ડાહીકાકી , “નૂર હી નૂર હૈ” ~ (વાર્તા) ~ જયશ્રી વિનુ મરચંટ
સવારના આઠ વાગ્યા હતાં. હું આળસ મરડીને ઊભી થઈ. એક હાથમાં ચાનો કપ અને એક હાથમાં ‘ટાઈમ” મેગેઝીન લઈ, બહાર બેકયાર્ડમાં ગઈ. સવારના સૂરજના ખોળામાંથી ઓચિંતી જ કૂદકો મારીને નીકળેલી ગરમીનું બાળપણ હજુ મુગ્ધવયમાં “આવું-આવું” કરી રહ્યું હતું.
અહીં ફ્રીમોન્ટમાં મોસમ ખૂબ જ મજાની હતી. ચાની મજા લેતાં લેતાં હું વાંચી રહી હતી ને નજર એક એડ્વર્ટાઈઝ પર અટકી ગઈ, જેમાં હિપ્નોટિઝમની ટ્રીટમેન્ટથી કોઈપણ જાતના ‘ટ્રોમા’(માનસિક કે શારિરીક આઘાત) કે ‘ડીપ્રેશન’માંથી (માનસિક તનાવ કે હતાશા) મુક્તિ મળી શકે, એની જાહેરાત હતી. ને, અચાનક, ન જાણે ક્યાંથી, લગભગ પિસ્તાળીસ-પચાસ વરસ જૂની વાત યાદ આવી ગઈ ને મારી સ્મરણોની બારીમાંથી ડાહીકાકી ઓચિંતા જ ડોકિયું કરી ગયા…!
મારા પિયેરના ઘરની બાજુની વાડી, શામજીબાપાની વાડી કહેવાતી. અમારા ઘર અને શામજીબાપાની વાડીની વચ્ચે, માત્ર ૨ ફૂટ ઊંચી દિવાલ હતી. શામજીબાપાની વાડી નાનકડી હતી. એમાં ફક્ત બે ઘર હતાં, એક એમનું ૧ માળનું, ૬ મોટા રૂમનું ઘર હતું, જેમાં હવે એમનાં પત્ની ચંચળબા, એકલાં જ રહેતાં હતાં. જ્યારે બીજું બેઠા ઘાટનું, ત્રણ રુમનું ઘર, વરસોથી ડાહીકાકીને ભાડેથી આપ્યું હતું.
એ બેઉ ઘરની આગળના ભાગમાં, મોટા વરંડા હતાં અને આંગણમાં ખૂબ જ જતનથી ઉછેરેલી ફૂલવાડીઓ હતી, જેમાં મોસમ પ્રમાણેના ફૂલો ખીલતાં અને આ ઘરોને સાચા અર્થમાં વાડી બનાવતાં હતાં. બેઉ ઘરની વચ્ચે એક મીઠા પાણીનો કૂવો હતો. એવું કહેવાતું કે શામજીબાપાની વાડીના કૂવામાં કદી પણ પાણી સૂકાતું નહોતું. વાડીના પ્રવેશદ્વાર પાસે જ બે રૂમનું કાચું-પાકું, બેઠા ઘાટનું મકાન હતું, જેમાં વફાદાર, નેપાળી ગુરખા પતિપત્ની અને એમનાં બે સંતાનોનું કુટુંબ વસતું હતુ. આ આખુંયે કુટુંબ, ચંચળબાની વાડીની રખેવાળી, માળીનું કામ અને ઘરનાં નાના-મોટા બધાં જ કામ કરવાની જવાબદારી ખૂબ ખંતથી નિભાવતું હતું.
