આથમણી કોરનો ઉજાસ ~ ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી ~ પત્ર: ૪૩ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં. ૪૩
પ્રિય નીના,
તારો પત્ર મળ્યો એ અરસામાં ઘણાબધા જુદા અને અણધાર્યા સારા/ ખોટા સમાચારો મળ્યા. આજનો આ પત્ર તને પ્લેનમાંથી લખી રહી છું.
હમણાંથી મુસાફરીના યોગો બહુ થયાં. જો કે, આજની ટ્રીપ એક સંબંધીના ફ્યુનરલમાં જવા અંગેની હતી.
ઘણીવાર coming events cast their shadows before એવું પણ બનતું હોય છે. મારા ગયા પત્રમાં પાનખરની વાત છેડી ન છેડી ત્યાં તો બે પર્ણો અચાનક ખર્યા, જીવન સંકેલાયા. તેમાં પણ એક તો મધ્યાહ્ને સૂર્યાસ્ત.. અકાળે અચાનક વિદાય.. તો વળી એ જ દિવસે એક સ્વજનના ઘેર “નંદ ઘેર આનંદ ભયો” જેવા જન્મની વધામણી પણ મળી.
બસ, આ જ તો જિંદગી છે ને? દરેકની પારદર્શક પાણી જેવી. સમયનો જેવો રંગ મળે છે તેવી તે રંગાઈ જાય છે.
માણસ ગમે તેવો પાવરફુલ હોય કે દુનિયા ગમે તેટલી ટેક્નોલોજીમાં આગળ ને આગળ ધપતી જાય, પણ જન્મ અને મૃત્યુની આ બે ક્ષણ તો કોઈના હાથમાં નથી.
પેલા અનોખા બાજીગરની રમતનાં આપણે તો માત્ર સોગઠાં છીએ! ગમે ત્યારે, ધારે ત્યારે એ ચાંપ દબાવી દે છે. ચાલ, એ અંગે લંબાણ કર્યા વગર તારા પત્રની વાત પર આવું.
ક. મા. મુનશીના ઉલ્લેખ દ્વારા ફરી એકવાર તેં મને એચ. કે. આર્ટ્સ કોલેજના વર્ગ તરફ પહોંચાડી. ઘડીભર જૂની યાદોને મમળાવવાની મઝા આવી. યશવંત શુક્લનું ‘ચિત્રાંગદા’ પરનું લેક્ચર પણ સાંભરી આવ્યું.
મને હતું કે, આખો પત્ર તારા માનીતા વિષય સંગીત અને નૃત્યથી જ ભરાયેલો હશે. પણ એક વાત કહું નીના? વધારે આનંદ તો વૃક્ષ પરની તારી અછાંદસ કવિતા વાંચીને થયો.
વાર્તા લખનારને કવિતા તરફ ખેંચવા માટે હું મને જ શાબાશી આપી દઉં કે?!!! તારા underline વાળા શબ્દોથી વધારે આનંદ અને જરા મલકી પણ જવાયું.
હમણાં નવરાત્રિના દિવસો પૂરા થયા. શરદપૂનમ પણ આવી ને ગઈ અને હવે હવામાં દિવાળીની વાતો વહેવા માંડી છે.
દિવાળીની સાથે જ ભારતનાં ઘર-આંગણાંની રંગોળી દેખાય. રંગબેરંગી ચિત્રાવલી પણ કલાનો જ એક પ્રકાર.
હવે તો આ ટેક્નોલોજીના સમયમાં તેમાં પણ ઘણું Instant થઈ ગયું છે ને? બાકી સાચા અને અસલ કલાકાર / ચિત્રકારની વ્યાખ્યા તો કોઈએ ખૂબ સરસ રીતે કહી છે કે “ચિત્રકાર એટલે વેચાઈ શકે તેવી વસ્તુઓ ચીતરનારો, જ્યારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઈ જાય.”
એવી જ રીતે કવિ માટે એમ કહેવાય છે કે, “ક્ષણમાં જીવે એ માનવી અને ક્ષણને જીવાડે એ કવિ.”
આ ટેકનોલોજી લખ્યું ત્યાં તો તેના ફાયદા – ગેરફાયદાનો વિચાર ઝબકી ગયો. એક સમય હતો જ્યારે ભારતથી સ્વજનનો ઍરોગ્રામ આવ્યો હશે એવી ઉત્સુક્તાને કારણે એલિવેટર (લિફ્ટ) વગરના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી, નીચે મેઈલ બોક્સ ચેક કરવા, દિવસમાં બેત્રણ વાર ઉપરનીચે આવજા સૌ કરતાં હતાં.
