ક્ષણો…! (ગઝલ) ~ તાજા કલામને સલામ (૧૮) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: મેઘા જોશી ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
ગઝલ – ક્ષણો
ક્ષણોને સરતી જોઈ છે,
પળો વિખરતી જોઈ છે.
સમયના એક ઈશારે,
લીલાશો ખરતી જોઈ છે.
ભરી લીધો તમે ખોબો,
નયનમાં ભરતી જોઈ છે.
જે રણ મહીં વાવી’તી શ્રદ્ધા,
ત્યાં હોડી તરતી જોઈ છે.
એના શ્વાસોની સોડમને,
મેં મારા ફરતી જોઈ છે.
સુખો કેરી ક્ષણો થોડી,
દુઃખોને હરતી જોઈ છે.
અમે આપ્યું જીવન આખું,
તે ક્ષણ મનગમતી જોઈ છે.
~ મેધા જોશી
~ આસ્વાદ :જયશ્રી વિનુ મરચંટ
આમ જોવા જાઓ તો જીવન આખું સમયની શૃંખલામાં બંધાયેલું છે અને આમ જુઓ તો, સમય સ્વયં તો જે કરવું હોય એ કરવા સ્વતંત્ર લાગે છે.
કાળની નિયતિ અને નિયતિથી નિર્દેશિત કાળની વચ્ચે જ જીવન જીવાતું હોય છે. એવું જ્યારે લાગે કે બસ, સમય તો આપણી મુઠ્ઠીમાં આવી જ ગયો છે અને જીવનની સુંદર ક્ષણો હવે કાયમ આમ જ રહેશે ત્યારે અચાનક જ કાળનાં મોજાંની એક એવી સુનામી આવી જાય છે કે જે આ ક્ષણોની રેતીને પોતાની સાથે તાણીને વેરવિખેર કરી નાખે છે.
જીવનની ફિલ્મમાં શું શું જોવા મળશે એનું ટ્રેલર આપણને બતાવવામાં આવતું નથી. પરિસ્થિતિઓ અચાનક ઊભી થાય અને અચાનક જ બદલાય છે, જે એક જ વસ્તુ પ્રતિપાદિત કરે છે કે સમય સદા માટે “નિયંત્રણ-પ્રેમી”- Control Freak – રહ્યો છે.
સમયને પરિવર્તન પણ ખૂબ ગમે છે. આથી જ ઋતુઓ પણ નિર્ધારિત સમયે બદલાતી રહે છે. ન વસંતના ફૂલોની સુગંધ શાશ્વત છે, ન તો વર્ષાઋતુની લીલોતરી કે ન તો પાનખરનાં ખરતાં પર્ણપુષ્પો!
અહીં એ સવાલ જરૂર થાય કે જો સમયને આધીન જ હોય બધું તો સમયની સામે થનારાં કિનારે કઈ રીતે પહોંચે છે?
“પહોંચવું સામે કાઠે, નક્કી હતું કે નહીં,
એની તો ખબર નહોતી
પણ
જો તર્યાં ન હોત સામા વહેણે,
તો, નહીં પહોંચવું તો નક્કી જ હતું!”
આ સ્થિતિ કઈ રીતે સમજાવી શકાય, એ મનમાં પ્રશ્ન થાય એ સહજ છે. પણ ત્યારે સિફતથી કવયિત્રી અહીં આસ્થાનું બીજ વાવીને, બાકીનું બધું વાચનારના ભાવવિશ્વ પર છોડી દે છે.
“જે રણ મહીં વાવી’તી શ્રદ્ધા,
ત્યાં હોડી તરતી જોઈ છે.”
કવયિત્રી કહે છે કે હા, સમય સહુથી બળવાન છે પણ શ્રદ્ધાનું એક આગવું જ ભાવજગત છે. અસંભવના ટોળેટોળાં ચારેતરફ વ્યાપેલાં હોય ત્યારે એમાંથી જે માણસને બધાં જ અવરોધો પાર કરાવે છે, એ જ તો શ્રદ્ધા છે.
આ શ્રદ્ધા કદાચ ખુદ પર હોય, કદાચ પોતાના જ્ઞાન પર હોય, ખુદા પર હોય, સંજોગ પર હોય અથવા સમય પર હોય! શ્રદ્ધાના સમીકરણો હોતાં નથી. શ્રદ્ધા તો ભરોસા અને ભક્તિ રૂપે માનવીના મનમાં રહેલી અસીમ ઈચ્છાશક્તિનું પરમ તત્વ છે. એને કોઈ વ્યાખ્યામાં બાંધી શકાય નહીં.