મને એટલું આજેય યાદ છે કે, મારી મા પાસે સાંજના બાંકડે બેસવા આવનારા રોજિંદા આડોશી-પાડોશીઓમાં ચંચળબા પણ હતાં. ડાહીકાકી ક્યારેક ક્યારેક જ મા પાસે સાંજના એમની “બાંકડા-પાર્ટી”માં આવતાં. પણ, દર ગણેશચતુર્થીને આગલા દિવસની સાંજે, ડાહીકાકી ખાસ અમારે ઘરે આવીને ચતુર્થીની સાંજની આરતીમાં આવવાનું ભાવભર્યું નિમંત્રણ આપી જતાં. મા એમને પ્રેમથી આવકારતાં અને એમની સાથે હસી-બોલીને વાતો પણ કરતાં. ડાહીકાકીને ચા-પાણી આપવા જો મારે કે મારી મોટી બહેનોને જવું પડતું તો મા સામે પડેલી ટીપોય પર ટ્રે મૂકાવીને, તરત જ અમને કોઈને કોઈ કામસર ઘરમાં પાછાં મોકલી દેતાં.
આ ક્રમ, દરેક વર્ષે કાયમ રહેતો. મને યાદ નથી કે અમે કદીયે ડાહીકાકીને ત્યાં ગયાં હોઈએ. પણ દર વરસે ડાહીકાકી આમંત્રણ આપવાનું કદી ચૂકતાં નહીં! એટલું જ નહીં, પણ, બીજે દિવસે, ડાહીકાકી ગુરખાના છોકરા સાથે ગણેશચતુર્થીનો પ્રસાદ અવશ્ય મોકલતાં. હું આઠેક વરસની હોઈશ અને ત્યારે એકવાર મેં મા અને મારાથી દસ વરસ મોટીબહેનની વાતચીતમાં સાંભળ્યું હતું કે ડાહીકાકીને હિપ્નોટિઝમ-વશીકરણ,(સંમોહન) કરતાં આવડે છે! ત્યારે માને મેં પૂછ્યું હતું કે આ હિપ્નોટિઝમ એટલે શું, તો જવાબમાં બેઉએ મને ધમકાવી કાઢી હતી અને કહ્યું, “તું બહુ નાની છે. અહીં રમતાં રમતાં અમારી વાતો અડધી સાંભળીને વધારે બોલ નહીં, સમજી? જા, વાડીમાં જઈને રમ!”
ત્યારે તો હું કશું નહોતી સમજી પણ જેમજેમ હું મોટી થતી ગઈ તેમતેમ મને સમજાવા માંડ્યું હતું કે ‘હિપ્નોટિઝમ’ એટલે શું! શું આ જ કારણસર, કદાચ મા અમને એમનાથી દૂર રાખતાં અથવા તો બહુ હળવા-મળવા ન દેતાં કે બીજું કોઈ કારણ પણ હતું? એવો પ્રશ્ન મને કિશોરવયમાં કાયમ થયા કરતો, પણ માને કે બહેનને પૂછવાની હિંમત નહોતી થતી. પછી તો કાળક્રમે બેઉ મોટીબહેનોનાં લગ્ન થઈ ગયાં અને ઘરમાં સંતાનોમાં હું એકલી જ રહી ગઈ હતી.
ડાહીકાકી પણ એમના રૂટિન પ્રમાણે, ગણેશચતુર્થીનું આમંત્રણ આપવા ઉપરાંત, ક્યારેક જ સાંજના માની “બાંકડા પરિષદ”માં બેસવા આવતાં, ત્યારેય, મા અમારા ઘરની આગતા-સ્વાગતામાં કોઈ પણ ફેર કર્યા વિના, એમને પૂરા માનથી આવકારતાં. માનો નિયમ હતો કે નાના-મોટા સહુને આપણા આંગણે એકસરખો આવકાર આપવો અને બને ત્યાં સુધી સાંભળેલી વાતોથી કોઈ તારવણી ન કાઢવી, હા, સચેત જરુર રહેવું એ શીખ અમને સહુ સંતાનોને પણ આપતાં હતાં. કંઈક તો કારણ હતું કે ડાહીકાકી સાથેના વ્યવહારમાં મા કાયમ સચેત રહેતાં હતાં, કોને ખબર, કેમ, પણ, હું જેમજેમ મોટી થતી ગઈ તેમેતેમ, મને એવું લાગ્યાં કરતું હતું કે માની આ સચેતતા પાછળ, ‘હિપ્નોટિઝમ’ નહીં, પણ નકી કોઈ બીજું કારણ હોવું જોઈએ! જોકે, આવું માનવા અથવા ન માનવા પાછળ, મારી પાસે ત્યારે કોઈ પ્રમાણ નહોતું.
