્યામલ મુનશી સ્વર સંયોજન કરી ગાય છે:
“સુખનું સરનામું આપો.
જીવનના કોઈ એક પાનાં પર એનો નકશો છાપો.”

કવિ કલ્પના કરે છે કે ચરણોથી દોડીને, આંખ ખુલ્લી રાખીને મધદરિયે જો સુખ હોય,તો તેમાં તરાપો પણ મૂકવા માનવી તૈયાર થાય,પણ અંતે તેમને સુખનું સરનામું મળી ગયું; તેથી તેઓ ગાય છે “મન ને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ કાપો”

સુખસ્ય દુ:ખસ્ય ન કોऽપિ દાતા
પરો દદાતિતિ કુબુદ્ધિરેષા.
અન્ય થકી સુખ કે દુઃખ નથી મળતાં. મન જ સુખ દુઃખનું નિર્માતા છે.

એક સંતે ગાડીમાં પ્રવાસ કરતાં વચ્ચે જ એક સ્થાને ગાડી ઊભી રખાવી. એમણે ગાડીમાંથી નીચે ઊતરી એક વૃક્ષનો ફોટો પાડ્યો. ફરી ગાડીમાં બેસી ગયા. સહપ્રવાસીએ પૂછ્યું “આપે આવા ઠૂંઠા જેવા ઝાડમાં શું જોયું? કે તમે એનો ફોટો પાડ્યો?”

સંતે કહ્યું “અરે ! એ તો મારો ગુરુ છે.”

સાથીએ ફરી પ્રશ્ન પૂછ્યો “આવું પાંદડા વિનાનું કદરૂપું, ઠુંઠા જેવું વૃક્ષ તમારો ગુરુ?”

સંતે કહ્યું “હા! જ્યારે તે લીલાંછમ પર્ણોથી આચ્છાદિત હતું, પવનની લહેરખી આવતાં મર્મર ધ્વનિ સંભળાવતું હતું, ત્યારે જેવું દેખાતું હતું, તેવું જ અત્યારે પર્ણહીન હોવા છતાં તટસ્થ ઊભું છે. પર્ણો જરૂર તેના સૌંદર્યમાં વૃદ્ધિ કરતાં હતાં. એવું જ આજે પર્ણો ખરી જતાં પેલા પંખીઓ આશ્રયસ્થાન અને આહાર ન મળવાને લીધે વૃક્ષને ત્યજીને ઊડી ગયાં છે. (વૃક્ષા: ક્ષીણફલં ત્યજન્તિ વિહગા:); છતાં પણ તે ઉદાસ થયા વગર તિતિક્ષા રાખીને એમ જ ઊભું છે, કારણ એને ખાતરી છે કે આ પાનખર છે પણ વસંત આવશે એટલે ફરી પર્ણો, ફળોથી પોતે સભર થઈ જશે એટલે તે પંખીઓને આહાર અને આશરો બંને આપી શકશે. શું એવું નથી લાગતું કે આ વૃક્ષે મને કોઇ પણ પરિસ્થિતિમાં સમદર્શી રહેવાનું શીખવ્યું?”

નીતિ શતક, શૃંગાર શતક, વૈરાગ્ય શતક અને વિજ્ઞાન શતકના રચયિતા ભર્તૃહરિ કહી ગયા:
“કાલો ન યાતિ વયમેવ યાતા:”-કાળચક્ર હંમેશાં ફર્યા જ કરે છે. તેથી કાળ કદી ખૂટતો જ નથી. તે અખૂટ છે. માત્ર કાળચક્રમાં ફરતા જીવોની જીવાદોરી સમાપ્ત થતાં ખૂટી જતી હોય છે, તેથી પરિવર્તનનો સહજ સહર્ષ સ્વીકાર કરનાર કદી દુઃખી થતો નથી.

ચકડોળની જેમ જીવનની દશા કોઈવાર સારી તો કોઈ વાર માઠી પણ હોય છે.જીવનની ઘટમાળ એવી દુ:ખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી હોય છે તેથી તો આદિ કવિ નરસિંહ મહેતા કહી ગયા :
“સુખદુઃખ મનમાં ન આણીએ,ઘટ સાથે ઘડિયાં;
ટાળ્યા તે કોઇનાં નવ ટળે , રઘુનાથનાં જડિયા”

સુખ દુઃખ ક્ષણજીવી છે. આનંદ ચિરંજીવી છે. આપણી સ્થિતિ કસ્તૂરી મૃગ જેવી છે. આપણી અંદર જ પરમાનંદની સુવાસ ભરેલી છે, પણ માનવી તેની સુગંધ માટે બહાર વલખાં મારે છે. સુખ અને દુઃખનો સંબંધ આંગળી ને નખ જેવો છે. નખ ન્હોર ન બને એટલી જાગૃતિ જરૂરી છે. દુઃખ વિનાના સુખનો અનુભવ વંધ્ય છે. પિંજરમાં પૂરાયેલા પંખીને સળિયા પાછળના તેની પાંખોના નિષ્ફળ ફફડાટ પછી જ મુકત ગગનના ઉડ્ડયનનો તેને આનંદ છે. દુઃખના ઘૂઘવતા દરિયાની વચ્ચે સુખનો ટાપુ શોધે, તેને ડૂબવાનો ભય રહેતો નથી.