અહીં અનાયસે “શૂન્ય” પાલનપુરીની આ પંક્તિઓ યાદ આવી જાય છે;
“કાંઠાને મઝધાર બનાવે, હાય, પામર નિર્બળતા!
કાંઠાને મઝધારમાં આણે, એ હિંમતને શું કહેવું?”
જીવનની સફર સતત છે, અનંત છે. માત્ર જીવ બદલાતાં રહે છે. આ સફરમાં ક્યારેક કોઈ એવું આપણા અંતરમનમાં વસી જાય છે, જેની હયાતીના તેજવલયો, સુખ હોય કે દુઃખની ક્ષણો હોય, આપણી સાથે ચાલતાં રહે છે. જીવનમાં એવા અનેક સારામાઠાં પ્રસંગો આવે છે. ક્યારેક આવી અણધારી પરિસ્થિતિમાંથી સાંગોપાંગ નીકળી જઈએ ત્યારે શક્ય છે, કે, મનોમન આપણે પોતાની હોશિયારી પર કે ભાગ્ય પર ફુલાઈએ પણ છીએ! અને, આપણે મનોમન એવું માનતાં થઈ જઈએ છીએ કે જે પણ સારું આપણને મળે છે, એને આપણે બિલકુલ “ડિઝર્વ” કરીએ છીએ! અહીં એક વાત ભૂલી જવાય છે કે જિંદગીની આ મુસાફરીમાં આપણી સાથે કંઈ કેટલાંયે લોકોની દુવાઓ અને આશીર્વાદ ચાલતાં હોય છે.
આવા સંજોગોમાં કવયિત્રી આધ્યાત્મિક નિસ્વાર્થતાથી, આપણી સફરમાં મળતી સફળતા કે સારપનું શ્રેય આપણા માટે સતત સારા અને સુંદર વિચારો કરનારાઓને અને એમના કર્મોની સુવાસને આપે છે. એટલું જ નહીં, પણ, આ રીતે અગમનિગમના ખેલ જેવી આ જિંદગીના આ “Time’s “X” – Factor” – સમયના આ અનભિજ્ઞ અવયવને બિરદાવી પણ લે છે અને સમયની Supremacy – સર્વોપરિતાનો સ્વીકાર પણ કરી લે છે.
કવયિત્રી એ પણ જાણે છે કે સુખ અને દુઃખ તો આવન-જાવન છે.
કોને શું મળ્યું એના પ્રમાણ અને પરિમાણને માપીને પોતાની જિંદગીના સુખદુઃખના ચોપડાં લખવાનું કે તપાસવાનું કામ કરવામાં પોતાની શક્તિનો વ્યય કરવાને બદલે એવું માને પણ છે કે જીવનમાં સુખ અને દુઃખ બંને આવશે જ પણ દુઃખની પળોને ભૂલી જાઓ અને સુખની ક્ષણોનો ઉત્સવ ઉજવતાં રહો તો જિંદગી એક ઉજવણી અને ઉજાણી બની જશે, એટલું જ નહીં, પણ એક ખાસ વાત અહીં કહે છે કે જીવનનો ઓચ્છવ ઉજવવાની મજા પણ તો જ આવે જો કોઈને આપણે કશું આપ્યું હોય.
આ જગતમાં આવ્યા પછી લેવાયેલાં શ્વાસોનું સરવૈયું કાઢતાં જ સમજાય છે કે જિંદગીમાં જીવન કોઈને નામ કરી દેવાની અને સાયુજ્યને વધાવવાની ક્ષણો જેટલી પવિત્ર અને અવિસ્મરણીય ક્ષણો બીજી કોઈ હોઈ જ ન શકે. અને અહીં આ ગઝલને આપેલું શીર્ષક “ક્ષણો” સાર્થક બને છે.
“સુખો કેરી ક્ષણો થોડી,
દુઃખોને હરતી જોઈ છે.
અમે આપ્યું જીવન આખું,
તે ક્ષણ મનગમતી જોઈ છે.
આ ગઝલ વાંચીને, રાજેન્દ્ર શુક્લનો શેર યાદ આવે છેઃ
“આ અહીં પહોંચ્યા પછીથી એટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી, બસ, આ બધું તો થાય છે!”
“ક્ષણો”ને આ શેરથી વિશેષ અંજલિ શું આપી પણ શકાય? બહેન મેધાને અઢળક અભિનંદન અને શુભેચ્છાઓ.
***
ખૂબ ખૂબ આભાર જયશ્રી મેમ.. મારી ગઝલનો આનાથી શ્રેષ્ઠ આસ્વાદ્ય હોઇ જ ન શકે. મને વઘુ લખવા બળ આ૫વા બદલ આ૫નો અને ટીમ આ૫ણું આંગણુંનો હ્રદયથી આભાર.