સાચવું (ગઝલ) ~ મનોજ ખંડેરિયા

સદીમાંથી એકાદ ક્ષણ સાચવું
મને હું મળ્યાનું સ્મરણ સાચવું
છે રસ્તો જ એવો કે પીગળી રહ્યો
કહો ક્યાંથી મારાં ચરણ સાચવું?
નથી આવરણની પછી કંઈ કશું
હું એથી જ તો આવરણ સાચવું
નથી; સ્પષ્ટ આયુષ્ય-રેખા નથી
હું મુઠ્ઠીમાં મારું મરણ સાચવું
તરસનો તો ક્યાં બીજે ઉદ્દભવ થશે?
હું એથી જ રેતી ને રણ સાચવું
~ મનોજ ખંડેરિયા
.
કવિશ્રી મનોજ ખંડેરિયાની સુંદર ગઝલ
.
તરસનો તો ક્યાં બીજે ઉદ્દભવ થશે?
હું એથી જ રેતી ને રણ સાચવું
ખૂબ સ રસ મક્તા~
.
ગુજરાતી ગઝલની તાસીર બદલવામાં અને ગઝલને એક સ્વાયત્ત કાવ્યસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં પ્રયોગશીલ ગઝલકારોમાં મનોજ ખંડેરિયાનો કાવ્યપુરુષાર્થ ધ્યાનાર્હ છે