હવે સેકન્ડ માત્રમાં, ઘરની આરામખુરશીમાં બેઠેલા તમારા હાથમાં રમી રહેલ ફોન પર પત્ર મળી જાય છે અને તે પણ જે ભાષામાં જોઈએ તે ભાષામાં!
કોઈના ઘેર જવું હોય તો સરનામા પ્રમાણે ડીરેક્શન પૂછીને, લખી લખીને નીકળતા હતા અને ભૂલા પડીએ તો કોઈને પૂછતા હતા! હવે તો એ બધું જ હાથવગું!!
એક તરફ ટેક્નોલોજીની આ કમાલ છે તો બીજી બાજુ એના નાજુક, સૂક્ષ્મ ગેરફાયદા પણ એટલાં જ છે. દુનિયા નાની જરૂર થઈ ગઈ છે પણ માણસ માણસ વચ્ચેની સંવેદના સૂકાઈ ગઈ છે.
સાવ લગોલગ બેઠેલ પ્રેમીજનો પણ મનથી જોજનો દૂર થઈ જતા જોયા છે અને એ સિવાય પણ.. કલ્પના કરી જો નીના કે, ધારો કે કોમ્પ્યુટર કે ફોન વગેરે સાધનો કામ કરતાં એક દિવસ જો અટકી જાય તો?
સાચી વાત તો એ છે કે સમયની સાથે રહીને મનને સજાવવાની જરૂર છે. આ મન વિશેની એક ખૂબ સુંદર વાર્તા છે.
એક માણસનું આલિશન ઘર બળતું હતું. તેને એ ઘર ખૂબ જ વહાલું હતું.
બળતું ઘર જોઈ એ દુઃખી થઈ ગયો. ત્યાં તેનો એક દીકરો આવી કાનમાં કહેવા લાગ્યો. ડેડ, ચિંતા ન કરશો. ગઈકાલે જ મેં ત્રણ ગણા ભાવમાં એ વેચી દીધું છે”. તરત જ પિતાએ કહ્યું: હાશ! તો હવે તે આપણું નથી. આંસુ પાછાં વળી ગયાં. તે માત્ર બીજાંઓની જેમ પ્રેક્ષક બની “જોનાર’ બની ગયો. રિલેક્સ થઈ ગયો.
ત્યાં થોડી વાર પછી બીજો દીકરો આવીને કહેવા લાગ્યો. “હજી તો માત્ર મેં ઍડવાન્સ જ લીધા છે. સોદો પાકો નથી થયો અને હવે શક્ય છે કે પેલો માણસ આ ઘર લેશે જ નહિ!”
પિતાના સૂકાયેલાં આંસુ ફરી દડદડવાં માંડ્યાં. પ્રેક્ષકમાંથી ફરી પાછો તે માલિક થઈ attached થઈ ગયો.
તેના હૃદયના ધબકારા જોરજોરથી વધવા માંડ્યા. ત્યાં તો ત્રીજો દીકરો આવીને કહેવા લાગ્યો. હમણાં જ હું પેલા ‘buyer’ને મળીને આવ્યો છું. એ માણસ jam of the mankind છે. કહે છે કે, મેં ખરીદવાનો સોદો કર્યો છે તો તે ઘર હવે મારું છે. ભલે એ અત્યારે બળતું હોય. તમને કે મને ક્યાં ખબર હતી કે આ ઘર બળવાનું છે!! હું ચોક્કસ નક્કી કર્યા મુજબ પૂરા પૈસા ચૂકવીને ઘર લઈશ જ.
પિતાએ ફરી પાછો રાહતનો શ્વાસ લીધો. ફરી એકવાર માત્ર વ્યુઅર બની રહ્યા!! હૈયેથી દુઃખનો ભાર જતો રહ્યો.
કહેવાનો મતલબ કે, everything starts with thoughts. Nothing was changed. Just count how many thoughts are your own? Most of them are from other sources, dumped by others on you. But nothing is yours.
આ વિચારોનું ઘર મન છે. તે મનમાંથી આવે છે. તેથી ખૂબ અગત્યનું છે કે મનને કેળવવું. આમ તો મન ખૂબ નાનું છે. પણ જેમ નાનકડાં તાળામાં સમગ્ર મકાનને રક્ષણ કરવાની તાકાત છે તેમ જગતને જીતી લેનારું મન પણ એવું જ છે ને? ખરેખર, આ વાર્તા મનમાં ઘણા વિચાર જન્માવે છે.
ચાલ, વાર્તા લખવામાં પત્ર ખૂબ લાંબો થઈ ગયો. હવે અહીં જ અટકું છું. આજે કવિતા વગર જ…
દેવીની સ્નેહ-યાદ
ખુબ સરસ