હું હાઈસ્કૂલમાં ભણતી હતી ત્યારે મોટીબહેનોની વાતો સાંભળી મને સમજાતું ગયું કે માના મનમાં ડાહીકાકી માટે કઈંક વહેમ ઘર કરી ગયો હતો. એ આજે હવે ન માની શકાય એવી વાત લાગે, પણ, ત્યારે, વધુ કઈં સમજી શકવા સવાલ-જવાબ કરી શકું એવી મારી ઉંમર નહોતી અને મારું ગજું પણ નહોતું! મારી સ્પષ્ટ સ્મૃતિ છે કે હું બારેક વરસની હતી ત્યારે મેં માને એક દિવસ પૂછ્યું હતું કે “ડાહીકાકીના વર પણ શામજીબાપાની જેમ ગુજરી ગયા છે?” જવાબમાં માએ નાના-નાના બે-ત્રણ વાક્યોનો સાદો જવાબ આપ્યો હતો, “તું હજુ બહુ નાની છે. મોટાની વાતો તને નહીં સમજાય, તું તારે, જા અને તારું ભણવાનું કર.”
અમે જ્યારે આઠમા ધોરણમાં આવ્યા ત્યારે અમારી સ્કૂલની જગ્યા બદલાઈ ગઈ હતી. બજાર ક્રોસ કરીને મારી બહેનપણીઓ સાથે એકલાં આવવા-જવાની મંજૂરી મને બહુ કાકલૂદીઓ પછી મળી હતી. બજારમાં ખૂબ જ પ્રસિદ્ધ, જુમ્મનમિયાંની “ફરસાણ અને મિષ્ટાન હાઉસ” નામની દુકાન હતી.
એક દિવસ હું સહેલીઓ સાથે ઘરે આવતી હતી તો મેં જોયું કે ડાહીમાસી ત્યાં એપ્રન પહેરીને જલેબીની બાજુની ટ્રેમાં ફાફડા ગોઠવતાં હતાં. એમણે પણ મને જોઈ અને બોલાવીને કહ્યું “દીકરી, જલેબી ખાવી છે?” જુમ્મનમિયાં પણ ગલ્લા પર હતાં. આ સાંભળી એમણે પણ કહ્યું કે, “ડાહી, દીકરીને જલેબી આપ, વાંધો નહીં.” (જલેબી આજે પણ મને બહુ પ્રિય છે!) પણ, મેં હસીને ડોકું ધૂણાવી ના કહી અને ઝડપથી ચાલી નીકળી. મારી ત્રણ બહેનપણીઓમાંથી એકે કહ્યું, “અરે, તું આ બહેનને ઓળખે છે?” મેં બાઘાની જેમ, પ્રશ્નાર્થ ભાવથી જોયા કર્યું. કારણ, અમારા ઘરમાં ડાહીકાકીને લઈને જે મત પ્રવર્તતો હતો એથી મને સમજણ ન પડી કે ‘હા’ કહેવી કે ‘ના’ કહેવી! અને, વાત ત્યાં જ પૂરી થઈ ગઈ.
****
વરસો વીતતાં ગયાં. હાઈસ્કૂલ (અમારા વખતે એસ.એસ.સી.) પૂરૂં કરીને હું હવે કોલેજમાં ભણતી હતી. ડાહીકાકી રોજ સવારે, સાડા છ વાગે, without fail, પોતાના ઘરમાં અને વરંડામાં સાફ-સૂફી કરતાં બુલંદ અવાજે ભજનો ગાતાં. જે મને આજે પણ યાદ છે. એમનું એક ભજન મારા કાનમાં આજે પણ ગુંજે છે, “જેના મુખમાં રામનું નામ નથી, તેનો મનુષ્ય તણો અવતાર નથી.” એ ભજન ગાતાં, ગાતાં, વાળી-ઝૂડીને ઘર આંગણું સાફ કરતાં.