બાલાશંકર કંથારિયાએ પણ લખ્યું છે:
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતિપ્યારું ગણી લેજે.

ધતૂરાનું બીજું નામ ‘કનક’હોવાથી, તે જો મદોન્મત્ત બનાવી શકે, તો સર્વે ગુણા: કાંચનમાશ્રયન્તે -ને જ જીવન મંત્ર સમજનાર, ધનના પાશમાં મદાંધ થાય તેમાં શું નવાઈ?
ધન ( પૈસો)અને ઘન ( વાદળ) બંનેની ગતિ વિચિત્ર છે. તે બંને ક્યાંથી આવીને ક્યાં વાસ કરશે અને વાસ છોડીને ક્યાં, ક્યારે ચાલ્યા જશે તેની કોઈને ખબર પડતી જ નથી. તેથી સમદર્શી વ્યક્તિ બંને પરિસ્થિતિને સહજ સ્વીકારે છે. અન્યાયથી મેળવેલા વૈભવ કરતાં તે દરિદ્રતાને વધારે સારી માને છે. સોજા ચડેલા પગને સમજદાર હાથીપગો માને, પુષ્ટ દેહ નહીં.

રોગથી કંટાળી ઘણા દુઃખી થતા હોય છે, રોગ પણ તનને ફરી તરોતાજા કરી દેવા માટે આવતો હોય છે, એમ સમજનાર દુ:ખી થવાને બદલે રોગનો પ્રતિકાર કરવા કટિબદ્ધ થાય છે. રોગ આવે ઘોડા વેગે,પણ જાય કીડી વેગે. એને પણ એક સ્થાને વધુ વખત રહેવું ગમતું નથી હોતું .એ પણ આવાસ બદલે એટલે દર્દીના દુઃખના દિવસો ચાલ્યા જાય છે.

નિષ્ફળ માનવી પણ હતાશ, નિરાશ, દુઃખી થતો હોય છે. પણ નિષ્ફળતા સફળતાનું પ્રથમ સોપાન માનીને અનેક વૈજ્ઞાનિકોએ સંશોધન ક્ષેત્રે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. નિરાશાને નિરાશ થઈ બીજું ઘર શોધવું પડે તેવી જેની દ્રષ્ટિ હોય તે જ માત્ર વર્તમાનને માણી શકે. ભૂતકાળની સ્મૃતિ અને ભવિષ્યની ચિંતા બંનેથી અળગા રહેતાં જેને આવડે તે જ વર્તમાન સમયની રેતી પર નક્કર પગલાં પાડી શકે.

રસ્કીન નામના તત્વદર્શી પોતાના લેખનના ટેબલ પર “Today” નામનું પેપરવેટ કાયમ રાખતા.

ગ્રહ દશાને દોષ દઈ માનવી સુખ કે દુઃખનો દાતા પ્રારબ્ધને માની અવળે પંથે અટવાઈ જતો હોય છે પણ પૂર્વગ્રહ અને દુરાગ્રહ જેવા ગ્રહો માનવીને પરિસ્થિતિના પાબંધ બનાવી દેતા હોય છે.

વાસ્તવિક રીતે  સૂર્યોદય ને સૂર્યાસ્ત, ભરતી ને ઓટ, વસંત ને પાનખર, અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ–આ બધાં કાલચક્રનાં પ્યાદાં છે.

શ્રીમદ્ ભગવદ્ગીતા કથિત ‘ સમદુ:ખસુખક્ષમી’ની જીવન દ્રષ્ટિ જો માનવી કેળવે તો તે ભવસાગર સહજ પાર કરી શકે.

વિષાદને વરદાનમાં ફેરવવાની તાકાત આદિ કવિ વાલ્મીકિ પાસે હતી. ક્રૌચપક્ષીના વિષાદમાંથી નરોત્તમનું ચરિત્ર રચી તેઓ અમર થઈ ગયા. વિષણ્ણ થ‌ઈ બેસી રહેનાર કે વિષાદને પડકાર ગણવાને બદલે પલાયનવાદ સ્વીકારનાર કદી સફળ ગણાયો નથી.

અર્જુનનો વિષાદ પ્રસાદમાં ફેરવી શ્રી કૃષ્ણે ગીતા દ્વારા વિષાદનો કાળ વીતાવી દીધો. ‘પ્રસાદસ્તુ પ્રસન્નતા’. અને છેલ્લે અર્જુને કબૂલ્યું:
“નષ્ટો મોહ: સ્મૃતિર્લબ્ધા,ત્વત્પ્રસાદાત્ મયાચ્યુત
સ્થિતોऽસ્મિ ગતસંદેહ: કરિષ્યે વચનં તવ”।।
*અસ્તુ*

 

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.