ડાહીકાકીના ભજનો રોજ સવારે છ – સાડા છ વાગે અચૂક મને જગાડી દેતાં, આથી મેં સાચા અર્થમાં, કોલેજના દિવસોમાં એલાર્મ મૂક્યું નહોતું. હું ભજનો ગાતાં ડાહીકાકીને લગભગ રોજ જોતી અને ત્યારે એમના મુખ પરની શાંતિ, આભા, એક પ્રકારનું નૂર જોઈ રહેતી. અને પછી, હું સૂર્ય સામે જોઈને હાથ જોડી, ‘નમસ્કાર’ કરીને મારા દિવસની શરૂઆત કરતી હતી. હવે મારે માને પૂછવું નહોતું પડતું કે ડાહીકાકીના પતિ, શામજીબાપાની જેમ ગુજરી ગયા છે અને ‘હિપ્નોટિઝમ’ એટલે શું? હું હવે મોટી થઈ ગઈ હતી. બહારની દુનિયામાં કહેવાતું ઘણું બધું સાંભળતી પણ હતી અને સમજતી પણ હતી.
****
ડાહીકાકી અને એમના પતિ, લગ્ન પછી, પાંચ વરસ ગામમાં રહ્યા હતાં, પણ પછી, ગામનું ઘર મૂકી, ડાહીકાકીને લઈને મુંબઈ કામ કરવા આવ્યા હતા. એવું કહેવાતું હતું કે, ગામમાં, લગ્નના પાંચ વરસમાં ડાહીકાકીને કોઈ સંતાન ન થતાં, સાસરિયામાં સતત પજવણી થતી હતી, આથી જ ડાહીકાકીએ એમના પતિને ‘અલ્ટિમેટમ’ આપ્યું હતું કે “જો એ હવે ગામનું ઘર છોડીને જુદા રહેવા નહીં જાય તો, પોતે કૂવો પૂરશે!” ડાહીકાકી જુવાનીમાં ખૂબ જ રૂપાળા અને દેખાવડા હતાં. એમના પતિએ, ગામ છોડીને, મુંબઈમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. આમ, ડાહીકાકી એમનાં પતિ સાથે શામજીબાપાની વાડીમાં રહેવા આવ્યાં.
મુંબઈમાં પણ નસીબે યારી ન આપતાં, વરસેકની અંદર જ, ડાહીકાકીના પતિ, “કમાવા માટે આફ્રિકા જાઉં છું” કહીને નીકળી ગયા. થોડો સમય તો નિયમિત મોકલાતાં પૈસા અને પત્રો ધીરેધીરે એકાંતરે મોકલાવા માંડ્યા, પણ પછી બેત્રણ વરસમાં સદંતર બંધ થતાં ડાહીકાકીએ જુમ્મનમિયાંની દુકાને કામ કરવું ચાલુ કર્યું.
ડાહીકાકીનું પુરૂષની રખેવાળી વગરનું રૂપ જ એમનું વેરી બન્યું હતું, પણ ધન્ય એમના મકાન માલિક ચંચળબાને! આ કપરા સમય દરમ્યાન, ચંચળબા ડાહીકાકીના પડખે અડીખમ ઊભા રહ્યાં હતાં. ડાહીકાકીનું રૂપ અનેક પરણિત અને અપરણિત પુરુષોને લોભાવતું, ને, બસ, એમાં ડાહીકાકી પર “હિપ્નોટિઝમ કરે છે”નું લેબલ લાગી ગયું હતું!
ડાહીકાકીના ગણેશચતુર્થીના આમંત્રણ દર વરસે આવવાના તો ચાલુ જ હતાં અને દર વરસની જેમજ, અમે પણ અમારા ન જવાનો ક્રમ છોડ્યો નહોતો. દર વર્ષની જેમ, ડાહીકાકી ગુરખાના કોઈ કુટુંબ સભ્યની સાથે દર વરસે કેમ પ્રસાદ મોકલી આપતાં. પણ મને દર વખતે હવે થતું કે મા આવું શા માટે કરતાં હતાં? ડાહીકાકીને જીવનનિર્વાહ માટે કામ કરવા સિવાય બીજો રસ્તો પણ શું હતો? એક રીતે મારું મન માની સામે બળવો પોકારવા કહેતું તો બીજી બાજુ, માને ઠેસ પહોંચાડવાનું મન પણ નહોતું થતું. ક્યારેક થતું, ડાહીકાકી શું વિચારતાં હશે અને બધાં આમ એમની વાતો કરે છે તો એમને કેવું લાગતું હશે? સાચે જ, કદાચ, હું હવે વધુ સમજણી થઈ ગઈ હતી!
*****
જુમ્મનમિયાં ઘણી વાર, બપોરે, દુકાન બે કલાક માટે બંધ હોય ત્યારે, ડાહીકાકીને ઘેર આવતાં અને ત્યાં જ બપોર ગાળીને દુકાને જતાં. ધીરે-ધીરે, આ રોજનો ક્રમ થતો ગયો હતો. લોકો વાતો કરતાં હતાં પણ, જુમ્મનમિયાંની ધાકને લીધે અથવા ચંચળબાની શાખને લીધે કોઈ વધુ કઈં બોલતું નહોતું.
એકાદ વાર, સમાજના કહેવાતા આગેવાન, બે-ચાર ભાઈઓ સાથે મળીને, ચંચળબા પાસે ડાહીકાકી માટે અજુગતું બોલવા આવ્યાં હતાં તો ચંચળબાએ એમને રોકડું પરખાવી દીધું હતું, “જુઓ ભાઈ, તમારી પણ મા-બહેનો અને દીકરીઓ છે. જેવું ડાહી પર વિત્યું છે ભરજુવાનીમાં, એવું કોઈ પર વીતે નહીં, એની દુઆ માગો. ડાહીને એની રીતે જીવવા દ્યો. તમને એ કોઈ પણ રીતે નડતી હોય તો ક્યો. હું હમણાં ને હમણાં તમારી સામે બોલાવીને ઘરની બહાર કાઢી મૂકું! બાકી, મને તો બરાબર ખબર છે કે તમને બધાયને શેની ચૂંક આવે છે!” તે દિવસ પછી, કોઈ ચંચળબાને કશુંય ડાહીકાકી માટે કહેતું નહીં. ચંચળબા, સાચા અર્થમાં ડાહીકાકીની ઢાલ હતાં.
મારી કોલેજ પૂરી થઈ પછી હું યુનિવર્સીટી ઓફ મિશીગનમાં ફાર્મસીનો અભ્યાસ કરીને, બે વર્ષમાં અમેરિકાથી પાછી આવી ગઈ હતી અને એક ફાર્મા્સ્યુટીકલ કંપનીમાં કામ કરતી હતી. એક દિવસ, સાંજના, હું ઘરે આવી. ત્યારે ડાહીકાકી, મા પાસે બાંકડે બેસવા આવ્યાં હતાં. હું આવીને એમની સાથે ઔપચારિક વાત કરવા ઊભી રહી. ત્યાં જ માએ કહ્યું, “બેટા, ડાહીકાકી માટે ચા બનાવવાનું મેં બાઈને કહ્યું છે. તૈયાર હોય તો ચા-નાસ્તો લઈ આવ.”
હું ચા-નાસ્તો આપવા માટે પાછી ગઈ તો ડાહીકાકી મારા માથે હાથ મૂકીને બોલ્યાં, “ગણપતિબાપા તારું ભલું કરે.” હું થોડીક ગળગળી થઈ ગઈ હતી. એમનાં એ શબ્દોની સચ્ચાઈ મારા અંતર-મનને સ્પર્શી ગઈ હતી.
એમના ગયા પછી, મેં માને પૂછ્યું કે ડાહીકાકી હજુયે ફરસાણની દુકાને કામ કરે છે તો એમણે મને જણાવ્યું કે હું અમેરિકા હતી એ દરમ્યાન, એમના પતિ, આફ્રિકાથી પૈસા તો નહીં, પણ કોઈક અસાધ્ય રોગ લઈને ઓચિંતા જ પાછા આવ્યા હતા. ડાહીકાકીએ જુમ્મનમિયાંની દુકાને કામ કરવા જવાનું મૂકી દીધું અને ખૂબ દિલથી એમની સેવા કરી. પણ બે-ત્રણ મહિનામાં જ એમનું મૃત્યુ થયું.
એમના પતિ પોતાના જીવન વિમાના પૈસા ડાહીકાકીને મળે એટલી વ્યવસ્થા અંતમાં, કરતા ગયા, જેથી, ડાહીકાકીને ફરી કદી કામ ન કરવું પડે. માના અવાજમાં ડાહીકાકી માટે સહાનુભૂતિ ચોખ્ખી સંભળાતી હતી. કોણ જાણે કેમ, મને માના અવાજની અનુકંપા ગમી હતી, ખૂબ ગમી હતી.
જુમ્મનમિયાંનું દરેક બપોરે ડાહીકાકીને ત્યાં આવવાનું તો હજુ ચાલુ હતું. એક દિવસ, હું બહારથી આવી ત્યારે, શામજીબાપાની વાડી સામે જુમ્મનમિયાંની પત્ની, એના ત્રણ જુવાન દીકરાઓ સાથે, બૂમો પાડીને, રડતાં રડતાં, અનેક અપશબ્દો બોલીને ડાહીકાકીને ભાંડી રહી હતી.
વફાદાર ગુરખાના કુટુંબના એકેએક સભ્યોએ આ લોકોને કંપાઉંડમાં આવતાં રોકી રાખ્યાં હતાં. જુમ્મનમિયાંની પત્ની અને એની આ ભવાઈનો સાર એ હતો કે એમની જુવાન દીકરીના લગ્ન જુમ્મનમિયાંના ડાહીકાકી સાથેના લગ્નેતર સંબંધોને કારણે તૂટી ગયાં હતાં, જેનું ઠીકરું જુમ્મનમિયાંની પત્ની એકલાં ડાહીકાકીના માથે ખુલ્લેઆમ ફોડી રહી હતી!
તમાશાને તેડું ન હોય, ને, જોતજોતાંમાં, લોકો જમા થઈ ગયાં. બહાર જે ભીડ એકઠી થઈ ગઈ હતી એને, અને જુમ્મનમિયાંની પત્નીને, શાંત પાડવાની ચંચળબા ઠાલી કોશિશ કરતાં હતાં. ડાહીકાકી ઘર બંધ કરીને બેસી રહ્યાં હતાં, એવું ત્યાં જોરજોરથી બોલાતું હતું, એ પરથી લાગ્યું. અમે પણ અમારી અગાશી પરથી આ તમાશો જોવામાં શામિલ હતાં.
મેં, ત્યારે માને કહ્યું, “અરે, આટલાં વરસો પછી એમને આમ ભાંડવાનું યાદ આવ્યું? અત્યાર સુધી એમને ખબર નહોતી કે એમનો હસબંડ આટલા બધાં વર્ષોથી શું કરી રહ્યો હતો? એકલાં ડાહીકાકીને કેમ ભાંડે છે? એમનો એકલાનો વાંક થોડો છે?” માએ મારી સામે એક પ્રશ્નાર્થ નજર કરી.
મેં પણ સામે શાંતિથી કહ્યું, “વોટ? મા, હું એડલ્ટ છું! ઓકે?” પછી અમે મા-દીકરી કઈં પણ બોલ્યાં વિના નીચે ઊતરી ગયાં.
તે દિવસે, ચંચળબા અને ગુરખાનું કુટુંબના સભ્યો, આ ટોળાંની અને ડાહીકાકીની વચ્ચે એક અડીખમ દીવાલ સમ સતત ઊભા રહ્યાં હતાં. બે કલાક સુધી ભીડ ત્યાં જમા રહી અને જુમ્મનમિયાંની પત્ની એના જુવાન દીકરાઓ સાથે મળીને ડાહીકાકીને બે-ત્રણ કલાકો સુધી સતત ભાંડતી રહી હતી. છેવટે, જુમ્મનમિયાં ત્યાં આવ્યા અને પોતાના કુટુંબને મહામહેનતે સમજાવીને પાછા લઈ ગયા હતા.
****
બીજે દિવસે, વહેલી સવારે, છ વાગે, ડાહીકાકીના ભજનને બદલે, પોલિસની સાયરનના અવાજથી જાગીને, હું સફાળી ઊઠી ને શું થયું છે, એ જોવા પાછળની અગાશીમાં ગઈ. મા પણ ત્યાં જ હતાં. ડાહીકાકીનું અચેતન શરીર એમના આંગણાંમાં પડ્યું હતું. જુમ્મનમિયાં એમના શરીર પાસે, આંસુ સારતાં, ગુમસુમ ઊભાં હતાં. ચંચળબા ચોધાર આંસુએ રડી રહ્યાં હતાં. બીજાં થોડાં આડોશી-પાડોશીઓ પણ ત્યાં ભેગાં થયાં હતાં.
મેં માને પૂછ્યું, “શું થયું ડાહીકાકીને?”
માની આંખમાં પણ આંસુ હતાં. “ડાહીએ ગઈકાલે રાતે કૂવામાં પડીને આપઘાત કર્યો! હું ત્યાં જાઉં છું, તારે એમનાં છેલ્લા દર્શન કરવા આવવું છે?” મેં ડોકું ધૂણાવીને ‘હા’ તો પાડી પણ કોણ જાણે કેમ, મારી આંખોમાં આંસુ આવ્યાં અને હું માને, ભેટી પડી! અમે ફૂલો લઈને શામજીબાપાની વાડીમાં પહોંચ્યાં.
ડાહીકાકીના મૃતદેહના દર્શન કર્યાં પણ ત્યારે મારી આંખમાં વહી ન શકેલાં આંસુના પડળ બાઝી ગયા હતા. મેં એમનાં ચરણો પર ફૂલ મૂકીને પ્રદક્ષિણા કરી અને પ્રણામ કર્યાં. મારી સાથે, “જેના મુખમાં રામનું નામ નથી” ભજનનાં શબ્દો પણ મૌનનાં વાઘા પહેરીને પ્રદક્ષિણા ફરીને પ્રણામ કરતા હતા. ડાહીકાકીના નિશ્ચેટ મુખ ત્યારે, મુક્તિનો શાંત ઉત્સવ ઉજવાતો હોય એવી કોઈ અલૌકિક નૂરની આભા હતી.
આજે, હિપ્નોટિઝમની જાહેરાત વાંચીને મારી સામે જાણે એ આભા, એ નૂર પથરાઈ ગયું હોય એવો મને ભાસ થતો હતો. એ નૂરની આભામાં મને “મજાજ”નો આ શેર અનાયાસે યાદ આવી ગયોઃ
“નૂર હી નૂર હૈ જિસ સિમ્ત ઉઠાવું આંખે
હુસ્ન હી હુસ્ન હૈ તા- હદ્દે- નજર આજ કી રાત…!
[ગુર્જરી ડાયજેસ્ટ”, “ગુજરાત ટાઈમ્સ” (“અતીતમાં ડોકિયું”) અને “દાવડાનું આંગણું” – (“તુમ આ ગયે હો, નૂર આ ગયા હૈ”) ના સૌજન્યથી, સાભાર]
***